રાઈટર’સ રેસ્ટોરાં.
પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.
ભારત દેશના - ગુજરાત રાજ્યના - અમદાવાદ શહેરના - પોશ એરિયાના - એક ગુજરાતી
રેસ્ટોરન્ટ નામે ‘રાઈટર’સ રેસ્ટોરન્ટ’ માં એક ગુજરાતી ગ્રાહક પ્રવેશે છે. ફ્લોર મેનેજર એમને
માનપૂર્વક દરવાજો ખોલી આપીને આવકારે છે, અને પૂછે છે, ‘આવો સાહેબ, કહો, આપ ક્યાં બેસવાનું
પસંદ કરશો?’ ગ્રાહકે કહ્યું, ‘આજે હું બહુ ઉદાસ
છું, એટલે કોઈ એક
ખૂણાના ટેબલ પર, એકાંતમાં બેસવા
માંગુ છું, જેથી મને કોઈ
ડીસ્ટર્બ ન કરે.’ ‘સર આપ ઉદાસ હોવ તો અહીં ૪ નંબરના ટેબલ પર, હાસ્યઝોનમાં આવી
જાવ.’ ફ્લોર મેનેજર
ગ્રાહકને પૂરા સન્માન સાથે ૪ નંબરના ટેબલ સુધી લઈ જાય છે, અને ખુરશી ખેંચીને
એમને બેસવા જગ્યા કરી આપે છે.
આરામદાયક ખુરશી પર બેસીને ગ્રાહક
રેસ્ટોરન્ટનું નિરીક્ષણ કરે છે. દિવાલો પર
પ્રખ્યાત લેખકોના તેમ જ એમના પુસ્તકોના ખુબ સુંદર ચિત્રો આલેખાયેલા છે. ખુબ ધીમા
પણ સુરીલા અવાજમાં કવિતાઓ અને પંક્તિઓનું પઠન થઈ રહ્યું છે. ફ્લાવર વાઝમાં કલમ
એટલે કે પેન – પેન્સિલ આકારે સુગંધીદાર ફૂલોને ગોઠવવામાં આવ્યા છે. આખો માહોલ સ્કુલ કે કોલેજના ક્લાસરુમ જેવો સંસ્કારિતા
પૂર્ણ લાગી રહ્યો હતો.
૪ નંબરના ટેબલ પર એટલે કે ‘હાસ્યઝોન’ માં જાત જાતના
સ્માઈલીવાળું ટેબલ ક્લોથ પાથરેલું છે.
ટેબલ પર પ્રસિધ્ધ હાસ્યલેખકો (સ્વર્ગસ્થ તારક મહેતા, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરિસાગર, અશોક દવે વગેરે) અને જાણીતા હાસ્ય-લેખિકાઓ (નલિની ગણાત્રા, કલ્પના દેસાઈ, સ્વાતિ મેઢ, પલ્લવી મિસ્ત્રી
વગેરે) ના હસતાં ફોટાવાળું કેલેન્ડર મૂકેલું છે. દરેક લેખક - લેખિકાઓના હસતા
ફોટાઓની નીચે એમના દ્વારા કહેવાયેલા હાસ્યરસિક વાક્યો છપાયેલા છે.
આવું હળવું વાતાવરણ જોતાં જ ગ્રાહકની ૨૫% ઉદાસી દૂર થાય છે. એના તંગ
ચહેરાની થોડી રેખાઓ હળવી થાય છે. વેઈટર ઠંડા પાણીનો ગ્લાસ મૂકી જાય છે, જેના પર ખુબ જ
જાણીતા સ્વર્ગસ્થ હાસ્યલેખક
‘જ્યોતીંદ્ર દવે’ નું કાર્ટૂન વાળું સ્ટીકર
લગાવેલું છે. એ જોતાં જ ગ્રાહકના મુખ પર હળવું હાસ્ય પ્રસરી જાય છે. મેનુકાર્ડ પર ગુજરાતી
ફિલ્મના કોમેડીયન સ્વર્ગસ્થ રમેશજીનું વિચિત્ર મોં વાળું ચિત્ર છે. નેપકીન પર ગુજરાતી હાસ્ય લેખક અને
કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડના ‘વનેચરનો વરઘોડો’ નું સચિત્ર વર્ણન
છપાયેલું છે. ડીનર માટેની મોટી પ્લેટ પર હાસ્ય કલાકાર સાંઈરામ દવેનો જોક એમના હસતા
ચહેરાની ની નીચે લખાયેલો છે. નાની પ્લેટ પર હાસ્યલેખક જગદીશ ત્રીવેદીનો ફોટા સહિત
નો નાનકડો જોક છપાયેલો છે.
