Monday 25 March 2024

 દેવું (હાસ્યલેખ) :  વિશ્વકર્મા વિશ્વ – દિવાળી અંક – 2023     પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી

પત્ની : મને મન થાય છે કે આ દિવાળીએ આપણે આપણી જૂની કાર વેચીને  નવી લઈએ.

પતિ : તને ખબર નહીં હોય તો જણાવી દઉં કે આપણી જૂની કારના બદલામાં માત્ર એક સ્કૂટર આવી શકે.

પત્ની : મને એટલી તો ખબર છે  કે આપણી જૂની કારના બદલામાં નવી કાર નહીં આવી શકે. પણ એનાથી નવી કારનું ડાઉનપેમેન્ટ તો થઈ જાય ને ?  

પતિ : પછી બાકીની રકમ કોણ ભરશે ?

પત્ની : એને માટે લોન લઈ લેવાની. પછી હપ્તે હપ્તે ભરપાઈ કરી દેવાની.

પતિ : યુ મીન કે આપણે દેવું કરવાનું ? તને ખબર છે, ૨૦૨૩ ના ચાલુ વર્ષે દરેક ગુજરાતીના માથે દેવું વધીને  ૪૮૦૦૦ રૂપિયા થયું છે. એ મુજબ ગણીએ તો આપણાં બે નું મળીને રૂપિયા ૯૬૦૦૦ નું દેવું થાય.

પત્ની : આપણે તો કોઈ પાસે એક રૂપિયો પણ ઉધાર નથી લીધો, પછી આટલું મોટું  દેવું થયું શી રીતે ?

પતિ : તું નિયમિત છાપું નથી વાંચતી કે ? આ વર્ષે છાપામાં અનેકવાર મોટાં અક્ષરે મથાળું બાંધીને છપાયું  છે : દરેક ગુજરાતીના માથે દેવું વધીને  વર્ષ ૨૦૨૩માં  રૂપિયા ૪૮૦૦૦ થઈ ગયું છે.

પત્ની : સંસ્કૃતમાં  એક કહેવત છે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત મતલબ કે  દેવું કરીને પણ ઘી પીઓ. મેં જો કે કોઈ દિવસ આવું કર્યું નથી. એનું કારણ એ નથી કે મને ઘી ભાવતું નથી કે દેવું કરવામાં હું માનતી નથી. દેવું કરવામાં હું માનતી હોઉ તો પણ મારાં જેવી ઓછી જાણીતી લેખિકાને રૂપિયા ઉધાર આપે કોણ ? હા, મૂર્ધન્ય લેખક બન્યા પછીની વાત જુદી છે. પછી તો એક કરતાં એકવીસ હજાર લોકો રૂપિયા આપવા તૈયાર થઈ જાય અને તે પણ જેટલાં જોઈએ એટલાં. પણ પછી જરૂર ના હોય ત્યારે એ રૂપિયા મળે તો પણ આપણને શું કામના, ખરું ને ?

પતિ : દેવું કરવું કે ન કરવું  એ વિશે તારા માનવા કે ન માનવાથી હકીકતમાં કોઈ ફરક પડતો નથી. કે આપણાં માથે રહેલું ૯૬ હજાર રૂપિયાનું  દેવું મટી જવાનું નથી. હા, હું મારા વિલમાં એટલું લખી  શકું કે – મારાં માથે કોઈ દેવું નથી અને કોઈ દેવું મળી આવે તો એને માટે મારાં વારસદારો જવાબદાર નથી. પછી મારી આ વાત માન્ય  રાખવી ન રાખવી એ સરકારની મરજી.

પત્ની : એ તો ઠીક પણ જો આપણાં  પૂર્વજો પરંપરા પ્રમાણે  લખી ગયાં હોય કે – હાલમાં મારા માથે  એક પણ  રુપિયાનું  દેવું નથી. પરંતુ મારા મૃત્યુ બાદ જો કોઈ દેવું મળી આવે તો મારા વારસદારોએ ભેગાં મળીને એ સરખે ભાગે ચૂકવવું.  તો એ આપણે  ચૂકવવું પડશે ? એ કેટલું મોટું હશે ? આનાથી તો ગુજરાતીમાં કહેવાતી  એક કહેવત જેટલી લાંબી તમારી ચાદર હોય એટલાં જ પગ પસારવા એ ખોટી જ પુરવાર થવાની ને ?

પતિ : તું સાંભળ તો ખરી. આજનાં  અખબારમાં ખાતર પર દિવેલ  જેવા બીજા એક સમાચાર પણ છે – આપણાં ભારત દેશનું દેવું ૫૪૩ અબજ ડૉલર છે.

પત્ની : ડૉલરને રૂપિયામાં કન્વર્ટ કરે તો કેટલાં રૂપિયા થાય ?

પતિ : ગણિતમાં જેમની માસ્ટરી હોય એ લોકો ગણી કાઢશે. કેમ કે દેવાને કારણે મારું  ચિંતાગ્રસ્ત મન આ ગણતરી માટે હમણાં તૈયાર નથી. હું તો ચકરાવે ચઢ્યો છું, એ વાત વાંચીને કે આખા વિશ્વ પર તો અધધધ...૧૮૮ લાખ કરોડનું દેવું છે. આટલું મોટું દેવું ચૂકવવા વિશ્વ પાસે કેટલી સંપત્તિ છે તેની મને ખબર નથી એટલે ચિંતા થાય છે.

પત્ની : સાંભળો, તમારી ચિંતા ઓછી કરવા માટે તમને એક જોક કહું : 

બેસણામાં આવનાર : સાંભળ્યું છે કે તમારાં પતિ તમારાં માટે સારી એવી સંપત્તિ છોડી ગયાં છે ? 

મરનારની પત્ની : હા. નાના નાના બે પુત્રો અને ત્રણ  પુત્રીઓ.

પતિ : તારી વાત સાંભળીને મને વિચાર આવે છે કે  આપણાં સંતાનો આપણી સંપત્તિ છે કે જવાબદારી ?’

