Friday 19 November 2021

ફૂડી કોલ્સ.

 

ફૂડી કોલ્સ. (હાસ્યલેખ)       પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

“તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસના તારણમાં જણાવવામાં આવ્યું છે કે ડેટ પર જતી પાંચમાંથી  ત્રણ મહિલા તો માત્ર વિનામૂલ્યે ભોજન મળતું હોવાથી જ ડેટ પર જતી હોય છે.”  દિવાળી નજીક આવી રહી હતી એટલે મેં મારા ઘરની સાફસફાઈ  કરવાનું કામ હાથ ધર્યું, ત્યારે તારીખ ૨૫-૦૬-૨૦૧૯ નું એક જુનું ન્યુઝ પેપર- સંદેશ  મારા હાથમાં આવ્યું. એમાં મને ઉપર મુજબના સમાચાર વાંચવા મળ્યા.  

આ સમાચાર વાંચીને એક મહિલા તરીકે મને આઘાત લાગ્યો . ‘આજની મહિલાઓ  ભોજન માટે આવી લાલચુ ?’  ‘રસોઈ બનાવવાની આવી આળસુ ?’ મને તો ‘ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું’ મન થયું. પણ.. એક તો  ઢાંકણીભર પાણીમાં ડૂબી મરવાનું તો છોડો, કોઈ માત્ર ડૂબી પણ ના શકે, અને બીજું સ્વિમિંગ પુલના પાણીમાં ડૂબી  મરવું હોય તો એ શક્ય છે, પણ મને તો સ્વિમિંગ આવડતું હોવાથી મારે માટે તો એ પણ શક્ય નથી. એટલે પછી એ વિચાર પડતો મુકીને મેં સમાચાર આગળ વાંચવાનું મુનાસીબ માન્યું.

સંશોધકોએ આવી ‘પેટુ’ મહિલાઓને ‘ફૂડી કોલ્સ’ જેવું નામ આપ્યું છે. અને એમના માટે તેઓ લખે છે, ‘આવી મહિલાઓ શરાબની સંગાથે સાથી સાથે રોમાન્સ કરવામાં રુચિ નથી ધરાવતી, પણ માત્ર વિનામૂલ્યે ભોજન મળે છે એમાં જ રુચિ ધરાવે છે  આ સંશોધન માત્ર તર્ક એટલે કે અટકળના આધારે નથી થયું, પણ ઓનલાઈન સર્વેક્ષણ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ૩૩ ટકા મહિલાઓએ પોતે જ જણાવ્યું હતું કે, પોતે ‘ફૂડી કોલ્સ’ નો સ્વીકાર કરીને જ ડેટ પર જાય છે. 

આ જાણીને મને એક આશ્વાસન મળ્યું કે - ‘હાશ, બાકીની ૬૭ ટકા મહિલાઓ તો આવી પેટુ એટલે કે ‘ખાઉધરી’  નથી.’ પણ મારો આ હાશકારો ઝાઝો ટક્યો નહિ. મારો આ ભ્રમ માત્ર એક જ દિવસમાં ભાંગી ગયો. બન્યું એવું કે  અમારી સોસાયટીમાં બે  જણને ત્યાં એક જ દિવસે એક જ સમયે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી. જેમના ઘરે કથા પત્યા પછી ફક્ત પ્રસાદ જ મળવાનો હતો, ત્યાં માત્ર ત્રણ મહિલાઓ ગઈ, અને જેમના ઘરે કથા પછી ડીનર રાખવામાં આવેલું હતું, ત્યાં ત્રેવીસ મહિલાઓ ગઈ. ‘શીરાને માટે શ્રાવક થયા’ એ વાત અત્યાર સુધી માત્ર વાંચવામાં જ આવી હતી, આજે જોવા-જાણવામાં  પણ આવી ગઈ.’

