Tuesday 31 January 2017

અવમૂલ્યન.

અવમૂલ્યન.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પૌરાણિક કથામાં એક વાત આવે છે. મા પાર્વતી એકવાર નહાવા ગયા હતા ત્યારે બાળક ગણેશને ચોકી કરવાનું કહીને ગયા હતા. સંજોગવશાત તે જ સમયે ભગવાન શંકર તપ કરીને સ્વગૃહે પધાર્યા.માતૃભક્ત ગણેશે માતાની આજ્ઞા મુજબ એમને ઘરની અંદર જતા રોક્યા. 

આજના જમાનામાં તો નહાવા માટે એવી અધતન ઓરડીઓ હોય છે કે એમાંથી જલદી બહાર આવવાનું મન થતું નથી. પરંતુ તે જમાનામાં બાથરૂમ જેવી સ્પેશીયલ ઓરડીઓ નહોતી. તે વખતે તો બાળકોને સ્કુલ જવાનું પણ ફરજીયાત નહિ હોય, એટલે મા પાર્વતીએ  સોપેલું કામ ગણેશજીએ પૂરી વફાદારી પૂર્વક નિભાવ્યું હશે.

બાળક ગણેશે ભગવાન શંકરને રોક્યા, નવાઈની વાત કે અંતર્યામી ગણાતા ભગવાન શંકર પણ  પોતાના જ પુત્રને ઓળખી નહિ શક્યા. આજે પણ કયો બાપ પોતાના પુત્રને ઓળખી શકે છે? પણ  સામાન્યજન ગુસ્સે થાય તો પોતાના પુત્રને તમાચો લગાવી દે, ભગવાન ગુસ્સે થયા તો દીકરાનું ડોકું (તલવાર થી કે ત્રિશુળથી) ઉડાવી દીધું.

પાર્વતી નહાઈને આવ્યા ત્યારે પુત્રનું કપાયેલું ડોકું જોતા જ કલ્પાંત કરવા લાગ્યા. પુરુષની સૌથી મોટી નબળાઈ એ જ કે એ સ્ત્રીના આંસુ જોઈ ન શકે. પાર્વતીના આંસુ જોઇને શંકર ભગવાનનો ગુસ્સો વરાળ થઈને ઉડી ગયો. રહસ્યસ્ફોટ થતા એમને પોતાની ભૂલ સમજાઈ.

ભૂલ સુધારવા તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. સામે હાથી મળ્યો તો એનું ડોકું ઉડાવી દીધું ને તે લઇ આવીને ગણેશજીના ધડ પર લગાવી દીધું ને ગણેશજીને સજીવન કર્યા. ભગવાને ભૂલ કરી એની સજા નિર્દોષ પ્રાણી હાથીએ ભોગવવી પડી. આજે આપણા પ્રધાનો ભૂલ કરે એની સજા પ્રજાએ અને ડોકટરો ભૂલ કરે એની સજા દર્દીએ ભોગવવી પડે છે.

કહેવાય છે કે જમાનો બદલાઈ ગયો છે, પણ જમાનો ક્યાં બદલાયો છે? તે વખતે જે ચાલતું હતું તે જ આ વખતે પણ ચાલે છે. ખોટો તમાચો માર્યાની ખબર પડે તો બાપ દીકરાને કેડબરી અપાવે છે, પ્રભુએ ગણેશજીને આશીર્વાદ આપ્યા, ‘સૌ દેવોમાં સૌથી પહેલા તું પુજાઈશ.’
મને ન સમજાઈ હોય એવી એક જ વાત છે, ‘પ્રભુએ ગણેશજીને જીવંત કરવા હાથીનું ડોકું શા માટે લગાડવું પડ્યું? ખુદ ગણેશજીનું કપાયેલું માથું પણ લગાડી શક્યા હોત ને?’ ખેર ! કેટલાક પ્રશ્નોના કોઈ જવાબ નથી હોતા, આ પણ એમાંનો જ એક છે.
તમને થશે મેં આ વાર્તા શા માટે કરી, ખરુંને? તો વાત જાણે એમ બની કે એક ખુશનુમા સવારે મારા પતિદેવ નહાવા ગયા ત્યારે મને સૂચના આપતા ગયા, ‘કોઈ મને મળવા આવે તો બેસાડજે, થોડીજ વારમાં આવું છું.’ બરાબર એ જ સમયે એમના એક મિત્ર અનિલભાઈ એમને મળવા આવ્યા. એમને મેં ડ્રોઈંગરૂમમાં સોફા પર બેસવા કહ્યું અને તેઓ આનાકાની વગર બેસી ગયા એટલે શંકરજી સાથે ગણેશજીને થયો હતો  એવો કોઈ અકસ્માત મારે એમની સાથે થયો નહીં. મારા પતિને મળવા આવેલા મિત્ર અનિલભાઈનું ગંભીર મુખવદન જોઇને મને ફાળ પડી. મેં સહાનુભુતિ પૂર્વક પૂછ્યું:

