Wednesday 11 July 2018

જેવી મારા વહાલાની ઈચ્છા.


જેવી મારા વહાલાની ઈચ્છા.    પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

પલ્લવીબેન, આ તમને યોગ્ય લાગે છે ખરું ?’ અમારા પાડોશી હેમાબેને મને અચાનક પૂછ્યું.
 તમે શાની વાત કરો છો, હેમાબેન ? મેં કંઈ અયોગ્ય કામ કર્યું છે ?’ મેં ઘભરાઈને પૂછ્યું.
 હું તમારી વાત નથી કરતી.એમણે સ્પષ્ટતા કરી.
 તો ઠીક.એમનો જવાબ સાંભળીને મારો જીવ હેઠો બેઠો.
 શું ખાક ઠીક ? હું આ દસ નંબરવાળા વત્સલાબેનની વાત કરું છું.
 કેમ, એ દસ નંબરવાળા તમને જેમ તેમ સંભળાવી ગયા ?’
 ના રે ના. એમ કોઈ મને જેમ તેમ સંભળાવી જાય અને હું ચૂપ બેસું એવું તમને લાગે છે ?’
લાગતું તો નથી. પણ તો પછી દસ નંબરવાળાની શું વાત છે ?’ 
તેમણે સોસાયટીમાં દેરાસર બંધાવ્યું છે તેની વાત કરું છું, શું એ વાત યોગ્ય છે ?’ 
દેરાસર તેમણે આપણી સોસાયટીના કોમન પ્લોટમાં બંધાવ્યું  છે ?’
 ના. 
 તો પછી તમારી માલિકીના પ્લોટમાં બંધાવ્યું છે ?’
 ના, તમે પણ શું પલ્લવીબેન ? એ તો એમના પોતાના ઘરના આગળના વરંડાના ભાગમાં દેરાસર બંધાવ્યું છે.
તો પછી એમાં તમને શું વાંધો છે ?’ 
તમે જરા વિચારો, દેરાસરના કારણે  સોસાયટીની બહારના લોકો પણ દર્શન કરવા આવશે કે નહીં ?’
હા, એ તો આવે તો ખરાં જ ને ?’
તો પછી આપણી સોસાયટીમાં ન્યૂસન્સ વધશે કે નહીં ?’
 શાનું ન્યૂસન્સ ?’ 
કેમ, દર્શન કરવા આવનાર લોકો બધા કંઈ એકસરખા થોડા જ હોવાના ? એમાં કોઈ ખરાબ પણ  હોઈ શકે કે નહીં ?’
હેમાબેન, મંદિરો અને દેરાસરોમાં દર્શનાર્થે આવતાં લોકો મોટે ભાગે દીન દુખિયા કે ધર્મભીરુ જ હોવાના, તેઓ કોઈ ન્યૂસન્સ ફેલાવે એવું મને તો લાગતું નથી.
મને હતું જ કે તમે આવું જ કહેશો. ચાલો, માની લીધું કે તેઓ સારા જ હશે, પણ પછી સોસાયટીમાં પાર્કિંગનો પ્રોબ્લેમ ઊભો થશે એનું શું ?’ 
હા, તમારી એ વાત સો ટકા સાચી છે હોં,  આપણે એ માટે દસ નંબરી વત્સલાબેનને કહી દઈશું કે તેઓ દર્શનાર્થીઓને સૂચના આપી રાખે કે  - પોતાના વાહનો સોસાયટીની બહાર મૂકીને આવવું,  બરાબર ?’ 
બરાબર, તમે એમને ભાર દઈને આ વાત કહેજો.
ભલે, હું કહી દઈશ, બીજું કંઈ ?’ 
‘પલ્લવીબેન, તમે કયો ધર્મ પાળો છો ?
માનવતા નો ધર્મ.’ 
‘એટલે હિંદુ ધર્મ જ ને ?
‘તમને જૉ એમ લાગતું હોય કે હિંદુ ધર્મ માનવતાવાદી છે તો એમ જ.’ 
‘પણ તમે કયા ભગવાનમાં માનો ?
‘એ તો કંઈ નક્કી નહીં.’
‘એટલે ? 
