Wednesday 16 August 2017

છાપાનો છબરડો.

છાપાનો છબરડો.       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

અમદાવાદને હેરીટેજ શહેર જાહેર કર્યું, તે જાણીને ઘણો આનંદ થયું
‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાડા મારવાનો પ્રયાસ.’

આજકાલ છાપાના છાપકામમાં આવા આવા છબરડાઓ શરુ થયા છે, તે જોઇને મને એક જુના પ્રસંગની યાદ આવે છે.
આમ તો ઘણા વર્ષો પહેલાની આ વાત છે, પણ મને આજે પણ બરાબર યાદ છે.
-લે, આ ટચુકડી જાહેરખબર વાંચ.
મારી ખાસમ ખાસ દોસ્ત હંસાએ એક ન્યુઝપેપરનું ‘ટચુકડી જાહેરખબર’ વાળું પાનું મારી તરફ લંબાવતા કહ્યું. એની ચોવીસ વર્ષીય લગ્નોત્સુક  કન્યા રન્ના માટે જાહેરખબર  જોવા અમે બેઠા હતા. જો કે સાચું કહું તો ‘વર’ કે ‘કન્યા’ કરતા એના માતા પિતા અને સગા વહાલાઓ જ એના લગ્ન અંગે વધારે ઉત્સુક હોય છે.
અહીં મને એક જોક યાદ આવે છે:
-અલ્યા મનીષ, તું ૨૮ વર્ષનો તો થયો, હવે લગ્ન ક્યારે કરે છે ?
-કેમ રમેશ, તારાથી મારું સુખ દેખી નથી ખમાતું કે ?
આ તો એક આડવાત થઇ, પાછા મૂળ વાત પર આવીએ. મેં ‘ટચુકડી જાહેરખબર’ વાળું પાનું હાથમાં લઈને એણે ટીક કરેલી ખબરો પૈકીની એક ખબર મેં મોટેથી વાંચવાનું શરુ કર્યું.
-જોઈએ છે...એક સ્માર્ટ ...ઔદીચ્યસહસ્ત્ર બ્રાહ્મણ...૨૮ વર્ષીય.. લગ્નોત્સુક ...કુંવારા......કુંવારા...કુંવારા...
-અરે, તારા ગ્રામોફોનની રેકર્ડ કુંવારા પર આવીને કેમ અટકી ગઈ ? આગળ વાંચ, એણે મને ટપારી.
-આગળનું મેં મનમાં વાંચી લીધું, મેં કહ્યું. (મોટેથી કહેવાય એવું નથી, એવું મેં મનમાં કહ્યું.) 
-ઠીક છે, હું વિચારું છું કે આપણે આને મળીયે, આપણી રન્ના માટે આ પાત્ર યોગ્ય લાગે છે.
-એવું ન વિચારાય. મળવાનું તો ઠીક, હું તો એના વિષે  વિચારવાનું પણ ના કહું છું.
-કેમ, તું મુરતિયાને ઓળખે છે ?
-ના, નથી ઓળખતી.
-તો પછી  ના પાડવાનું કારણ ?
-કારણ એટલું જ કે એ ‘દિગંબર’ સાધુ સાથે આપણી રન્નાને ન પરણાવાય.
-દિગંબર સાધુ ? તારું ખસી ગયું છે ?
-ના, મારું ખસી નથી ગયું, ઠેકાણે જ છે.
- સાધુઓ કોઈ દિવસ ‘લગ્નવિષયક’ જાહેરાત છાપામાં આપે કે ?
-આજના જમાનામાં કોઈના વિષે કંઈ પણ કહી ન શકાય, જો એ સાધુ નહીં હોય તો એ બેશરમ તો છે જ. 
-પણ એવું માની લેવાનું શું કારણ ?
-કારણ તો આ જાહેર ખબરમાં જ સ્પષ્ટ લખ્યું છે.
-હવે બહુ થયું, વાતમાં મોણ નાખ્યા વિના જલ્દીથી જણાવ, મારી ધીરજ ખૂટતી જાય છે.
-જો ધ્યાનથી સાંભળ, આમાં લખ્યું છે -  જોઈએ છે...એક સ્માર્ટ ...ઔદીચ્યસહસ્ત્ર બ્રાહ્મણ...૨૮ વર્ષીય.. લગ્નોત્સુક ...કુંવારા..નીર્વસની યુવકને લાયક કન્યા...
-તો આમાં તને વાંધાજનક શું લાગ્યું, એના બધા ગુણ વિષે જ તો લખ્યું છે ને ?
-બધા ગુણોને ઢાંકી દેતો અવગુણ કે શોખ જે કહો તે – એ નીર્વસની છે.
