Sunday 28 February 2016

તમારી જાતને કામથી મુક્ત કરો.

તમારી જાતને  કામથી મુક્ત કરો.       પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

એક ઘટાદાર ઝાડ નીચે મજાથી આરામ ફરમાવી રહેલ એક વ્યક્તિને ત્યાંથી પસાર થતાં મુસાફરે પૂછ્યું:
-શું કરો છો, ભાઈ?
-જોતા નથી, આરામ કરુ છું.
-પણ એ કરતા કોઈ કામ કરતા હોવ તો?
-મારે શા માટે કામ કરવું જોએ?
-કામ કરવાથી પૈસા મળે, પૈસામાંથી, કપડાં, ખાવાનું, મકાન બધું આવે. અને પૈસા વધે એની બચત કરવાની.
-બચત શાના માટે કરવાની?
-બચત કરવાથી પાછલી જિંદગીમાં આરામથી જીવી શકાય ને?
-એ તો હું અત્યારે પણ ક્યાં આરામથી નથી જીવતો?   

આમ આવા આરામ કરતા એટલે કે કામ નહીં કરતા લોકોની ઈર્ષ્યા તો અજાણ્યા લોકોને પણ થાય છે. એટલું જ નહીં પરંતુ કામ કરનારા લોકો,  કામ નહીં કરનારા લોકોને સલાહ આપે છે.
આપણા ભારત દેશમાં અને વિદેશોમાં પણ કામ કરવાની કળા ઉપર અનેક પુસ્તકો લખાયાં છે, વખણાયાં છે, વેચાયાં છે, અને બેસ્ટ સેલર પણ પૂરવાર થયાં છે. એટલે આ પૃથ્વી ઉપર કામ કરનારા કે કામ કરવાની ઇચ્છા ધરાવનારા લોકો મોટી સંખ્યામાં છે, એની ના પાડી શકાય નહીં. પરંતુ એનો અર્થ એવો નથી કે કામ ન કરનારા લઘુમતી સંખ્યાના લોકો વિશે કોઈ કંઈ વિચારે જ નહીં. એમને માટે લેખકોએ કામ ન કરવાની કળા અથવા તમારી જાતને કામથી મુક્ત કરો જેવાં પુસ્તકો લખવાં જોઈએ.
મેં જ્યારે આ વાત મારા મિત્ર મંડળમા  કરી ત્યારે એ લોકોએ મને કહ્યું, તું પોતે તો લેખિકા છે, તો આવુ એકાદુ પુસ્તક કેમ લખતી નથી?’ મિત્રો તરફથી મળેલુ આવું પ્રોત્સાહજનક સૂચન મને ભાવ વિભોર કરી ગયુ. પરંતુ જાતને કામથી મુક્ત કરવાની કળા માત્ર મારા વિચાર કે વર્તનમાં જ નહીં, મારા દિલો- દિમાગમાં અને રગેરગમાં પ્રવર્તમાન હતી. એટલે હું લાખ પ્રોત્સાહન છતાં આવું કોઈપુસ્તક લખું એવી કોઈ શક્યતા જ નહોતી.
પુરાણી દંતકથામા જેમ મહર્ષિ વેદવ્યાસજી બોલે અને પ્રભુ ગણપતિજી લખે તેમ હું બોલું અને તમારામાથી કોઈ લખે એવો મજાનો પ્રસ્તાવ  મેં મારા મિત્રો આગળ મૂક્યો. પણ આખરે તો તેઓ મારા જ મિત્રમંડળનાં સભ્યો હતાં. જાતને કામથી મુક્ત કરવાની કળા  તેઓને કદાચ મારા કરતાં પણ વધારે આત્મસાત હતી. એથી મારી વાત કોઈ સ્વીકારવા તૈયાર ન થયું. એટલે છેવટે મેં ફૂલ નહીં તો ફૂલની પાંદડી ની જેમ આખું પુસ્તક નહીં તો એકાદ લેખ લખવાનું વિચારીને આત્મસંતોષ મેળવ્યો. વાચકોમાંથી જેમને વાંચવાની આળસ ન હોય તેઓ આ લેખ વાંચી શકે છે.