-અનિલભાઈ, શી વાત છે, કોઈ નજીકનું સગું વહાલું મારી ગયું  છે?
-ના.  એમને એકાક્ષરી જવાબ આપ્યો.
-એવું હોઈ તો સંકોચ ન રાખતા બોલી દેજો. તમારા ભાઈને કહું કે નહાવાનું બાકી રાખે, સ્મશાનથી આવીને એકવરા જ નહાવાનું રાખે. તમને તો ખબર જ છે કે આપણી સોસાયટીમાં પાણીની કેવી શોર્ટેજ છે તે.
-તમેય શું ભાભી, તમારી જ હાંક્યે રાખો છો. કહ્યું તો ખરું કે એવું કશું નથી.
-તો પછી આવું સાવ ઘુવડ જેવું મોં કેમ કરી નાખ્યું છે? નીલાબેન (એમના પત્ની) કઈ બોલ્યા તમને? એમણે તમને સવારની ચા નથી પાઈ? એમાં મૂંઝાવ છો શું મારા ભાઈ. આ દૂધ પડ્યું – અબઘડી ચા બનાવી લાવું. મૂવા દુધવાળા પણ કેવા થઇ ગયા છે, સારું દૂધ નથી આપતા, છોકરાઓ તો દૂધ પીવાની જ ના પાડે છે. લાવું ચા?
-ચા ને બા. મારે કઈ પીવું નથી.
-એમ શું કરો છો અનિલભાઈ, કહો નીલાબેન સાથે ઝઘડો થયો છે?
-ના, એ તો બે દિવસથી પિયર ગઈ છે.
-ઓહોહોહો! લો, તો પછી ચહેરો ઉતરેલો કેમ છે?
-તમે છાલ નહીં જ છોડો, ભાભી. ચાલો કહી જ દઉં, તમને ખબર છે ત્રણ દિવસમાં બે વખત રૂપિયાનું અવમૂલ્યન થયું.
-એમાં રડવા જેવું શું છે? હજી તો થોડું જ અવમૂલ્યન થયું છે, થોડું તો બાકી છે. ૧૦૦ ટકા અવમૂલ્યન થઇ જાય તો પણ શું ફરક પડે છે?
-એટલે?
-એટલે એમ કે રૂપિયો એ રૂપિયો જ રહે નહિ, માત્ર સિક્કો કે કાગળિયું જ થઇ જાય. જેનાથી બાળકો રમત રમે.
-પણ રૂપિયા વગર બજારમાંથી ચીજ વસ્તુઓ શી રીતે લાવીએ?
- બાર્ટર સિસ્ટમથી.
-એ વળી શું?
-તમે મને ઘઉં આપો, બદલામાં હું તમને ચોખા આપું. મતલબ કે જેની પાસે જે ચીજ હોય તે અદલા બદલી કરે. રૂપિયાની જરૂર જ ન પડે.
-પણ મારા રૂપિયા શેરબજારમાં ફસાયા છે, એનું શું?
-ખોટું ન લગાડતા અનિલભાઈ, પણ તમને નીલાબેને પહેલેથી જ ખુબ વાર્યા હતા, કે રૂપિયા શેરબજારમાં ન નાખો. પણ તમે માન્યા જ નહિ. વાર્યા ન વળે તે હાર્યા વળે. શેરબજારને બદલે નીલાબેનના કહ્યા મુજબ મકાનમાં રૂપિયા રોક્યા હોત તો આજે તમારું મજાનું ઘર હોત.
-તે અમે ક્યા ફૂટપાથ પર રહીએ છીએ? ઘરમાં જ રહીએ છીએ ને? પોતાનું ઘર નથી તો શું  થયું?
-શેરબજારમાંથી હાથ ખેંચો, નહિ તો ફૂટપાથ પર રહેવાનો વારો આવશે, અનુભાઈ.
-તમે ય શું આવી કાળવાણી ઉચ્ચારો છો, ભાભી?
-આ કાળવાણી નથી, ભવિષ્યવાણી છે. ત્રણ દિવસ પહેલા જ નીલાભાભી મળ્યા હતા, ખુબ રડતા હતા. મકાન માલિકના ટકટકારાની વાત કરતા હતા. તમે એમનું કઈ સાંભળતા નથી અને મનમાની કરો છો એવું પણ કહેતા હતા. હજીય સમય છે, ચેતી જાવ, અનુભાઈ.
-નીલાડીને મેં કેટલીય વાર કહ્યું કે ઘરની વાત બહાર ન કર, પણ એય માને તો ને? મકાનમાલિકની વાત તે ધ્યાન પર લેવાતી હશે? આંખ આડા કાન કરવાના.
-તમે કરો છો એમ જ, નહીં અનિલભાઈ?
-ચાલો ભાભી, હવે હું જાઉં.
-અરે, બેસોને. તમારા ભાઈ નાહીને આવતા જ હશે.
-ના ભાઈ ના. હવે જો હું અહીં વધુ વાર બેસીશ તો રૂપિયાની જેમ મારું પણ અવમૂલ્યન થઇ જશે.
-માણસોના મુલ્યો(નૈતિકતા) હવે ક્યા પહેલાના જેવા રહ્યા જ છે?
-એ વાત સાચી, અવમૂલ્યન થાય ત્યાં સુધી તો ઠીક પણ તમે તો નાબુદી સુધી પહોચી ગયા. હવે અહીંથી જવામાં જ મારી સલામતી છે. હું એમને ઓફિસમાં મળી લઈશ.
-જેવી તમારી મરજી, આવજો અનુભાઈ.