પત્ની : પુરાણકાળથી આધુનિકકાળ સુધીમાં  સંતાનોની સંખ્યામાં  જે રીતે  ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે તે જોતાં આ સવાલનો  જવાબ સમજવો સાવ સહેલો છે. હવે તો મા-બાપને એક બાળક પણ ભારે પડે છે. અને એટલે જ આજકાલ  માબાપ  DINK મતલબ કે ‘Double Income No Kids’ ની ફોર્મ્યુલા અપનાવી રહ્યાં છે.

પતિ : મા-બાપને જે કરવું હોય તે કરે, એની મને ચિંતા નથી. મને ચિંતા આ અખબારની છે. એ  લખે છે કે – ગુજરાત સરકાર દર વર્ષે ૨૨ હજાર કરોડ રૂપિયા ( પાછળ કેટલાં મિંડા આવતા હશે ?) વ્યાજ પેટે ચૂકવે છે. મને ચિંતા એ વાતની થાય છે કે સરકાર વ્યાજના તો આટલા રૂપિયા ચૂકવે છે, પણ મૂડીના ચૂકવી શકશે ખરા ? આપણે સાવ દેવામુક્ત ક્યારે થઈશું ?

પત્ની : તમારું તો પેલા કાજી દુબલે  ક્યું ?’  તો કહે સારે ગાંવ કી ફિકર જેવુ છે.

પતિ : એક રાજભક્ત તરીકે મારે એટલીસ્ટ આટલી ફિકર તો કરવી જ જોઈએ ને ?  સાચું કહું તો – મારે માથે એક રુપિયાનું પણ દેવું નથી એવી મારાં મગજમાં ભરાયેલી હવાનો ફુગ્ગો  અખબારના આ સમાચારે એક જ ઝાટકે ફોડી નાખ્યો.  

પત્ની :  તમે એમ માનો એવા નથી, ખરું ને ? સાંભળો તમને બીજી એક જોક કહું : 

લીલા: મોડી રાત સુધી સળવળ સળવળ થાવ છો, ઊંઘતા પણ નથી. તમને થયું છે શું ?

મહેશ : પડોશી જશુભાઇને કાલ સુધીમાં બાર હજાર રૂપિયા આપવાના છે, એ હું હજી ભેગાં  કરી શક્યો નથી એની મોટી ચિંતા છે, જેના કારણે મારી ઉંઘ વેરણ થઈ છે.

લીલાએ પતિનો મોબાઈલ લીધો જશુભાઈનો નંબર લગાવ્યો અને કહ્યું, જશુભાઇ, તમને આપવાના રૂપિયાની વ્યવસ્થા એમનાથી હજી સુધી થઈ શકી નથી. પણ જેવાં રૂપિયા ભેગાં થશે કે તરત તમને આપી દઇશું.  ફોન બંધ કરીને લીલા  બોલી, લ્યો, તમે હવે શાંતિથી ઊંઘી જાઓ, હવે જશુભાઇ જાગશે.

પતિ : આપણાં દેશમાં આવાં income tax ભરનારા બિચારા જશુભાઇઓની ઊંઘ લોન લઈને પૈસા ભરપાઇ ન કરનાર માફતિયાઓને કારણે જ તો વેરાન થઈ રહી છે.  દારૂ પીને મરનારાઓ, એક્સિડંટમાં મરનારાઓ, પાક નિષ્ફળ જતાં દેવું ન ચૂકવી શકવાના કારણે આત્મહત્યા કરતાં ખેડૂતોના ઘરવાળાઓને પણ આવા જશુભાઇઓ જ તો નિભાવે છે.

પત્ની : દેવું ન પડે એ કારણે કેટલાંક સામાન્ય માણસ દેવું કર્યા પછી ઘરેથી ભાગી જાય છે અને અસામાન્ય માણસ દેશમાંથી ભાગી જાય છે. કેટલાંક નબળા મનના માણસો લેણદારોની ઉઘરાણીથી તંગ આવીને જીવનમાંથી ભાગી જાય છે એટલે કે આત્મહત્યા કરે છે. સરકાર બિચારી મજબૂર થઈને આમાનાં કેટલાંકનું  દેવું માફ પણ કરે છે. કેટલાંકને દેવું ચૂકવવા માટે લોન પણ આપે છે, અને લોન લેનાર આપઘાત ન કરે એ ડરથી લોન માફ પણ કરે છે, ખાસ કરીને ધરતીપુત્ર એવાં ખેડૂતોનું. એ વાત સાચી છે, પણ આપણાં જેવાં બિનખેડૂતોનું કોણ રણીધણી ?

પતિ : તને ખબર છે કે દેવું કર્યા બાદ આપણાં જેવા સામાન્ય સ્થિતિનાં કેટલાંક લોકો અંધશ્રધ્ધાના માર્ગે પણ ઉતરી જાય છે ?

પત્ની :  હા. અને એમના માટે સમાજનાં કહેવાતા સંતોએ કે બાબાઓએ કેટલાંક ઉપાયો બતાવ્યા છે.

પતિ : દાખલા તરીકે ?

પત્ની : દાખલા તરીકે - રવિવારનાં  દિવસે સ્નાન કરી પોતાની લંબાઈ બરાબર એક કાળો દોરો લેવો અને તેને એક નાળિયેર પર બાંધી દેવો. આ નાળિયેરની પૂજા કરી  કરજમુક્તિના મંત્રો સાથે  નદીમાં વહાવી દેવું. શનિવારે  સરસવના તેલથી એક માટીનું કોડીયું ભરવું. તેના પર બીજું કોડીયું,  ઢાંકી તેને નદી કિનારે  જમીનમાં સૂર્યાસ્ત સમયે દાટી દેવુ  મંગળવારે શિવ મંદિરમાં મસૂરની દાળ ચઢાવવી અને ઓમ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમ: મંત્રનો જાપ કરવો. આવા તો બીજા અગણિત ઉપાયો છે.

પતિ : પણ તને ખબર છે, આવા ઉપાયો અજમાવવાથી દેવું ઘટવાના બદલે વધે છે ?’

