Tuesday, 18 October 2016

કાયદે કાયદે ભ્રષ્ટાચાર.

કાયદે કાયદે ભ્રષ્ટાચાર.       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. 

મકાન વેચાતું લેવા આવનાર ગ્રાહકને બિલ્ડર અતિ ઉત્સાહપૂર્વક પોતાની સ્કીમ સમજાવી રહ્યા હતા. બિલ્ડરની સમજાવવાની સ્ટાઈલ એટલી સરસ હતી કે સાધારણ ગ્રાહક તો એમ જ માની બેસે કે આખી દુનિયામાં આના જેવું મકાન બીજે ક્યાંય સંભવી શકે જ નહિ. પણ સામેવાળો ગ્રાહક કોઈ કાચોપોચો ગ્રાહક ન હતો, પાકો અમદાવાદી જણ હતો. એણે અમદાવાદની પોળપોળ ના પાણી પીધાં હતાં, એટલે એ જલદી બિલ્ડરની વાતોમાં આવીને પીગળી જાય એવો નહોતો.

બિલ્ડરે આ બકરાને એટલે કે ગ્રાહકને મકાન અંદરથી કેવું લાગશે એ સમજાવવા ‘પ્લાન’ના પેપર્સ બતાવ્યા. મકાન સામેથી કેવું દેખાશે એ સમજાવવા ‘એલીવેશન’ ના, અને મકાન ત્રાંસમાં કેવું દેખાશે એ સમજાવવા ‘પરસ્પેકટીવ’ ના ડ્રોઈંગ બતાવ્યા. મકાન અર્ધેથી કટ કરો તો કેવું લાગે એ સમજાવવા એણે ‘સેકશનલ’ ડ્રોઈંગ બતાવ્યું. ગ્રાહકને સમજાયું નહિ કે મકાન કટ શા માટે કરવું જોઈએ? છેવટે એ કંટાળ્યો અને બોલ્યો,

-મારે મકાન ફક્ત જોયા જ કરવાનું છે કે એમાં રહેવાનું પણ છે?
-જે મકાનમાં તમે રહેવાના છો, એને તમારે ધ્યાનથી જોવું તો જોઈએ કે નહિ?
-ઠીક છે, ઠીક છે. હજી કઈ બાકી છે બતાવવાનું?
-બાકી તો ઘણું ય છે, પણ તમને રસ નથી ત્યાં શું થાય?
-જે કઈ બાકી હોય તે બતાવી તો એટલે વાત પતે, ‘ઘા ભેગો ઘસરકો’ બીજું તો શું.
-જુઓ, આ મકાનનું ‘મોડેલ’ છે, ખાસ મુંબઈ જઈને સ્પેશીયલ ઓર્ડર આપીને બનાવડાવ્યું છે.
-આ મકાન પણ મુંબઈ જઈને બનાવડાવવાના છો?
-તમે ય શું શેઠિયા, મકાન તો અહી જ થશે. મકાન કેવું છે?
-ઠીક છે. પણ મકાનની કીમત તો તમે બોલતા જ નથી.
તમે એકવાર ફ્લેટ પસંદ તો કરો પહેલા.
-અરે! પસંદ પડ્યા વિના તમે ક્યારના આ.. ને.. તે.. ને ફલાણું.. ને.. બધું બતાવતા હતા તે જોયા કરતો હોઈશ?
-અચ્છા! તો મકાન પસંદ પડ્યું એમ ને શેઠિયા?
-કહો તો પેપર પર લખી આપું?
-ગુડ આઈડીયા. બીજા ગ્રાહકને પટાવવા..  આઈ મીન બતાવવા તમારો કાગળ કામ લાગશે.
-અરે! પણ પહેલા મારું તો પતાવો તમે.
-તમને તો હું હમણા પતાવી દઈશ.
-શું?
-જુઓ, આ ચોથા માળના છે, ત્રીસ લાખ રૂપિયા, ત્રીજા માળના તેત્રીસ લાખ અને બીજા માળના છત્રીસ લાખ.
-અને પહેલા માળના?
-જોઉં, ઉપલો માલ ખાલી છે કે નહિ.
-ખાલી જ તો છે.
-તમને કેવી રીતે ખબર પડી?
-અનુમાનથી. એના કેટલા છે?
-એના ચાલીસ લાખ.
-કેમ એટલા બધા? એનો એરિયા સૌથી વધારે છે?
-ના, ના. બધા ફ્લેટના એરિયા તો સરખા જ છે.
-ત્યારે  મટીરીયલ નો તફાવત હશે? એ સારામાનું વાપર્યું હશે.
-ના, ના. ફ્લેટ તો બધા જ સરખા છે, કોપી ટુ કોપી સેમ.
-તો પછી ભાવમાં તફાવત કેમ?
-તમે છાપા વાંચો છો?
-દરરોજ.
-તો તમે વાંચ્યું હશે કે હવે ટપાલીઓ ટપાલ આપવા માટે મકાનના દાદરા ચઢીને ઉપર નહિ આવે.
-ત્યારે શું હેલીકોપ્ટર માં બેસીને આવશે?
-ના, તે બધાની ટપાલ નીચલા માળે જ નાખી જશે.
-કેમ, ઉપરવાળા એ શું ગુનો કર્યો?
-ગુનો બુનો કઈ નહિ. કાયદો એટલે કાયદો.
-અરે, આવા અક્કલ વગરના તે કાયદા હોતા હશે?
-ત્યારે કાયદા તે વળી કેવા હોય?
-અને શાકવાળા, દૂધવાળા, ધોબીઓ, ગેસવાળા , કચરો લેનારા કે કરિયાણું આપનારા?
-એ બધા જ એવું કરશે. આથી નીચલા માળવાળા ને ફાયદો થશે. સર્વિસ આપનાર લોકો ઉપર આવવાનો એકસ્ટ્રા ચાર્જ લેશે. બધાને પૈસા ખાતા આવડી જશે. હવે સમજ્યાને નીચલા માળના ભાવ કેમ વધારે છે?
-હા સમજ્યો. ‘કાયદે કાયદે ભ્રષ્ટાચાર’ એ વાત બરાબર સમજ્યો.  




Tuesday, 11 October 2016

મારી મહત્વકાંક્ષા.

મારી મહત્વકાંક્ષા.    પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી. 

પોતાના વિશે વખાણવા લાયક અને બીજાના વિશે વખોડવા લાયક વાતો કહેવાનું માણસને હંમેશા ગમતું આવ્યું છે. તેથી મારે જ્યારે ‘મારી મહત્વકાંક્ષા’ વિશે લખવાનું આવ્યું ત્યારે એ લખતા હું અત્યંત આનંદિત થઇ ગઈ છું.

‘વાહ ઉસ્તાદ વાહ’ – ‘નહી હુજુર વાહ તાજ બોલીએ’ ની જાહેર ખબર વાળા તબલા વાદક ઝાકીર હુસેન સાહેબનું નામ બોલવું હોય તો આગળ ‘ઉસ્તાદ’ બોલવું જ પડે. ‘ઉસ્તાદ ઝાકીર હુસેન સાહેબ’  ના તબલા વાદન થી ઉત્પન્ન થતું અદભૂત સંગીત સાંભળું છું, ત્યારે મને પણ એમના જેવા પ્રખર તબલા વાદક બનવાની મહત્વકાંક્ષા જાગે છે.

એમ તો  શ્રી હરિપ્રસાદ ચોરસિયા નું મનભાવન બાંસુરી વાદન સાંભળું છું, ત્યારે મને ય એવા બાંસુરી વાદક થવાના સ્વપ્ન આવે છે. મલ્લિકા સારાભાઈને સુંદર નૃત્ય કરતા જોઉં છું, ત્યારે હું વિચારું, ‘એ ય ગુજરાતણ અને હું ય  ગુજરાતણ ! શું હું એમની જેમ નૃત્ય કલામાં પારંગત ન થઇ શકું?
અમદાવાદ ના ‘ટાગોર હોલ’ માં મારું ‘આરંગેત્રમ’ છે. એ જ વખતે શહેરના કેટલાક સિનેમા ઘરોમાં અમિતાભ બચ્ચન જી નું ‘પિંક’ મુવી લાગ્યું છે. લોકો અમિતજીના ઓવારેથી દોડી આવીને મારા ‘આરંગેત્રમ’ ના પાસ મેળવવા પડાપડી કરે છે. ટીના મુનીમ અને અનીલ અંબાણી ના લગ્નમાં નહોતી થઇ એવી અદભુત મેદની ટાગોર હોલના પ્રાંગણ માં ભેગી થઇ છે. પબ્લિક ને કાબુમાં રાખતા પોલીસોને પરસેવો છૂટી જાય છે.

