Wednesday 29 April 2020

કોરોનાવાસ (વિશ્વકર્મા વિશ્વ)


કોરોનાવાસ (વિશ્વકર્મા વિશ્વ)       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. (૨૬-૪-૨૦૨૦)

રમેશ : હેલો, સુરેશ. વોટ્સ અપ ? આ લોકડાઉન ના પીરીયડમાં તું ઘરમાં શું કરી રહ્યો છે ?
મહેશ : યાર, વાત જવા દે ને. કંઈ કહેવાય એવું નથી.
રમેશ : એવું તે શું કામ કરી રહ્યો છે કે ખાસ ફ્રેન્ડને પણ કહેવાય એવું નથી ? જરા હમ ભી તો સુને.
મહેશ : યાર, આ કોરોના વાયરસે તો બધા લોકોને હેરાનપરેશાન કરી મુક્યા છે. લોકડાઉનના કારણે નથી તો કામવાળી આવતી કે નથી  તો રસોઈયો આવતો. વાઈફ રસોઈ બનાવે, છોકરાં સંભાળે. હું વાસણ ઘસું અને કચરા-પોતા કરું. પાછી ઘરમાં એકતા તો એવી છે કે હું પાણી પીવા ઉઠું ત્યારે જ બધાને તરસ લાગે. કંટાળી ગયો છું, યાર. બોલ, તારે કેમનું છે ?
મહેશ : મારે તો આરામ જ આરામ છે.
રમેશ : કેમ, ભાભી તને કામમાં મદદ કરાવવાનું નથી કહેતા?
મહેશ : ના રે. ઉલટાનું હું મદદ કરાવવાનું કહું તો મને ભાર દઈને ના પાડી દે છે.
રમેશ : શું વાત કરે છે, વાહ વાહ ! આવી વાઈફ સૌને મળે. નસીબદાર છે, તું તો યાર.
મહેશ : એવું કંઈ નથી. વાત ખાનગી રાખવાની શરતે તને કહું છું. એણે મને વાસણ સાફ કરવાના કહ્યા તો મેં એક દિવસ કપ અને બીજા દિવસે કાચનો ગ્લાસ તોડી નાખ્યો. ત્રીજા દિવસે નળ ફૂલ ફોર્સમાં ખોલીને સીન્કની બહાર કિચનમાં પાણી પાણી કરી મુક્યું. એણે મને કચરો  વાળવા કહ્યું તો મેં રૂમની વચ્ચેવચ્ચેથીકચરો  સાફ કરીને ખૂણે ખૂણે રહેવા દીધો, ને ઉપરથી મોંઘાં ભાવના ઝાડુનો દાંડો ભાંગી નાખ્યો. એણે મને પોતા મારવા કહ્યું તો મેં ફર્શ ભીની રાખી જેના પર એ લપસી પડી, મારા સદનસીબે એને ખાસ વાગ્યું નહિ. એણે મને શાક સમારવા કહ્યું તો મેં મારી આંગળીમાં ચપ્પુ વગાડી મુક્યું. લોહી નીકળ્યું એટલે એણે ડેટોલથી સાફ કરીને પાટો બાંધી આપ્યો. જો કે આ બધી અજાણતા થયેલી ભૂલો માટે મેં એની માફી માંગી લીધી. પછી તો મેં એને જ્યારે જ્યારે ઘરકામમાં મદદ કરાવવાની તૈયારી બતાવી ત્યારે ત્યારે એણે ઘભરાઈને ‘હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા’ એવું કંઇક  બોલીને મને ઘસીને ના જ પાડી દીધી. બસ, આપણા રામને તો ત્યારથી હવે આરામ જ આરામ અને જલસા જ જલસા છે.
રમેશ : એ બધું તો ઠીક પણ તને આખો દિવસ આમ ઘરમાં બેસીને કંટાળો નથી આવતો ?