પત્ની : મે આવા ઉપાયો કદી અજમાવ્યા નથી એટલે મને એની નથી ખબર. પણ મને લાગે છે કે આપણે  દેવાપુરાણ ઘણું ચલાવ્યું,  એ હવે બંધ કરીએ ? તમે મને માત્ર એટલું કહો કે આ દિવાળીએ તમે નવી કાર લો છો કે નહીં ?

પતિ : આજ સુધી કોઈ પતિએ પત્નીની વાત ન માની  હોય એવું બન્યું છે ખરું ?

પત્ની : ચાલો, ત્યારે આપણી આ  દિવાળી તો મજાની જવાની.

મારાં વહાલાં વાચકમિત્રો, તમારી દિવાળી પણ મજાની જાય, તમારી દરેક શુભ મનોકામનાઓ  પૂરી થાય એવી શુભેચ્છા સાથે નવાં વર્ષના અભિનંદન  

 

 

 

 

 

 

 

 

 

 

 

કાયાકલ્પ ( હાસ્યલેખ) વિશ્વકર્મા વિશ્વ 27-01-2024        પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

મારે  ડ્રેસ  સિવડાવવો છે.

હું મારા લેડિઝ ટેલરની દુકાનમાં એક નાનાં સ્ટૂલ પર ડ્રેસડિઝાઇનની બુક જોતી બેઠી હતી, ત્યારે એક ગોળમટોળ બહેને આવીને ટેલરમાસ્ટરને કહ્યું. એ બહેનનાં શરીરનો ઘેરાવો જોઈને દરજીના હાથમાંથી કાતર અને મારા હાથમાંથી બુક સરકીને નીચે પડ્યાં.

કેટલાં મીટર કાપડ જોઈશે ?’ કોઠીકાય બહેને અમને બાઘાં બની ગયેલાં જોઈને ભવાં તંગ કરતાં પુછ્યું.   

આઠ મીટર કાપડ જોઈશે. દરજીએ મનોમન એ બહેનનું માપ કાઢી લઈને કહ્યું.

લો, પૂરું આઠ મીટર કાપડ છે. ટાઈટ કે લુઝ, મને જે રીતનું સારું લાગે એવું ફીટીંગ કરજો

તમને તો બેમાંથી એકે ફીટીંગ સારું નહીં લાગે. મારાં મોંમાથી બહાર નીકળવા મથતાં શબ્દોને મેં પરાણે અંદર ધકેલ્યા.

શું સિલાઈ લેશો ?’ કોઠીકાય બહેનનું માપ લેવા મથી રહેલાં, કપાળે જામેલાં પ્રસ્વેદબિંદુ લૂછતા ટેલરે બહેનનાં એ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, હજાર રૂપિયા થશે.  ઠીક છે, તૈયાર થઈ જાય એટલે ફૉન કરજો કહીને કોઠીકાય વટભેર વિદાઇ થઈ ગઈ.

આવો ડ્રેસ કરાવવો છે, કેટલાં મીટર કાપડ જોઈશે ?’ મેં બુકમાંથી પસંદ કરેલી એક ડિઝાઇન બતાવતાં ટેલરને પુછ્યું. કાચી સેકન્ડમાં મારું માપ કાઢી લઈને એણે કહ્યું. પાંચ મીટર. અને સિલાઈ શું થશે?’ એવા મારાં સવાલના જવાબમાં  એણે કહ્યું, સાડા સાતસો  રૂપિયા.   

કોઠીકાયનાં ડ્રેસ માટે આઠ મીટર કાપડ જોઈએ, અને મારો ડ્રેસ માત્ર પાંચ મીટર કાપડમાંથી ? કોઠીકાયનાં ડ્રેસની હજાર રૂપિયા સિલાઈ અને મારાં ડ્રેસની  માત્ર સાડા સાતસો રૂપિયા ? કોઠીકાયનાં ડ્રેસને બનતાં પંદર દિવસ લાગે અને મને માત્ર આઠ દિવસમાં ડ્રેસ બનાવી આપવાનું કહ્યું ?  તમે જ કહો હવે મને આમાં  પેલી કોઠીકાયનાં જેવી વી.આઈ.પી. ફિલિંગ્સ ક્યાંથી આવે ?

એક્સ્પ્રેસ ટ્રેન માટે લોકલ ટ્રેનને જેમ સાઈડટ્રેક કરી દેવામાં આવે, એમ હું દુકાનમાં હું પહેલાં આવી હતી છતાં મને બાજુ પર રાખીને માસ્ટરે કોઠીકાયને પહેલાં અટેન કરી. આ કારણથી ઓઝપાયેલી દશામાં હું ત્યાંથી નીકળી તો મને બાજુમાં આવેલી દુકાનનાં દરજીએ બોલાવીને ધીમા અવાજે  કહ્યું, બહેન, હું તમને પેલા કરતાં ઓછા કપડામાં અને ઓછી સિલાઈમાં ડ્રેસ કરી આપીશ, એ બદમાશ તો કપડું ખાઈ જાય છે, તમે કહો તો સાબિત કરીને બતાવું.  

મને એવી કોઈ સાબિતીમાં રસ નહોતો. કેટલાંક માણસો  પૈસાખાઉ હોય છે એવું મેં સાંભળ્યું હતું, આ ટેલર કાપડખાઉ હશે મારે શું ? જેને જે ખાવું હોય તે ખાય, મારે કોઈ ભાવ નહોતો ખાવો. પણ આ દરજીઓ આપણને આલતુ-ફાલતુ એટલે કે ઓર્ડિનરી ગ્રાહક સમજી બેસે તે  કેમ ચાલે? 

હું ત્યાંથી નીકળીને બસસ્ટોપ પર પહોંચી. ખાસ્સીવાર લાઇનમાં ઊભી રહી. ત્યાં એક ભીમકાય સજ્જન આવીને સૌથી આગળ ઊભા રહી ગયા. લોકોએ એમને લાઇનમાં પાછળ ઊભા રહેવા માટે બૂમાબૂમ કરી મૂકી. પણ એ ગોળમટોળ  સજ્જન લાઇન માટે બનાવેલી રેલિંગમાં સમાઈ શકે એવા નહોતા.