હેમા માલિની, સુધા ચન્દ્રન, વૈજંતીમાલા વગેરે પ્રસિદ્ધ નૃત્યાંગનાઓ મને પ્રોત્સાહિત કરવા સામે ચાલીને હોલ પર પધાર્યા છે.  મારું નૃત્ય જોવામાં એવા તલ્લીન થઇ જાય છે, કે એમના હાથમાંનું આઈસ્ક્રીમ પીગળી જાય છે એનો પણ ખ્યાલ રહેતો નથી. બધા આંખનો પલકારો મારવાનું પણ ચુકી જાય છે. નૃત્ય પૂરું થતા આખો ટાગોર હોલ ૫ મિનીટ સુધી તાળીઓના ગડગડાટ થી ગુંજી ઉઠે છે.

ફિલ્મ અભિનેત્રી ‘સુજાતા મહેતા’ નો ‘ફોટોગ્રાફ વિથ ઓટોગ્રાફ’ મારી પાસે છે. જ્યારે જ્યારે હું એ ફોટો જોઉં છું, ત્યારે ત્યારે મારી અંદર સુષુપ્ત અવસ્થામાં રહેલી અભિનય શક્તિ આળસ મરડીને જાગી ઊઠે છે.  ફિલ્મ જગતના રૂપેરી પરદે હું ધામધૂમ થી પદાર્પણ કરું છું. મારા બારણે મોટા મોટા નિર્માતાઓની કતાર લાગી જાય છે, એ બધા મને મોં માગ્યા દામ આપીને પોતાની ફિલ્મ માટે સાઇન કરવા તત્પર છે.

મારી અભિનય કલાથી હું સમગ્ર ફિલ્મ જગત પર છવાઈ જાઉં છું. મારા ચાહકો મને ‘ઓટોગ્રાફ’ અને ‘ફોટોગ્રાફ’ માટે ઘેરી વળે છે. હું મેકપ વગર નીકળું તો પણ મને ઓળખી કાઢે છે. એ બધાથી બચવા હું રોજ  મારી કાર બદલીને નીકળું, ક્યારેક મર્સિડીઝ, ક્યારેક આઉડી, ક્યારેક લીમોઝીન તો ક્યારેક વિન્ટેજ કાર લઈને નીકળું, છતાં ચાહકો મારો પીછો છોડતા નથી. મારા ઘરના ફોનની ઘંટડી સદા રણકતી રહે છે, જે મને ખુબ સંતોષ આપે છે.

આમ તો રાજકીય ક્ષેત્ર થી હું તદ્દન અજ્ઞાત છું. સ્કુલમાં નાગરિક શાસ્ત્ર માં જેટલા ભણાવવામાં આવ્યા છે, તેટલા કાયદાઓ મેં ખુબ જ કંટાળા પૂર્વક જાણ્યા છે. તે સિવાયની કાયદાકીય આંટી ઘૂંટીઓ કે બંધારણના નિયમો હું જાણતી નથી. તો પણ મને ક્યારેક નેતા કે નેશનલ લીડર બનવાની મહત્વકાંક્ષા જાગે છે.

મારામાં ક્યારેક મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચન્દ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, કે લોકમાન્ય ટીળક..વગેરે સઘળા નેતાઓનું જોમ ઉભરાઈ આવે છે. મારું ભાષણ સાંભળીને કરોડોની જન મેદની મંત્રમુગ્ધ બની જાય છે.  દેશ વિદેશથી નેતાઓ મને મળવા અને સલાહ લેવા આવે છે. વડા પ્રધાન વાત વાતમાં ટેલીફોન કરીને મને દેશ બચાવવાના ઉપાયો પૂછે છે. ક્યારેક રાષ્ટ્રપતિ મને , ‘આ વડા પ્રધાન ચાલુ રાખવા કે બદલવા?’ એ વિશે સલાહ પૂછે છે, ક્યારેક તેઓ મારા ઘરે આવી બાજરીનો રોટલો – માખણ – રીંગણ નું ભડથું – મગની દાળની ખીચડી અને કઢી જમી જાય છે. 

હાસ્ય ક્ષેત્રે મહાન હસ્તી બનવાની મહત્વકાંક્ષા તો મેં જે ઘડી એ કલમ હાથમાં પકડી એ જ ઘડીએ જ પાળી રાખી હતી. ગુજરાતી હાસ્ય ક્ષેત્રે લેખકોની મતલબ સારા લેખકોની અછત છે. લેખકોનું તો ઠીક પણ લેખિકાઓની તો રીતસર કમી જ છે. તેથી ઘુસણખોરી કરવા માટે હાસ્ય ક્ષેત્ર સારામાં સારું ફિલ્ડ છે, એમ લાગવાથી મેં મારી, ઉત્તમ હાસ્યલેખિકા બનવાની મહત્વકાંક્ષા ને પાળી પોષીને મોટી કરવા માંડી.

ગુજરાતની તો વાત છોડો, ભારત ભરના ન્યૂસપેપર્સ વાળા એમની પૂર્તિમાં મારા હાસ્યલેખો છાપવા અધીરા થયા છે. મારા મગજમાંથી હાસ્યલેખો નો ધોધ વહી રહ્યો છે, અંત:સ્ફૂરણાની રેલમછેલ છે. લેખો લખતા લખતા મારા નાજુક હાથ થાકી જાય છે. છેવટે મહાભારતમાં જેમ વેદ વ્યાસ મુનીજી બોલે અને ગણપતિજી લખે, એવી વ્યવસ્થા – હું બોલું અને મારી મિત્ર લખે એમ મેં ગોઠવી.

પણ થોડા સમયમાં મારી મિત્ર બીમાર (?) પડી, એટલે મારે બીજા લહિયાની વ્યવસ્થા કરાવી પડી. કેટલાક અખબારના તંત્રીઓને મારે ના પાડીને નિરાશ કરવા પડ્યા. દેશના અનેક હાસ્યલેખકોની વિનંતીને માન આપીને મેં ‘હાસ્ય માર્ગદર્શિકા’ બહાર પાડી, જેની લાખો કરોડો નકલ છપાવા છતાં આજે બજારમાં એક પણ નકલ વેચાવા માટે ઉપલબ્ધ નથી, એવી એની માંગ છે.

દેશ ભરના હાસ્ય સંમેલનોમાં મારી હાજરી અને વક્તવ્ય અનિવાર્ય અંગ બની ગયા, આયોજકો અણધાર્યો પુરસ્કાર અને સન્માન આપવા માંડ્યા, હોલની કીડીયારા જેટલી ભીડ છતાં પીનડ્રોપ સાઈલન્સ જેવી અકલ્પ્ય ઘટનાઓ રેગ્યુલર બનતી ગઈ, ભલભલા મુંજીઓ મને બોલાતી સાંભળીને ખડખડાટ હસવા લાગ્યા.


સ્કુલ, કોલેજ અને તમામ લાયબ્રેરી માં મારા પુસ્તકોની હાજરી વર્તાવા લાગી. ગુજરાતી સાહિત્યમાં મારો  ‘હાસ્યક્ષેત્રે સૂર્ય’  ઝળહળવા લાગ્યો. લોકો એના તેજ વડે સાવ અંજાઈ ગયા. આવા હાસ્યલેખો, આવા હાસ્યલેખિકા  -  ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ બોલી લોકો મારા પુસ્તકો ખરીદીને વાંચવા લાગ્યા, ત્યારે એક સફળ હાસ્યલેખિકા બનવાની મારી મહત્વકાંક્ષા પૂરી થઇ.    