મહેશ : કંટાળો તો બહુ આવે છે. પણ એકવાર કાર લઈને હું અમસ્તો બહાર ગયો તો પોલીસે કારમાંથી મને ઉતારીને રસ્તાની સાઈડે આઠ ‘ઉઠબેસ’ કરાવી. તો પણ બીજીવાર  હું સ્કુટર  લઈને નીકળ્યો તો પોલીસે મને એવી જગ્યાએ ડંડાથી  ટેટુ કર્યું કે તારી ભાભીને કહી પણ નથી શકતો અને સોફા કે ચેરમાં સરખી રીતે બેસી પણ નથી શકતો.
રમેશ : ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ તે આનું જ નામ, સમજ્યો ? 
મહેશ : યાર, તું મારો ખાસ દોસ્ત થઈને મને ‘દાઝ્યા પર ડામ’ આપે છે ?
રમેશ : સોરી યાર, તારી અદેખાઈ થઇ  એટલે એમ બોલાઈ ગયું, ઘરકામ કરી કરીને હું થાકી ગયો છું. વાસણ ઘસવાનો પણ બહુ કંટાળો આવે છે, પણ હમણા તો વાઈફને એવું પણ કહેવાય એવું નથી કે ‘ચાલ, ડીનર બહાર લઇ લઈશું.’  ખેર ! મારે કપડાને ઈસ્ત્રી કરવાના બાકી છે, એટલે હવે પછી ક્યારેક વાત કરીશું. બાય.    
દોસ્તો, કોરોના વાઈરસનો કહેર તો  દેશ - પરદેશ આખી દુનિયામાં બધે જ ભયંકર રીતે ફેલાયો છે. સતયુગમાં સીતાજીની સુવર્ણમૃગની તૃષ્ણાને કારણે પહેલું લોકડાઉન લક્ષ્મણે સીતાજી માટે કર્યું હતું. રામની મદદમાં જતાં પહેલાં ઝૂંપડીમાં એકલા રહેલા સીતાજીની સુરક્ષા કાજે લક્ષ્મણે ઝુંપડીની બહાર એક રેખા (જે પાછળથી લક્ષ્મણરેખા તરીકે ઓળખાઈ) દોરી હતી અને સીતાજીને એ રેખા ઓળંગીને બહાર જવાની મનાઈ ફરમાવી હતી.
કળીયુગમાં આપણા ‘કાબિલે તારીફ’ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ‘કોરોના વાઈરસ’ નામના રાવણથી ય અતિ ભયંકર રાક્ષસ જેવા રોગશત્રુથી બચવાના એક રામબાણ ઉપાય તરીકે આપણને સૌને પોતપોતાના ઘરમાં નમ્રતાભરી  અપીલ કરીને કેદ કર્યા છે. એક ભક્તે તો આના કારણે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું, ‘હે ઈશ્વર ! કોરોના વાઇરસના કારણે આવેલા લોકડાઉનથી ઘરમાં રહેવાને કારણે મારા ૨૧ દિવસ નકામા ગયા છે. તો મને તું એટલા દિવસની જીંદગી એક્સટેન્ડ કરી આપ. ભગવાને એને ટપારતા કહ્યું, ‘અલ્યા, આ ૨૧ દિવસ જ તો તું જીવ્યો છે, બાકી તો જીવનભર તું  ભટક્યો જ છે.’ કોરોનાએ લોકોને વિનાકારણ ઘરની બહાર ભટકતા અટકાવી દીધા છે.