બસ આવી ત્યારે એ ભીમકાય સજ્જન રુઆબભેર બસમાં સૌથી પહેલા ચઢ્યા, અને બે જણની સીટ પર એકલા બેઠા. અમે ધક્કામુક્કી કરીને બસમાં ચઢ્યા. જો કે લાઇનમાં આગળ હોવાને કારણે બેસવા સીટ મળી ખરી. અમે બે જણની સીટ પર બે જણ બેઠાં હતા, છતાં એક પ્રોઢ બહેને અમને વિનંતી કરીને થોડાથોડા ખસીને એમને  બેસવા માટે થોડી જગ્યા કરી આપવા કહ્યું.  અમે એમને બેસવા જગ્યા તો કરી આપી, પણ મારો દુભાયેલો જીવ થોડો વધારે દુભાયો.

પેલા ભીમકાય ભાઈ મોડા આવીને બસમાં પહેલા ચઢે, બે જણની સીટ એકલા રોકીને બેસે અને આપણી સિંગલ સીટની પણ લોકોને ઈર્ષ્યા આવે તો જીવ બળે કે નહીં તમે જ કહો. મેં વિચાર્યું કે આવો અન્યાય હવે વધુવાર સહન નથી જ કરવો. ગમે તેમ કરીને આ ભૂખડીબારસ જેવો મારો દેખાવ બદલીને સમૃધ્ધિસભર ભરાવદાર દેખાવ લાવવો જ પડશે. સરગવાની સિંગ જેવી મારી સોટીકાય કાયાને ગોળમટોળ કોળા જેવી કોઠીકાય માં  પરિવર્તિત કરવી જ પડશે. અને તે જ ઘડીએ મેં મારી કાયાકલ્પ  કરવાનો દ્રઢ સંકલ્પ  કર્યો.

આ અગાઉ મેં જેટલા પણ સંકલ્પ કર્યા છે, ત્યારે સગાં-વહાલાં, ઓળખીતા-પાળખીતા કે મિત્રો, જે કોઈ મળે અને આ બાબતે વાત નીકળે (વાત નીકળે એવા પ્રયત્નો હું કરતી જ) એમને હું મારા સંકલ્પ વિશે જણાવતી. આ રીત ઉત્તમ નહોતી, કારણકે આ રીતે મારા સંકલ્પની જાણ બહુ ઓછા લોકોને થતી,એટલે હું ઓછા લોકો પાસેથી  કંઇ કરી બતાવવાની પ્રેરણા લઈ  શકતી.

પણ આ વખતે મોટા પાયે કંઇ કરી બતાવવું જોઈએ, એવા વિચારોમાં હું અટવાયેલી હતી, ત્યારે ગેસ પર મૂકેલું દૂધ ઊભરાઇ ગયું. એ ભલે ઉભરાયું પણ મને એક સોલીડ ઉપાય મળી ગયો. બે દિવસ પછી આવતી મારી વર્ષગાંઠ પર તમામ પરિચિતોને  તમારી સમક્ષ હું એક સંકલ્પ લેવાની છું. એમ જણાવીને આમંત્રણ પાઠવી દીધું.

નિયત સમયે સૌ મહેમાનો આવી ગયાં. મારો સંકલ્પ જાણવાની એમની તાલાવેલી (??)ને  હોલ્ડ પર રાખીને મેં પહેલાં કેક કટિંગ વિધિ પતાવી, પછી દરેક પ્રસંગે હોય છે એવો મહેમાનોનો મનગમતો  કાર્યક્રમ જમણવાર  પતાવ્યો. છેવટે સૌની ઉત્કંઠા ઉજાગર કરવાનો સમય, એટલે કે મારો સંકલ્પ લેવાનો સમય આવી ગયો.

મેં ખાસ હરિદ્વારથી મંગાવેલ ગંગાજળ ભરેલી ચાંદીની ઝારી લીધી, તુલસી ક્યારે જઈને હથેળીમાં જળ લઈને બધાં સાંભળે એ રીતે સંકલ્પ કર્યો, ચાહે પૃથ્વી રસાતાળ જાય, ભલે સાતે આસમાન ફાટી પડે, ભલે ભારી ભૂકંપથી ધરતી ધ્રૂજી ઊઠે, આવા લાખો કરોડો વિઘ્ન આવે કે પછી ખુદ ઈશ્વર સ્વર્ગમાથી આવીને મને સમજાવે, તો પણ  હું મારો કાયાકલ્પ( સોટીકાયમાંથી પોઠીકાય થવા)નો સંકલ્પ નહીં ચૂકું.      

મારા આ સંકલ્પને ત્યાં હાજર રહેલા સૌ લોકોએ (મારાં ઘરના સભ્યો સિવાય) તાળીઓના ગગડાટથી વધાવી લીધો. મહેમાનોએ મને પૂરા દિલથી શુભેચ્છાઓ પાઠવી. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, કર્મણ્ય વાધીકારસ્તે મા ફલેષુ કદાચન મતલબ કે કર્મ કિયે જા ફલકી ઇચ્છા મત કર હે ઇન્સાન મુજબ મેં સંકલ્પ કરવાનું મારું કામ સારી રીતે કરી લીધું એનો મને સંતોષ થયો. બસ, હવે એક જ સવાલ હતો,  જાડા થવા માટે ઉપાય શું કરવો ?’