‘ફૂડી કોલ્સ’ ની બાબતમાં સંશોધકો કહે છે કે –– ‘પુરુષ કમાણી કરવા બહાર જાય અને સ્ત્રી ઘરનું ધ્યાન રાખે’  એવા  પરંપરાગત વિચારો ધરાવતી સ્ત્રીઓ એટલે કે ગૃહિણી હોય એવી મહિલાઓ ‘ફૂડી કોલ્સ’ નો સ્વીકાર કરવામાં અગ્રેસર હોય છે.  હું પોતે માનું છું કે ગૃહિણી તરીકેની જોબ સૌથી અઘરી - ‘પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ’ એવી થેન્કલેસ જોબ હોય છે. પણ સાથે સાથે એક  સારી ગૃહિણી હોવાને નાતે હું એ વાત પણ એટલી જ સાચી માનું છું કે – ‘કાર્ય કઠીન હૈ ઈસલીયે કરને યોગ્ય હૈ’ અને શાંતિથી વિચારી જુઓ તો તમને સમજાશે કે કોઈ પણ જોબ ક્યાં સહેલી હોય છે ?

‘આદર્શ ગૃહિણી’ નું સર્વોત્તમ ઉદાહરણ જોઈએ તો ઈન્ફોસીસ કંપનીના ઓનર શ્રી નારાયણ મૂર્તિના પત્ની શ્રીમતી સુધામૂર્તિ છે. તેમણે કંપનીમાં પોતાનું  મહત્વનું પદ છોડીને પોતાની મરજીથી ગૃહિણીધર્મ સ્વીકાર્યો છે. ગૃહિણી હોવાની સાથે સાથે સુધાજી સખાવતના અને પરોપકારના અન્ય કેટલાય સામાજિક કાર્યો કરી રહ્યા  છે. આ ઉપરાંત તેઓ એક પ્રખ્યાત લેખિકા પણ છે. એટલે ગૃહિણી માટે કોઈ આવી હીણી વાત (ફૂડી કોલ્સ) કહે તે મને તો યોગ્ય નથી લાગતું.

પત્ની : સાંજે ભોજનમાં શું રાંધુ ?

પતિ : કંઈ પણ રાંધ, તારા તો હાથનું ઝેર પણ હું હસતાં હસતાં ખાઈ લઈશ.

પત્ની : પણ મને ઝેર રાંધતા આવડતું નથી.

પતિ : તું જે રાંધે છે, તે ઝેરથી કંઈ કમ હોય છે ?

ઉપરનો સંવાદ (ખરેખર તો વિસંવાદ) વાંચીને તમને નથી લાગતું કે આવા  પુરુષો (એટલે કે પતિઓ)  સાવ કૃતઘ્ની હોય છે ? એક તો ‘સાંજે હું શું રાંધુ ?’ એ સવાલ દરેક પત્ની માટે અઘરામાં અઘરો, વિકટ અને સનાતન પ્રશ્ન  હોય છે. પતિને પૂછવાથી  એનો કોઈ સમાધાનકારી જવાબ  મળવાને બદલે જો આવી અવળચંડી પ્રતિક્રિયા મળતી હોય તો, કોઈ પણ ગૃહિણી  ‘ફૂડી કોલ્સ’ બનવાનું પસંદ કરે કે નહિ, તમે જ કહો.

નવાઈની વાત તો એ છે કે  અમેરિકી સંશોધકો કહે છે,  ‘માત્ર મહિલાઓ જ નહિ, પણ કેટલાક પુરુષો પણ આ પ્રકારના  એટલે કે ‘ફૂડી કોલ્સ’ ટાઈપના માનસિક વલણો ધરાવી શકે છે’  આ વાત જાણીને મને એક જોક યાદ આવ્યો.

પત્ની : આજે સાંજે પુલાવ બનાવું કે બિરીયાની ?

પતિ : તું પહેલા જે કંઈ બનાવવા માંગતી હોય તે બનાવી દે, આપણે પછી ડીસાઈડ કરીએ કે એ શું છે.