સોશિયલ મીડિયા (વોટ્સ એપ, ટ્વીટર, ફેસબુક,વગેરે) પર જ્ઞાનીઓ કોરોના વિષે અગાધ જ્ઞાન પીરસી રહ્યા છે, એમાં મેં ક્યાંક વાંચ્યું કે વોશિન્ગટન આઈ.એ.એન.એસ. અમેરિકન low કંપની અને ટેક્સાસની એક કંપનીએ ‘કોરોના વાઈરસ’ ફેલાવવા માટે જવાબદાર ગણીને ચાઈના પર વીસ લાખ કરોડ (અધધધ!) નુકસાનીનો દાવો માંડી દીધો છે. પણ ચાઈનાની કોઈપણ પ્રોડક્ટ આટલી લાં....બી ચાલે જ નહિ, એટલે ચાઈના એ માટે કદાચ જ જવાબદાર હોય, એવું મને લાગે છે. જો કે કેટલીકવાર આપણને જે લાગતું હોય તે હમેશા સાચું જ હોય એવું નથી હોતું.        
દોસ્તો, તમને શું લાગે છે ? તમે એક  વાત નોટીસ કરી, કે – ‘આપત્તિના સમયે આપણી એટલે કે માણસ જાતની  ‘સેન્સ ઓફ હ્યુમર’ એટલે કે ‘રમુજવૃત્તિ’ અને ‘ક્રિએટીવીટી’ એટલે કે ‘સર્જનાત્મકતા’ ઘણી જ ખીલી ઉઠે છે ? આ ‘કોરોના વાઈરસ’ નામની મહામારીમાં પણ લોકોએ સોશિયલ મીડિયા એટલે કે વોટ્સ એપ, ટ્વીટર, ફેસબુક, વગેરે પર  વહેંચેલા ફિલોસોફીકલ સંદેશાઓ, ફોટો, કાર્ટુન્સ વગેરે જોતા મને આ વાત સાચી લાગે છે.
દાખલા તરીકે - એક મહાન પરદેશી વૈજ્ઞાનિકે જાહેર કર્યું, ‘અમે એવું મશીન બનાવીશું કે જેમાં એકબાજુથી ‘કોરોના’ નાખો તો બીજી બાજુથી ‘કરીના’ નીકળશે. ભલે તો, કરીનાના ઘરના લોકોને કંઈ વાંધો ન હોય તો અમે શું કામ વિરોધ કરીએ, ખરું કે નહિ ?  એ કોરોના માંથી કરીના બનાવે, કે પછી આલુમાથી સોનું બનાવે, આપણને કેટલા ટકા ? તમારા ચમત્કાર તમે જાણો અને તમારો દેશ જાણે, પણ મારો ભારતદેશ તો હીરાબાના હૈયાના હાર એવા સપૂત શ્રી ‘નરેન્દ્ર મોદી’ ને ઉત્પન્ન કરી શકે, જે અત્યારે આખા દેશની સૌથી જવાબદાર વ્યક્તિ તરીકે ઓળખાય છે.  
એમના પછી જવાબદાર વ્યક્તિ તરીકે બીજો નંબર ડૉકટર, નર્સ, આર્મી, પોલીસ, બેન્કર્સ, સફાઈ કામદારો વગેરે વ્યવસાયિક લોકોનો આવે, એ લોકોને બધા વતી મારા સલામ. એ પછીનો જવાબદાર વ્યક્તિનો ખિતાબ ગૃહિણીને ભાગે જાય છે. કામવાળી નથી, રસોઈયો નથી, પતિ ઓફિસમાં છે (અથવા ઘરે છે, કંઈ ખાસ ફર્ક નથી પડતો), બાળકો ૨૪ કલાક ઘરમાં છે, ઓછી સામગ્રીથી ઘર ચલાવવાનું છે, બહાર ખાવા જવાનું બંધ છે, અને સૌથી દુઃખદાયક વાત એ છે, કે કોઈપણ જાતના ‘સેલ’ માં જવાનું બંધ છે.
પત્ની : મને ૩૦૦૦ રૂપિયા આપોને
પતિ : અત્યારે કોરોનાને લીધે લોકડાઉન છે, બહાર કશે જવાય એમ નથી, ત્યારે તારે આટલા રૂપિયા કેમ જોઈએ છે ?
પત્ની : મારે સાડીઓના સેલમાં જવું છે.