મને મારી વર્ષગાંઠ પ્રસંગે મહેમાનો તરફથી ઢગલેબંધ સલાહ મળી હતી. એમાંની એક - ખૂબ બધા ઘી, દૂધ, માખણ, ચીઝ, મીઠાઇ  ખાવાની  સલાહ મેં પ્રથમ અમલમાં મૂકી. એનાથી હું જાડી તો ન થઈ પણ હું એ બધાથી ઉબાઈ ગઈ, મને અપચો રહેવા લાગ્યો  અને લોહીમાં કોલેસ્ટ્રોલ વધ્યું તે નફામાં. બીજી સલાહ પ્રમાણે અમુક તમુક આયુર્વેદિક દવાઓ અને કાઢા બે મહિના પીધા. એનાથી પૈસા ઓછા થયા પણ મારા શરીર પર ચરબી જરાય ન વધી. અન્ય એક સલાહ મુજબ જિમમાં જઈને બે મહિના જુદી જુદી એકસરસાઈઝ કરી પણ એનાથી પણ મારૂ શરીર એક આની પણ ન વધ્યું, ઊલટું ઘટ્યું હોય એવું મને લાગ્યું. અન્ય એક સલાહ મુજબ મેં કામકાજ છોડીને આરામ કરવાનું શરૂ કર્યું, એનાથી હું  આળસુ બની, ઘરનું શિડ્યુયલ ખોરવાઈ ગયું પણ મારો કાયાકલ્પ ન થયો.

મેં કાયાકલ્પ કરવાના સંકલ્પ માટેનાં મારા તમામ હથિયારો હેઠા મૂકી જ દીધા હતાં, ત્યાં જ એક દિવસ.....

તમારે જાડા થવું છે ?’ મારાં સંકલ્પ વિશે જાણતા, મારી સોસાયટીમાં રહેતા એક પાતળા બહેને મને પુછ્યું.

 હા, આવી સળેકડી જેવી કાયા લઈને મારે મરવું નથી  હું ઉપાય બતાવું ?’   નેકી ઔર પૂછ પૂછ ?’

મારી પાસે આયુર્વેદનાં ઘણાં  પુસ્તકો છે, જેમાં કાયાને તંદુરસ્ત રાખવાના અને રુષ્ઠપુષ્ઠ બનાવવાના ઉપાયો આપ્યા છે..   તો તમે કેમ એ વાંચતા કેમ નથી ?’    અનેકવાર વાંચી લીધા છે.  તો પછી તમે આવા પાતળા  કેમ છો?’  મારા સવાલના જવાબમાં એ બોલ્યાં,  એનું કારણ એ છે કે હું પુસ્તકો વાંચું છું ખરી, પણ ફોલો નથી કરી શકતી, મારી સંકલ્પશક્તિ તમારા જેવી દ્રઢ નથી ને. એમણે મને ચણાના ઝાડ પર ચઢાવી.  મને વિચારમાં પડેલી જોઈને એમણે ઉમેર્યું, તમે કહો તો હું તમને અડધી કિમતે એ પુસ્તકો આપી શકું છું.

મને એમની આ ઓફર ગમી. અડધી કિમતે એ પુસ્તકો ખરીદીને હું ઘરે આવી ત્યારે હવે મારો સંકલ્પ પૂરો થશે એ વિચારે મારી ખુશીનો પાર નહોતો. પણ મારાં ઘરના સભ્યોને મારું આ પગલું ખાસ રુચ્યું  હોય એમ મને લાગ્યું નહીં. પણ સંકલ્પ પૂરો કરવા માટે ક્યારેક ઘરનાં લોકોને નિરાશ કરવા પણ પડે  એમ વિચારીને મેં મન મનાવ્યું. તે પછી મેં એક પુસ્તક ખોલીને વાંચ્યું. કોઈપણ કાર્ય કરતાં પહેલાં એ કાર્ય વિષે તમારાં મગજમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. મારાં મગજમાં તો કોઈ શક કે સવાલ હતો જ નહીં, એટલે આગળ વાંચ્યું, તંદુરસ્ત રહેવા કે રુષ્ઠપુષ્ઠ થવા માટે  તમારી આજુબાજુનાં વાતાવરણમા અને લોકોમાં એવો ભાવ લાવવો જરુરી છે. હું એ માટે કટિબધ્ધ થઈને પતિદેવ પાસે પહોંચી.

સાંભળો છો ?’ મારાં કોમળ સ્વરથી  નવાઈ પામીને છાપું હટાવી એ મારી તરફ જોઈ રહ્યા.

તમે મને આજથી જાડી કહીને બોલાવશો?’  હું જાણે સરકસનું પ્રાણી હોઉ એમ પહેલાં તો એ મને નવાઇથી જોઈ રહ્યા, અને પછી ખડખડાટ હસી પડ્યા. આમાં હસવા જેવુ શું છે?’ મેં જરા ચિડાઈને પુછ્યું.  તું પહેલાં અરીસામાં તારું શરીર જો અને પછી કહે.   મને ખબર છે કે હું જાડી નથી પણ તમે મને એમ કહીને બોલાવશો તો તમારી જીભ ઘસાઈ નહીં જાય.   એવું ખોટું હું શા માટે બોલું ?’   મારા સંકલ્પ ખાતર પણ નહીં ?’ મેં એમણે ઈમોશનલ બ્લેકમેલ કરવાની ટ્રાય કરી.  જોઈશ કહીને એમણે પાછું છાપામાં મોં ખોસી દીધું. અને અનુભવને આધારે એમનું આ જોઈશ એનો અર્થ  ના એ વાતની મને ખબર હતી.

જ્યાં પોતાના જ સહકાર આપવા તૈયાર ન હોય ત્યાં પારકાની આશા તો કરાય જ શી રીતે ?’ હું નિરાશ થઈ ગઈ. એમના અસહકારનાં કારણે  મારો સંકલ્પ ડગી ગયો. પણ ભલે, આજે નહીં તો કાલે,  હું મારા આ કાયાકલ્પનાં સંકલ્પને તો પૂરો કરીને જ જંપીશ. કઈ રીતે ?’ તમને કોઈ ઉપાય ખબર હોય તો કહોને પ્લીઝ.  

 રામચંદ્ર કહ ગયે સીયાસે. (વિશ્વકર્મા વિશ્વ – દિવાળી - 2020)       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-હાશ ! દિવાળીની સાફસફાઈનું કામકાજ તો પૂરું થયું. મેં નેપકીનથી હાથ લુછતા લુછતા કિચનમાંથી બહાર આવીને ડ્રોઈંગરૂમની સોફાચેર પર ગોઠવાતા ત્યાં બેસીને મોબાઈલમાં માથું નાખીને સોફામાં બેઠેલા  મારા પતિદેવ જીતુને કહ્યું.