બે આળસુ જણ ધાબળાઓઢીને સૂતાહતા. એક ચોર એમના ધાબળા ચોરીને ભાગ્યો. એક જણે સૂતા સૂતા બૂમ પાડી, પકડો- પકડો, ચોર – ચોર બીજા જણે કહ્યું, અત્યારે બૂમ શા માટે પાડે છે? ચોર તકિયા લેવા આવે ત્યારે બૂમ પાડજે, લોકો ચોરને પકડી લેશે.
એવું કહેવાય છે કે, ‘Those  who cannot laugh at themselves, leave job to others.’ (જેઓ પોતે પોતાના પર હસતા નથી, તેઓ એ કામ-હસવાનું  બીજાના પર છોડે છે) એ જ રીતે કેટલાક લોકો પોતે પોતાનું કામ નથી કરતા તેઓ એ કામ બીજાની ઉપર છોડે છે. કામ  કરનારા લોકો, બીજા પર કામ છોડનારા લોકોને આળસુ કહીને ઉતારી પાડે છે. આળસ વિરોધી લોકો તો આળસ બૂરી બલા એવું પણ કહે છે. પણ આખરે આ આળસ એટલે કે ‘Laziness”  છે શું? ‘Laziness is nothing more than the habit of resting before you get tired.’  આમ આળસ એ બીજું કંઈ નહીં પણ આપણી થાક્યા પહેલાં આરામ કરવાની ટેવ માત્ર છે.
સામાન્ય માણસ થાકે ત્યારે આરામ કરે, જ્યારે આળસુ માણસ થાક્યા પહેલા, માત્ર કામ કરવાના વિચાર માત્રથી થાકીને આરામ કરે એટલો જ ફરક છે. આથી આળસુને બદનામ કરવાને બદલે એના દૂરંદેશીપણા માટે એને શાબાશી કે ઈનામ આપવું જોઈએ. 
એક મુસાફરે ઝાડ નીચે સૂતેલા ૪ -૫ જણને પૂછ્યું, તમારામાંથી આળસુ કોણ છે?’ એક જણ સિવાય બધાએ આંગળી ઊંચી કરી. મુસાફરે આંગળી ઊંચી ન કરનારને પૂછ્યું, શું તું આળસુ નથી?’ પેલાએ કહ્યું, છું ને, પણ મને તો આંગળી ઊંચી કરવાની આળસ આવી મુસાફરે કહ્યું, તું મહાન આળસુ છે, હું તને દસ રૂપિયા ઈનામમાં આપવા માંગું છું આળસુએ સૂતા સૂતા જ બગાસું ખાઈને કહ્યું, દસ રૂપિયા મારા શર્ટના ખીસ્સામાં મૂકી દો. એક કહેવત છે કે, લક્ષ્મી દેખી મુનિવર ચળે.’ પણ લક્ષ્મીને દેખીને પણ નહીં ચળનારા, મુનિવરથી પણ શ્રેષ્ઠ એવા, આ મહાન આળસુ જણને પરમ આળસવીર ચક્ર થી નવાજવો જોઈએ, એમ તમને નથી લાગતું?
એક વેજ્ઞાનિક તારણ છે કે, રવિવાર કે રજાના દિવસે લોકો RELAX હળવા – તણાવ મુક્ત હોય છે. અને રજા પૂરી થયે કામ પર જવાના દિવસે તેઓ ખુબ TENSE એટલે કે તનાવગ્રસ્ત હોય છે. પરદેશમાં આને MMS એટલે કે  Monday Morning Sickness કહે છે. કેટલાકને તો આ સમયે હાર્ટએટેક પણ આવી જાય છે. Delhi Times નામના ન્યૂઝપેપરમાં  Public Opinion માં ૮૦% લોકોએ ડેટિંગના સ્ટ્રેસ કરતાં પણ ઓફિસવર્ક ના સ્ટ્રેસને વધુ ખતરનાક ગણાવ્યો છે. મને તો કામના સ્ટ્રેસનો બાળપણથી જ જાત અનુભવ છે. હમેશા સ્કુલમાં જવાના સમયે જ મને પેટમાં  દુખતું.
પપ્પા: બેટા તને તારી સ્કુલ ગમે છે, ખરીને?
મુન્નો: હા, પપ્પા, પણ એ બંધ હોય છે ત્યારે જ.
પપ્પા: બેટા, તને તારી સ્કુલમાં સૌથી વધારે શું ગમે?
મુન્નો:પપ્પા, સાંજના છૂટવા માટે વાગતો ઘંટ.
આમ બાળપણથી જ માણસને કામ કરવાનું ( ભણવાનું પણ એક પ્રકારનું કામ જ છે ને) નથી ગમતું. કામ કરવાની સાચી રીત તો આપણે સરકારી કર્મચારીઓ પાસેથી શીખવા જેવી છે. તેઓ જ્યારે આરામ કરીને થાકે ત્યારે વચ્ચે વચ્ચે કામ કરી લે છે.
અહીં મને કોઈક કવિની લખેલી મનભાવન પંક્તિ યાદ આવે છે:
ટેબલ પર કાગળ પડ્યા, ખુરશી ઉપર તું,
ટગર ટગર જોયા કરે, ભાઈ ઉતાવળ શું?
કાગળ તું કરમાં ગ્રહી, એકાદો તો વાંચ,
શું દેખે ઘડિયાળમાં, હમણાં થાશે પાંચ.
તે વખતે સરકારી કર્મચારીઓને, ભલે તેઓ સવારે (કે બપોરે)  ઓફિસમાં ગમે તે સમયે આવ્યાં હોય, સાંજે પાંચ વાગ્યે છુટ્ટી મળી જતી. આહા! શું જાહોજલાલી ! જવા દો એ વાત, તે હિ નો દિવસા ગતા: -  એ દિવસો તો ગયા.
પણ મને લાગે છે કે – કામ કર્યું તેણે કામણ કર્યું એ કહેવત કોઈ કામ કરનારી વ્યક્તિએ પોતાની જૂઠી મહત્તા બતાવવા માટે જ ઉપજાવી કાઢી હશે.
પત્ની: તમે ઘણા આળસુ છો, ઘરના કામ કાજમાં જરા પણ મદદ નથી કરતાં.
પતિ: અરે! કોણે કહ્યું હું કામ નથી કરતો? બ્રશ કરુ છું, ચા પીઉ છું, દાઢી કરુ છું, સ્નાન કરુ છું, જમુ છું અને તૈયાર થઈને ઓફિસે પણ જાઉં છું.
પત્ની: એમાં શું ધાડ મારી? દૂધ તો હું લાવુ છું, ચા તો હું બનાવુ છું, શાક તો હું લાવુ  છું, રસોઈ તો હું બનાવુ છું, બાળકોને સ્કુલે લેવા – મૂકવા તો હું જાઉ છું.
પતિ: હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટ નો ભાર જેમ શ્વાન તાણે
જેમ બળદ ગાડાની નીચે ચાલતા કૂતરાને એમ થાય કે આ બળદ ગાડાનો ભાર હું જ ખેંચુ છું,  એમ થોડું ઘણું કામ કરનારાને થાય કે આખી દુનિયા તેઓ જ ચલાવી રહ્યા છે. આવા લોકોને કોણ સમજાવે કે - 
કામ ન કરવાથી જેટલો અનર્થ નથી થતો,  એટલો અનર્થ કામ કરવાથી થાય છે. જો તમે આ વાત નહી માનતા હોય તો વિચારો, કે જો નથુરામ ગોડસે એ ગાંધીબાપુને ગોળી મારવામાં આળસ કરી હોત, તો આમ આપણે બાપુને અનાયાસ – અકાળે- ગુમાવવા તો ન પડત ને?

સુખી થવાના બે રસ્તા કોઈ જ્ઞાની પંડિતે સૂચવ્યા છે:
1-    Free your Heart from Hatred.
         (તમારા હ્રદયને નફરતથી મુક્ત કરો.)
2-   Free your Mind from Worries.
        (તમારા મગજને ચિંતાથી મુક્ત કરો.)

હું હાસ્ય લેખિકા પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી તમને આજે સુખી થવાનો ત્રીજો આસાન અને અસરકારક રસ્તો સૂચવું છું,
3-   Free yourselves from Work.
        (તમારી જાતને કામથી મુક્ત કરો.)




Friday 19 February 2016

કુશળ ગૃહિણી.