Tuesday, 4 October 2016

અખિયાં.

અખિયાં.       પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.              

સામાન્ય રીતે એક વ્યક્તિનું એક જ નામ હોય છે. જો એક વ્યક્તિના અનેક નામો હોય તો ઘણી ગરબડ થવાનો સંભવ રહે છે. આપણી પાસે પૈસા ઉધાર લઇ ગયો હોય દીપક, અને એ વસુલ કરવા જઈએ ત્યારે ખબર પડે કે વાસ્તવમાં દીપક નહીં પણ પંકજ ઉર્ફે પ્રદીપ ઉર્ફે પ્રકાશ પૈસા લઇ ગયો હતો. જો આવું થાય તો આપણે નામો જ ગણતા રહીએ અને પૈસા વસુલ કરવાના રહી જ જાય.

અમિત સાથે પ્રેમમાં પડેલી આશાની કંકોત્રીમાં મુરતિયા તરીકે અશોકનું નામ જોઇને આપણને દુઃખ થાય, પણ પછી ખબર પડે કે અશોક એ જ અમિત છે ત્યારે આપણને ‘જેને જે જોઈએ તે મળી રહ્યું’ નો આનંદ થાય. આમ એક વ્યક્તિના વિવિધ નામો ગોટાળા કરાવે છે, પણ એ જ વ્યક્તિના શરીરના અંગોના વિવિધ નામો મનોરંજન કરાવે છે.
દાખલા તરીકે –

આંખ. એને અખિયાં, નયન, નેત્ર, ચક્ષુ, લોચન.. વગેરે વિવિધ નામો આપ્યા છે. કવિ શ્રી વેણીભાઈ પુરોહિતે આંખ પર સરસ મજાની પંક્તિઓ લખી છે, ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ એકલો...’ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કવિશ્રીની ધરપકડ ‘નશાબંધી’ ધારા હેઠળ કરવામાં આવી નહોતી.

ઘણા કવિઓને સ્ત્રીઓની આંખોમાં ‘ઝીલ સી  ગહેરાઈ’ જોવા મળે છે. ‘તેરી ઝીલસી ગહેરી આંખોમે  કુછ દેખ હમને, ક્યા દેખા?’  બિચારા કવિને ખબર નથી પડતી કે એણે  શું જોયું એટલે  પ્રેમિકા એને મદદ કરીને કહે છે, ‘મેં સમજ ગઈ રે દીવાને, તુ ને રાત કોઈ સપના દેખા.’ ઘણા પ્રેમી વર્ષો સુધી આવી ઝીલમાં ડૂબકીઓ માર્યા કરે છે, ઘણા ઓછાને એમાંથી તરીને કિનારે નીકળતા આવડે છે.

રૂપની પ્રશસ્તિ ના આલમમાં પુરુષોને પહેલેથી જ અન્યાય થતો આવ્યો છે. આથી એમની પ્રશસ્તિના બે બોલ ભાગ્યે જ આપણા કાને પડે છે, કે આપણી આંખે ચઢે છે. એનો અર્થ હરગીજ એવો નથી કે પુરુષોની આંખો પાણીદાર નથી હોતી. હા, એ વાત સાચી છે કે પુરુષોને પોતાની આંખોની સુંદરતા બતાવવા કોઈ માધ્યમ ની જરૂર પડતી નથી, જ્યારે સ્ત્રીઓ આંખોમાં કાજળ લગાવી એને વધુ ધારદાર કરે છે અને પછી પુરુષોના દિલને એનાથી ઘાયલ કરે છે. વિધિની વક્રતા એ છે કે ખુદ પુરુષો પોતે જ આવી તેજ નજરથી ઘાયલ થવા આતુર હોય છે, તેથી આવા સંજોગોમાં એમના બચાવ માટે કોઈ નક્કર પગલા શી રીતે લઇ શકાય તે સમજી શકાતું નથી.

દરેક આંખોને પોત પોતાનો રંગ હોય છે. કાળી કાળી આંખો ઉપરાંત લીલી, પીળી , ભૂરી કે તપખીરી આંખો પણ હોય છે. કેટલીક આંખોમાં એક જુદો જ -  પ્રેમનો રંગ જોવા મળે છે, અને પ્રેમ પરાકાષ્ટા એ હોય ત્યારે એમાં મેઘ ધનુષી રંગો  પણ જોવા મળે છે.

મનના વાતાવરણ પ્રમાણે આંખોનો રંગ, આંખોનું ઉષ્ણતામાન બદલાતું રહે છે,  અને એ મુજબ ઋતુ પણ બદલાય છે. યુવાન કમાઉ દીકરો મા-બાપની આજ્ઞામાં રહે કે દીકરીના સાસરીયા સાથે સરળ સંબંધ ચાલતો રહે , ત્યારે આંખોમાં ખુબ ઠંડક હોય છે, એ આંખોનો શિયાળો છે.

‘બાપ માર્યાનું વેર’ હોય એવી બે વ્યક્તિઓ સામ સામે મળે છે અને આંખો પરસ્પર ટકરાય છે ત્યારે આંખોમાંથી તણખા ઝરે છે, અને એનું ઉષ્ણતામાન વધી જાય છે, એ આંખોનો ઉનાળો છે. દીકરી સાસરે જાય ત્યારે અથવા કોઈ આત્મીય જન અવસાન પામે ત્યારે આંખોમાંથી શ્રાવણ- ભાદરવો વહે છે, એ આંખોનું ચોમાસું છે. સામાન્ય રીતે બાળકોની આંખોમાં શિયાળો, સ્રીઓની આંખોમાં ચોમાસું અને પુરુષોની આંખોમાં ઉનાળો વધુ જોવા મળે છે.

આંખોની પોતાની એક આગવી અને અસરકારક ભાષા હોય છે, જેને ‘નજરો કી જુબાં’ કહેવાય છે, આ ભાષા દિલ સારી રીતે સમજી શકે છે. ‘દિલ કી નજરસે નજરોકી દિલ સે એ બાત ક્યા હૈ એ રાઝ ક્યા હૈ કોઈ હમે બતાયેં’ કોઈ હમે બતાયે કી ન બતાયે, પણ દિલ જેવી નાજુક ચીજની અદલા બદલી આ નજરકી જુબાં સે હો જાતી હૈ. બે બળવાન વ્યક્તિ લડે તો કોઈ વાર ‘હાડકાનું ફ્રેકચર’ થાય છે, પણ જો બે વ્યક્તિ ની નજર લડે તો ‘પ્રેમ’ ઉત્પન્ન થાય છે.

દબાયેલી યુવાન વ્યક્તિ જ્યારે હિમ્મત પૂર્વક કોઈ સત્ય વાત વડીલને કહે ત્યારે વડીલ કહેશે, ‘લો, આ તો માંકડને આંખો આવી’ આમ તો આપણને જન્મ વખતે જ આંખો મળી ગઈ હોય છે, પણ કોઈ વાર મોટપણે ‘આંખો આવવી’ એવો રોગ થાય છે, ત્યારે બધા જ રોગીથી ‘આંખો ચોરવા’ માંડે છે. સામાન્ય સંજોગોમાં બાળકોને ‘આંખો કાઢીને’ ચુપ કરાવી શકાય છે. પણ મહેમાનોની હાજરીમાં બાળકો વડીલોએ કાઢેલી આંખો સામે ‘આંખ આડા કાન’ કરીને પોતાના તોફાનો જારી રાખે છે.

આમ તો આંખોને પગ ન હોવાથી એ ચાલી શકાતી નથી, પણ ‘મોતિયાના ઓપરેશનમાં દાદાજીની આંખો ચાલી ગઈ’ એવું સાંભળવા મળે છે ખરું. પ્રિય વ્યક્તિને ‘આંખોની જ્યોતિ’ કે ‘આંખનું રતન’ કહેવામાં આવે છે. જ્યારે અપ્રિય વ્યક્તિને ‘આંખના કણા’ સાથે સરખાવવામાં આવે છે. કેટલાક ન ગમતા કામો કોઈની ‘આંખોની શરમે’ કરવા પડે છે.