-શું વાત કરે છે, દિવાળીનું કામ આટલું જલદી પતી ગયું ? બરાબર યાદ કર કંઇક તો સાફ કરવાનું બાકી રહી જ ગયું હશે. જીતુએ માથું ઊંચક્યા વિના મોબાઈલમાં ક્રિકેટની ગેમ રમતા રમતા મને કહ્યું.

-હા, ઠીક યાદ આવ્યું, હજી એક ચીજ સાફ કરવાની બાકી છે, યાદ કરાવવા બદલ થેંક્યું, હોં.

-યુ આર મોસ્ટ વેલકમ. પણ એ તો કહે શું સાફ કરવાનું બાકી રહ્યું ?

-તમારું પર્સ. મારા મોબાઈલમાં બીબા, વેસ્ટસાઈડ, ફેબ ઇન્ડિયા, બ્રાન્ડ ફેક્ટરી, રિલાયન્સ જવેલ્સ, ઝવેરી જવેલર્સ વગેરે વગેરેની ભારે ડિસ્કાઉન્ટ આપતી અનેક ઓફરોના એસએમએસ આવ્યા છે, એકાદ આંટો મારી આવું ?

-અત્યારે કોવિડ-૧૯ ના અનલોક છતાં લોકડાઉન જેવા સમયમાં આપણે ક્યાંય બહાર ફરવા તો જઈ શકવાના નથી. કે નથી કોઈ સારા પ્રસંગમાં જવાનું. પછી કપડાં કે ઘરેણાં લેવાનો કોઈ મતલબ ખરો ?

-હં...વાત તો તમારી સાચી છે. તો પછી બી.એમ.ડબલ્યુ કારવાળાના ઘણા મેસેજ આવ્યા છે, ટેસ્ટ ડ્રાઈવ માટે બોલાવું?

-એ માટે તો માત્ર મારું પર્સ જ નહીં, મારું બેન્કબેલેન્સ પણ સાફ થઇ જશે અને તો પણ પૈસા ખૂટશે.  

-ઓહ !  તો પછી પ્રોપર્ટીવાળાના પણ એકાદ બે મેસેજ આવ્યા છે, એને તો ડીલીટ જ કરું, બરાબર ને ?

-બરાબર, ઘર તો સાફ થઇ ગયું, હવે તારા મનમાંથી શોપિંગ નામના કીડાને પણ સાફ કરી નાખ.

અમે પતિ પત્ની  ઉપર મુજબની મીઠી નોંક ઝોંક કરી રહ્યા  હતા, ત્યાં જ ....          

‘લે લેતી જા ....લે લેતી જા..’  અમારા પડોશી સતીશભાઈના ઘરમાંથી  અવાજ સંભળાયા.

‘આજે સતીશભાઈ બહુ ગુસ્સામાં લાગે છે, શીલાબહેનને મારી રહ્યા લાગે છે’ મેં ઘભરાઈને જીતુને કહ્યું.

‘તને લાગે છે કે ગાંધીજીની આવૃત્તિ સમા એકવડીયા સતીશભાઈ, ચ્યવનપ્રાશની જાહેરખબરમાં આવતી હ્રુષ્ટપૃષ્ઠ મહિલા જેવા શીલાબહેનને મારી શકે ?’ જીતુએ તાર્કિક દલીલ એટલે કે પોતાનો લોજિકલ પોઈન્ટ રજુ કર્યો. એક તો જીતુ કોમર્સના ગ્રેજુએટ અને ઉપરથી સી.એ. પણ થયેલા એટલે તાર્કિક દલીલમાં તો હું એમને પહોંચી ન શકું, આ વાત હું બરાબર જાણું એટલે મોટેભાગે તો હું આવી વખતે ચુપ જ થઇ જાઉં. પણ જીતુની  સાથે રહી રહીને મારું લોજીકલ માઈન્ડ પણ ક્યારેક કાર્યરત થઇ જતું અને મારું મોઢું ખુલી જતું. આ વખતે પણ એવું જ થયું. એટલે મેં જીતુની તાર્કિક દલીલના જવાબમાં કહ્યું,  

-ગાંધીજી પણ તો જોરજુલમ કરીને કસ્તુરબાની મરજી વિરુધ્ધ એમની પાસે ટોયલેટ સાફ કરાવતા જ હતા ને ?

‘પોતે વધારે દલીલ કરશે તો આ ક્યાંક મારી પાસે જ ટોયલેટ તો નહિ સાફ કરાવે ને ?’ એવા વિચારથી કે પછી રામ જાણે કેમ પણ જીતુ ચુપચાપ પોતાના કામમાં પરોવાઈ ગયા, અથવા એવો દેખાવ કર્યો.  અને હું પણ મારા કાનને બહારના અવાજથી અલિપ્ત રહેવાનું સમજાવીને મારા વાંચનના કામમાં પરોવાઈ.

ત્યાં જ ફરીથી અને પહેલા કરતા પણ થોડા ઉંચા અવાજે સતીશભાઈના અવાજમાં, ‘લે લેતી જા.. લે લેતી જા...’ સંભળાયું. અમે બંનેએ એકબીજાની સામે સૂચક રીતે જોયું. શહેરી પરામાં રહેવાને કારણે પડોશીના જીવનમાં ક્યારેય દખલગીરી નહીં કરવાનો અમારા બંનેનો વણલખ્યો નિયમ હતો. પણ આજે મને વળી દયા ઉપજી એટલે મેં જીતુને વિંનતી કરી, ‘તમે જરા જુઓ તો ખરા, પ્લીઝ, સતીશભાઈને સમજાવો અને શીલાબહેનને બચાઓ.’

