Wednesday 30 May 2018

યે ક્યા હુઆ ? કયું હુઆ ?


યે ક્યા હુઆ ? કયું હુઆ ?                           પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

૮ નવેમ્બર, ૨૦૧૬ ના દિને, રાત્રે ૮ વાગ્યે, ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ  એક ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો : ‘આજે રાત્રી ના ૧૨ વાગ્યા થી ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો ચલણ માંથી નાબુદ કરવામાં આવે છે.’ ‘એટમબોમ્બ’ ના વિસ્ફોટ સમાન આ સમાચાર સાંભળીને લોકો પહેલા થોડે ઘણે અંશે મૂર્છિત થયા, પછી મૂર્છામાંથી બહાર આવ્યા એટલે પાસે પડેલી આવી નોટોનું શું કરવું તેની વેતરણ માં પડ્યા.
મીનુ: તમે ઓફિસેથી આવી ગયા ? જમવાનું તૈયાર જ છે, હાથ મોં ધોઈ લો, એટલે થાળી પીરસું.
મનીશ: તું હાથ મોં ધોવાની વાત કરે છે, અહી તો નાહી નાખવાના દિવસો આવ્યા છે.
મીનું: કેમ શું થયું ?
મનીશ: ટીવી નથી જોતી ? ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ્સ ચલણમાથી નાબુદ થઇ ગઈ છે, જમવાનું મુક બાજુએ, જેટલી પણ  ૫૦૦ – ૧૦૦૦ ની નોટ પડી હોય તે ફટાફટ કાઢ, અમર (મોટો દીકરો) ને  બેન્કના એટીએમ માં પૈસા ભરવા મોકલીએ, પ્રીતિશ (નાનો દીકરો ) ને કહે, પેટ્રોલ પંપ પર જઈને વારા ફરતી બંને કારની ટેંક ફૂલ કરાવી આવે. અને આપણે બંને પહેલા જવેલર્સ ની દુકાનમાં જઈને ગોલ્ડ – ડાયમંડ જ્વેલરી ખરીદી લઈએ અને પછી ‘બીગ બજાર’ ૧૨ વાગ્યા સુધી ચાલુ છે, ત્યાં જઈને જેટલી  ખરીદી શકાય એટલી ઘરવપરાશની ચીજો  ખરીદી લઈએ, ૫૦૦ – ૧૦૦૦ ની જેટલી નોટ ઓછી થઇ એટલી સાચી.
મોદીજી એ  એ વખતે ૫૦ દિવસ સુધી, દરેક બેન્ક અને પોસ્ટ ઓફિસમાં માં ફોર્મ ભરીને આઈડી પ્રૂફ આપીને ૪૦૦૦ સુધીના મૂલ્યની ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ  બદલાવી શકાય એવી વ્યવસ્થા રાખી હતી, એટીએમ થી ૨૦૦૦ રૂપિયા ઉપાડવાની સગવડ રાખી  હતી. ચેકથી  દિવસમા ૧૦૦૦૦ અને એક અઠવાડિયામા ૨૦૦૦૦ ઉપાડી શકાય એવી ગોઠવણ કરી હતી,  આ ઉપરાંત રદ થયેલી જૂની નોટો બેંકમાં અનલીમીટેડ માત્રામાં ભરવાની છૂટ હતી. આમ પાછા મોદીબાપા દયાળુ પણ ખરા, શિયાળા માં જ આ ‘ડામ’ દીધો હતો,  જો એમણે ઉનાળે ‘લાલ’ કરી હોત તો કલાકો ના કલાકો લાઈનમાં ઉભા રહેવાથી લોકોના શું હાલ હવાલ થાત?
તે વખતે એક ઝૂંપડીમાં જોવા મળેલું દ્રશ્ય : 
છનો: સવલી, જલદી ટીફીન આપ, નઈ તો તાં બેન્કની બાર લાઈન વધી જહે.
સવિતા: મને હંધીય ખબર સે, ટીફીન  તીયાર  જ રાઈખું સે, પણ ઊ હું કેતી ઉતી કે આજે લાલ પાટીયા  વારી  બેંકની બાર ઉભા રેવાને બદલે ભૂરા પાટીયા વારી બેંકની બાર ઉભો રેજે,  હાંભર્યું  સે કે તાં રૂપિયા બદલાઈ આલવાના હો(સો) રૂપિયા વધારે મલતા સે, તણહો ની જગાએ ચારહો  રૂપિયા મલહે.
ભગવાન સત્યનારાયણની કથામાં એક પ્રસંગ આવે છે, વેશ બદલીને ભગવાન વૈશ્ય વણિકને પૂછે છે, ‘તારા વહાણમાં શું ભર્યું છે ?’ વૈશ્યવણિક કહે  છે, ‘એમાં ફૂલ પત્તી છે.’ ભગવાન કહે છે, ‘તથાસ્તુ’.  અને વહાણમાં રાખેલ સઘળું ધન, ફૂલ પત્તી થઇ જાય છે. નોટબંધીના ત્રણ મહિના પહેલા પ્રધાનમંત્રી મોદી સાહેબે પ્રજાને પૂછ્યું હતું, ‘તમારી તિજોરીમાં શું છે ? કાળું નાણું હોય તો જાહેર કરીને ટેક્ષ  ભરી દો.’ પણ કેટલાક લોકોએ કહ્યું, ‘એમાં તો ખાલી કાગળીયા જ છે.’ મોદી સાહેબે કહ્યું, તથાસ્તુ’. અને કાળાબજારીયાઓનું ધન કાગળ થઇ ગયું,  હવે શું થાય ? (ચોર ની મા કોઠીમાં મોં નાખીને રડે)