કેટલાક તોફાની સંતાનો પોતાના મા બાપની ‘આંખોમાં પાણી’ લાવી દે તેવી માંગણીઓ કરે છે, અને માંગણી પૂરી થતા ‘આંખોથી ઓઝલ’ થઇ જાય છે. બાળકોના લાડમાં કેટલાક મા બાપની ’આંખો પર પડદો’ પડી ગયો હોય છે, તેઓ સંતાનોની કુટેવો સામે ‘આંખ મીચામણા’ કરે છે.
 
ઘણા ચિત્રો એટલા સુંદર હોય છે કે ‘ઉડીને આંખે વળગે’ છે. ઘણી યુવતીઓ મન મોહક હોવાથી ‘આંખમાં વસી જાય’ છે. (એમાંથી કેટલીક તો મેળ પડે તો યુવકના ઘરમાં પણ વસી જાય છે) કેટલીક કુટિલ વ્યક્તિની ‘આંખોમાં સાપોલિયા રમતા’  હોય છે. ‘જીવનસે ભરી તેરી આંખે, મજબુર કરે જીનેકે લિયે’ એવી કોઈની આંખો જીવનરસ થી સભર હોય છે.


કેટલીક વ્યક્તિની આંખો એટલી નિર્મળ અને નિર્દોષ હોય છે કે એની સામે કલાકો સુધી જોતા બેસી રહેવાનું મન થાય છે. અને કેટલાક લેખો એવા હોય છે કે એ વાંચનાર ની તો ઠીક, પણ લખનારની આંખો પણ ઘેરાવા લાગે છે. 

Tuesday, 27 September 2016

બેસ્ટ ઓફ લક ટુ ધેમ

બેસ્ટ ઓફ લક ટુ ધેમ.        પલ્લવી  જીતેન્દ્ર મિસ્ત્રી.

આ સૃષ્ટી ઉપર પર્વત, ઝરણાં, ફૂલો, છોડ, વાદળો, સાગર વગેરે અનેક સર્જનો કર્યા પછી ઈશ્વરે આદમ નામના પ્રાણીનું સર્જન કર્યું. એમને લાગ્યું કે ‘આ મારું શ્રેષ્ઠ સર્જન છે’ (ઈશ્વરને પણ ક્યારેક ભ્રમ થઇ જતો હશે? - રામ જાણે)   અમરત્વનું વરદાનધારી આદમ આનંદ પૂર્વક પૃથ્વી ઉપર વિહરતો હતો, અને ઈચ્છા થાય ત્યારે સ્વર્ગમાં આંટો મારી આવતો હતો.
એ વખતે કુહાડીની શોધ નહોતી થઇ, છતાંય ‘પોતાના પગ પર કુહાડી મારવી’  એવો  સ્વભાવ એ વખતથી જ મનુષ્યને વારસામાં મળ્યો હતો, એ વાત આદમના વર્તનથી ફલિત થાય છે. એકલો એકલો રઝળપાટ કરીને આદમ થાક્યો અને કંટાળ્યો હતો. તે વખતે ટેલીફોન કે મોબાઈલ ની શોધ નહોતી થઇ, એટલે એણે પોતાના બે હાથ એન્ટેનાની જેમ ઊંચા કરીને ઈશ્વરને પોકાર્યા.

ઈશ્વર કોઈ રાજકારણી નેતા ન હોવાને કારણે એમણે  આદમનો અવાજ તરત જ સાંભળ્યો. એટલું જ નહિ એનો જવાબ પણ વાળ્યો, જે આદમે સાંભળ્યો. આજે તો ઈશ્વરનો અવાજ સાંભળી શકીએ એવી એક પણ એન્ટેનાડીશ આપણી પાસે નથી. અરે! ઈશ્વરના અવાજની વાત તો છોડો, એ તો ઘણો દુર છે (એવું આપણે માનીએ છીએ), પણ આપણી સાવ  નજીક છે, એવા આત્માના અવાજને પણ આપણે ક્યાં સાંભળીએ છીએ?

આદમે ઈશ્વરને પોતાની એકલતાનો ઉપાય કરવા વિનંતી કરી. ઈશ્વરને લાગ્યું હશે કે હવે આને સલાહ આપવાનો કોઈ અર્થ નથી. (વાળ્યો ન વળે એ હાર્યો વળે) એથી ઈશ્વરે એક સુંદર સ્ત્રી ‘આવા’ એટલે કે ‘ઈવ’ નું સર્જન કર્યું. આદમ ઈવને જોઇને ખુબ પ્રસન્ન થયો. માન્યું કે આદમને તો ‘આવનાર ઉપાધી’ ની જાણ નહોતી એટલે એ ખુશ થાય એ સ્વાભાવિક છે. પણ  મને નવાઈ એ વાતની લાગે છે કે આજે પણ (આટલા વર્ષોના અનુભવ પછી) પુરુષો સુંદર સ્ત્રીને જોઇને ખુશ જ થાય છે.

ઈશ્વરે આદમને આદેશ આપ્યો કે, ‘મારા માથા સહિત તારે જે ખાવું હોય તે ખાજે પણ જ્ઞાનવૃક્ષનું ફળ ખાઈશ નહી. આદમે ઈવને પણ ઈશ્વરનો આદેશ સંભળાવ્યો. પુરુષો તો પહેલેથી જ આજ્ઞાંકિત રહ્યા છે, અને સ્ત્રીઓ પહેલેથી જ એને જે કામ કરવાની ના પાડી હોય તે પહેલા કરે – એમ કરતી આવી છે.  ઇવે એ ફળ ખાધું, એટલું જ નહી પણ આદમને પણ એ ફળ ખાવા મજબુર કર્યો. આજે પણ સ્ત્રીઓ પ્રેમથી પુરુષને મજબુર કરીને કઈ રીતે પોતાની વાત મનાવવી એ કળા સારી રીતે જાણે છે. 
  
‘જ્ઞાન જ બધી તકલીફોનું મૂળ છે’ , ‘Ignorance is Bliss’  વગેરે કહેવતો આદમ કે ઇવે સાંભળી નહોતી. પહેલીવાર બંનેને પોતાની જાત વિશે જ્ઞાન થયું, અને વિજ્ઞાનનો પાયો નખાયો. અને ત્યારથી કપડાં પહેરવાની (માણસના દંભીપણાની) શરૂઆત થઇ. ઈશ્વરે નારાજ થઈને આદમને ‘હવે દરેક નિર્ણય પુરુષે જાતે જ કરવા’ એવો આદેશ આપ્યો. ત્યારથી પુરુષ દરેક નિર્ણય પોતાની જાતે જ (પત્નીને પૂછીને) કરતો આવ્યો છે.

આદમ અને ઈવને ઘરે પ્રથમ સંતાન નો જન્મ થયો અને ત્યાર પછી પૃથ્વી ઉપરનો ભાર ઉત્તરોત્તર વધતો જ ગયો. આદમ અને ઇવે પોતાના પ્રથમ સંતાનનું નામ ‘કેન’ અને બીજા સંતાનનું નામ ‘એબલ’ રાખ્યું. આ ઉપરથી મને લાગે છે કે પૃથ્વી ઉપર અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ પહેલેથી જ રહ્યું છે. આદમ અને ઇવે સંતાનોના બદલામાં પ્રભુને અનાજની આહુતિ આપી. આપણે આજે પણ આપણા સંતાનોના બદલામાં નર્સિંગ હોમના ડોકટરોને રૂપિયાની આહુતિ આપવી પડે છે. એટલું જ નહી, સ્કૂલો કે કોલેજોમાં એડમીશનના બદલામાં ડોનેશનના રૂપમાં રૂપિયાની આહુતિ આપવી પડે છે.

એબલના આવ્યા પછી કેનને પોતાનું મહત્વ ઓછું થઇ ગયું  હોય એવું લાગ્યું.  એથી એ ‘એબલનો કાંકરો કાઢી નાખવા’  તત્પર થયો. આજે પણ ઘણા ભાઈઓ પિતાના વારસા માટે સગા ભાઈનું કાટલું કાઢી નાખતા અચકાતા નથી. એબલ બકરાં ચરાવતો હતો તેથી એણે એકવાર ઈશ્વરને બકરાની આહુતિ આપી. ‘બલીનો બકરો’ કહેવત એ પરથી શરુ થઇ હશે એવું મને લાગે છે.

