Wednesday 7 November 2018

લગ્ન કઈ ઉમરે કરવા જોઈએ ?


લગ્ન કઈ ઉમરે કરવા જોઈએ ?    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

તમે મને શા માટે પરણ્યા ?
 પરંપરા ને લીધે.  
પરંપરાને લીધે ? કંઈ સમજાયું નહીં. 
 જો હું સમજાવું. મારા પપ્પા મારી બાને પરણ્યા, ખરું ?
 હા.  
અને મારા દાદા મારી દાદીને પરણ્યા, મારા પરદાદા મારી પરદાદીને પરણ્યા, મારા દાદાના દાદા…
બસ, બસ.  
ઓકે બસ, તો પછી પેઢીઓથી ચાલી આવતી આ પરંપરા જાળવવા જ હું તને પરણ્યો, જેથી આપણા છોકરાઓ પણ આ પરંપરા જાળવી શકે. 
 એ બધું તો ઠીક, પણ મારો સવાલ એ હતો કે તમે મને જ શા માટે પરણ્યા ?
 અચ્છા, આવો સવાલ તો મને ઓળખનારા ઘણા લોકોને થાય છે, તને પણ થાય છે, ખરુંને ? 
 હા, થાય છે, આપો જવાબ. 
મૂળ સવાલ તો એ છે કે કોઈ પણ માણસને જ્યારે ‘હું પરણ્યો જ શા માટે ?’ એવો સવાલ સુઝે છે, ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે, કોઈ એનો સંતોષજનક જવાબ નથી આપી શકતું,  એટલે એ અઘરો સવાલ તો આપણે જવા જ દઈએ. હવે રહ્યો તારો આ સવાલ,  ‘હું તને જ શા માટે પરણ્યો ?’ તો એ સવાલ તને નહિ, ખરેખર તો મને થવો જોઈએ.  ચાલ, તો પણ હું તારા સવાલનો જવાબ આપું તો મારી બાએ તારા સંદર્ભમાં કહ્યું, ‘તારા માટે આ છોકરી સારી છે, ડાહી છે, પત્ની તરીકે સારી રહેશે.’  
ઓહોહો ! જાણે તમે તમારા બાની બધી જ વાત માનતા હોય, બાએ કહ્યું અને તમે મને પરણી ગયા ? 
મારે વર્ષોથી ચાલી આવેલી પરંપરા જાળવવા માટે કોઈ નહીં ને કોઈને તો પરણવાનું હતું જ, તો પછી બાએ બતાવેલી છોકરીને, એટલે કે તને પરણું તો મારે તો ફાયદો જ હતો ને ?
એમાં વળી શું ફાયદો, બાએ તો તમને મારી સાથે પરણવા કહ્યું, પણ ધારો  કે તમને મારી સાથે ન ફાવ્યું હોત તો ?
 એ જ તો ફાયદો છે ને, તારી સાથે ન ફાવ્યું હોત તો બાને બ્લેમ તો કરી શકાત ને કે –‘આવી કેવી છોકરી તમે મને પરણવા માટે સજેસ્ટ કરી ?’
ઓહ ! 
ચાલ હવે, એમાં તું બહુ વિચાર ન કર, આ તો બે ઘડીની ગમ્મત હતી.’
‘ગમ્મત ? આ બે ઘડીની ગમ્મત હતી ?’ 
‘નહીતર બીજું શું વળી ? લગ્નજીવનના વર્ષો બાદ પતિ પત્નીએ આવી ગમ્મત કરતા રહેવું જોઈએ, નહીતર જીવન રેઢીયાળ અને કંટાળાજનક બની જાય. અચ્છા !  હવે તું કહે, તેં મને કેમ પસંદ કર્યો ?’
‘મેં તમને પસંદ કર્યા તમારા હાયર એજ્યુકેશનના કારણે, બા-પપ્પાના મળતાવડા સ્વભાવના કારણે, ઘરના આનંદમય વાતાવરણના કારણે.’
‘લે, તારી પાસે તો પરણવા માટે મારા કરતા સારા કારણો હતા. પણ આજે આ ટોપિક કાઢવાનું કારણ ?’
‘કારણ તો એ કે આજે ન્યુઝ પેપરમાં વાંચ્યું કે ૩૦ થી ૪૦ ની વયે લગ્ન કરનાર યુગલમાં છૂટાછેડાની સંભાવના માત્ર ૧૦% જ રહે છે.’
‘અચ્છા ! તો તું વિચારતી હશે કે આપણે તો એથીય વહેલા પરણ્યા હતા, તો આપણા છુટાછેડાની સંભાવના કેટલી, ખરું ને ?’