કુશળ ગૃહિણી.   પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-હે એ એ એ એ મિતા, જો જો ચા ઊભરાઈ જશે.
-નહીં ઊભરાઈ જાય, મિતેષ, ડોન્ટ વરી.
-અરે ! આ તો ખરેખર નહિ ઊભરાઈ,  એવુ શી રીતે બન્યું?
-મેં ચાને નહીં ઊભરાવાનું કહી રાખ્યું હતું.
-અમને કહી રાખે છે એ પ્રકારનું?
-એટલે?
-એટલે એમ જ કે – જો ઊભરાઈ છે તો તારી ખેર નથી.
-હા. એવું જ કંઈ. બોલો, હવે બીજુ કંઈ પૂછવું  છે તમારે મને?
હા.
-શું?
-એ જ કે –હું જ્યારે ચા બનાવું છું ત્યારે -  કદાચ નહીં ઊભરાય એવું લાગે છે, છતાંય ચા ઊભરાઈ જાય છે. જ્યારે તું ચા બનાવે છે ત્યારે - હમણાં ઊભરાઈ જશે એવું લાગે છે, છતાંય ચા નથી ઊભરાતી, એનું કારણ શું છે?
-એ જ તો છે ને અમારા ગૃહિણીના હાથોની કમાલ.
-હં, કમાલ બમાલ કશું નહિ, મને તો વાતમાં જ કંઈ માલ નથી લાગતો.
-અચ્છા? તો પછી પૂછો છો શા માટે?
-જાણવાની જિજ્ઞાસા થઈ એટલે પૂછ્યું.
-તો પછી જિજ્ઞાસુ ની જેમ પૂછો ને, બૉસની જેમ શું કામ પૂછો છો?
-ભલે હે રસોડાની રાણી ! કૃપા કરીને અમને ચા ઊભરાવા અને નહીં ઊભરાવા વિશે કશું કહો.
-હે રસોડા સિવાયના ઘરના રાજા ! સાંભળો, ચાના ઊભરાવા કે નહીં ઊભરાવા પાછળ અનેક ફેક્ટર્સ - એટલે કે તત્વો જવાબદાર છે. ચાની ક્વોન્ટીટીના પ્રમાણમાં તપેલી નાની હોય તો ચા ઊભરાઈ જાય, ગેસની જ્યોત જોઈએ તે કરતાં વધુ પ્રમાણમાં પ્રજ્વલિત હોય તો પણ ચા ઉભરાઈ જાય, દૂધ અને પાણીના સમભાગ મિશ્ચણના બદલે દૂધનું પ્રમાણ વધુ હોય તો પણ ચા ઉભરાઈ જાય અથવા તો દૂધ વધુ ફેટનું હોય તો પણ ચા ઉભરાઈ જાય, સમજ્યાં?
-ઓહોહોહો ! મને લાગે છે કે ચાની બાબતમાં જો તું થોડુંક વધુ સંશોધન કરે અને થીસીસ લખે તો તને પીએચડી.ની ડિગ્રી મળે.
-મને પીએચડી. ની ડિગ્રી કરતા કુશળ ગૃહિણી ની ડિગ્રી મળે તો વધુ આનંદ થાય.
-એ  ડિગ્રી તો તને મળેલી જ છે ને?  
-ક્યારે? કોણે આપી?
-નથી આપી? તો આજે જ અને અત્યારે જ, હું અને આપણા બન્ને બાળકો સર્વાનુમતે તને કુશળ ગૃહિણી જાહેર કરીએ છીએ.
-આભાર તમારો સૌનો ! મોડે મોડેથી પણ તમે લોકોએ એક કુશળ ગૃહિણીને ઓળખી અને એની કદર કરી ખરી.
-મને લાગે છે કે અમે તારી કદર કરવામાં મોડા પડ્યા છીએ. પણ Late is better than never. તારી કુશળતાની કદર કરીએ છીએ. તું જ્યારે બહારગામ જાય છે ત્યારે ઘર ઘણું જ અવ્યવસ્થિત થઈ જાય છે. જ્યાં ત્યાં ધૂળના થર જામી જાય છે,  નહિ જોઈતી ચીજો વારંવાર મળી આવે છે અને  જોઈતી ચીજો વારંવાર શોધવા છતાં મળતી નથી.
-તે ક્યાંથી મળે? હું તમને લોકોને વારંવાર કહું છું કે તમારી દરેક ચીજોને એના ઠેકાણે મૂકો, પણ તમે લોકો સાંભળો તો ને. મારી વાતને એક કાનેથી સાંભળી બીજા કાનેથી બહાર કાઢી નાંખો છો.
-શું થાય? ભગવાને બે કાન જો સામસામે આપ્યા છે.
-તે અમને ગૃહિણીને પણ બે કાન સામસામે નથી આપ્યા શું?
-આપ્યા તો છે, પણ તમને બહેનોને શું કે તમારા બે કાનની વચ્ચે મોં આપ્યું છે ને, તે વારંવાર ખોલ ખોલ કરો છો, એટલે કાનેથી સાંભળેલી વાતો મોં વાટેથી બહાર નીકળી જાય છે.
-એટલે તમે શું અમને ચુગલીખોર કહો છો?
-હોવ તો પણ મારાથી એવું કેમ કહેવાય?
-રહેવા દો રહેવા દો હવે, તમે પુરુષો કેવા અને કેટલા મીંઢા હોવ છો તેની અમને બધી બરાબર ખબર હોય છે. પણ તમે લોકો ભલેને અમારાથી ગમે તેટલી વાતો છુપાવો અમને ક્યાંક અને ક્યાંકથી ખબર તો પડી જ જાય છે. લાખ છુપાવો છુપ ના શકેગા રાઝ યે ઈતના ગહેરા...
-અચ્છા ! તો તમારા જાસૂસો બહુ પાવરફુલ હોય છે નહિ?
-અમારી સ્ત્રીઓની તો સિક્સ્થસેન્સ જ એટલી પાવરફુલ હોય કે અમને જાસૂસોની જરૂર જ ન પડે.
-એવો તમને લોકો ને ભ્રમ હોય છે.
-ભ્રમ શાનો?  તમારા ફ્રેન્ડ રમેશભાઈ માટે મેં નહોતું કહ્યું કે આ માણસ મને બરાબર નથી લાગતો છતાં ય તમે મારી વાત ન માની અને એની સાથે પાર્ટનરશીપમાં બીઝનેસ કર્યો અને પછી...
-હશે, જવા દે વાત.
-ઓકે. જવા દો. પણ આ બૂટ-મોજાં કેમ રસ્તામાં નાંખ્યા છે?
-રસ્તામાં ક્યાં છે, ઘરમાં જ તો છે.
-અને આ ન્યૂઝપેપર્સ કેવા ફેલાવીને રાખ્યા છે.
-એ મારે હજી વાંચવાના બાકી છે, તું પાછી અંદર કબાટમાં ન મૂકી દેતી. 
-અને આ ઇસ્ત્રી થઈને આવેલાં પેન્ટ-શર્ટ પણ કબાટમાં નથી મૂક્યા. હે ભગવાન ! થાકી હું તો તમારા લોકોથી.
-આ બધા કામો અમે કરી લઈશું તો પછી તું શું કરીશ, પ્રિયે?
-હું જઈશ ને બહાર, ફરવા અને નોકરી કરવા.
-અત્યારે તું ફક્ત ઘરની વ્યવસ્થા જાળવવામાં જ થાકી જાય છે, તો પછી તારાથી નોકરી અને ઘર, બન્ને કેવી રીતે સંભાળાશે?
-કેમ, ઘર તો પછી તમે લોકો સંભાળશો ને?
-એમાં એવું છે ને મિતા, કે તારો હાથ ફરે છે અને ઘર, ઘર જેવું બની જાય છે.
-અને તમારા ત્રણેના હાથ ફરે છે અને ઘર, ધરમશાળા જેવું બની જાય છે.
-એટલે જ તો કહું છું ને કે – ગૃહિણી ગૃહમ ઉચ્ચતે ઘર તો તારા જેવી કુશળ ગૃહિણી થી જ દીપી ઊઠે છે.