-અલી, એ ગુણ ગણાય કે અવગુણ ?
-જરા સમજ હંસા, આજકાલ આપણે ૪ -૫ વર્ષ ની નીચેના બાળકોને પણ નવડાવવા લઇ જઈએ તે સિવાય, નીર્વસની એટલે કપડાં (વસન) વિનાના નથી રાખતા. તો આ ૨૮ વર્ષનો યુવાન બેધડક લખે છે કે એ  ‘નીર્વસની’ છે,  તો તું જ કહે આપણે આવા બેશરમ યુવાનને આપણી દીકરી પરણાવીશું ?
-ઓહ ! તને હવે મારે શું કહેવું ?
-મારું નામ પલ્લવી છે, એ જ કહેને.
-ના, એના કરતા ‘બુધ્ધુરામ’ વધુ યોગ્ય રહેશે. આ તો ભૂલથી ‘નિર્વ્યસની’ ના બદલે ‘નીર્વસની’ છપાઈ ગયું હશે.
-તો સારું. બાકી આજના યુવાનોની ઘેલછાએ મઝા મૂકી છે. લાંબા વાળ રાખે છે, ચોટલી પણ વાળે છે, કાનમાં અને હવે તો નાકમાં પણ બુટ્ટી – રીંગ – વાળી પહેરે છે, છોકરીઓ જેવા કપડા પહેરે છે. તને ખબર છે એકવાર હું ‘લેડીગ્રેસ’ નામની દુકાનમાં કોસ્મેટીક્સ ખરીદવા ગઈ હતી, ત્યાં મારાથી એક કસ્ટમરને ધક્કો વાગી ગયો, મેં કહ્યું, ‘સોરી બહેન, મારાથી ભૂલમાં તમને ધક્કો વાગી ગયો.’ તો એણે કહ્યું, ‘હું બહેન નથી ભાઈ છું, સમજ્યા ?’ મેં છોભીલી પડી જઈને કહ્યું, ‘સોરી, આ તો મેં તમને તમારી મમ્મી સાથે બુટ્ટી અને હેરબેન્ડ ખરીદતા જોયા એટલે...’ તો એણે છણકો કરીને કહ્યું, ‘એ મારી મમ્મી નથી, પપ્પા છે, અન્ડરસ્ટેન્ડ ?’ ને પછી એ ધીમેથી, ‘સ્ટુપીડ’ એવું બબડી, એટલે કે બબડ્યો.
હંસા હસી પડી અને બોલી, - તારી વાત તો સાચી છે. મેં પણ સાંભળ્યું છે કે હવે છોકરાઓ પણ ફેસિયલ, આઇબ્રો,  બ્લીચીંગ, વેક્સિંગ,  હેરસ્ટાઈલ,  વગેરે કરાવવા માંડ્યા છે. આપણા ફિલ્મસ્ટારો ગોવિન્દા, શાહરૂખ, ચંકી, કમલા હસન..વગેરે પણ છોકરીઓના રોલ કરી ચુક્યા છે. આજના  યુવાનો એમના પરથી પ્રેરણા  લે છે, બીજું શું ?
-હા, સલમાનને વહેમ છે કે એ ‘ટોપલેસ’ રહે તો બહુ હેન્ડસમ લાગે છે, આજના યુવક યુવતીઓ એને એ રીતે પસંદ પણ કરે છે. ફોરેન કન્ટ્રીમાં તો વિરોધ કરવા લોકોએ ‘સાઈકલ સરઘસ’ પણ ‘બર્થસુટ’ એટલે કે તદ્દન નિર્વસ્ત્ર થઈને કાઢ્યું હતું. હવે આની ફેશન આવી હોય અને આ યુવક પણ એવી ઘેલછાનો શિકાર હોય તો ? મેં ચિંતા વ્યક્ત કરી.
-તારી વાત તો વિચારવા લાયક છે.
-તો વિચાર અને તપાસ કરીને કન્ફર્મ કર કે આ ફક્ત ‘છાપાનો છબરડો’ જ છે ને ?
બીજે દિવસે અમે ‘સુધારીને વાંચવું’ વિભાગમાં જોયું તો એ માત્ર ‘છાપાનો છબરડો’ જ હતો, જેણે  ‘નિર્વ્યસની’ યુવકને ‘નીર્વસની’ યુવક બનાવ્યો હતો. રન્નાને તો પછી એક સરસ મૂરતિયો મળી ગયો, લગ્ન પણ થયા, એક મઝાનો દીકરો પણ થયો.
પણ દુખની વાત એ છે કે - એક અકળ રોગને લીધે રન્ના અકાળે અવસાન પામી. અમારી વહાલી રન્ના હવે અમારી વચ્ચે નથી રહી, રહી છે માત્ર એની યાદો.   ત્યારે એની યાદમાં આ નાનકડો  લેખ અર્પણ કરતા કહું છું કે ‘રન્નાનો આત્મા જ્યાં  હોય ત્યાં સુખી રહે – પ્રસન્ન રહે.’
 

 

  

No comments:

Post a Comment