‘તમે પણ શું ? ભારતમાં તો પરણ્યા એટલે સાત જનમનો સાથ, આવું  બધું તો અમરિકામાં જ ચાલે.’
‘હા, પહેલા જનમમાં પતિ નામના જાનવરને વર એટલે કે માણસ બનાવતા તમને લોકોને કેટલી બધી મહેનત પડે છે, પણ સાત જનમના સાથના કારણે પછી બાકીના છ જન્મોની તમને લોકોને નિરાંત ને ?’
‘મજાક કરીને વાતને આડે પાટે ન ચઢાવો, આપણે ન્યુઝ પેપરની વાત કરતા હતા.’
‘હા, મેં પણ વાંચ્યું, અમેરિકાની ‘યુનિવર્સીટી ઉટાહે’ અલગ અલગ વયમાં લગ્ન કરનારાના છૂટાછેડાના દર પર અભ્યાસ કર્યો છે. તને ખબર છે, છૂટાછેડાનું કારણ શું હોય છે ?’
‘કારણ તો.... જુદા જુદા કેસમાં જુદા જુદા જ કારણ હોવાના ને ?’ 
‘હા, પણ છૂટાછેડાનું મૂળ કારણ ‘લગ્ન’ છે. જો માણસના લગ્ન જ ન થાય તો છૂટાછેડા થાય જ નહિ ને ?’
‘આ તે વળી કેવી જાતનો તર્ક ?’
‘સાંભળ. આ લગ્નની વય અને છૂટાછેડાના દર વિષે વાંચીને એક જોક યાદ આવ્યો.’  જજ : પણ ૬૦ વર્ષની મોટી ઉમરે તમારે છૂટાછેડા શા માટે જોઈએ છે ? અરજદાર : સાહેબ, છૂટાછેડા મને નહીં મારા બાપાને જોઈએ છે, અને એટલા માટે કે – જિંદગીની પાછલી ઉમરે તો માણસ સુખ શાંતિ ઈચ્છે કે નહીં?
‘આવું બધું અમેરિકા જેવા પશ્ચિમના દેશોમાં જ થાય, ૩૦ તો હજી સમજ્યા, પણ ૪૦ તે વળી પરણવાની ઉમર કહેવાતી હશે ? આપણી જ વાત લો ને, આપણે  ૨૧ - ૨૫ ની વયમાં જ પરણ્યા’તા  ને ?’
‘એટલે એમના અભ્યાસ પ્રમાણે આપણા છુટાછેડાની સંભાવના ૨૭ ટકા જેટલી છે, આપણો મોટો દીકરો આપણી વયમાં પરણ્યો એટલી એની આપણા જેટલી, અને આપણો નાનો દીકરો ૨૫ ની વય પછી પરણ્યો તો એના છુટાછેડાની સંભાવના ૧૪ ટકા જેટલી છે, અને ધારો કે બાજુવાળા વિધુર કીસનભાઈ, જે ૫૦ વર્ષની વયના છે, તે પરણે તો એમની છુટાછેડાની સંભાવના ૧૦ ટકાથી પણ ઓછી છે, જો કે આ વય સ્વાસ્થ્યની દર્ષ્ટિએ  સારી નથી, એવું અમેરિકાની યુનીવર્સીટીનું તારણ  છે.’  
‘કિસનભાઈ પરણે તો એમના સંતાનોનું સ્વાસ્થ્ય બગડે એમ છે (મિલકતના ડખા), એટલે એમની વાત છોડો, અને આપણે ત્યાં કામ કરનારી ગીતાની વાત કરો, એના લગ્ન ૧૫ વર્ષે થયા છે, એની નાની બેનના લગ્ન તો ૧૨ વર્ષે જ થઇ ગયા છે, એનું શું એ કહો.’
‘અભ્યાસના પરિણામો તો કહે છે કે ૩૦ થી ૩૪ વર્ષની વય લગ્ન માટે યોગ્ય છે, ૨૮, ૨૯,વર્ષે લગ્ન કરનારનું જીવન પણ આનંદિત હોય છે, જો કે કહેવાય છે કે  ‘આનંદમય લગ્નજીવન’ એ એક મીથ એટલે કે ભ્રમ  છે.  એટલે ૧૨ – ૧૫ વર્ષે લગ્ન કરનાર સીતા – ગીતાનું  જીવન કેવું હશે તે તો કલ્પનાનો જ વિષય છે.’
‘ભલે, તો એના વિષે કલ્પનાબેનને જ વિચારવા દો, કેમ કે એ સારું વિચારે છે, અને સરસ લખે પણ છે.. મને લાગે છે કે આપણે આ ગપસપમાં બહુ ટાઈમ કાઢ્યો, હવે આપણું કામ કાજ કરીએ ?’
‘જેવી તારી મરજી !’

No comments:

Post a Comment