Sunday 14 February 2016

વેલેન્ટાઈન’સ ડે.

વેલેન્ટાઈનસ ડે.   પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

આજે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૬ નો વેલેન્ટાઈનસ ડે પાછો રવિવારે આવ્યો છે. ૧૯૯૯ ના વર્ષમાં પણ વેલેન્ટાઈનસ ડે  રવિવારે જ હતો. મેં આગલા દિવસે એટલે કે શનિવારે મારી પડોશમાં રહેતી એક કોલેજીયન યુવતીને પૂછ્યું:
-રોમા, કાલે તો વેલેન્ટાઈનસ ડે, તમારા જુવાનિયાઓ માટે આનંદનો દિવસ છે, નહિ?
-વેલેન્ટાઈનસ ડે રવિવારે આવવો જ ન જોઈએ, આન્ટી. એ વિષાદ પૂર્વક બોલી.કેમ કે કોલેજમાં હોઈએ તો ફ્રેન્ડને ફ્રીલી મળી શકાય, કોલેજમાંથી બંક કરીને મૂવી જોવા જઈ શકાય, ફાસ્ટ-ફુડ ખાવા જઈ શકાય, લોંગ ડ્રાઈવ પર જઈ શકાય, અને... બીજું ઘણુ બધું કરી શકાય.
-હા, તારી એ વાત સાચી. હવે?
-હવે શું. કંઈ બહાનું કરીને મમ્મી પપ્પાને પટાવીને જવું પડશે. અને મેળ નહીં પડે તો પછી ફ્રેન્ડને ફક્ત ફોન કરીને સંતોષ માનવો પડશે.
મને લાગે છે કે આપણી સરકારે કોલેજીયનોના, પ્રેમી પંખીડાઓ ના હિતને ધ્યાનમાં લઈને રવિવારે આવતો વેલેન્ટાઈનસ ડે,  શનિવારે અથવા સોમવારે ઉજવવાનું ડિક્લેર કરવું જોઈએ. અને જો એ શક્ય ન હોય તો વેલેન્ટાઈનસ ડે ના દિવસે બધી સ્કુલ, કોલેજ, કચેરીઓ ચાલુ રાખવી જોઈએ જેથી પ્રેમી પંખીડાઓને એકબીજાને મળવાનું આસાન બને.
ચૌદમી ફેબ્રુઆરી,  એટલે વેલેન્ટાઈનસ ડે. એટલે કે પ્રેમીઓનો દિવસ. આમ જુઓ તો પ્રેમીઓનો કોઈ ચોક્કસ દિવસ હોતો નથી. એમને માટે તો હર દિવસ, હર કલાક, હર મિનિટ, હર સેકન્ડ પોતાની જ હોય છે. એટલે જ તો સાચો પ્રેમી ગાય છે, પલ પલ દિલ કે પાસ.....તુમ રહેતી હો. પણ આપણા પ્રેમથી અજાણ એવા, આપણા પ્રિય પાત્રને આપણા પ્રેમની ખબર પડે એ હેતુસર, પશ્ચિમના દેશો પાસેથી શીખીને આપણે વેલેન્ટાઈનસ ડે ઊજવતા થયા છીએ.

