Sunday 5 June 2016

માણસ ધારે એ કરી શકે?

માણસ ધારે એ કરી શકે?       પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

મેં ઘણીવાર સાંભળ્યું છે કે, ‘મનુષ્ય ધારે એ કરી શકે.’ વાચક મિત્રો, શું આ વાત તમને સાચી લાગે છે? મને તો એ વાત ક્યારેય સાચી નથી લાગી. બહુ ભાગ્યે જ આપણે આપણુ ધારેલું કરી શકીએ છીએ. મોટે ભાગે તો આપણે બીજાનું ધારેલું જ કરવું પડતું હોય છે.
ધીરુભાઈ અંબાણીનું એક સરસ વાક્ય અહી યાદ આવે છે, ‘If you Don’t build your Dream, Someone else will hire you to help them build theirs’  મતલબ કે તમે પોતે તમારા સ્વપ્ના ચણશો નહિ તો બીજા એમના સ્વપ્ના ચણવામાં તમને નોકરીએ રાખી લેશે.’ એટલે ભલે ધારેલું કરી શકીએ કે નહિ, ધારવું તો જોઈએ જ. હવે વાત કરીએ ધારેલું કરી શકીએ કે નહિ એ વિશે.

શિક્ષક: રાહુલ, તારા પપ્પા શું કરે છે?
રાહુલ: મારી મમ્મી જે કહે તે.  

ખેર! આ તો એક જોક થઇ. પરંતુ ઘણા લેખકો લખે છે કે ‘સ્ત્રી જ્યારે પિયરમાં  હોય છે ત્યારે એણે એના પિતાજીનું કહ્યું કરવું પડે છે, પરણે ત્યારે પતિનું કહેલું કરવું પડે છે, અને માતા બન્યા પછી દિકરો કહે તેમ કરવું પડતું હોય છે.’
મને લાગે છે કે, નસીબ જોગે  કોઈક વખતે ભલે આપણે આપણું ધારેલું કરી શકતા હોઈશું, પણ મોટેભાગે તો આપણે જે કાર્યો ન કરવા ધાર્યા હોય તે જ કરવા પડતા હોય છે. આપણે સાવ આવડા અમથા (અંગુઠા જેવડા?) નાના નાના હોઈએ ત્યારથી આ નિયમ લાગુ પડે છે.
આપણો જન્મ થાય અને આપણને રમાડવા આવનાર કોક બહેન આપણી મમ્મીને કહે, ‘લ્યો, આ વખતે તો અમને એમ હતું કે તમને બાબો જ આવશે, પણ તમે તો બેબલીને લઇ આવ્યાં.’ કેમ જાણે આપણા માતા પિતા એમની ઈચ્છાનો અનાદર કરીને આપણને બજારમાંથી વેચાતા ન લઇ આવ્યા હોય!

આપણે ધારીએ કે ઘરમાં હવે કોઈ મહેમાન નથી તો શાંતિથી એક ઊંઘ ખેંચી કાઢીએ. પણ ત્યા જ કોઈ રમાડવા આવનાર ટપકી પડે અને આપણને પરાણે આપણા પ્રિય એવા ઘોડીયામાંથી બહાર ખેંચી કાઢી  રમાડવા લાગે. પછી આપણે જોર જોરથી ભેંકડો તાણીને વિરોધ નોંધાવીએ ત્યારે જરાક છોભીલા પડીને આપણને પાછા  ઘોડિયામાં મુકે.
આપણે જરાક મોટા થઈને ઘૂટણીયા કરતા હોઈએ ત્યારે કેટકેટલી મનમોહક અને આકર્ષક ચીજ વસ્તુઓ આપણી આજુબાજુ પડી હોય. જેને જોવાનું અને લેવાનું આપણને કુતૂહલ થાય. પણ જેવા આપણે એ ચીજ કે વસ્તુ લેવા જઈએ એટલે કોઈ પણ વડીલ , ‘ના બેટા, તારાથી એ ન લેવાય હોં ’ કરતા આવીને ક્યાં તો આપણને ઊંચકી લેશે અથવા તો પેલી ચીજ લઈને આપણો હાથ ન પહોંચે એમ ઊચે મૂકી દેશે.