 -આવજો ભાભી.  

Tuesday 24 January 2017

મફતમાં બોલતા વક્તાને તો માઈક પણ નથી સાંભળતું.

મફતમાં બોલતા વક્તાને તો માઈક પણ નથી સાંભળતું.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

જે વસ્તુની કિંમત ઊંચી ન હોય, એની ક્વોલિટી શી રીતે ઊંચી હોવાની? સસ્તામાં મળતી કે સહેલાઈથી ઉપલબ્ધ થતી ચીજ પ્રત્યે લોકોને ખાસ આકર્ષણ હોતું નથી. સસ્તામાં કે મફતમાં મળતી ચીજવસ્તુની ક્વોલિટી પ્રત્યે લોકોને આશંકા થાય એ સાવ સ્વાભાવિક છે.
કોઈ પણ વસ્તુની કેવી અને કેટલા પ્રમાણમાં પ્રશંસા કરવી એનો આધાર એની કિંમત અથવા એ કોણે ખરીદી છે એના પર રહેલો છે. દાખલા તરીકે – બેંકનો કોઈ કલાર્ક કે પટાવાળો મારુતિકાર ખરીદે તો એની પ્રશંસા કરતાં પહેલાં આપણને એ વિચાર આવે કે ‘આટલા પૈસા એ ક્યાંથી લાવ્યો હશે?’ એની પ્રમાણિકતા પર આપણને શક થાય. જ્યારે કોઈ ધનવાન વર્ષોપુરાણું કારનું જૂનું ખખડધજ મોડલ ખરીદે તો પણ આપણે કહીએ ‘વાહ! શું ક્લાસિક મોડેલ છે, બહુ ઊંચી ચોઈસ છે.’
ગુજરાત સમાચારની લોકપ્રિય કૉલમ ‘બુધવારની બપોરે’ ના પ્રખ્યાત લેખક શ્રી અશોક દવે કહે છે, ‘હું જ્યારે મફત પ્રવચન આપવા જતો ત્યારે મને આમંત્રણ આ રીતે મળતું – તમારું પ્રવચન અમુક દિવસે, અમુક સમયે, અમુક  હોલમાં રાખ્યું છે. બની શકે તો કલાકેક વહેલા આવી જજો.’ હવે જ્યારે હું  પ્રવચન કરવાના પણ પૈસા (અને તે પણ રીસ્પેકટેડ એમાઉન્ટ) લઉં છું, ત્યારે આયોજકો તરફથી આમંત્રણ આ પ્રકારે મળે છે, ‘સાહેબ, આપનું પ્રવચન રાખવાનો વિચાર છે, પુરષ્કાર આપ કહો તે, આપને  કયો દિવસ - કયો સમય ફાવશે? સ્થળ તમે કહેશો તે રાખીશું. મૂકવા લેવા ગાડી મોકલશું અને પ્રવચન બાદ ડીનર પણ રાખ્યું છે.’