પશ્ચિમના દેશોની વાત આવી એટલે શ્રી સ્વામી અનુભવાનંદજીએ કહેલ એક વાત યાદ આવી. એમણે એમના એક વ્યાખ્યાન દરમ્યાન કહ્યું હતું, જાણો છો કે લોકો પોતાના પેટ્સ [બિલાડી, કૂતરા, વગેરે) ના નામ ઇંગ્લીશમાં કેમ રાખે છે? (સ્વીટી, વ્હાઈટી, બ્રાઊની, ટાઈગર, બ્રૂનો વગેરે) ઘણા વર્ષો સુધી બ્રિટીશરોએ આપણને ગુલામ તરીકે રાખ્યા, આપણી પાસે ન કરવાના કામો કરાવ્યા. એટલે હવે સ્વતંત્ર થયા બાદ આપણે પેટ્સના નામ અંગ્રેજીમાં રાખીને એમની પાસે આપણું ધાર્યું કામ કરાવીને( ટોમી, ગો એન્ડ બ્રીન્ગ ન્યૂઝ્પેપર, ટોમી, ડોન્ટ બાર્ક, વ્હાઈટી, યુ શટ અપ, બ્રાઊની, સીટ ડાઉન,) ને એમ કંઈક અંશે બદલો લીધાનો સંતોષ અનુભવીએ છીએ. 
 આપણા દેશમાં સ્કુલોમાં વિધાર્થીઓને એટલું બધું ભણાવી દેવામાં આવે છે કે એમના માટે પછી કોલેજોમાં ભણવા લાયક કશું રહેતું નથી. એટલે ટાઈમ-પાસ કરવા માટે કંઈ પ્રવૃત્તિ તો એને જોઈએ ને? એ ખાતર કોલેજમાં વિધાર્થીઓ રોઝ-ડે’, બલુન-ડે’, ટ્રેડિશનલ-ડે’, ટેડી-ડે’, પ્રોમિસ-ડે’, મીસ મેચ-ડે’, ફ્રેન્ડશીપ-ડે જેવા અનેક ડેઝ ઉજવે છે.  આપણે વડીલોએ પોતાની રગશીઆ ગાડા જેવી જિંદગીમાં, આ જુવાનીઆઓ પાસે આવી વિવિધતા શીખવાની ખાસ જરૂર છે. જો એ લોકો આપણી પાસે સાડી કે ધોતિયું પહેરતાં શીખે તો આપણે શા માટે એમની પાસે આનંદ ઓઢતાં ન શીખીએ?
હા, તો આ વિવિધ દિવસોમાં સૌથી વધુ મહત્વનો દિવસ છે,વેલેન્ટાઈનસ ડે એટલે કે પ્રેમીઓનો દિવસ.  પહેલાં તો મને લાગ્યું હતું કે- આ વેલેન્ટાઇન, રોમિયો કે ફરહાદ જેવા કોઈ મહાન પ્રેમી હશે,  અને એમણે એમની પ્રેમિકા માટે કોઈ યાદગાર કાર્ય કે અભૂતપૂર્વ ત્યાગ કર્યો હશે. જેથી પ્રેમીઓ આજે પણ એમને યાદ કરીને એમની યાદમાં વેલેન્ટાઈનસ ડે ઉજવતા હશે.
પણ મને પછીથી ખબર પડી કે વેલેન્ટાઇન કોઈ મહાન પ્રેમી નહિ, પણ એક મોટા સંત હતાં. ચૌદમાં સૈકામાં ઇટાલીના રોમન સામ્રાજ્યના પતન કાળ વખતે તેઓ ત્યાં હતા. એમની સૂચનાથી ગામના ચૌટે એક ખાલી પીપ મૂકવામાં આવતું. જેમાં ગામની કુંવારી યુવાન છોકરીઓ પોતાના નામની ચિઠ્ઠી મૂકી આવતી. કુંવારા યુવાન આ ચીઠ્ઠી ઉપાડતા અને જે છોકરીનું નામ નીકળે તે એક વર્ષ પૂરતી એની પ્રેમિકા બનતી. બીજે વર્ષે ચીઠ્ઠી પ્રમાણે પ્રેમિકા બદલાતી. કમનસીબ છોકરાને કોઈવાર એ ની એ જ પ્રેમિકા લમણે લખાતી હશે ને? ( આ માહિતી પ્રસિધ્ધ હાસ્યલેખક પદ્મશ્રી તારક મહેતાના પુસ્તક, હસે તેનું ઘર વસે ના લેખ પ્રેમ આંધળો નથી હોતો માંથી લીધી છે.) 
આજના જમાનામાં જો આવી રોમન શૈલીની લોટરી સીસ્ટમ શરૂ કરવામાં આવે તો આજનો યુવક એનો વિરોધ કર્યા વિના રહે નહીં –અમારે આખ્ખું વર્ષ એક ની એક પ્રેમિકાથી ચલાવવાનું? ઈમ્પોસીબલ ! આ ડ્રૉ  રોજ કરો જેથી અમને અઠવાડિયામાં રોજ નવી પ્રેમિકા મળે. એમની વાત વ્યાજબી એટલા માટે લાગે છે કે – આખરે આપણે જીવનમાં વિવિધતા લાવવા માટે જ તો આ બધું કરીએ છીએ ને? ‘Variety is the Spice of Life.’ 
વેલેન્ટાઈનસ ડે ઉજવવાની રીત સૌની અલગ અલગ હોય છે. કોઈ પ્રેમી પોતાનો પ્રેમ સંદેશ SMS દ્વારા, કોઈ ટેલિફોન દ્વારા, કોઈ રૂબરુ મળીને, કોઈ e mail દ્વારા, કોઈ What’s app દ્વારા આપે છે. કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને ફુલોનો ગુચ્છ આપે, કોઈ કાર્ડ આપે, કોઈ ગીફ્ટ આપે, કોઈ રેસ્ટોરન્ટમાં પાર્ટી આપીને પ્રેમનો એકરાર કરે છે.
મારી એક ખાસ ફ્રેન્ડની કોલેજીયન દીકરી, વેલેન્ટાઈનસ ડે  ના થોડા દિવસ પહેલાં એટલે કે  ૧૧ મી ફેબ્રુઆરીએ મારા ઘરે આવી હતી. મેં એને પેપ્સી નું નાનું કેનઆપ્યું. એ પેપ્સી પીતા પીતા બોલી, થેંક્યૂ આન્ટી, આજે કેટલા બધા દિવસો બાદ મને મારી પ્રિય પેપ્સી પીવા મળી. મેં એને પૂછ્યું, કેમ,એવું?  હર્ષા તો કહેતી હતી કે સોનાલી કોલેજમાં જાય ત્યારે રોજ જ પેપ્સી પીએ છે. એણે કહ્યું, મમ્મીની વાત સાચી છે આન્ટી, પણ આ ચૌદમીએ વેલેન્ટાઈનસ ડે છે, એટલે મારા ફ્રેન્ડને ગીફ્ટ આપવા માટે હું પૈસા બચાવું છું. એ મને રેસ્ટોરન્ટમાં પાર્ટી આપશે તો મારે પણ એને કોઈ ગીફ્ટ તો આપવી પડશે ને? અને એટલે જ મેં છેલ્લા  ઘણા દિવસોથી પેપ્સી નથી પીધી. વેલેન્ટાઈન જેવા સંત આપણા જુવાનિયાઓને આવી કરકસર શીખવાડી શકે એ આનંદની વાત કહેવાય.

ખરું જોતા વેલેન્ટાઈનસ ડે માત્ર પ્રેમી – પ્રેમિકાઓનો  દિવસજ નથી. આપણા કોઈ પણ પ્રિય પાત્ર કાકા – મામા – માસી – ફોઈ – ઈવન આપણા સ્પાઉસ (જો તે પ્રિય હોય તો) ને આપણે આ દિવસે પ્રીતી સંદેશ કે ભેટ આપી શકીએ. વિનોદ નામના એક પતિએ પોતાની પત્નીને ૫૩૪ પોસ્ટકાર્ડની સાઈઝનો પત્ર વેલેન્ટાઈનસ ડે ના દિવસે  લખીને એક વિનોદી ઉદાહરણ પૂરું પાડ્યું છે. બસ્સો સોળ ફૂટ લાંબા આ પત્રમાં ૨૮ હજાર શબ્દો છે, જેમાં ૭૦ હજાર અક્ષરો છે.
કદાચ લગ્ન બાદ આ પતિ મહાશય નામે વિનોદને કશું પણ બોલવાની તક પત્નીએ નહીં આપી હોય. અને તેથી કરીને વિનોદભાઈને આવો લાંબો લચક પત્ર પત્ની ( અને તે પણ પોતાની ) ને  લખવાની ફરજ પડી હશે. શું લખ્યું હશે આ પત્ર માં?’ એ તો જાણ નથી, પણ આપણે કલ્પના કરીએ તો – કદાચ આવું (નીચે મુજબનું) લખ્યું હશે?
 