પતિ : ગાંડી થઇ ગઈ છે કે શું ? અત્યારે  વળી કેવું સેલ ? પતિને પત્નીનું માનસિક સંતુલન બગડેલું લાગ્યું.
‘મારી સાથે આવો’ કહીને પત્ની પતિનો હાથ પકડીને બેડરૂમમાં લઇ ગઈ. બેડ પર ‘પ્રાઈસટેગ’ લગાવેલી અને સેલમાં મૂકી હોય તેમ અવનવી સજાવેલી સાડીઓ જોઇને પતિ આભો થઇ ગયો. ‘સ્ત્રીને સમજવી અઘરી છે’ એ વાત એને આજે સમજાઈ ગઈ. ખરેખર સ્ત્રી એ સર્જનહારનું અદભૂત  સર્જન છે, કેમ કે એ પોતે પણ માનવજાતની સર્જક છે. તમે ફેસબુક પર જોયું હશે, કે આવા આપત્તિના સમયે પણ સ્ત્રીઓ પોતાનો સાડી પહેરેલો ફોટો અપલોડ કરીને પોતાની બીજી સહેલીઓને પણ એમનો સાડી પહેરેલો ફોટો શેર કરવાની ચેલેન્જ આપે છે.
અને પુરુષો ? ખાસ કરીને ઘરમાં ઓછું ટકનારા અને બહાર વધારે ભટકનારા પુરુષો આ લોકડાઉનથી વ્યથિત થઈને   બળાપો વ્યક્ત કરે છે,  *યાર, આજકાલ જીવન આદિમાનવના જીવનમાં તબદીલ થઇ ગયું છે.ખાવાનું-પીવાનું-સુવાનું અને ઘર નામની ગુફામાં રહેવાનું. કોઈ વસ્તુ લેવા ઘરની બહાર જઈએ  તો શિકાર કરવા જતા હોય એવી ફીલિંગ આવે છે.  *યાર, ટ્રેનમાં મુસાફરી કરતા હોય એવી ફીલિંગ આવે છે, ટોયલેટ જવા ઉઠવાનું અને આવીને પાછા પોતાની જગ્યાએ બેસી જવાનું. *યાર, ઘરમાં આઇસોલેટેડ થઈને બેઠાબેઠા ખાઈએ છીએ એમાંને એમાં, પેન્ટ અને શર્ટના ગાજ અને બટનમાં અઈસોલેટેડ થવાની સ્પર્ધા થઇ જશે એમ લાગે છે. *યાર, સવારથી ત્રણ વખત ખાઈ ચુક્યો છું, બે વખત સુઈને ઉઠ્યો છું, છતાં હજી સુધી બપોર જ થઇ છે, વગેરે વગેરે. કેટલાક સંત પ્રકૃતિ ધરાવતા પુરુષો એમ પણ કહે છે કે – Who says ‘Nothing is Impossible ?’ from past few days   I am doing Nothing   and trust me   ‘It is Possible.’ 
‘કોરોના વાયરસ’ ના આ કાળ એટલે કે સમયમાં ‘બિગબોસ’ નામના ટી.વી.પ્રોગ્રામની યાદ આવે છે. જેમાં થોડા થોડા દિવસોના અંતરે બોસ આવીને ઘરના સભ્યોને  એકાદ ‘ટાસ્ક’ આપીને જતા રહે છે. એમ આપણા પ્રાઈમ મીનીસ્ટર મોદીજી અમુક અમુક દિવસે આવીને, એક રવિવારે ‘ઘંટડી, શંખ કે થાળી વગાડવાનું’ કામ સોંપી જાય છે, તો એકાદ રવિવારે ‘ઘરની લાઈટ બંધ રાખીને દીવડા પ્રગટાવવાનું’  કામ સોંપી જાય છે. ભલે, બોસે સોંપેલું કામ કરજો, પણ કોઈ બહેન સફેદ સાડી પહેરીને હાથમાં મીણબત્તી લઈને અંધારામાં ચાલશો નહિ, બીજું તો કંઈ નહિ પણ  નાહક ઘરના લોકો ડરી જાય. પણ અહી એક વાત ધ્યાનમાં રાખજો, કે રવિવારે માત્ર ‘દિવાળી’ જ ઉજવવાની છે, સોમવારે’ બેસતું વરસ’ સમજીને બધાને ‘સાલ મુબારક’ કરવા નીકળવાનું નથી, નહીતર સમજી લેજો, તમારુ ‘બેસણું’ પણ નહિ થાય.