આ તરફ કેને પોતાની નામરજીથી ઈશ્વરને અનાજની આહુતિ આપી તો ઈશ્વરે એ સ્વીકારી નહિ અને કેનને ભગાડી મુક્યો. આજે પણ આપણે આપણું કામ કઢાવવા લાગતા વળગતા ઓફિસરોને આપણી નામરજીથી રૂપિયાની આહુતિ (લાંચ) આપીએ છીએ. અધિકારીઓ આ આહુતિ હોંશે હોંશે સ્વીકારી લે છે. (પછી આપણું કામ કરે ન કરે એ એમની મરજી પર આધારિત છે)
 
એક દિવસ લાગ મળતા કેન એબલને માથા પર હાડકાનો ફટકો મારીને મારી નાખે છે. આજે પણ એ શિરસ્તો ચાલ્યો આવે છે અને ભાઈ ભાઈની હત્યા કરે છે. બસ હાડકાનું સ્થાન ખંજર કે સ્ટેનગને લીધું છે.

એબલના મૃત્યુ પર એની માતા ઈવ કરુણ રુદન કરે છે. આજે પણ ધરતી માતા પોતાના પુત્રો (હિંદુ – મુસ્લિમ – શીખ – ઈસાઈ) કે પછી (ભારતીય – પાકિસ્તાની) ના અકાળ અવસાન પર લોહીના આંસુ સારે છે. આપણને રુદન સંભળાય છે ખરું, પણ એની અસર થતી નથી કેમ કે આપણે એ અવાજથી હવે ટેવાઈ ગયા છીએ.


 આપણા વૈજ્ઞાનિકો હવે ‘આંસુમાંથી એટમ બોમ્બ’ બનાવવાની થીયરી પર રીસર્ચ કરી રહ્યા છે, ‘BEST LUCK TO THEM’  

Tuesday, 20 September 2016

સોરી, આપ કે લિયે હમ કુછ નહિ કર શકતે.

સોરી, આપ કે લિયે હમ કુછ નહિ કર શકતે.  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

આજકાલ રાજકારણ મા અસામાજિક તત્વો જે રીતે બહુમતીથી ચૂંટાઈ આવે છે, અને નેતા બની જાય છે, એ જોતાં મેં નીચે આલેખેલો કિસ્સો ભવિષ્યમાં સાચો બને તો નવાઈ પામવા જેવું નથી.

થોડા વર્ષો પહેલાં ભરૂચ શહેરની એક સ્કુલમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિધાર્થીએ જીલ્લા કલેકટર પાસે  ‘ખિસ્સા કાતરવાનું’ લાયસન્સ માગ્યું છે. ‘ખિસ્સા કાતારવાની કળા’ એવા પ્રકારનો કોઈ વિષય બારમાં ધોરણમાં ભણાવવામાં નહિ જ આવતો હોય, એની મને ખાતરી છે. છતાં ‘પેટીયું રળવા માટે આ વ્યવસાય પણ ખોટો નહિ’  એવો વિચાર આ કિશોરને આવ્યો, એ વાત જ બતાવે છે કે એનો બુદ્ધિઆંક સામાન્ય કિશોર કરતાં ઘણો ઉંચો છે.

આવા તો કઈ કેટલાય ‘ઉટપટાંગ’ વિચારો આપણને પણ આવતા જ હોય છે, પણ આપણે ફક્ત વિચાર કરીને અટકી જઈએ છીએ. પણ આ કિશોર  ફક્ત વિચાર કરીને અટક્યો નહિ, એણે એ બાબતે કલેકટરને પત્ર લખ્યો. એ વાત જ બતાવે છે કે એ કિશોર ઉધમી પણ છે. જે રીતે પત્ર લખીને એણે કલેકટર પાસે ‘ખિસ્સા કતારવાનું’ લાઈસન્સ માંગ્યું એ પરથી લાગે છે કે એ કિશોર હિંમતવાન પણ છે.

ધારો કે પત્ર વાંચીને આ સંદર્ભમાં કલેકટર એ કિશોર ને મળવા બોલાવે છે...

-ગુડ મોર્નીગ, સર. 
-કોણ?
-હું કિશોર.
-બોલો, કેમ આવવું થયું? શું કામ છે?
-સર, મેં તમને એક અરજી મોકલી હતી.
-શાની અરજી?
 -‘ખિસ્સા કાતરવાનું લાયસન્સ’ માટેની.
-અમે કોઈને એવું લાયસન્સ હજી સુધી આપ્યું નથી.
-તો હવેથી આપો, સર.
-પણ તને એવું લાયસન્સ લેવાનો વિચાર આવ્યો શી રીતે?
-હિન્દી ફિલ્મો જોઇને, સર.
-ઠીક, પણ તારે એવું લાયસન્સ શા માટે જોઈએ છે?
-રોજી રોટી મેળવવા માટે, સર.
-એ માટે તારી પાસે બીજા કોઈ સારા રસ્તા નથી?
-સર, આજકાલ ગ્રેજ્યુએટ થયેલા ને નોકરી મળતી નથી, તો  મને બારમાં ધોરણમાં ભણતા કિશોરને કોણ જોબ આપે? હા, મારા મૃત પિતાનું બાકી રહેલું પેન્શન જો મને મળી જાય, તો એ પૈસામાંથી નાનો મોટો કોઈ ધંધો કરું.
-તો પેન્શન કેમ લઇ આવતો નથી?
-કોઈ આપે તો લઇ આવું ને, સર?  ભણવાનું છોડીને ઓફીસના કેટલાય ધક્કા ખાધા, ખુબ રીક્વેસ્ટ કરી, ઓફિસરના પગમાં પડ્યો..
-તો પણ પેન્શન ન મળ્યું?
-ના, પેન્શનના બદલે ગાળો મળી. ‘પેન્શન વગર હું મારું અને મારી માનું ગુજરાન કઈ રીતે ચલાવીશ?’ એમ પૂછ્યું તો કહ્યું, ‘ ચોરી કર, લુંટ ફાટ કર, ભીખ માંગ કે ખિસ્સા કાતર.’
-અરરરર! ઓફિસરે આવું કહ્યું?
-આ સિવાય પણ બીજું ઘણું બધું કહ્યું. પણ એ બધું આપને જણાવીને આપનો કીમતી સમય હું બરબાદ કરવા નથી માગતો.
-ગુડ, વેરી ગુડ. તું સમજદાર લાગે  છે.
-તો સર, આપો છો ને મને ‘ખિસ્સા કાતારવાનું’ લાયસન્સ?
-કોઈ પણ પ્રકારનું લાયસન્સ આપતા પહેલા અમે એનો ધારક એ વિષયમાં નિપુણ છે કે નહિ, તેનો ટેસ્ટ લઈએ છીએ.
-એ માટે મેં થોડી ‘નેટ પ્રેકટીસ’ પણ કરી છે, હું ટેસ્ટ માટે તૈયાર છું.
-અચ્છા? તો બતાવ તારી કરતબ.
-સર, આપના ખિસ્સા ચેક કરો.
-હેં ! મારું પર્સ? મારું ઘડિયાળ?
-લ્યો, આ રહ્યું આપનું પર્સ અને આપની ઘડિયાળ.
તું તો જબરો નીકળ્યો, ક્યારે મારું ખિસ્સું કાતરી લીધું મને ખબર પણ ન પડી.
-તો સર, હું પાસ ને? મને લાયસન્સ આપો છો ને?
-આપવું જ પડશે ને! સારું છે કે તું ‘ખૂન કરવા’ માટેનું લાયસન્સ લેવા નથી આવ્યો. લે તારું લાયસન્સ.
-થેન્ક્યુ, સર.

થોડા સમય બાદ એક પોલીસ ચોકીમાં.....