*પ્રિયે, ગયા શનિવારે હું ઘરે મોડો આવ્યો, ત્યારે તેં એનું કારણ પૂછ્યું હતું, મેં ઓફિસમાં ઓવર ટાઈમનું બહાનું બતાવ્યું હતું, તારી આગળ ખોટું બોલવા બદલ સૉરી, પણ હું મારા દોસ્તો સાથે ફિલ્મ જોવા ગયેલો.
*વહાલી, એક દિવસ જ્યારે તેં કારેલાનું શાક બનાવેલું, ત્યારે ખરાબ તબિયતના કારણે હું એ શાક ખાઈ નહોતો શક્યો અને ડૉક્ટરને દવાખાને ગયેલો. પણ હકીકતમાં તો હું દવાખાને નહીં પણ રેસ્ટોરન્ટમાં ખાવા ગયેલો.
*સ્વીટહાર્ટ, મારી તને એક રીક્વેસ્ટ છે. હવેથી મારી બહેન મળવા આવે તું હસતું મોં રાખજે, તોબરો ન ચઢાવીશ. તારો ભાઈ મળવા આવે છે, તે મને નથી ગમતું છતાં હું સોબરલી વાત કરું જ છું ને?
આમ ઘરમાં કદાચ મનની વાત નહીં કરી શકતા વિનોદભાઈએ પત્ર દ્વારા તેમની વ્યથા વ્યક્ત કરી હશે. ભવિષ્યમાં તેઓ આનાથી પણ લાંબો પત્ર ( ૧૨૦૦ફૂટ) પોતાની પત્નીને લખવાના છે એવી માહિતી (ધમકી) એમણે આપી છે.મને એમના પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે, અને આજે વેલેન્ટાઈનસ ડે નિમિત્તે હું શુભેચ્છા વ્યક્તકરું છું કે એમને ઘરમાં બોલવાની તક મળે.
એક કાર્યક્રમમાં પ્રસિધ્ધ હાસ્યલેખક શ્રીવિનોદ ભટ્ટ વક્તા હતા.પણ સંચાલન કોક જાણીતા(ખરેખર તો ન જાણીતા) સંચાલકને સોંપાયું હતું. સંચાલક દોઢ કલાક બોલ્યા અને છેલ્લી ત્રણ મિનિટ બાકી હતી ત્યારે વિનોદભાઈને બોલવા માટે માઈક આપ્યું. ઠીક છે, વિનોદભાઈ જેવા સમર્થ વક્તા માટે તો ત્રણ મિનિટ પણ કાફી હતી. પણ કાર્યક્રમ પત્યા પછી પેલા સંચાલકે વિનોદભાઈને કહ્યુ, યાર, મારે તો હજી ઘણું કહેવું હતું પણ રહી ગયું. વિનોદભાઈએ કહ્યું. પહેલા કહેવું હતું ને દોસ્ત,  હું ત્રણ મિનિટ ઓછું બોલત.


પ્રિય વાચકો !  આ વેલેન્ટાઈનસ ડે  ના દિવસે તમે તમારા પ્રિયજનને તમારે જે કંઈ પણ કહેવું હોય તે બેધડક કહી શકો એવી મારા દિલની હાર્દિક  શુભેચ્છા! તમને સૌને હેપ્પી વેલેન્ટાઈનસ  ડે

Sunday 7 February 2016

બેગર્સ હેવ એ ચોઈસ.