આ દુનિયામાં ભાગ્યે જ કોઈ પતિ એવો હશે કે જે પત્નીની આગ્રહભરી વિનંતી, એટલે આમ તો  આજ્ઞા જ ગણાય, એને લાંબો સમય સુધી ટાળી શકે. જીતુ પરાણે સતીશભાઈની મદદે જવા તૈયાર થયા. ‘તું પણ મારી સાથે ચાલ, કદાચ શીલાબહેનને તારી મદદની જરૂર પડે.’ જીતુએ કહ્યું. મને લાગ્યું કે પાડોશીને સમજાવવામાં અત્યારે જીતુને મારી મદદની જરૂર છે,  એટલે હું એમની સાથે જવા તૈયાર થઇ. હું જરા કપડાં બદલી લઉં ? મેં મારા સાધારણ કપડા તરફ નજર નાખતા કહ્યું. ‘અરે ! આપણે પડોશમાં પતિપત્ની વચ્ચે સમાધાન કરાવવા જવાનું છે, કોઈ ટીવી સિરીયલના શુટિંગમાં નથી જવાનું.’ જીતુએ કહ્યું. તોપણ મેં મારા વસ્ત્રો પર  અને આડા તેડા થયેલા મારા વાળ પર જરા હાથ તો ફેરવી જ લીધો. 

અમે બંને પડોશીના ઘરે પહોંચ્યા. ઘરનો દરવાજો અધૂકડો ઢાંકેલો હતો, શિષ્ટાચાર ખાતર અમે બારણે ટકોરા મારીને પછી ઘરમાં દાખલ થયા. અને અમે જે જોયું તેનાથી અમને આશ્ચર્ય થયું.  શીલાબહેન  તો એકદમ સહીસલામત હતા, એમના એક હાથમાં વેલણ અને બીજા હાથમાં સાણસી હતા, એમના મોં પર ગુસ્સો હતો, અને  સતીશભાઈના હાથે ઉઝરડા થયા હતા, એમના ઝભ્ભાનું ખીસું ઉખડી ગયું હતું, અને માથે નાનકડું ઢીમણું ઉપસી  આવ્યું હતું. અમને જોઇને બંને પતિપત્ની ખાસિયાણા પડી ગયા, ‘હું જરા ઝભ્ભો બદલીને આવું’ કહીને સતીશભાઈ એમના બેડરુમમા  સરકી ગયા અને શીલાબહેન ‘ગેસ પર દાળ ઉકાળવા મૂકી છે, જરા કડછી હલાવતી આવું’ એમ કહીને  રસોડામાં જતા રહ્યા. ’હવે આપણે શું કરવું ?’ ની અવઢવમાં અમે એકબીજાની સામે જોયું, અને પછી  ઘરે પાછા ફરવાનું મુનાસીબ માન્યું.

પછી એકવાર સતીશભાઈ અમારા ઘરે છાપું લેવા આવ્યા, અમે બંને જણ ચા પી રહ્યા હતા, સતીશભાઈને મારા હાથની મસાલા ચા ભાવતી હતી એટલે મેં એમને પણ ચા પીવાની ઓફર કરી. એ બેઠા ત્યારે જીતુએ ‘લે લેતી જા...’ બનાવ વિષે પૂછ્યું તો એમણે કહ્યું, ‘યાર, હું  પત્નીના હાથનો માર ખાઉં છું, એ વાત લોકો જાણે તો મારી આબરૂ શું રહે ? એટલે એ મને મારે ત્યારે હું  ‘લે લેતી જા...લે લેતી જા...’  ના પોકાર કરું છું. ‘સતીશભાઈ, આ તો સંસાર છે, ચાલ્યા કરે.’ મેં એમનો ક્ષોભ ઓછો કરવા ચીલાચાલુ વાક્ય કહ્યું. તો એ બોલ્યા, ‘હા, ભાભી. તમારી વાત સાચી છે. અમારે લડાઈ થાય ત્યારે એ મને વાસણો  છુટ્ટા મારે, હું નિશાન ચૂકવી દઉં તો હું ખુશ થાઉં, અને નિશાન બરાબર લાગે તો એ ખુશ થાય. આમ વારાફરતી અમે બંને ખુશ રહીએ, સમજ્યા ?’

ગંવાર...શુદ્ર... પશુ... ઔર નારી, સબ તાડનકે અધિકારી... એટલે કેગમાર, નીચી જાતનો માણસ, પશુ અને નારી ... બધા માર ખાવાને લાયક છે  આવું આપણા ધર્મગ્રંથોમાં કહેવાયું છે, એમ મેં ક્યાંક વાંચ્યું હતું. ઉપરાંત મેં એવું પણ વાંચેલું કે  બુધે નાર પાંસરીમતલબ કે સ્ત્રીને માર મારવાથી સીધી ચાલે. આવું બધું વાંચવાથી મારો નારીજીવ કોચવાતો. મને તો -  કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉં વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે ! એ  શ્રી મુકુલ ચોકસીના મુક્તક જેવું મુક્ત મજાનું દામ્પત્ય જીવન ગમે. પણ આપણને ગમતું બધું ક્યાં થાય છે ? તે છતાં  જેમ જેમ સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું, તેમ તેમ જૂની માન્યતાઓ છેક જડમૂળથી ગઈ તો નહીં પણ બદલાઈ છે જરૂર એનો મને આનંદ  છે.

વાત આજે મને એટલા માટે યાદ આવી કે, ભારતમાંડોમેસ્ટિક વાયોલન્સના કાયદા હેઠળ પત્નીને મારતા પતિને સારી એવી સજા થાય છે, તે છતાં પત્ની પતિના હાથનો માર ખાય, એવી ફરિયાદો સામાન્ય થઇ ગઈ છે. પણપતિને મારનારી મહિલાઓ પણ ઓછી નથીએવા નવાઈ ભરેલા સમાચાર થોડા સમય પહેલા  દિવ્યભાસ્કર નામના અખબારમાં મેં વાંચ્યા. હું મારામારીની તરફેણમાં નથી તે છતાં સમાજમાં આવું બેલેન્સ હોય મને આવકાર્ય લાગ્યું. મને વાંચીને એક  જોક  યાદ આવી :  તમે આટલા લોહીલુહાણ હાલતમાં છો, ચાલો તમને ઘરે મૂકી જાઉંએક વ્યક્તિને ઘાયલ દશામાં રસ્તા પર જતી જોઇને રાહદારીને દયા આવવાથી એણે કહ્યું. ઘરેથી ચાલ્યો આવું છું, તમને બહુ દયા આવતી હોય તો કોઈ ડોક્ટરને ત્યાં લઇ જાવવ્યક્તિએ રાહદારીને કહ્યું.