અરે, સાવ મફતમાં મળતી ચીજો, જેવી કે – ઈંટ, ચૂનો, માટી, રેતી, ચોક..વગેરે પણ આપણે લેવા કે ખાવા ધારીએ તો વડીલોની જોહુકમી સામે ખાઈ શકીએ છીએ ખરા? અને કદાચ ક્યારેક એમની નજર ચુકવીને ખાઈ પણ લઈએ તો એ લોકો ઈર્ષાવશ આપણને ફટકારવાના જ. ખેર, માવતર કમાવતર થાય, આપણાથી ઓછું કઈ એવું થવાય?
નવાઈ તો ત્યારે લાગે છે કે જ્યારે આપણને સ્કૂલમાં દાખલ થવાનો જરાય ઉત્સાહ ન હોય. તો પણ એ લોકો કેટકેટલી દોડધામ કરીને, ધમાચકડી મચાવીને આપણને સ્કૂલમાં દાખલ કરે ત્યારે જ જંપે. એટલું તો ઠીક, જાણે સમજ્યા, એ લોકો એ લોકોની ફરજ બજાવે, ને આપણે પણ એમનું માન  અને મન રાખવા સ્કુલે જઈએ.
પણ રોજે રોજ? કોઈ વાર તો આપણું ધારેલું પણ થવું જોઈએ કે નહિ? આપણે પણ પછી તો સ્કુલે ન જવા માટે ‘પેટમાં દુખે છે કે માથું દુખે છે.’ નું બહાનું કાઢીએ પણ જાલિમ વડીલો આપણું એક પણ બહાનું ચલાવી ન લે અને દવા પીવડાવીને પણ આપણને સ્કુલમાં ધકેલે ત્યારે જ જંપે.

આપણા ટીચર ધારે તો  હોમવર્ક ન આપીને કે ઓછું આપીને આપણને રમવાનો સમય ફાળવી શકે. પણ ના – ‘ખેલકૂદ થી તન્દુરસ્તી વધે.’ એ તો ફક્ત સાંભળવાનું જ. હોમવર્ક આપવામાં તો ટીચર ‘વેરીને પણ વહાલા’ કહેવડાવે એવું વર્તન કરે છે. પણ આપણે એમની સામે કઈ પગલા લઇ શકીએ છીએ? હોમવર્ક તો પતાવ્ય જ છૂટકો.
લેસન માંડમાંડ  પતાવીને આપણે રમવા છટક્યા હોઈએ અને ધાર્યું હોય કે , ‘આજે તો મદનીયાને પચ્ચી- પચ્ચા લાખોટીથી હરાવીએ ત્યારે જ સાચા’ પણ માંડ દસ બાર લખોટી જીત્યા હોઈએ ત્યા જ મમ્મીની જમવા માટે બુમ પડે. થોડીવાર તો એ બુમને આપણે ગણકારીએ નહિ, પણ છેવટે મમ્મી આવીને આપણને કાન ખેંચીને ઘરે લઇ જાય ત્યારે આપણી ધારણાનું તો કસમયે મૃત્યુ જ થાય ને?

જેમ જેમ આપણે મોટા થતા જઈએ તેમ તેમ આપણું ધારવાનું વધતું જાય, અને તેથી ધારેલું ન કરી શકવાની શક્યતાઓ પણ વધતી જાય. ઉનાળાની ગરમી માં આપણે રોજ બરફનો ગોળો, છીણ કે આઇસક્રીમ ખાવા ધારીએ. પણ મમ્મી કહેશે, ‘ન ખવાય, ગળું બગડી જાય’ કે પછી ‘શરદી થઇ જાય’ નાના ભાઈને પારણામાં સૂતેલો જોઇને આપણને પણ ક્યારેક પારણામાં સુવાની ઈચ્છા થઇ જાય. પણ એમ કઈ મમ્મી સુવા દેવાની છે?
અરે! નાના હોઈએ ત્યારની વાત તો છોડો, મોટા થઈને ય આપણે આપણું ધારેલું કરી શકીએ છીએ ખરા? કોક દિવસ આપણે ધારીએ કે , ‘આજે તો મસ્ત મજાનું ભોજન જમીને સુઈ જ જવું છે.’ છતાં પણ ઓફિસે જવું જ પડે છે ને? રજાના દિવસે આરામ કરવાનું ધાર્યું હોય ત્યારે જ મહેમાનો આવી ચઢે છે, અને એમને લઈને એમના કામે જવું જ પડે છે ને?

જે સગાંઓને ‘વહાલા’ કરીને રાખવાનું મન હોય તે જ નાની અમથી વાતમાં વાંકુ પાડીને દૂર થઇ જાય ત્યારે આપણી ધારણા તો વરાળ જ થઇ જાય ને? આવી તો કેટકેટલી ધારણાઓની વરાળ દિલમાં ધરબીને આપણે જીવીએ છીએ, તે છતાં પણ જીવન મધુરું લાગે છે ને? વાચક મિત્રો , તમે તમારું ધારેલું કરી શકો એ માટે શુભકામના! 

No comments:

Post a Comment