નોટબંધી વખતે ઘર ઘરમાં આવા દ્રશ્યો જોવા મળતા :
મુન્નો : પપ્પા, ૬૦૦ રૂપિયા આપોને.
પપ્પા : તારે છસ્સો રૂપિયા શું કામ જોઈએ છે ?
મુન્નો : ચાર્જર લેવું છે.
પપ્પા : તારો બાપો ચાર કલાક લાઈનમાં ઉભો રહ્યો ત્યારે માંડ માંડ ચાર હજાર મળ્યા છે.
મુન્નો : પપ્પા, ધીસ ઈઝ અનફેર. તમે બે દિવસ પહેલા જ મમ્મીને બે લાખની સોનાની ચેન અપાવી અને મને છસ્સોનું ચાર્જર અપાવતા નથી.
એક તરફ આ ’ફેર’ અને ‘અનફેર’ ની ચર્ચાઓ ચાલી હતી,  પણ છેક  એવું નહોતું  કે જેમની પાસે  બેનામી – બેહિસાબ નાણું છે તેઓ જ ત્રસ્ત થયેલા હતા. સામાન્ય માણસ (કોમન મેન),  વૃદ્ધ, અપંગ, અભણ અને જેના ઘરમાં લગ્ન નજીક હતા એવા લોકો પણ આ લાઈનમાં ઉભા રહેવાના, ‘unproductive  work’  ને લીધે પડતી તકલીફો ના કારણે બહુ ગુસ્સે થયેલા હતા. (એમાંના કેટલાકનો ગુસ્સો તો હજી ઉતર્યો નથી, એ લોકો તક મળે ત્યારે એટલે કે ચુંટણીટાણે પોતાના એરીયામાં ‘નેતાબંધી’ કરવાનો નિર્ણય લઈને બેઠા છે.)
એકબાજુ નોટબંધીની કાગારોળ અને  બીજી બાજુ સોશિયલ મીડિયામાં તે વખતે વહેતા થયેલા રમુજ પ્રિય સંદેશાઓ માંથી કેટલાક માણવા જેવા છે. ‘મારી ડાળખીમાં એક પણ પાંદડું નથી, મને પાનખરની બીક ન બતાવશો’ એ પંક્તિ જ બતાવે છે, કે કવિની પાસે એક પણ નોટ રૂપિયા ૫૦૦ કે ૧૦૦૦ની નથી. એક પ્રેમી શાયરે પોતાની મુશ્કેલી જણાવતા કહ્યું, ‘મુદ્દતો બાદ વો મીલી ભી તો બેન્કમે, બતાઓ મુહબ્બત કરતે  કી  નોટ બદલતે ?’
છગન: મારી સાથે પંગા લીધા છે તો તારી ખેર નથી.
મગન: જા જા, હું કઈ તારાથી ડરતો નથી, બોલ, શું ઉખાડી લઈશ તું ?
છગન: તારા બેન્કના ખાતામાં ૫ લાખ રૂપિયા ભરી દઈશ.
મગન: સોરી યાર, ગુસ્સો થુકી દે, ચાલ ક્યાંક બેસીને એકાદ બે પેગ લગાવીએ.
મુશ્કેલીમા પણ હસતા રહેવાનું અને કટોકટી ના કપરા કાળમાં રમુજ અને હસી મજાક કરતા રહેવાનું ભારતીય પ્રજાના લોહી માં વહે છે. તે વખતનો એક સંદેશ છે : ‘નોટ બદલવામાં જનતાને આટલી તકલીફ પડે છે, તો દેશ બદલવામાં પ્રધાન મંત્રીને કેટલી તકલીફ પડતી હશે ?’ આપણને શું ખબર ? એ તો બીજાના જુતામાં આપણે પગ નાખીને જોઈએ તો જ ખબર પડે કે એ ક્યાં અને કેટલો ડંખે છે.
લોકોને એ  જાણવું  હતું  કે આજ સુધી કોઈ  મોટા માથાઓ (સાંસદો, રાજકારણીઓ, બિલ્ડરો કે ઉધોગપતિઓ) જૂની નોટો બદલવા લાઈનમાં કેમ નહોતા ઉભા રહ્યા ? ‘તોડ’ કરવાની એમની કુનેહ પર કોઈને સંદેહ નથી. ત્યારે પ્રશ્ન એ છે કે ખરેખર આ પગલું ભરવાથી આજે કે ભવિષ્યમાં કાળા નાણા અને નકલી નોટો  દુર થશે ? ભ્રષ્ટાચાર અને આતંકવાદ નાબુદ થશે ? એની તો ખબર નથી, પણ તે વખતે કાશ્મીરમાં ‘પથ્થરબાજી’ તો બંધ થઇ જ ગઈ હતી.
જૂની નોટ બદલી કરાવનાર, જમા કરાવનાર, કે પૈસા ઉપાડનાર, તમામ ને  તે વખતે તકલીફ તો ઘણી જ પડી  હતી, અને આ બદલાવ નો ફાયદો પણ કોને અને કેટલો થશે તે તો હમણા કહી શકાય એમ નથી, પણ હાલ કહેવું હોય તો એટલું જ કહી શકાય,  : Keep Patience,  Country is Under ‘Modi’fication.’

No comments:

Post a Comment