બાકી ભારતના લોકોમાં ડહાપણની તો જરાય કમી નથી. એકેએક જીવમાં ફિલસૂફ સમાયો છે.  *આજે છુટા રહીશું તો કાલે ભેગા થઈશું, પણ અત્યારે ભેગા થઈશું તો હમેશ માટે છુટા પડી જઈશું. *આ સિઝનમાં કેરી ખાવાની ઈચ્છા હોય તો ચુપચાપ ઘરમાં જ રહેજો, નહીતર એવા હાલ થશે કે કોઈ સગું વહાલું ખબર પૂછવા પણ નહિ આવશે. *વેન્ટીલેટર કરતાં સારું છે - માસ્ક, આઈ.સી.યુ. કરતાં સારું છે – ઘર, જીંદગીથી હાથ ધોવા કરતાં સારું છે – સાબુથી હાથ ધોવા. ....પછી તો જેવી તમારી મરજી.  * Please ISOLATE – before you regret – why ‘I – SO –LATE ?
મારી એક ફ્રેન્ડ તો ‘કોરોના વાયરસ’ અને એને લીધે થયેલા ‘લોકડાઉન’ થી એટલી બધી ઉશ્કેરાઈ ગઈ કે મને ફોન કરીને બોલી, ‘જો મોદીજી મને એકવાર ચાઈના જવાની પરમીશન આપેને તો હું એ ચીનીયાઓને બતાવી દઉં કે –ખાંડવી, ઢોકળા, ખમણ, દાળઢોકળી, સમોસા, પાત્રા કઈ રીતે બનાવીને ખવાય. માળાઓ સાપ, ઉંદર, ચામાચિડિયું જે હાથ લાગ્યું તે ગળચે છે.’ ખરેખર તો આપણે ચાઈનાની પિચકારી અને ફટાકડા બંધ કરાવવાનું વિચારેલું, પણ ચાઈનાએ તો આપણા દાબેલી, વડાપાઉં, ફાફડા, સમોસા...આખું ભારત સુધ્ધાં બંધ કરાવી દીધું. 
એ વાત સાચી છે કે ‘આપણી પાસે ચાઈના જેવો પાવર નથી, ઇટાલી જેવી મેડિકલ ફેસીલીટી નથી, અમેરિકા જેવી એટમિક શક્તિ નથી, પણ એ વાત પણ એટલી જ સાચી છે કે – આખી દુનિયાના કોઈ પણ દેશ પાસે આપણી પાસે છે એવા પ્રધાનમંત્રી મોદીજી નથી.આપણા માટે એ સૌથી મોટા સદભાગ્યની વાત છે. આજે બધા જ કહે છે, ‘મોદીજી હૈ તો મુમકીન હૈ.’ જો કે હવે જ્યારે જ્યારે સાંભળવા મળે છે કે – મોદીજી આજે ટી.વી. પર રાષ્ટ્રજોગ સંદેશ આપવાના છે, ત્યારે  સાચું કહું છું, દિલના ધબકારા બહુ તેજ થઇ જાય છે, ‘હવે મોદીજી શું બંધ કરાવશે ?’ એ વિચારે.  