જેમની પત્ની આ ઉપરના  જોકમાં આવે છે, એવી રીતની રસોઈ બનાવવામાં પારંગત હોય અથવા તો જે સ્ત્રીઓ બે કલાક  સુધી ‘રસોઈ શો’ પર અવનવી વાનગીઓ બનાવવાની રીતો જોઇને  અંતે તો ડીનરમાં રોજ  ખીચડી-કઢી  કે ભાખરી – શાક જ બનાવતી હોય, એવી સ્ત્રીઓના પતિઓ  ‘ફૂડી કોલ્સ’ હોય તો એમાં આપણને નવાઈ શા માટે લાગવી જોઈએ ?

આ સંશોધકોએ મહિલાઓને એક એવો સવાલ પણ કર્યો હતો કે ‘’ફૂડી કોલ્સ સામાજિક રીતે સ્વીકાર્ય છે ?’ જે મહિલાઓ ‘ફૂડી કોલ્સ’ નો સ્વીકાર કરતી હતી, તેમણે કહ્યું, ‘ફૂડી કોલ્સ સામાજિક રીતે સ્વીકાર્ય છે’ પણ બાકીની મહિલાઓએ કહ્યું, ‘ફૂડી કોલ્સ સામાજિક રીતે સ્વીકાર્ય નથી’ આ જાણીને મને ગુજરાતીમાં એક કહેવત છે ‘વરને કોણ વખાણે ? તો કહે ‘વરની મા’  યાદ આવી ગઈ. 

જ્યારે કોઈ પણ રીતરિવાજ માટે સામાજિક સ્વીકાર કે અસ્વીકારનો સવાલ આવે ત્યારે જવાબ મેળવવા માટે આપણે આપણા સાધુ સંતો શું કહે છે એ જાણવું પડે. તેઓ કહે છે, ‘મનુષ્યે  જીવવા માટે ખાવાનું છે,  ખાવા માટે જીવવાનું  નથી.’  આપણે એમની આ વાત માની  લઈએ તો પણ આ  હકીકતને નજરઅંદાજ કરી શકીએ નહિ, કે  આખરે તો આપણી બધી મહેનત પેટ ભરવા માટેની જ તો છે.  જો ભગવાને પેટ જ ના બનાવ્યું હોત તો આપણે એ ભરવાની ચિંતા ના હોત, એટલે હું ધારું છું ત્યાં સુધી  ‘ફૂડી કોલ્સ’ ને કુદરતી વૃત્તિ ગણીને એનો સ્વીકાર કરવો જોઈએ.

સહાયક અને અઝુસા પેસિફિક યુનીવર્સીટીના પ્રાધ્યાપક ડૉ. બ્રાયન કોલિસને જણાવ્યું કે  - ‘રોમેન્ટિક ડેટિંગ’ અને ‘ફૂડી કોલ્સ’ એ બંને અલગ ઘટના છે રોમેન્ટિક ડેટિંગમાં વિજાતીય આકર્ષણ, રાત્રિ રોકાણ, એકબીજાને ઈમ્પ્રેસ કરવા, એકબીજાનો સ્પર્શ પામવો, વગેરે હોય છે, જ્યારે ફૂડી કોલ્સ અનેક પ્રકારના સંબંધોનું માધ્યમ હોઈ શકે.’ ઘણીવાર સંશોધકો શું કહેવા માંગે છે, તે આપણી – સામાન્ય મનુષ્યની સમજની  બહારની વાત  હોય છે, એટલે આપણે એના પર ઝાઝો વિચાર નહીં કરીએ.

પ્રેમી : હું તને ખુબ જ ચાહું છું. પ્રેમિકા : તું મારી સાથે લગ્ન ક્યારે કરીશ ? પ્રેમી : તેં ફરી પાછું વિષયાંતર કર્યું ?  ભારતની સ્ત્રીઓ માટે  ડેટિંગનો અર્થ એકબીજાને સમજવું અને અનુકૂળતા લાગે તો પરણી જવું ‘ એવો પણ થાય છે. પણ ભારતના પુરુષોને લાગે છે કે સ્ત્રીઓને સમજવી એટલી અઘરી છે કે એક આખી જીંદગી પણ ઓછી પડે. એટલે તેઓ ડેટિંગ માટે જેટલાં ઉત્સુક હોય છે, લગ્ન માટે એના દસમા ભાગની ઉત્સુકતા પણ નથી હોતી.

