Wednesday 12 July 2017

સરકાર ને સલાહ.

સરકાર ને સલાહ.       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

દારૂબંધી વાળા કાર્યકર : એક ડોલમાં પાણી રાખ્યું છે અને બીજી ડોલમાં દારૂ, એક ગધેડો જેવો ગધેડો પણ દારૂના બદલે પાણી પીએ છે, એનો મતલબ સમજો છો ?
ગામડિયા પ્રેક્ષકો: હા, દારૂ મળતો હોય છતાં પાણી પીએ તે ગધેડો છે.
બે ત્રણ દિવસ પહેલાં આ જોક રેડિયો પર સાંભળીને મને, ૧-૪-૧૯૯૮ ના રોજ ‘ગુજરાત સમાચાર’ માં છપાયેલા સમાચાર - ‘ગાંધીજી ના ગુજરાત માં આજથી ઉઠાવી લેવામાં આવતી દારૂબંધી’ ની યાદ આવી ગઈ. આ સમાચાર વાંચીને કેટલાક ‘ગાંધીવાદી’  લોકો ગેલમાં આવી ગયા હતા, જ્યારે પોલીસ તંત્ર ચોંકી ઊઠ્યું હતું, ‘સરકારને તો દારુમાથી તગડી આવક થશે, પણ હવે દારૂબંધીના કારણે મળતી પોતાની બે નંબરની આવકનું શું થશે?’ એ વિચારે કાયમ બીજા લોકોને ટેન્સ કરતા પોલીસો પોતે ટેન્શનમા આવી ગયા હતા. 
બીજે દિવસે જ્યારે છાપાવાળા એ એકરાર કર્યો કે ‘દારૂબંધી ઉઠાવી લેવાના સમાચાર અપ્રિલ ફૂલ સમાચાર હતા’ ત્યારે એ લોકોનો જીવ હેઠો બેઠો. અને પછી એ લોકોએ દારૂના પીઠામાં જઈને દારુ પીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
તા. ૪ થી માર્ચ, ૧૯૮૩ ના રોજ દિલ્હીમાં રાજીવભૈયાએ (સ્વર્ગસ્થ રાજીવ ગાંધી) પોતાના નાનાજી નહેરુજી ના માનમાં, દેશની એકતા કાજે લાખો લોકોને સવારે દોડાવ્યા. ઘણીવાર મને એ વાત નથી સમજાતી કે આમ લોકોના દોડવાથી એકતા કેવી રીતે આવે? માની લઈએ કે બધા સાથે દોડે એટલે એ દિવસ પુરતી એકતા એ લોકોમાં આવે, પણ એ દિવસ સિવાય બીજા દિવસોનું શું ?  અને એ દોડમાં ભાગ ન લીધો હોય એવા બીજા લોકોનું શું ?
ખેર ! એ જ દિવસે – રાત્રે ગુજરાત રાજ્યના વડોદરા શહેરના સેંકડો માણસોએ ‘લઠ્ઠાપાન’ કરીને - શહીદી વહોરીને  - એ વખતના મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરીને, તેઓ માણી રહેલા સંગીતના કાર્યક્રમને  અધુરો મુકીને,  મોતનું તાંડવનૃત્ય જોવા માટે  દોડાવ્યા.
શિક્ષક: જુવો, આ કીડાઓને પાણીમાં નાખીએ તો જીવતા રહે છે, અને દારૂમાં નાખીએ તો મરી જાય છે, જાણો છો, આનાથી આપણને શું બોધપાઠ મળે છે ?
વિધાર્થીઓ: હા, દારુ પીવાથી પેટમાના કીડાઓ મરી જાય છે.   
જોક અપાર્ટ,  તા. ૮ અને ૯ નવેમ્બર (દિવાળી અને નૂતન વર્ષ) ૧૯૯૧, દિલ્હીના ‘જહાંગીરપુરી’ વિસ્તારના ઝૂંપડપટ્ટીના કામદારોએ તહેવારના દિવસો લઠ્ઠો પીને ઉજવ્યા, અને લગભગ ૨૦૦ જણને નવો અવતાર કે મોક્ષ મળ્યો. આમ તો કહેવાય છે કે – ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને’  આ ‘સુરા’ (દારુ)  એ દેવોનું પીણું છે, જે પીને ઘણા શૂરા (શૂરવીર) લોકો  હરિના ધામે પહોંચી જાય છે, એ વાત આવા લઠ્ઠાકાંડ થી પૂરવાર થાય છે.  
આના એક મહિના પછી, એટલે કે પહેલી ડીસેમ્બર ૧૯૯૧ ના રોજ, રાજકોટના પોરાળાગામમાં ઝૂંપડીઓમાં રહેતા લોકોએ લઠ્ઠાની મજા માણી ત્યારે પણ લગભગ ૩૦ લોકો સ્વર્ગે સિધાવી ગયા હતા. આમ લઠ્ઠો પીવાથી સ્વર્ગ મળે તો એ સોદો ખોટનો કહેવાય ? તમે જ કહો.