‘એટલે એમ કે –  હું કોઈવાર મહાદેવજીનું  મૃત્યું જય મહાદેવ ત્રાહિમામ શરણાગત એવું  શિવ સ્તોત્ર બોલું, સવારે યોગાસન કરતી વખતે અંબામાતા ની આરતી, જય આધશક્તિ મા જય આધશક્તિ  બોલું, કોઈ વાર મનોહારી કૃષ્ણ ભગવાનને યાદ કરીને શામ રંગ રંગા રે હરપલ મેરા રે ગાઉં, જરૂર પડ્યે  મહાલક્ષ્મીમાતાને, ઓમ રીમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમ: કહીને યાદ કરું અને આવા લેખો લખતી વખતે તો હું મા સરસ્વતીની આરાધના, યા કુન્દેંન્દુ  તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રા વૃતા ગાઉં, રોજ સવારે ઊઠતાં વેંત હું મારા હાથના દર્શન કરી, કરાગ્રે વસતુ લક્ષ્મી, કરમૂલે તુ સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ બોલીને બધા ભગવાનનો આભાર માની લઉં. મંદિર ઉપરાંત અગિયારી, ચર્ચ, ગુરુદ્વારા કે મસ્જિદમાં પણ હું ક્યારેક તો ગઈ જ છું.’ હું એકીશ્વાસે બોલી ગઈ.
‘લો, તમને તો મેં જરા અમસ્તું - કેમ છો ?  પૂછ્યું ને તમે તો આખી કથા સંભળાવી દીધી.’ હેમાબેન કંઇક નારાજગી સાથે બોલ્યા.
‘સોરી હોં, મેં તમને બોર કર્યા.’
‘ઇટ્સ ઓકે. ચાલે કોઈક વાર એવું. પણ તો ય તમે મને કહ્યું નહીં કે તમે કયા પંથમાં માનો છો ?
 ‘હું તો પ્રગતિ ના પંથ માં માનું છું. કાયદાના દાયરામાં રહીને, સદમાર્ગે ચાલીને જીવનમાં પ્રગતિ થાય એજ મારો ધર્મ.  હેમાબેન, સાચું કહું તો,  ધર્મ અને રાજકારણ, આ બે બાબતમાં બહુ બોલવા જેવું જ નથી.’  
‘પણ તમે જોજો, લોકો આ બે બાબતમાં જ બહુ બોલતાં હોય છે, છાપાઓમાં પણ આવા જ લેખો બહુ છપાતા હોય છે. અને તમે જોશો તો લોકોને એ બાબતમાં સાંભળવાની અને વાંચવાની પણ બહુ મઝા આવતી હોય છે.’
‘હા, એ વાત સાચી. રસ પડે તો જ લોકો  છાપા વાંચે ને ? અને લોકો છાપા વાંચે તો જ છાપાવાળાનું સરક્યુલેશન વધે ને ? પણ તમે ચિંતા ન કરો, હું  દેરાસર બાબતમાં દસ નંબરવાળા સાથે વાત કરી લઈશ.’
આમ હેમાબેન સાથેનું મારું દેરાસર પુરાણ તો પત્યું. અમને દેરાસરે દર્શન કરવા આવતા માણસોનું વર્તન કે એમના વાહનોના  પાર્કિંગનો પ્રશ્ન તો ન નડ્યો. પણ એક બીજી જ મુસીબત ઉભી થઈ. દસ નંબરવાળા વત્સલાબેન સવાર સાંજ ઘંટ વગાડતાં તે એવી ખરાબ રીતે વગાડતાં કે સાંભળનારા બધાંજ ડીસ્ટર્બ થતાં હતાં. છેવટે હેમાબેન અને મારા અભ્યાસુ દિકરાના કહેવાથી એકવાર એમના ઘરે જઈને મારે વાત કરવી જ પડી.
‘વત્સલાબેન, તમે તમારા ઘરના આંગણમાં દેરાસર બનાવ્યું છે, અને પૂજા અર્ચના કરો છો એનો આનંદ છે, પણ તમે સવાર સાંજ આ ઘંટ વગાડો છો એનાથી બધાં ડીસ્ટર્બ થાય છે.’