-ઇન્સ્પેક્ટર સાં’બ.
-અબે પાંડુ, અંધે કઈ ઔલાદ! દિખતા નહિ ..મેં કામ કર રહા હું... તેરી તો...(ગાળ..ગાળ)
-સા’બ, સોરી. પર ઇસ લડકેને ઇસ શેઠ કી જેબ કાટી હૈ.
- -તેરી તો..(ગાળ..) અબે સાલે, તુને યે શેઠ કી જેબ કયું કાટી?
-સર, સ્કુલની ફી ભરવાની છે, મધરની દવા લાવવાની છે.
-અચ્છા? યે શેઠ તેરા બાપ લગતા હૈ ક્યા? (ગાળ..ગાળ..)
-ગાળ ન બોલો, સર. એક તો ફાધરનું પેન્શન મળતું નથી..અને ઉપરથી...
-સાલે ગધે, તું દેખ, પેન્શન તો અબ મેં તુઝે દુંગા..(ગાળ ..)  તુઝે સસુરાલ (જેલ) ભેજુન્ગા. પાંડુ, ઇસ હરામીકી ઔલાદકો અંદર કર. દો દિન હવાલાત કી  હવા ખાયેગા તો માલુમ પડેગા..સાલા, જેબ કાટના ભૂલ જાયેગા.
-તમે એવું નહિ કરી શકો.
-હમ ક્યા કર શકતે હૈ તુઝે દેખના હૈ ક્યા, ગીધડ કી ઔલાદ.
-સર, મારી પાસે ‘ખિસ્સા કાતરવાનું’ કલેકટર સાહેબનું લાયસન્સ છે.
-હીહીહીહી..પાંડુ, યે તો સાલા કોઈ ‘ભેજાગેપ’ લગતા હૈ. ઇસે જેલ કી બજાય પાગલખાને ભેજના પડેગા.
-હું ક્યાંય નહિ જાઉં. સર, એકવાર તમે જુઓ, મારી પાસે લાયસન્સ છે કે નહિ.
-અરે, ઇન્સ્પેક્ટર સા’બ. ઇસ કે પાસ તો સચમુચ ‘ખિસ્સા કાતરને’ કા લાયસન્સ હૈ. કલેકટર સાં’બ કા સિક્કા ભી લાગાયલા હૈ, ઓર સહી ભી કિયેલા હૈ.
-દિખા,મુજે દિખા. ઓહ ! ઇસ કી બાત સચ હૈ પાંડુ, છોડ દે, છોડ દે, ઇસે જાને દે.  
-ઇન્સ્પેક્ટર સાહેબ, મારા પૈસા? મારું પર્સ? - શેઠ બોલ્યા.
-સોરી, આપકે લિયે હમ કુછ નહિ કર શકતે.   


Tuesday, 13 September 2016

નસીબ અપના અપના.

નસીબ અપના અપના.  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

મનુષ્ય સાથે સંકળાયેલ અજીબો ગરીબ ચીજોમાં નસીબનો પણ સમાવેશ થાય છે. નસીબ જેવું કંઈ હોય છે, એ વાત માનવા આજના ભણેલા ગણેલા અને પુરુષાર્થમાં માનતા લોકો તૈયાર નથી હોતા. પણ ક્યારેક નસીબમાં માનવાનું મન થઇ જાય એવા કિસ્સા બનતા હોય છે ખરા. આજે તમને એવો જ એક કિસ્સો કહું છું.

અમારી રો-હાઉસ સોસાયટીના એક મકાનમાં એક પ્રોઢ યુગલ વર્ષોથી રહે છે. ઘરનું કામકાજ કરવા તેઓ કામવાળી રાખે છે. કામવાળીઓ બે ત્રણ વર્ષે બદલાતી રહે છે, બંનેનો સ્વભાવ સારો છે, પણ કામવાળી જૂની થતાં આડાઈ કરવા માંડે છે,  એમને કામ ઓછું અને દામ વધુ જોઈએ છે,  ટીવી જોવાની અને ફ્રિઝનું ઠંડુ પાણી પીવાની ડીમાન્ડ રાખે છે. મન થાય ત્યારે જણાવ્યા વિના રજા પાડી દે છે.

છેલ્લે મુળી નામની કામવાળી આવી, એ બોલતી ઓછું અને કામ વધુ કરતી, ઘરને ચોખ્ખું ચણાક રાખતી. એક દિવસ ઘરના કબાટની ચાવી કબાટમાં જ રહી ગઈ તો એણે કબાટને પણ અંદરથી સાફ કરી નાખ્યું. રૂપિયા અને ઘરેણા મળીને દોઢેક લાખ જેટલી માલમતા   એ લઇ ગઈ, સાથે શેઠના ડ્રાઈવરને પણ લઇ ગઈ. શેઠનું નસીબ થોડું સારું કે ડ્રાઈવર પોતાની સાથે શેઠની કાર ન લઇ ગયો.

શેઠે પોલીસ ચોકીમાં ફરિયાદ નોધાવી તો પોલીસે શેઠને જ ધમકાવ્યા, ‘અજાણી બાઈને કામે શું કામ રાખી? રાખી તો એનું સરનામું કેમ ન નોધ્યું? એનો ફોટો કેમ ન પાડ્યો? કબાટ લોક કેમ ન રાખ્યું? કામવાળી અને ડ્રાઈવર પર ચાંપતી નજર કેમ ન રાખી? તમે ધ્યાન ન રાખો અને પછી ફરિયાદ કરવા દોડી આવો તો અમે કંઈ જાદુગર છીએ કે ચોરને ચપટી વગાડતામાં પકડી લાવીએ?’ પોલીસના પ્રશ્નો ના મારાથી થાકેલા શેઠે મનોમન ‘આજ પછી ક્યારેય પોલીસની મદદ ન લેવી’ એવું નક્કી કર્યું.

થોડા સમય બાદ એમણે સોસાયટીમાં કામ કરતા લક્ષ્મણની ઓળખાણ થી ડુંગરપુરના બાર-તેર વર્ષના છોકરા શંકરને કામે રાખ્યો, એનું નામ સરનામું નોધ્યું, એનો ફોટો પાડ્યો, પછી શેઠને નિરાંત થઇ. પણ શેઠનું નસીબ કંઈ એમ એમને નિરાંતે બેસવા દે? ડુંગરપુરીયાનું ધ્યાન કામ કરતા, રમત તરફ વધારે રહેતું. જેમ તેમ કામ પતાવીને એ ભાઈબંધો સાથે રમવા ઉપડી જતો. શેઠાણી એને ધમકાવતા અને ડુંગરપુર પાછો મોકલી આપવાની ધમકી પણ આપતા. પણ શંકર તો શંકર હતો, શેઠાણીની શિખામણ  જાણે ‘પથ્થર પર પાણી’
ચોમાસાના દિવસો હતા, બાથરુમોના બારણા ચુટણીમાં જીતેલા નેતાઓની છાતીની માફક ફૂલી ગયા હતા.જેમ નેતાના કોટના બટનો ન ભીડાય, એમ બારણાની કડીઓ વસાતી નહોતી. શેઠાણી રસોડામાં શાક સમારતા હતા, શેઠ ઉપરના રૂમની બાથરુમમાં  નહાતા હતા. શંકરને ક્રિકેટ રમવા જવાની ઉતાવળ હતી, પણ શેઠાણીએ કહ્યું, ‘ઉપરની બંને બાથરુમો ધોઈને તારે જ્યાં જવું હોય ત્યાં (જોઈએ તો  જહન્નમ માં) જા.

એટલે ડુંગરપુરીયો  તો ધડાધડ દાદરા ચઢીને ઉપર ગયો. પાંચ મીનીટમાં પાછલા રૂમની બાથરૂમ ધોઈને આગલા રૂમની બાથરૂમ તરફ વળ્યો, અને બારણાને બહારથી ધક્કો માર્યો. અંદર શરીર લુછી રહેલા શેઠ ચમક્યા, અને એમને બારણાને અંદરથી  ધક્કો માર્યો.  શંકરની ચારેય આંગળીઓ બારણામાં ચગદાઈ ગઈ અને એણે જોરથી ચીસ પાડી. ચીસ સાંભળીને ચમકેલા શેઠાણીની આંગળીમાં શાક સમારવાનું ચપ્પુ ઘુસી ગયું અને લોહીની ધાર થઇ, એ સાથે જ શેઠાણીની ચીસ સંભળાઇ. બંને ચીસોથી ચમકેલા શેઠ ફટાફટ કપડાં પહેરીને બહાર આવ્યા, પરિસ્થિતિ જોઇને ડોક્ટરને ફોન કરી બોલાવ્યા. માંડમાંડ અઠવાડિયે બંને જણ સાજા થયા.