થોડા સમય પહેલાં જ અમે થોડા મિત્રોએ મળીને એક સાંજે  કલ્ચરલ ક્લબમાં મળવાનું નક્કી કર્યું. ત્યાં ગેરહાજર એવી મારી એક ફ્રેન્ડ ઉષાને મેં ફોન કરીને કહ્યું, ‘આવતી કાલે સાંજે  ૫ વાગ્યે આપણે કેટલાક ફ્રેન્ડસ,  કલબના કાફેટેરિયામાં ચા-પાણી પર મળી રહ્યા છીએ. ત્યારે એણે મને ઉત્સુકતાથી પૂછ્યું, ‘ફક્ત ચા-પાણી જ કરવાના છે કે સાથે  કંઈ નાસ્તો-બાસ્તો પણ કરવાનો છે ?’ ‘યાર, મળવાનું મહત્વ છે કે ખાવાનું ?’ મેં જરા ચીઢાઈને કહ્યું. તો એણે બિન્દાસ કહ્યું, ‘તારી વાત તું જાણે, પણ મારા માટે તો ખાવાનું પણ એટલું જ મહત્વનું છે, જેટલું મળવાનું.’  આમ ‘ખાવું’ એ ‘મળવું’ કરતાં વધુ પ્રભાવશાળી છે.

પત્ની : આપણા એકના એક છોકરાના લગ્ન છે, એટલે કંકોત્રી તો હાઈક્લાસ જ છપાવીશું.

પતિ : કંકોત્રીમાં વધારે પૈસા ખર્ચવાનો કંઈ અર્થ નથી, કેમ કે કંકોત્રી ગમે તેટલી હાઈક્લાસ છપાવીએ, લોકોનું ધ્યાન તો લંચ કે ડીનર ક્યાં રાખ્યું છે અને કેટલા વાગ્યે છે, એના પર જ જવાનું છે, અને આમંત્રિતોને પણ ‘મેનુ શું છે’ એમાં જ વધારે રસ હોવાનો. 

પશુ – પક્ષીઓ કે અન્ય જીવોની તો મને ખબર નથી, પણ મનુષ્ય જાત તો હંમેશા ખાવાના વિચારમાત્રથી  ખુશ થઇ જાય છે, એ હકીકત નિર્વિવાદપણે  પુરવાર થયેલું સત્ય છે. તો પછી એ પુરવાર કરવા ‘ફૂડી કોલ્સ’ જેવા સંશોધનની પાછળ સમય, શક્તિ અને ધન બરબાદ કરીને એમને બદનામ કરવા કરતાં, એનો ઉપયોગ ઘણા બધા લોકોને રસ પડે એવુ, કંઇક નવું,  - દાખલા તરીકે - નવી નવી વાનગીઓ બનાવીને, એને નવીનતમ ધોરણે સજાવીને,  એની ઓછામાં ઓછી કીમત રાખીને, એને વધુમાં વધુ લોકો સુધી  કઈ રીતે પહોંચાડી શકાય એવું સંશોધન કરવું જોઈએ, તમે જ કહો કરવું જોઈએ કે નહીં ? 

મિત્રો, આપણે વાતોના વડા ઘણા કર્યા, પણ આજે મારે ઘઉં-જુવારના ખાટા વડા કરવાના છે. એટલે આ ચર્ચા હું અહી જ સમાપ્ત કરું છું. આપ સૌને દિવાળીની અનેક શુભકામના અને નવા વર્ષના ખુબ ખુબ અભિનંદન!      

    

 

No comments:

Post a Comment