હવે ગ્રાહક ૫૦% હળવા
મૂડમાં આવી જાય છે. એના મુખ પર સવારના ખીલેલા ફૂલ જેવું હળવું સ્મિત પ્રસરે છે. એ
મેનુકાર્ડમાં જોઈને ખાવાનો ઓર્ડર આપે છે. સ્ટાર્ટર માં સ્વાતિ - સ્વીટ કોર્ન સૂપ, પલ્લવી - પકોડા, કલ્પના - કરકરી રૂમાલી રોટી અને નલિની - નાચોસ મંગાવે છે. દરેક ટેબલ પર મૂકાયેલા હેડફોનમાં સંગીત સાંભળવા
મળે છે. ઓર્ડર આપ્યા બાદ એ સર્વ થાય એ વચ્ચેના ફ્રી ટાઈમમાં ગ્રાહક હેડફોન કાને લગાવે
છે.
હેડફોન માં કવિશ્રી રઈશ મણિયારની હાસ્યરચના, ‘પરણીને પસ્ટાય ટો પછી કે’તો નીં, ને બે વાસણ અઠડાઈ તો પછી કે’ટો ની’ સંભળાય છે. આ સાંભળીને ગ્રાહક ખડખડાટ હસે છે. એની ઉદાસી સાવ દૂર થઈ જાય
છે. એ રઈશજીની પંક્તિ ગણગણે છે. અને પછી વેઈટરને બોલાવીને પોતાને માટે કોલ્ડ કોફી વીથ
આઈસક્રીમ મંગાવે છે. ઓર્ડર સર્વ થાય ત્યારે જુએ છે તો તો કોફી-મગ પર લેખક ઊર્વિશ કોઠારીનો હસતો ચહેરો જોવા મળે છે. એને આ
રેસ્ટોરન્ટ પસંદ આવી જાય છે. એ મોબાઈલ લઈને પોતાનું સ્ટેટસ અપડેટ કરે છે, ‘એટ હેવન’સ પ્લેસ – એટ રાઈટર્સ રેસ્ટોરાં’
રેસ્ટોરન્ટમાં આ હાસ્ય ઝોન જેવા બીજા અનેક ઝોન
(શાંતિ ઝોન, રહસ્યમય ઝોન વીરતા ઝોન, કરુણા ઝોન, રોમેંટીક ઝોન વગેરે) આવેલાં છે. અને ઝોન
મુજબના લેખકોના ચિત્રો - અવતરણો (ફાધર
વાલેસ, હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ, નર્મદ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ
પટેલ, કનૈયાલાલ મુનશી, ઓશો રજનીશ, રઘુવીર ચૌધરી, કાજલ ઓઝા વૈધ અને ઘણા બધાં, એટલા બધાં કે અહી નામ લખવા બેસું તો આખો લેખ એમાં જ પૂરો થઈ જાય.) ખુબ જ ચોકસાઈ પૂર્વક આલેખાયેલા છે.
ગ્રાહક પોત પોતાની પસંદ પ્રમાણે ઝોન પસંદ કરીને બેસે છે, અને અવનવી
વાનગીઓની મજા માણે છે. દિન પ્રતિદિન આ ‘રાઈટર’સ રેસ્ટોરાં’ ખુબ પ્રસિધ્ધ થઈ રહ્યું છે. આ રેસ્ટોરન્ટમાં દેશ વિદેશથી આવેલા ગ્રાહકોનો સૌથી પ્રિય ઝોન છે, ‘ટી ઝોન’ જેમાં આપણા હાલના પ્રધાન મંત્રી શ્રી
નરેંદ્રભાઈના પુસ્તકો, પંક્તિઓ, સુવાક્યો અને દેશ વિદેશના
એમના પ્રવાસોનું સચિત્ર વર્ણન છે. જ્યાં બેસીને લોકો ‘ચાય પે ચર્ચા’ કરે છે.
આજની જોક : પત્ની : તમે ખરાબ ન લગાડશો, સાચું કહું તો મને
કશું રાંધતા આવડતું નથી. કવિ પતિ : તું અફસોસ ન કર, આપણા ઘરે રાંધવા જેવું કંઈ છે પણ
નહિ.
No comments:
Post a Comment