આપણે આખી દુનિયાને ‘હેન્ડશેક’ કરવાને બદલે ‘પ્રણામ’ કરતાં શીખવ્યું. તો પશ્ચિમના દેશોએ આપણને કામવાળાને બદલે જાતે કામ કરવાનું શીખવાડ્યું. પુરુષોએ ઘરકામ શીખવાનું બાકી રહ્યું હતું તે પત્નીએ શીખવીને પૂરું કર્યું,     પતિ (પત્નીને) : પ્રિયે મને શીતલ જલ આપોને. પત્ની (પતિને) : આર્યપુત્ર, આપ પોતે જાતે જલ ગ્રહણ કરો, આ ઘરવાસ છે, વનવાસ નથી. દોસ્તો,  ‘લોકડાઉન ઉઠી જશે પછી તમે કોને તમારા ઘરમાં આવનાર પ્રથમ વ્યક્તિ તરીકે ઇચ્છશો ?’ એમ પૂછતાં ૮૦% સ્ત્રીઓએ જવાબ આપશે ‘અમારી કામવાળીને’ અને ૧૦૦% પુરુષો પણ આ જ જવાબ આપશે, એવું મને લાગે છે.   
વાઇરસને કારણે આપેલા લોકડાઉન ને સહ્ય બનાવવા દૂરદર્શને ટી.વી.સીરીયલ ‘મહાભારત’ અને ‘રામાયણ’ નું પુન: પ્રસારણ શરુ કર્યું છે. ત્યારે કદાચ એવું પણ બંને કે – પુરુષો ઓફિસે જવાનું શરુ કરશે, ત્યારે બોસને ઓફિસમાં એન્ટર થતા જોઇને તેઓ બોલી ઉઠશે, ‘મહારાજ ની જય હો !’
આ ‘કોરોના વાઈરસ’ નું ‘લોકડાઉન’  જાહેર થયું તે પહેલાની વાત છે. દીપેશ એક દિવસ ઓફિસેથી ઘરે આવ્યો. સામાન્ય રીતે બંધ રહેતો ઘરનો મુખ્ય દરવાજો આજે ખુલ્લો જોઇને એને નવાઈ લાગી. એ ઘરમાં દાખલ થયો ત્યારે એણે જોયું તો પોતાના બંને પુત્રો એકબીજા સાથે લડી રહ્યા હતા, એણે કિચનમાં જઈને જોયું તો ફર્શ પર નાસ્તો વેરાયેલો હતો અને સિન્કમાં એંઠા વાસણો પડ્યા હતા. પેસેજમાં વોશિંગ મશીન પર મેલા કપડાઓ અસ્તવ્યસ્ત પડ્યા હતા. એણે પોતાના બેડરૂમમાં જઈને જોયું તો એની પત્ની દીપા પલંગમાં આડી પડીને ટી.વી. પર ‘મહાભારત’ સીરીયલ જોતી હતી. એણે ગુસ્સે થઈને પૂછ્યું, ‘આ બધું શું છે ?’ દીપાએ હસીને કહ્યું, ‘તમે રોજ મને પૂછો છો ને કે આખો દિવસ તું ઘરમાં કરે છે શું ?’ ‘હા, તો ?’ દીપેશને કંઈ સમજાયું નહિ. ‘તો હું રોજ જે કરું છું તે આજે નથી કર્યું, બસ.’
ભગવાન રામને ‘વનવાસ’ થયો, પાંડવોને ‘અજ્ઞાતવાસ’ થયો, અને માણસજાતને ‘કોરોનાવાસ’ એટલે  ‘ઘરવાસ’ થયો. એનાથી પુરુષોના સ્ત્રીઓને માટે વર્ષોથી પેન્ડીંગ પડેલા પ્રશ્ન ‘તું આખો દિવસ ઘરમાં કરે છે શું ?’ નો જવાબ એમને મળી ગયો. દોસ્તો, તમે જ કહો, ‘આ ઉપલબ્ધી કંઈ  નાનીસુની છે?                            

No comments:

Post a Comment