બેગર્સ હેવ એ ચોઈસ.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

ભિખારી (બસસ્ટોપ પર ઊભેલા એક માણસને) : સાહેબ આ ગરીબ ભિખારીને એક રૂપિયો આપો, તમને ભગવાન સ્વર્ગમાં જગ્યા આપશે.
પ્રવાસી (ખિજાઈને) : અહીં બસમાં તો જગ્યા મળતી નથી, ત્યાં સ્વર્ગમાં શું ખાક જગ્યા મળશે?
હકીકત એ છે કે ભારત દેશની વસ્તી એટલી હદે વધી ગઈ છે કે મેટ્રો સિટીઝમાં માણસને બસમાં જગ્યા મળતી નથી. વસ્તી વધારો જો આ જ ઝડપે થતો રહેશે તો માણસને બસમાં તો શું, ક્યાંય પણ ( જંગલમાં પણ) જગ્યા મળશે નહીં.
પણ હાલમાં આપણે ચર્ચા વસ્તી વધારા પર નથી કરવાની.(એ વાત હું  મારા બીજા લેખમાં જણાવીશ) આપણે ચર્ચા ભિખારીઓ, એમનો સ્વભાવ, એમની રહેણી- કરણી  અને માંગણીઓ પર કરવાની છે. લેખ ગંભીર પ્રકારનો ન થઇ જાય એટલે હળવી શૈલીમાં ભરપૂર રમૂજો દ્વારા આ ચર્ચા પ્રસ્તુત કરું છું.
ભિખારી : સાહેબ, પચાસ પૈસા આપતા જાઓ.
સદગૃહસ્થ:અલ્યા, પચાસ પૈસામાં તારું શું થશે?
ભિખારી: તમારી વાત સાચી છે અને તે હું જાણું છું અને માનું પણ છું. પણ હું માણસની હેસિયત જોઈને પૈસા માંગું છું.
તારીખ ૯ જુલાઈ, ૨૦૦૯ અને ગુરુવારના ગુજરાત સમચાર નામના અખબારમાં પહેલા પાના પર સમાચાર છપાયા હતા, ઓછામાં ઓછા એક રૂપિયાના દાનની ભિખારી સંઘની અપીલ તામિલનાડુના ઈરોડ ખાતે ભિખારી સંગઠન  એટલે કે બેગર્સ એસોશીયેશન ના સભ્યોએ લઘુતમ ભીખ માટેની અરજી કરી હતી. અને એમાં એમણે જાહેર જનતાને અપીલ કરી છે કે ભિખારીઓને હવે પછી ભીખમાં ઓછામાં ઓછો એક રૂપિયો  આપવો..
અહીં ભગવાન બુદ્ધ અને એમના પ્રિય શિષ્ય પૂર્ણની વાત યાદ કરીએ તો એમ કહી શકાય કે – ભિખારીઓ કેટલા દયાળુ છે કે એમણે લોકો પાસે માત્ર એક રૂપિયો માગ્યો, સો રૂપિયા નહીં. મારો એક પ્રશ્ન છે કે - દરેક વ્યવસાયમાં કામદારો માટે સરકારે લઘુતમ વેતન નક્કી કર્યા છે. તો ભિખારીઓના વ્યવસાયમાં કેમ નહીં?
આ ભિખારીઓ માત્ર દયાળુ જ નહીં, ફ્લેક્સીબલ પણ કેટલા હોય છે, તે નીચેની રમૂજ વાંચશો એટલે ખ્યાલ આવશે.
ગૃહિણી: આજે માત્ર રોટલી વધી છે, ચાલશે?
ભિખારી: ચાલશે બા, કાલે તમે દાળ આપી હતી તે ફ્રીઝમાં મૂકી રાખી છે, એની સાથે ખાઈ લઈશ.
ઘણા પતિદેવો ઓફિસેથી ઘરે આવવા નીકળતી વખતે પત્નીને ફોન કરીને પૂછી લેતા હોય છે કે આજના ડીનરમાં શું રાંધ્યું છે,  જેથી એમને નિર્ણય લેતાં ફાવે  કે પહેલાં ડાયરેક્ટ ઘરે જવું કે પછી રેસ્ટોરન્ટમાં ખાઈને જવું.
આ જ નિયમ ભિખારીઓને પણ લાગુ પડી શકે છે, દાખલા તરીકે –
શેઠાણી ; જો તું મને આટલાં વાસણ ઘસી આપશે તો હું તને ભરપેટ જમાડીશ.
ભિખારી: પહેલાં તમે મને એ કહો કે – આજે તમે શું રાંધ્યું છે?
આમ પહેલાંની કહેવત – બેગર્સ હેવ નો ચોઈસ બદલાઈને કંઈક આમ બની છે – બેગર્સ હેવ અ ચોઈસ. ભિખારીઓ પણ આપણી જેમ માણસો જ છે. એમને પણ આપણી જેમ પસ્દગીના હક્કો હોવા જ જોઈએ. આપણે એમના પ્રત્યે સૌજન્ય દાખવીને એમને જોઈતી મદદ પૂરી પાડવી જ જોઈએ.
ભિખારી: શેઠ, સો રૂપિયા આપો તો હું વિખૂટી પડી ગયેલી મારી પત્ની ભેગો થઈશ.
દયાળુ શેઠ: લે આ સો રૂપિયા. અને હવે કહે તારી પત્ની ક્યાં ચાલી ગઈ છે?
ભિખારી: એને મળેલી ભીખની રકમ ઉડાવવા એ સામેની રેસ્ટોરન્ટમાં ગઈ છે.
આપણે એક વાત સમજવાની જરૂર છે કે – દરેક ભિખારીઓ કંઈ પોતાના શોખથી ભિખારી નથી બન્યા હોતા. કેટલાકની તો કહાણી ખુબ દર્દનાક હોય છે.  તો કેટલાક બિચારા કિસ્મતના માર્યા ભિખારી બન્યા હોય છે.
ભિખારી: શેઠ, ૨૦ રુપિયા આપોને, કોફી પીવી છે.
અમદાવાદી શેઠ: અલ્યા, મને ઉલ્લુ બનાવે છે? કોફી તો દસ રૂપિયાની આવે છે.
ભિખારી: તમારી વાત સાચી છે કે કોફી દસ રુપિયાની આવે છે. પણ મારી સાથે મારી ગર્લફ્રેન્ડ પણ છે.
શેઠ: ઓહો! ભિખારી થઈને ગર્લફ્રેન્ડ પણ રાખી છે ને કંઈ?
ભિખારી: ના શેઠ, ગર્લફ્રેન્ડે મને ભિખારી બનાવ્યો છે.
એટલે ઘણા ભિખારીઓ આવા પ્રમાણિક અને સાચાબોલા પણ હોય છે. એમના પ્રત્યે આપણે ઉદાર દિલ રાખવું જોઈએ, અને થાય એટલી મદદ પણ કરવી જોઈએ.
પુત્રવધૂ: બા, આ ભિખારીને કશું જ ન આપતાં.
સાસુ: કેમ બેટા?
પુત્રવધૂ: એ સાવ જુઠ્ઠો છે. ભગવાનને નામે માંગે છે, અને ખાય છે એ પોતે જ.
અરે બાબા! ભગવાનને નામે માંગવું એ તો ભિખારીઓના વ્યવસાયનો એક પ્રકાર જ છે. એ જુઠ્ઠો નથી એવું આ નિર્દોષ પુત્રવધૂને કોણ સમજાવશે? એક વાત સમજો કે ભિખારીઓની પોતાની પણ કોઈ લાચારી હોય છે.
ભિખારી: બહુ લાચાર છું શેઠ, કંઈ રુપિયા પૈસા આપતા જાઓ ને.
શેઠ: આટલો તંદુરસ્ત તો દેખાઈ રહ્યો છે, તને વળી શું લાચારી છે?
ભિખારી: આદતથી લાચાર છું, શેઠ.
ભિખારીઓ માત્ર આદતને વશ થઈને લાચારીથી ભીખ માંગે છે, એ વાત પણ પાછી સાવ સાચી નથી. એ લોકોને પણ એમના સમાજમાં રહેવાનું હોય છે, એટલે સામાજીક  રિવાજો -  નિયમો પણ  પાળવા પડે છે.
ધર્માત્મા શેઠ: અલ્યા, તું તો વર્ષોથી શિવમંદિર આગળ બેસતો હતો ને? આજે હવે અહીં રામમંદિર આગળ કેમ બેઠો છે?