કેટલાક કહેવાતા ડાહ્યા લોકો કહે છે, કે આટઆટલા લઠ્ઠાકાંડના ગંભીર બનાવો  બની ગયા હોવા છતાં, લોકો દારૂ પીને બેફામ વાહનો ચલાવીને એક્સીડન્ટ કરીને જીવ ગુમાવતા, અને લોકોનો જીવ લેતા હોવા છતાં, સરકારે આજ સુધી, (આ તમે વાંચી રહ્યા છો એ દિવસ સુધી)  એને નિવારવા કોઈ પગલા ભર્યા નથી. સાંભળ્યું છે કે જે રાજ્યોમાં (ગુજરાત, બિહાર, મણીપુર, નાગાલેન્ડ) સરકારે ‘દારૂબંધી’ દાખલ કરી છે, પણ ત્યાં પણ ઓર્ડર કરવાથી (અને ઓફકોર્સ પેમેન્ટ કરવાથી) દારુ ઘેર બેઠા મળી જાય છે. પહેલા ગાંધીજીના ગુજરાતમા ઘી-દૂધ ની નદી વહેતી, હવે દારૂનો દરિયો વહે છે.
કદાચ સરકાર પાસે  આવા લઠ્ઠાકાંડ રોકવાના કોઈ ઉપાય જ નથી, અને છે તો એ અજમાવતી નથી, અને અજમાવે છે તો એમાં કારગત થતી નથી. આથી મારા જેવા કેટલાક પીઢ માણસોએ ‘સરકારની સેવામાં’ અંતર્ગત લઠ્ઠાકાંડ રોકવાના સરળ અને સચોટ ઉપાયો રજૂ કર્યા છે, અને ઉમેર્યું છે કે – આ ઉપાયો અજમાવવાથી સરકારને અને લોકોને ફાયદો થશે. આ દોઢડાહ્યા લોકો જાણતા નથી કે ‘સરકારને સલાહ’ આપવી એ ‘સૂરજને દીવો’  બતાવવા જેવું કામ છે, પણ ટેક્સ ભર્યા પછી હવે સરકારને આપી શકાય એવી ચીજમાં સલાહ જ બચી છે.
સલાહ-૧ : જે રીતે ગરીબ વિધાર્થીને શિક્ષણ આપવા સરકારે ‘મ્યુનિસિપલ શાળા’ ઓ ખોલી છે, એ જ પ્રમાણે ગરીબ કામદારોને સાંત્વન – રાહત –સહારો – જોમ મળી રહે, તે માટે  ‘મ્યુનિસિપલ બાર’ ખોલવા જોઈએ. જ્યાં રાહત દરે લઠ્ઠો મળી શકે એવી ગોઠવણ કરાવી જોઈએ.
સલાહ-૨: સરકારી લઠ્ઠો લોકો સુધી પહોંચે, એ પહેલાં ‘ક્વોલિટી કંટ્રોલ’ વિભાગના ઓફિસરોએ એ લઠ્ઠો પીવાલાયક એટલે કે ‘બિનઝેરી’ (આઇ એસ આઈ માર્ક) છે કે નહીં એ ચેક કરવું જોઈએ.
સલાહ-૩: ‘મ્યુનિસિપલ બાર’ ઉપરાંત રેશનીંગ ની દુકાનેથી કેરોસીન ની જેમ, લઠ્ઠાનું પણ પ્રમાણિત કરેલી માત્રામાં અને નક્કી કરેલા દરે વિતરણ કરવું જોઈએ, જેથી કોઈપણ શ્રમજીવી લઠ્ઠાથી વંચિત ન રહે, તહેવારોમાં આ માત્રા વધારી શકાય.
સલાહ-૪:સરકારે કર્મચારીઓને ‘મોંઘવારી-ભથ્થા’ ની જેમ જ ‘લઠ્ઠા-ભથ્થું’  પણ આપવું જોઈએ.
સલાહ-૫: ઘણા પરોપકારી લોકો અને સરકાર ખુદ પણ ઠેર ઠેર ‘ચોખ્ખા અને ઠંડા પાણીની પરબ’ ખોલે છે, એમ ‘બિનઝેરી લઠ્ઠા’ ની પરબો પણ ખોલવી જોઈએ, જેથી લોકોને વિનામૂલ્યે એ ચીજ મળી રહે.

ઉપરની પાંચ મૂલ્યવાન સલાહ અમલમાં મૂક્યા બાદ પણ ખતરનાક ‘લઠ્ઠાકાંડ’ બનતા રહે, તો સરકારે મુંઝાવાની જરૂર નથી. સરકાર દરેક ‘કાંડ’ વખતે જે રીતે હમેશા કરતી આવી છે, એ પ્રમાણે ‘લઠ્ઠા કાંડ’ વખતે પણ તપાસ સમિતિ રચવી, લઠ્ઠાની દુકાનો ટેમ્પરરી સીલ કરવી, બે ચાર અધિકારીઓની ઇધર ઉધર બદલીનું નાટક કરવું. એનાથી લોકોને થોડી ધરપત મળશે અને સરકારને ‘કંઇક’ કર્યાનો સંતોષ મળશે.       

1 comment:

  1. Good satire...pallavi Ben. ..Latta kand ni tarikho sari yad rakhi chhe.
    Harsha Mehta
    Toronto

    ReplyDelete