જોકની વાત જવા દઈએ અને છાપાના સમાચાર ‘પતિને મારનારી મહિલાઓ પણ ઓછી નથી’ એ સમાચાર પ્રત્યે ધ્યાન આપીએ. આવું ને આવું  જો વધારે સમય ચાલ્યું તો એ દિવસ દુર નથી જ્યારે નીચે મુજબનો બનાવ બનશે.

-માયા, આપણા તન્મય માટે જે  છોકરી તન્વીનું માંગુ આવ્યું છે. એ એમ.બી.એ. થયેલી છે, મલ્ટીનેશનલ કંપનીમાં ઉંચી પોસ્ટ પર જોબ કરે છે, વર્ષે ૧૮ લાખનો પગાર મેળવે છે, સોનામાં સુગંધ જેવી વાત તો એ છે કે તન્વી દેખાવડી છે, સારા કુટુંબમાંથી આવે છે, અને એના માબાપની એકની એક દીકરી છે. દીવો લઈને શોધવા જઈએ તોપણ આવી છોકરી આપણી નાતમાં બીજી મળે નહીં. વળી તન્વીનો ફોટો તન્મયને પસંદ પણ આવ્યો છે. સારા કામમાં સો વિઘ્ન આવે, એટલે તન્મયને પૂછીને તન્વીને ક્યારે મળવાનું ગોઠવવું છે તે નક્કી જ કરી દઈએ.પતિ મયંકે કહ્યું.

-ડેડ, તન્વી ક્યાં રહે છે ? તન્મયે પૂછ્યું.

-ઇન્દોર રહે છે.

-ઇન્દોર ? એમ. પી. વાળું ઇન્દોર ?

-હા જ તો. ભારતમાં ઇન્દોર વળી  કેટલા છે ? એમ.પી. વાળું ઇન્દોર જ.

-મારે તન્વી સાથે લગ્ન નથી કરવા.

-અરે પણ એને મળ્યા વિના, વાતચીત કર્યા વિના આમ અચાનક ના પાડવાનું  કંઈ કારણ ? તન્વી દેખાવડી છે, આટલું ભણેલી છે, સારા કુટુંબમાંથી છે, બધી રીતે તને લાયક છે.

-એ સર્વગુણસંપન્ન હોય તો પણ મારે એની સાથે લગ્ન નથી કરવા, એટલે નથી કરવા. એન્ડ ધેટ ઈઝ ફાઈનલ. 

-તેં એના વિશે કંઈ ખરાબ વાત જાણી કે વાંચી, બેટા ?

-ના, પણ ઇન્દોર વિષે જે વાંચ્યું, એ જાણ્યા પછી તમે બંને પણ ફરીથી વિચારતા થઇ જશો.

-અચ્છા, એવા તે શું સમાચાર છે, અમને જણાવીશ ? માયાએ પૂછ્યું.

-મધ્ય પ્રદેશની જ વાત છે. ભોપાલમાં પોલીસ ફરિયાદ અનુસાર દર મહીને ૧૩ મહિલાઓ પોતાના પતિને ફટકારે છે. ઇન્દોરમાં  ચાર મહિનામાં બાવન (પચાસ વત્તા બે) પતિદેવો પત્નીની મારપીટનો ભોગ બન્યા. એવા તો કેટલાય પતિદેવો હશે જે પત્નીના ડરના કારણે પોલીસ ફરિયાદ નહીં નોધાવતા હશે, એટલે આ આંકડો હજી પણ વધવાની શક્યતા છે. તન્મય બોલ્યો.

-પત્ની મારતી નહીં હોય, પણ ડારતી  હોય તો એવા કેસમાં ફરિયાદ નોંધાવી શકાય કે નહીં ? મયંક હસીને બોલ્યો.

-મયંક, તમે વચ્ચે ન બોલોને, પ્લીઝ. તન્મય, તું ઈન્દોરની શું વાત કહેતો હતો ? માયાએ પૂછ્યું.

-મમ્મી, અત્યાર સુધી ‘ડોમેસ્ટિક વાયોલન્સ’ ની વાત આવે તો આપણને પતિનો માર ખાતી પત્ની જ યાદ આવે છે, પણ મધ્યપ્રદેશમાં પત્નીના હાથનો માર ખાતા પુરુષોના કિસ્સા એટલી હદે વધી ગયા છે કે, ‘ડાયલ ૧૦૦’ ટીમે ‘બીટિંગ હસબંડ ઇવેન્ટ’ ની નવી કેટેગરી તૈયાર કરવી પડી છે.

-હાય હાય, આ તે કેવો કળિયુગ કહેવાય ? છોકરીઓની આટલી બધી હિંમત ? અને છોકરાઓ આટલા બધા બાયલા ?

-માયા, હવે રામચંદ્રવાળો સતયુગ નથી રહ્યો, આ કળિયુગમાં તો કંઈ પણ અશક્ય નથી. તેં પેલું ભજન તો સાંભળ્યું જ હશે ને, ‘હે રામચંદ્ર કહ ગયે સીયાસે, ઐસા કલિયુગ આયેગા, હંસ ચુગેગા દાન દુનકા કૌઆ મોતી ખાયેગા.’

-હા રે હા. હવે તો એ કળિયુગ આવી જ ગયો છે, જેમાં હંસના બદલે કાગડા મોતી ખાય. માયા બોલી.

-અને પત્નીના બદલે પતિ માર ખાય. મયંક બોલ્યો અને ત્રણે જણ હસી પડ્યા.