ઉત્તરાયણ ને હજી મહિનાની વાર હતી. તો ય શંકરીયો રોજ ધાબે કપાયેલી પતંગો પકડવા રઘવાયો થઈને ચઢી જતો. શેઠાણીએ એને ચેતવણી આપી રાખી હતી કે – ‘વાંદરા, ધાબેથી પડ્યો છે તો તારી ખેર નથી, એવો ઝૂડી નાખીશ ને’  પણ શંકરીયો તો નર્યો સંત માફક હતો, ચેતવણીઓ થી તદ્દન  નિર્લેપ. નસીબજોગે એક દિવસ કપાયેલી પતંગ પકડવા જતા શંકર ખરેખર ધાબેથી નીચે પટકાયો.

શેઠાણી ન તો એને ધમકાવી શક્યા કે ન તો એને ઝૂડી શક્યા, કેમ કે પડતાની સાથે શંકરના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને એ  બેભાન થઇ ગયો. શેઠે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને એને હોસ્પિટલ પહોચાડ્યો, જ્યાં એને ઇન્ટેન્સીવ કે યુનિટ ( ICU) માં દાખલ કરવો પડ્યો. ડોકટરે કહ્યું, ‘સાજો તો થઇ જશે, પણ મેમરી લોસ થવાની શક્યતા ખરી.’  પોલીસે શેઠની એવી પૂછપરછ કરી, જાણે  શેઠે જ એને ઉઠાવીને ધાબેથી નીચે ન નાખ્યો હોય. પણ નસીબ આગળ શેઠ લાચાર હતા.
શંકરના સગાઓ ગામડેથી દોડી આવ્યા, એમણે રડારોળ  અને કાગારોળ મચાવી મૂકી. શેઠે બધાને શાંત પાડ્યા અને એમની રહેવા જમવાની સગવડ કરી આપી. આ કેસમાં પુરુષાર્થ શંકરનો અને નસીબ શેઠ શેઠાણીનું. 

જો કે દુખ બંને એ ભોગવવાનું છે, જીવતો રહ્યો તો ડુંગરપુરીયાએ અને મરી ગયો તો શેઠ શેઠાણીએ. નસીબ અપના અપના, બીજું શું?


Tuesday, 6 September 2016

શ્રદ્ધાંજલિ – સત્યાંજલિ.

શ્રદ્ધાંજલિ – સત્યાંજલિ.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

સત્યવાદી કલબની મારી વહાલી બહેનો,

આપણી કલબના સીનીયર-મોસ્ટ (ઓફકોર્સ ઉમરની દ્રષ્ટિ એ જ) ગણાતા મોંઘીબેનના અવસાન પ્રસંગે એમને શ્રધ્ધાંજલિ આપવા માટે આજે આપણે અહીં એકત્ર થયા છીએ. એમના અકાળ(?) અવસાનથી આપણી ક્લબને ન પુરાય એવી ખોટ પડી છે, પણ ભગવાનને જે ગમ્યું તે ખરું.સત્યવાદી કલબના તમામ સભ્યોએ સાચું જ બોલવાના શપથ લીધા છે, એટલે એમની શ્રધ્ધાંજલિ ના કાર્યક્રમમાં પણ આપણે સાચું જ બોલીશું, અંતે મોંઘીબેન ના આત્માની શાંતિ અર્થે આપણે પ્રાર્થના કરીને છુટા પડીશું.

આપણી જેમ મોંઘીબેન પણ ‘અપ્રિય’ કે ‘અળખામણા’ થવાનો ડર રાખ્યા વગર હંમેશા સાચું જ બોલતા. પણ આ જગતના લોકો સાચા માણસને સહન કરી શકતાં નથી, કે તેમની કદર કરી શકતાં નથી, પણ આપણે આજે આ કમીને પૂરી કરીશું. આ શ્રધ્ધાંજલિ કે સત્યાંજલિ નો કાર્યક્રમ પૂરો થયા બાદ આપણે એમને મરણોત્તર ‘સત્યવાદી રાણી - મોંઘીવતી‘ નો એવોર્ડ એનાયત કરીશું. એમના કોઈ સગા કે  વહાલાં (?) આવ્યા હોય તો એમને વિનંતી છે કે તેઓ કાર્યક્રમના અંતે આ એવોર્ડ લઇ જવાની કૃપા કરશો.

કહેવાય છે કે - ‘સત્યં વદ, અપ્રિયમ વદ’ ની નીતિને ચુસ્ત પણે વળગી રહેનારા મોંઘીબેનના કડવા બોલની સામે ‘કારેલા’ કે ‘કરિયાતું’ ની કડવાશ ફિક્કી પડે. ‘બોલ અમોલખ બોલ હૈ, બોલ શકે તો બોલ, પહેલે ભીતર તોલ લે, બાદ મેં મુખડા ખોલ’ આ પંક્તિને અવગણીને ‘આપણે તો મનમાં આવે એ બોલી નાખીએ, બાકી આપણા મનમાં કોઈ પાપ નહિ હોં’  એવું હંમેશા એ કહેતા. ‘કોઈને ખોટું લાગે તો મારે કેટલા ટકા?’ એવી ગીતામાં પણ જોવા ન મળે તેવી  સ્થિતપ્રજ્ઞતા એમણે કેળવી હતી, એ બદલ તેઓ સાચા અભિનંદન ના અધિકારી છે. હજી તો મારે એમના વિશે ઘણું બોલવું છે, પરંતુ પ્રમુખ શ્રીનો ઈશારો (‘બેસી જાવ’) સમજીને હું બેસી જાવ છું.        
                                        *
પ્યારી સત્યવચની બહેનો,

નીલાબેને મોંઘીબેનના પ્રશસ્તિના જે પુષ્પો ખીલવ્યા, એનાથી એમનો આત્મા જરૂર પ્રસન્ન થયો હશે. હવે હું મારા વક્તવ્ય દ્વારા એમના આત્માને વધુ પ્રસન્ન કરવાના સનિષ્ઠ પ્રયત્નો કરીશ.

નારીમાં ઉદારતા, ક્ષમા અને સહાનુભુતિ નો ત્રિવેણી સંગમ હોય છે. નારી સ્નેહ, મમતા, કર્તવ્ય પરાયણતા અને સદભાવની મૂર્તિ હોય છે. એ તકરાર ના ‘ત’ થી અને અભિમાનના ‘અ’ થી સો ગજ દુર ભાગે છે, વગેરે વગેરે.. નારીના શોષણ કાજે પુરુષોએ ઘડેલા આવા ખોટા નિયમોને મોંઘીબેને સદા માટે ફગાવી દીધા હતા. મોંઘીબેન ખાવા-પીવા ના અત્યંત શોખીન હતાં, પરંતુ કંજૂસ અને અરસિક પતિ મહાશયની કચકચ ના કારણે એમના આ શોખ પોષાયા નહોતા. એનો અસંતોષ મોંઘીબેન ને જીવનભર રહ્યો હતો.