ભિખારી: શું કરું શેઠ, છોકરીનાં લગ્ન કર્યા એટલે શિવમંદિર વાળી જગ્યા જમાઈને દહેજમાં આપવી પડી.
ભિખારીઓને આપણે ભીખ આપીએ કે નહીં આપીએ,( એ ચલ આગળ જા) એમ કહીને એને ભગાડી મૂકીએ છીએ. પણ સલાહ આપણે સૌ કોઈને(ભિખારી સુધ્ધાને)  આપીએ છીએ. 
શેઠ:અલ્યા, ભણવાની ઉંમરે ભીખ માંગે છે? તારે તો સ્કૂલે જવું જોઈએ.
બાળ ભિખારી: ત્યાં પણ ગયોતો શેઠ. પણ કંઈ નહીં મળ્યું.
તમને થશે કે ગરીબ, લાચાર અને  અપંગ માણસો જ ભીખ માંગતા હશે, પણ એવું નથી. ઘણા તો ધનવાન ભિખારીઓ પણ ભીખ માંગે છે. અથવા તો ભીખ માંગી માંગીને તેઓ ધનવાન થયાં હોય છે. ઘણા ભણેલા ભિખારીઓ પણ ભીખ માંગતા હોય છે,  એ તમને નીચેનો કિસ્સો વાંચતાં સમજાશે.
શેઠ: આટલો તંદુરસ્ત છે છતાં ભીખ માંગે છે? ગમાર, અભણ ક્યાંયનો.
ભિખારી: હું અભણ નથી, ભણેલો ગણેલો છું, સર. બી.એ. પાસ છું.
શેઠ: તો ભીખ માંગવાને બદલે કંઈ સારું કામ કાજ – વાંચવા લખવાનુ - એવું કંઈ સૂઝતું નથી કે તને?
ભિખારી: સૂઝે છે ને સર. મેં તો પુસ્તક પણ લખ્યું છે, પૈસા કમાવાની ૧૦૧ તરકીબો
શેઠ: તો પછી ભીખ શું કામ માંગે છે?
ભિખારી: આ પણ એમાંની જ એક સરળ તરકીબ છે, સર.
સાચી વાત છે, ભીખ માંગવી એ પણ એક તરકીબ, એક કળા જ છે. એની પણ એક ટેકનિક હોય છે. ભિખારી જેટલો વધુ ગરીબ અને લાચાર દેખાય, લોકોને એટલી જ વધુ દયા આવે અને એટલી ભીખ એને વધુ મળે. એ અપંગ હોય તો ઉત્તમ વાત. નાનાં છોકરાંની માને ભીખ વધુ મળે.એટલે ઘણા ભિખારીઓ તો છોકરાં ઉછીના પણ લઈ આવે. મોટે ભાગે ભિખારીઓ રાંક સ્વભાવના હોય છે, પણ  કેટલાક ભિખારીઓ ભારે ખુમારી વાળા પણ હોય છે.
શેઠ: અહીં આમ રસ્તા ઉપર ભીખ માંગતા તને શરમ નથી આવતી?
ભિખારી: ત્યારે શું ભીખ માંગવા તમારી જેમ ઓફિસ ખોલું?
શેઠ: આટલો હટ્ટો કટ્ટો તો છે ને ઉપરથી ભીખ માંગે છે.
ભિખારી: તો શું મારે તમારા રુપિયા બે રુપિયા માટે મારા હાથ પગ તોડાવી નાંખવાના? 
આમ આવા અવનવા ભિખારીઓના વિવિધ સ્વભાવના દર્શન અહીં દર્શાવેલી રમૂજો દ્વારા બખૂબી થાય છે. કેટલાક ભિખારીઓ વખાના માર્યા ભિખારી બન્યા હોવા છતાં ખુબ જ આશાવાદી અને ચકોર હોય છે.
મારવાડી  શેઠ(ઘરમાંથી) : મુન્ની, તારા ખર્ચા એટલા બધા વધી ગયા છે કે – હવે જો તું એના પર કાપ નહીં મૂકશે તો હું તને રસ્તે જતાં કોઈ ભિખારી સાથે પરણાવી દઈશ.
ભિખારી( દસ મિનિટ પછી) : શેઠજી, હું જાઉં કે હજી રાહ જોઉં? 
શેઠ શેઠાણી માર્કેટમાં નીકળ્યાં હતાં, ત્યાં મંદિર પાસે એક અંધ ભિખારીએ શેઠાણી સામે હાથ લાંબો કરીને ખુબ જ આજીજી ભર્યા સ્વરે ભીખ માંગી.
ભિખારી: મેમસાબ, આંધળા ભિખારીને કંઈ આપતાં જાઓ, ભગવાન તમારું ભલું કરશે.
શેઠાણી: તું તો અંધ છે, તેં કઈ રીતે જાણ્યું કે હું મેમસાબ છું, સાબ નહીં?
ભિખારી: બિચારા સાહેબ લોક કયા દિવસે આટલું બધું પર્ફ્યુમ લગાવે છે?
સામાન્ય પણે આપણે ભિખારીઓને ભીખ આપીએ ત્યારે તેઓ ખુશ થઈને આપણા માટે દુવા કરે છે, પ્રાર્થના કરે છે. પણ કેટલાક ઋષિ  દુર્વાસાના  અવતાર સમા ભિખારીઓ ગુસ્સે થઈને ન બોલવાનું બોલે છે. કદાચ કોઈ સાથે ઝઘડીને આવતા હશે? કે એમને આપણી અપેક્ષા વધારે પડતી લાગતી હશે?
શેઠાણી: લે આ બે રુપિયા, ને મારા માટે દુવા કર.
ભિખારી: કારમાં તો બેઠી છે, હવે શું વિમાનમાં  બેસીને આકાશમાં ઉડવું છે?
હવે આમાં દાતા કોણ ને ભિક્ષુક કોણ તે તારવવું અઘરું છે. દરેક માણસ અમુક અંશે – અમુક સમયે ભિક્ષુક હોય જ છે. ફરક એટલો જ કે – જે માણસ વ્યવસાયે ભિખારી હોય તે માણસ પાસે માંગે, અને જે માણસ સ્વભાવે ભિખારી હોય તે ભગવાન પાસે માંગે.
તામિલનાડુના ભિખારી સંગઠને ભિખારી કલ્યાણ બૉર્ડ ની રચના કરવાની તામિલનાડુ સરકારને અપીલ કરી હતી. જેમાં એમણે  અમને હેરાન કરતાં બન્નારી મંદિરના કર્મચારીઓને વારવા જોઈએ  એમ જણાવ્યું હતું. એમણે એમના કરમની કઠણાઈ તામિલનાડુના તે વખતના મુખ્યપ્રધાન કરુણાનિધિ સમક્ષ રજુ કરવાનું પણ નક્કી કર્યું હતું. કરુણાનિધિજીનાં દિલમાં આ ભિખારીઓ પ્રત્યે કેવીક કરુણા જાગી હતી તે જાણવા મળ્યું નથી.
મારું નમ્ર નિવેદન અને આર્જવપૂર્ણ અપીલ છે કે, સરકાર ફક્ત તામિલનાડુના જ નહીં, પૂરા ભારત વર્ષના ભિક્ષુકો માટે કોઈ કલ્યાણ યોજના વિચારે, ભારતના દરેક કરદાતા પાસે એમની આવક માંથી આવકવેરો’, સંપત્તિવેરો’, શિક્ષણવેરો’, ફલાણોવેરો’,  ઢીકણોવેરો જેવા અનેકાનેક વેરાઓની સાથે સાથે ભિક્ષુકવેરો પણ દાખલ કરવો જોઈએ. ( આ બધા વેરાઓ ઉઘરાવ્યા બાદ કરદાતા ભિખારી ન બની જાય તેની કાળજી રાખીને આ વેરો ઉઘરાવવો જોઈએ એવી નમ્ર અપીલ છે.) તમારો  વાચકોનો આ બાબતે શું મત છે તે જણાવજો અને તમે ગંભીર થઈ ગયા હોય તો આ છેલ્લી રમૂજ વાંચીને પાછા હળવા ફૂલ જેવા થઈ જજો.
પત્ની: કાલે ભીખ માંગવા આવેલા ભિખારીને હું નફરત કરું છું.
પતિ: કેમ, એવું તે એણે શું કર્યું?
પત્ની: કાલે મેં એને જમવાનું આપ્યું હતું અને આજે એ મને રસોઈ કલામાં પારંગત કેમ થવું?’ નામનું પુસ્તક ભેટ આપી ગયો.