Monday 4 February 2019

પ્રેમ કે ઝનુન ?


પ્રેમ કે ઝનુન ?  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

‘આજે પ્રીતિબેન અને પરિમલભાઈને ડીનર પર બોલાવ્યા છે, તો મેનુમાં શું બનાવશે ?’ પતિદેવે પૂછ્યું.
‘શીરો, પૂરી - શાક અને દાળ - ભાત બનાવીશ’ પત્નીએ જવાબ આપ્યો.
‘હા, અને ફરસાણમાં બટાકાવડા બનાવજે, તારા બટાકાવડા  એમને બહુ ભાવે છે.’
‘ભલે, હું રસોઈની તૈયારી શરુ કરું છું, તમે મને જરા માર્કેટમાંથી એક કિલો બટાકા લાવી આપશો ?’
‘બટાકા તું જ લઇ આવને, પ્લીઝ. એ લોકો આવી જાય તે પહેલાં મારે મારી ઓફિસનું થોડું અરજન્ટ પેન્ડીંગ કામ છે, તે પૂરું કરવાનું છે, માર્કેટમાં જવાનો ટાઈમ નથી મારી પાસે.’
‘ઘરના કોઈ પણ કામ માટે તમારી પાસે ટાઈમ જ નથી હોતો. રોજ ઓફિસનું કામ ઘરે લઈને આવો છો, ગામ ગપાટા મારવાને બદલે ઓફીસનું કામ ઓફિસમાં જ પૂરું કરીને આવતા હોય તો ?’
‘બટાકા જેવી રોજ બરોજના કામમાં આવે એવી અને અઠવાડિયું થાય તો પણ બગડી ન જાય એવી સામગ્રી તું પહેલાથી જ અને કાયમ ઘરમાં રાખી મુકતી હોય તો.’
‘હવે તમે મને કહેશો કે મારે ઘરમાં શું કરવું જોઈએ અને શું નહિ ?’
‘અને તું મને કહેશે કે મારે ઓફિસમાં શું કરવું જોઈએ અને શું નહિ ?’
‘તમને કહીને શું ફાયદો ? લગ્ન પહેલાં તો માગ્યા વિના મારી મનગમતી વસ્તુઓ હોંશે હોંશે લાવી આપતા હતા, પણ હવે તો તમારે ગરજ સરી કે વૈધ વેરી.’  
‘સાવ એવું તો નથી હોં,  હજી પણ તને તારા જન્મદિવસે સાડી, ડ્રેસ, પરફ્યુમ વગેરે લાવી આપું છું કે નહિ ? અને મેરેજ એનીવર્સરી પર બહાર ડીનર પર લઇ જાઉં છું, ક્યારેક મૂવી તો ક્યારેક ડ્રામા જોવા પણ લઇ જાઉં છું કે નહિ ?’
‘એની હું ક્યાં ના પાડું છું, પણ મને જોઈતી હોય ત્યારે મદદ ના કરો એનો શું ફાયદો ?  અને મદદમાં પણ માત્ર સોસાયટીના નાકેથી  બટાકા જ તો મંગાવ્યા છે ને ? તો પણ તમે કામના બહાના કાઢો છો. જવા દો, તમારી પાસે કોઈ કામની  આશા રાખવી જ નકામી, હું જ કંઈ મેનેજ કરી લઉં છું.’
‘અભાર.’
‘નથી જોઈતો તમારો આભાર મને. આજના ન્યુઝ પેપરમાં તમે પણ આ સમાચાર તો વાંચ્યા તો હશે જ, કે પત્ની તોસ્યાએ ઘરના બેઝમેન્ટમાં બટાકા મૂકવા માટે પતિ અરકેલ્યાનને એક રૂમ બનાવવા કહ્યું, તો પતિએ ૨૩ વર્ષ સુધી ૩૦૦૦ ચોરસ ફૂટ ખોદકામ કરીને આખો મહેલ બનાવી દીધો, આને કહેવાય સાચો અને પ્રગાઢ પ્રેમ, સમજ્યા ?’
‘સાચો અને પ્રગાઢ પ્રેમ કોને કહેવાય એ વિષે ઘણા મતમતાંતરો અને માન્યતાઓ છે. આગ્રાના તાજમહાલની જ વાત લઈએ, તો લોકો તાજમહાલને શાહજહાંના એની પત્ની મુમતાઝ પ્રત્યેના પ્રેમની અમર નિશાની ગણે છે. એક ગીતકારે તો એના પર ગીત પણ રચ્યું છે, - એક શહેનશાહને બનાવાકે હંસી તાજમહાલ, સારી દુનિયાકો મુહાબ્બત કી નિશાની દી હૈ.....અને કેટલાક બુદ્ધિમાન ગણાતા લોકોએ શોધી નાખ્યું છે કે – શાહજહાંની સાત પત્નીઓમાં મુમતાઝ એની ચોથી પત્ની હતી, મુમતાઝ સાથે લગ્ન કરવા શાહજહાંએ એના પતિને મારી નાખ્યો હતો, મુમતાઝ એની ચૌદમી ડીલીવરીમાં મરી ગઈ હતી અને મુમતાઝના મૃત્યુ પછી શાહજહાં મુમતાઝની બહેનને પરણ્યો હતો.’