‘હું તો સવાર – સાંજ આરતી ટાણે માત્ર પાંચ પાંચ મિનિટ જ ઘંટ વગાડું છું.’
 ‘હા, પણ ત્યારે મારો પણ પ્રાર્થના અને ધ્યાનનો સમય હોય છે. હેમાબેનના દિકરાને બારમાની બૉર્ડની એક્ઝામ છે અને મારા દિકરાને સીએ ની એક્ઝામ આપવાની છે. તમારા ઘંટનાદ થી  અમે બધાં જ ડીસ્ટર્બ થઈએ છીએ.’
‘માત્ર પાંચ મિનિટમાં વળી શું ડીસ્ટર્બન્સ થાય ? 
‘તમે સમજવાની કોશિશ કરો વત્સલાબેન. અભ્યાસ અને ધ્યાન,  બન્નેમાં લીંક તૂટી જાય તો ફરી જોડતાં બીજી  પંદર મિનિટ લાગી જાય.’
‘તમારી વાત સાચી હશે. પણ મંદિરોમાં પણ ક્યાં ઘંટ નથી વાગતાં ?
‘સોસાયટીની બહારના મંદિરો અને સોસાયટીની અંદરનું દેરાસર – એ બે માં ફર્ક હોય કે નહીં ?
‘હોય જ. પણ આપણી સોસાયટીમાં પણ ઘણાં લોકો મોટે મોટે થી મ્યૂઝિક નથી વગાડતાં ? તે સાંભળો છો તે કરતાં આરતીનો ઘંટ સાંભળવો સારો નહીં ?
‘ડેફીનેટલી સારો, વત્સલાબેન. પણ એક તો એ કે એ ઘંટ વાગે ત્યારે આરતીનો ઘંટ વાગે છે એવું લાગવું જોઈએ. આ તો શાકવાળો શાક વેચવા આવ્યો છે એવું એ ઘંટ સાંભળતાં લાગે છે. તમે ખરાબ ન લગાડતાં પણ  સાચું કહું તો  શાકવાળો આનાથી વધુ સારો અને રીધમીક ઘંટ વગાડે છે.’
‘એ તો હમણાં જરા નવું નવું છે એટલે એવું થાય છે. પછી પ્રેકટીસથી ટેવાઈ જવાશે.’
‘એટલે ? પ્રેકટિસથી તમે આરતીનો ઘંટ વગાડતાં શીખી જશો, કે અમે તમારો શાકવાળા ટાઇપ ઘંટ સાંભળતાં ટેવાઈ જઈશું ?
‘તમે આકરાં ન થાઓ, પલ્લવીબેન. પણ એક રીતે જુઓ તો આ તો તમને વગર પ્રાર્થના કર્યે પાર્થનાફળ મળે છે.’ 
‘પણ મારે એવું ફળ નથી જોઈતું એનું શું ? 
‘ઘણી વસ્તુ આપણને જોઈએ કે ન જોઈએ લેવી જ પડે.’
‘એટલે ? તમે આ કર્કશ  ઘંટ વગાડવાનું બંધ નહીં કરો એમ જ ને ?
‘બીજા લોકો ટેપરેકોર્ડર પર મોટે મોટેથી ગીતો વગાડવાનું બંધ કરશે તો હું પણ ઘંટ વગાડવાનું બંધ કરી દઈશ.’
‘વત્સલાબેન, એ બધાં તો  અનએજ્યુકેટેડ- અનસોફિસ્ટીકેટેડ - અણસમજુ લોકો છે. એટલે એમને આ બાબતે કહેવાનો કશો અર્થ નથી.  પણ તમે તો ભણ્રેલાં- ગણેલાં – સોબર અને સીવીલાઈઝ્ડ પર્સન છો, એમ માની હું તમને કહેવા આવી હતી.’
‘સારું, તમે આટલું ઈન્સીસ્ટ કરો છો તો હુ આજથી જ  ઘંટ વગાડવાનું બંધ કરીશ. ભલે મારા પ્રભુ નારાજ થતાં.’
‘પ્રભુ તો મૌનની ભાષા સમજે છે, વત્સલાબેન.’
‘જેવી મારા વહાલાની ઈચ્છા !’ બોલીને વત્સલાબેને નિસાસો નાખ્યો.
‘તમારો ખુબ ખુબ આભાર !’ એમની નારાજગીને નજરઅંદાજ કરીને મેં એમનો આભાર માન્યો.



No comments:

Post a Comment