અસંતોષની આગમાં બળતા મોંઘીબેનને પતિ સાથે ‘બારમો ચંદ્રમાં’ જેવો સંબંધ હતો. તેઓ ‘સાત જનમના સાથી’ નહિ, પરંતુ ‘સાત જનમના દુશ્મન’ હતા. બંને એક બીજાને માટે ‘આ જનમમાં તો ભલે મળ્યા, પણ હવે પછી સાત જનમમાં કદી ન મળજો’ એવી પ્રાર્થના કરતા. એમના પતિ કહેતા, ‘તને સ્મશાને વળાવ્યા વગર હું મરવાનો નથી’ અને મોંઘીબેન વાણીનો વળતો પ્રહાર કરતા કહેતા, ‘તમારા બારમાના લાડુ ખાધા વિના હું મરીશ નહિ’

આમ મોંઘીબેનના દામ્પત્ય રથનું એક પૈંડું સ્કુટરનું અને બીજું પૈંડું ટ્રેક્ટરનું હોવાથી રથ હંમેશા ખોડંગાતો. મોંઘીબેન વિશેની પ્રાપ્ત થયેલી બધી માહિતી  જો પ્રગટ કરવામાં આવે, તો એક મહાનિબંધ રચાય, અને રચયિતાને પીએચડી ની ડીગ્રી પણ મળે. પરંતુ હજી બીજી બે બહેનો બોલનાર છે, તેથી મોંઘીબેન ના આત્માની શાંતિ માટેની પ્રાર્થના કરી હું બેસી જવાની રજા લઉં છું.
                                              *
પ્રિય સત્ય શોધક સભાની મહિલાઓ,

હું ગીતા ઉપર (પુસ્તક હાજર નથી એટલે આ ગીતાબેન પર) હાથ મુકીને કહું છું કે – હું મોંઘીબેન વિશે જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ. મેં મોંઘીબેન વિશે જાતે તપાસ કરી છે, એ માટે મેં એમના પડોશીઓ અને સોસાયટી વાળાઓ ની સહાય લઈને માહિતી એકત્ર કરી છે, જે તમારી સમક્ષ પ્રગટ કરતા હું આનંદની લાગણી અનુભવું છું. ‘જો મને આજે માઈક નહિ મળે, તો હું કલબમાંથી રાજીનામું આપી દઈશ’ એવી મારી રીક્વેસ્ટ(?)  ધ્યાનમાં લઈને મને માઈક આપવા બદલ હું પ્રમુખ રીટાબેનનો  આભાર માનું છું. 

‘પોતે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તે કરતા બીજાએ શું કરવું જોઈએ અથવા શું ન કરવું જોઈએ’ એ વાત પ્રત્યે મોંઘીબેન વધુ સભાન હતા. ‘શ્રવણે એના મા બાપને જાત્રા કરાવી તો મારો પુત્ર મને(અમને નહિ)  જાત્રા ન કરાવે?’ એવો એમનો આગ્રહ હતો. પણ એમના પુત્રની દલીલ હતી કે – ‘શ્રવણના માં-બાપ તો આંધળા હતા’ એની સામે મોંઘીબેન ની શું દલીલ હતી તે જાણવા મળ્યું નથી.

પૈસાની બાબતે મોંઘીબેન ‘પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાની દાસી’ ની નીતિ ને અનુસરતા. પુરતા પૈસા હોવા છતાં જીવન જરૂરીયાતની ચીજો અને દવા તેઓ જીવ બાળી ને લાવતા, અને કરકસર કરીને વાપરતા. સાચું કહું તો તેઓ પૈસો ખર્ચવાને બદલે સાચવી રાખવામાં માનતા. બહારની ચટાકેદાર  વાનગી ખાવાના શોખીન મોંઘીબેન કોઈ એવી વાનગી ખવડાવે તો હોંશભેર ખાતા,પણ જાતે એમાં પૈસા ખર્ચતા નહિ. આવા અનન્ય રત્ન સમા મોંઘીબેનને ભાવભરી અંજલી અર્પીને હું રીટાબેનેને બોલવા વિનંતી કરું છું.
                                                    *
પરમ પ્રિય સત્યવાદી બહેનો,

સૌ પ્રથમ તો નીલાબેન, શીલાબેન અને રસીલાબેને જાત તપાસ દ્વારા એકત્ર કરેલી માહિતી દ્વારા મોંઘીબેન ને જે ભાવભીની હૃદયાન્જલી આપી છે, તે બદલ હું આપણા સૌ વતી એમનો આભાર માનું છું. મોંઘીબેન માટે એમણે જે એવોર્ડનું સુચન કર્યું એ વધાવી લઉં છું, અને સત્યાંજલીનો  આ કાર્યક્રમ આગળ વધારું છું. સ્વર્ગવાસી(કે નાર્ક્વાસી?)  મોંઘીબેન નું સમગ્ર રેખાચિત્ર દોરવું અત્યંત કઠીન કાર્ય છે. પણ ‘કાર્ય કઠીન હૈ ઈસ લીયે વો કરને યોગ્ય હૈ’ એવું કંઈ ઇન્દિરા ગાંધી કહી ગયેલા એટલે એ માટે હું પ્રયત્ન કરું છું.

મને બરાબર યાદ છે, મેં જ્યારે મોંઘીબેન ને પહેલીવાર જોયેલા ત્યારે મારા સ્મિતના બદલામાં ‘હમણાં રડી પડશે’ એવું સ્માઈલ એમણે આપેલું. સમગ્ર વિશ્વ ના ‘નિભાવ’ અને ‘સલામતી’ ની જવાબદારી કોઈકે એમના શિરે લાદી હોય, એવો ભારે ચિંતિત અને તંગ ચહેરો જોઇને ‘એમને શું ટેન્શન હશે?’ એવો વિચાર મને આવેલો. પછી કલબની વારંવાર ની એમની મુલાકાત થી મને જાણવા મળ્યું કે આવો ચહેરો એમને જન્મજાત ભેટમાં મળેલો હતો, અને ભારે જહેમતથી એમણે એ જાળવી રાખ્યો હતો.

‘જે વ્યક્તિ ખુલ્લા દિલે હસી ન શકે એનો વિશ્વાસ ન કરવો’ એવી વાત મેં સાંભળેલી, પણ મોંઘીબેન તો ખુલ્લા દિલે હસનાર પર કદી વિશ્વાસ ન કરતા. હકીકતમાં મોંઘીબેન કોઈના પર પણ વિશ્વાસ ન કરતા. કુટુંબી જનોની કોઈ પણ વાતને તેઓ ‘ક્રોસ ચેકિંગ’ દ્વારા તપાસી લેતાં. ‘કોઈ ખોટું તો નથી બોલાતું ને?’ એ વાતની ખાતરી કરવા તેઓ વારા ફરતી બધાને એક ની એક વાત પૂછી લેતાં. એમની આ ‘કુટેવ’ જાણી ગયેલા ફેમીલી મેમ્બર જે વાત મોંઘીબેન થી છુપાવવાની હોય તે – ‘આપણે આ વાતને એમની આગળ આ પ્રમાણે રજુ કરીશું’  એમ સંતલસ કરી લેતાં, જેથી ક્રોસ ચેકિંગ માં પકડાઈ જ જવાય.

પડોશમાં કોણ આવ્યું, કોણ ગયું? કોની છોકરી કોની સાથે ફરે છે? કઈ વહુને એની સાસુ સાથે નથી બનતું? કરિયાવરમાં કોણે કોને શું આપ્યું? કોણ કેટલા વાગ્યે ઉઠે છે, કેટલા વાગ્યે બ્રશ કરે છે, કેટલા વાગ્યે નહાય છે, કેટલા વાગ્યે ખાય છે...વગેરે ઝીણામાં ઝીણી બાબત જાણવાની ઇન્તેજારી મોંઘીબેન ને રહેતી. ગુસ્સો, ક્રોધ, બળાપો, હતાશા, નિરાશા, ફરિયાદ, પારકી પંચાત વગેરે એમના મુખ્ય ગુણો હતા, જેનો ભરપુર લાભ એમને ઘરના લોકોને આપ્યો હતો.

આવા અનન્ય નારીરત્ન સમા મોંઘીબેન વિશે તો કેટલું કહું અને કેટલું ન કહું? અંતે એમને ‘સત્યવાદી રાણી મોંઘીવતી’ નો એવોર્ડ એનાયત કરું છું. અને આ કાર્યક્રમને અહી જ સમાપ્ત થયેલો જાહેર કરું છું.
                                             *

(આપણામાં ક્યાંક આ મોંઘીબેન ના કોઈ ગુણો તો નથી સમાયાને? ચેક કરવું પડશે.)