‘તોસ્યા અને અરકેલ્યાન ની વાતમાં શાહજહાં અને મુમતાઝ ક્યાંથી ઘુસી ગયા ? લાગે છે તમે એ  સમાચાર ધ્યાન થી વાંચ્યા જ નથી, અને  એટલે જ મારી વાત સમજ્યા નથી.’     
‘મેં એ સમાચાર વાંચ્યા છે, અને હું તો આખી વાત  સમજી ગયો, પણ તું જ વાત નથી સમજી.’
‘હું શું વાત નથી સમજી, સમજાવશો મને ?’
‘સમજાવું, યેરેવાન એજન્સીએ જણાવેલા સમાચાર મુજબ, આર્મોનિયાના આરિન્જ ગામમાં રહેતા લેવોન અરકેલ્યાનને એની  પત્ની તોસ્યા ઘારીબિને, ઘરના બેઝમેન્ટમાં બટાકા મૂકવા માટે એક રૂમ બનાવવાનું કહ્યું હતું. પણ લેવોને ૩૦૦૦ ચોરસ ફૂટ જમીન ખોદી, ૬૦૦ ટ્રક ભરીને માટી અને પથ્થરો કાઢ્યા. એ માટે એણે ૨૩ વર્ષ સુધી રોજ ૧૮ કલાક ખોદકામ કરીને આખો મહેલ બનાવી દીધો.’
‘હું તમને એ જ તો કહી રહી છું, આવા - પાણી માંગો તો દૂધ હાજર કરે - એવા એટલે કે લેવોન જેવા પતિદેવ આ ધરતી પર કેટલા ?’
‘પણ તું પૂરી વાત સાંભળ તો ખરી. ૨૦૦૮ માં આ મહેલની એક દીવાલ તૂટી ગઈ હતી, જેના લીધે પતિ લેવોનને હાર્ટએટેક આવ્યો અને ૬૭ વર્ષની વયે એનું અવસાન થયું.’
‘હા, એ સમાચાર જાણીને મને દુખ તો થયું, જો કે પત્નીએ એને આ કામ કરતા રોકવાનો પ્રયત્ન તો કર્યો હતો, પણ તેઓ રોકાયા નહિ, પત્ની પ્રત્યે એમને ગજબનાક પ્રેમ હતો.’
‘એને પ્રેમ નહિ ઝનુન કહેવાય. હું ઓફિસનું કામકાજ છોડીને આવું ખોદકામ કરું તો પહેલી તારીખે તારા હાથમાં મૂકું છું, એ પગાર મૂકી ન શકું. અને એવું થાય તો પછી, આપણી પાસે બટાકા મૂકવાના તો છોડ, બટાકા લાવવાના પૈસા પણ રહે નહિ.’
‘હા, તમારી એ વાત તો સાચી છે, હોં.’
‘અને બીજી વાત – આપણે ફ્લેટમાં રહીએ છીએ, માત્ર ફ્લેટની માલિકી આપણી છે, જમીનની નહિ, એટલે મારે ખોદકામ કરવું હોય તો પણ જમીન ક્યાંથી લાવવી ?’
‘એ વાત પણ સાચી.’
‘અને ત્રીજી વાત, લેવોને તો બિલ્ડીંગ બાંધકામની ટ્રેનીગ લીધી હતી, એટલે એણે જમીન ખોદીને મહેલ બનાવ્યો, એને મધ્યયુગની  ઈમારતની શકલ આપી.એમાં ગુફાઓ અને નહેરો બનાવ્યા, ગોળાકાર દરવાજા બનાવ્યા, દીવાલો પર મોટા મોટા શિલ્પો બનાવ્યા.’
‘હા, પત્ની તોસ્યા અહીં આવતા પર્યટકોને મહેલના તમામ ૭ રૂમ બતાવીને કહે છે, કે -  તે તેમના પ્રેમની નિશાની છે, લેવોન ૨૩ વર્ષ સુધી રોજના ૧૮ કલાક ખોદકામ કરતા હતા, કેમ કે તેમને વિશ્વાસ હતો કે ઈશ્વર તેમને મદદ કરી રહ્યો છે.’
‘અને હું જો અહી ફ્લેટમાં ૨ કલાક પણ ખોદકામ કરું તો આપણી નીચેના માળવાળા પટેલભાઈ એમના ફ્લેટની છત તોડી પાડવાના ગુનાસર પોલીસને કમ્પ્લેન કરીને મારી ધરપકડ કરાવડાવે. અને સોસાયટીના બગીચામાં ખોદકામ કરું તો ચેરમેન મને સોસાયટી નિકાલ કરે, સોસાયટીની બહાર જઈને રસ્તા પર ખોદકામ કરું તો નગર નીગમવાળા મને પકડીને પાગલખાનામાં મૂકી આવે.’
‘એ બધું તો ઠીક પણ મૂળ વાત તો એ છે કે, આપણી પાસે એક રૂમમાં મૂકવા જેટલા બટાકાની તો નથી જ, પણ  મહેમાનો આવે ત્યારે બટાકાવડા બનાવાય એટલા બટાકા પણ ઘરમાં નથી.’
‘તો પછી હું ખોદકામ કરીને મારો પ્રેમ સાબિત કરવાને બદલે મારી ઓફિસનું પેન્ડીંગ કામ પતાવી લઉં, પ્લીઝ  ?
‘હા, પતાવો. અને  હું બટાકાવડાને બદલે મેથીના ગોટા બનાવી લઉં છું.’
  


 
 

No comments:

Post a Comment