Wednesday 29 March 2017

પેટરનિટી લીવ.

પેટરનિટી લીવ.             પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. 

-સુધા, તેં આજનું છાપું વાંચ્યું? લોકસભામાં ‘મેટરનિટી બેનિફિટ (સુધારેલ) ૨૦૧૬’  બિલમાં મહિલાઓને મળતી મેટરનીટી લીવ ૧૨ અઠવાડીયાથી વધારીને ૨૬ અઠવાડિયા કરી દેવાઈ છે.
-હા, આ તો સારી જ વાત છે ને ? હવે માતા પોતાના નવજાત શિશુનું ધ્યાન વધુ સમય રાખી શકશે.
-એ બરાબર, પણ આ કાયદામાં પિતા માટે એક પણ રજા આપવાની જોગવાઈ કરાઈ નથી.
-પિતાને વળી આમાં રજાનું શું કામ?
-આમ કહીને તું શું કહેવા માંગે છે, પિતાઓનું આમાં કઈ કામ જ નહિ?  
-હું તો માત્ર આપણા અનુભવના આધારે એક સામાન્ય વાત કરી રહી છું. પાંત્રીસ વર્ષ પહેલાં આપણો ઉમંગ  જન્મ્યો તે વખતે પ્રેગનન્સી ના દરેક મહીને ડોક્ટર પાસે ચેક અપ માટે જતી વખતે તમે મને કહ્યું હતું, ‘ત્યાં મારું શું કામ, તું બા (મારા સાસુ) સાથે જઈ આવને’
-હા, પણ ડીલીવરી વખતે તો હું નર્સિંગહોમમાં હાજર હતો કે નહીં ? અને ઉમંગનું નામ પણ તો મેં જ ઉમંગભેર - ‘ઉમંગ’ રાખ્યું હતું ને?
-હા, એ વાત સાચી છે. પણ ઉમંગ છ મહિનાનો થયો ત્યાં સુધી તો રાત્રે બા જ અમારી સાથે સુતા હતા, અને તમે બીજી રૂમમાં, યાદ છે?
-એ તો ઉમંગ રાત્રે બહુ રડતો અને રાતભર જગાડતો હતો એટલે મારી ઊંઘ ડીસ્ટર્બ ન થાય એટલા માટે હું બીજી રૂમમાં સૂતો હતો. મારે તો બીજે દિવસે ઓફિસે જવાનું અને આખો દિવસ કામ કરવાનું તો રાત્રે તો આરામ જોઈએ કે નહીં ?
-હાસ્તો. અને હું તો દિવસભર આરામ જ કરતી હતી, ખરું ને ?
-મારા કહેવાનો મતલબ એ નથી. પણ તું જ કહે, હું ઘરે આવ્યા પછી ઉમંગને રાખતો હતો કે નહીં ?
-હા, રાખતા હતા ને, એ રમે ત્યાં સુધી.  રડે તો તરત, ‘’સુધા, જો તો આને શું થયું, કેમ રડે છે ? અથવા એણે ભીનું કર્યું હોય તો , ‘સુધા, આણે ભીનું કર્યું છે, એને લંગોટ બદલાવજે તો.’ તમને તો ‘બાળોતિયું’ બદલતા પણ નહોતું આવડતું.
-તું હોય પછી મારે એનું બાળોતિયું શા માટે બદલવું પડે?
- એ જ તો. કાયદો બનાવવા વાળા પણ આ વાત જાણે છે, અને એટલે જ  કાયદામાં મેટરનીટી  લીવ વધારી,  અને પેટરનિટી લીવ ન વધારી.
સુધાની ડીલીવરી વખતે અને એના બાળકના ઉછેર વખતે એના સાસુ સાથે હતા, એટલે એને બહુ તકલીફ ન પડી, પણ આજકાલ તો નવયુગલો જોબ  કે એવા કોઈપણ કારણસર એકલા જ રહેતા હોય છે. એટલે પ્રેગનન્સી દરમ્યાન, ડીલીવરી દરમ્યાન  કે પછી બાળઉછેર દરમ્યાન પત્નીને પતિની મદદની જરૂર પડી શકે છે. આવા કપલ ડીલીવરી  દરમ્યાન પોતાની સ્વતંત્રતા ભૂલીને સંતાનને  ખાતર માતાને કે સાસુને બે ત્રણ મહિના સાથે રહેવા બોલાવી લે છે. અને માતા અને સાસુ પણ પોતાના સંતાનોને ખાતર ખુશીથી જાય છે.
આજકાલ તો પ્રેગનન્ટ મહિલા અને એના પતિને સ્પેશીયલ ક્લાસમાં બાળકની સંભાળ કઈ રીતે રાખવી તેનું ટ્યુશન પણ આપવામાં આવે છે. મા બાપ હોંશે હોંશે આવું બધું શીખે છે પણ ખરા. હવે તો પિતાઓ પણ નાના બાળકની સંભાળ રાખતા શીખી ગયા છે, અને બાળ ઉછેરમાં પત્નીને પૂરેપૂરો સહકાર આપે છે.   
આવી એડવાન્સ વિચારસરણી હોવા છતાં, બ્રિટનથી લઈને કેન્યા જેવા દેશ પણ પિતાને માત્ર ૧૪ દિવસની જ પેટરનિટી લીવ આપે છે.  ફ્રાંસ ૧૧ દિવસની રજા આપે છે.  આપણા દેશની અમુક કંપનીઓ જેવી કે ‘કમિન્સ ઇન્ડિયા’ ૩૦ દિવસની પેટરનીટી  લીવ આપે છે. ‘ડોયચે બેંક’ નામની કંપનીએ મેટરનિટી કે પેટરનિટી ના બદલે ‘ચાઈલ્ડકેર લીવ’ શરુ કરી છે. રજાનું નામ ગમે તે હોય, અને કાળજી લેનાર કોઈ પણ સ્વજન હોય, શિશુની કાળજી બરાબર લેવાવી જોઈએ, ખરુંને વાચકમિત્રો ?    
શ્રમ તથા રોજગાર મંત્રાલયના સચિવ રહેલા શ્રી શંકર અગ્રવાલ આ બિલ, ‘મેટરનિટી બેનિફિટ (સુધારેલ) ૨૦૧૬’  ડ્રાફ્ટ કરતી વખતે કહે છે કે – ‘અમે દેશની સામાજિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ને ધ્યાનમાં રાખીને પેટરનિટી  લીવ નથી આપી.’ તો આજનો પિતા શું આવી દેશપ્રેમી પ્રવૃત્તિઓ માં રોકાયેલો હશે ? રામ જાણે.
ભારતીય મજૂર સંઘના અધ્યક્ષ બૈજનાથ રાયે આ બાબતમાં જણાવ્યું કે – ‘બાળકના જન્મ સમયે પિતાને રજા મળવી ખુબ જ જરૂરી છે, કેમ કે હવે સંયુક્ત પરિવારનો ટ્રેન્ડ સમાપ્ત થઇ રહ્યો છે.’ વાચકમિત્રો, તમને લાગે છે કે આપણા બાળક ખાતર આપણે સંયુક્ત પરિવારનો ટ્રેન્ડ પાછો લાવવો જોઈએ ?

અને છેલ્લે:     રોજ રાતે બાળકના રડવાની સામે ફરિયાદ કરનાર પાડોશીએ બાળકની મમ્મીના હાલરડાના અવાજ સાંભળ્યા પછી કહ્યું, ‘બેન, બાબો ભલે રાત્રે રડતો, એની સામે અમારી કોઈ ફરિયાદ નથી.’  

No comments:

Post a Comment