વિદ્વાન હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટ કહે છે, ‘ચાર્લ્સ ડિકન્સ અને માર્ક ટ્વેઈન જેવા સધ્ધર હાસ્યલેખકોએ  પોતાના પ્રવચનમાંથી જ પોતાનું જંગી દેવું ચૂકવ્યું હતું.’ ભારતના હાસ્યલેખકો માટે તો એ શક્ય જ નથી.  માત્ર એટલા માટે નહિ કે તેમને પ્રવચનોમાથી  એટલી આવક નથી, પરંતુ એટલા માટે પણ કે તેઓ ધારે તો પણ આવાં જંગી દેવાં-ફેવાં એમને કરવા જ કોણ દે?
હું નિવેદન કરું છું કે પ્રવચન કર્તાઓનું એટલે કે વક્તાઓનું એક યુનિયન હોવું જોઈએ. જે વ્યક્તિ સૌથી વધુ બોલી શકે તેને યુનિયનની લીડરશીપ મળે. યુનિયનના દરેક સભ્યે યુનિયનના દરેક નિયમો પાળવાના સૌગંદ લેવા પડે. નિયમો માટે મારા સૂચનો નીચે મુજબ છે:
૧-વક્તાએ ક્યારેય ક્યાંય પણ મફતમાં પ્રવચન કરવા ન જવું. જો પ્રવચન કરવાનું ઘણું જ મન થયું હોય અને ક્યાંય મેળ ન પડ્યો હોય તો અરીસા સામે, બાથરૂમમાં કે ઘરના કોઈ ખાલી ખૂણામાં જઈને બોલી લેવું.
૨-વક્તાએ પ્રવચનનો તમામ ખર્ચ (આવવા-જવાનું-ચા-નાસ્તો-ભોજન) આયોજકો પાસેથી લેવો.
૩-વક્તાએ આયોજકો પાસેથી પ્રવચન કરવાની સાઈનીંગ એમાઉન્ટ – ‘પ્રવચન રદ થાય તો પણ પાછી નહિ મળે‘ એ શરતે એડવાન્સમાં લઇ લેવી.
૪-ઓડિયન્સ લાવી આપવાથી માંડીને, તેને પ્રવચન દરમ્યાન શાંત રાખવાની અને પ્રવચન પૂરું થાય ત્યાં સુધી બેસાડી રાખવાની જવાબદારી આયોજકો લેતા હોય તો જ પ્રવચન આપવા જવું.
૫-વક્તાને પ્રવચન માટે જોઈતી તમામ સામગ્રી (પેન-પેપર-રેફરન્સબુક-સીડી)આયોજકોએ આપવાની રહેશે. વક્તા ધારે તો ચશ્માં – ચપ્પલ – લાકડી –છત્રી નો ખર્ચ પણ માગી શકે.
૬- વક્તા સારું જ બોલે એ માટે આયોજકો ધારે પણ કઈ કરી શકતા નથી. પણ વક્તા સારો દેખાય એ માટે અપ-ટુ-ડેટ કપડાં તો આપી જ શકે છે. આ ઉપરાંત વક્તા બ્યુટી-ટ્રીટમેન્ટ (બ્લીચ-ફેસિયલ-હેરકલર-ક્લીન શેવ) નો ખર્ચ પણ ધારે તો આયોજકો પાસેથી લઇ શકે છે, આનાથી વક્તા ‘માણસ’ જેવો લાગશે. 
૭-જો કોઈ વક્તાના પ્રવચનની નોંધ કોઈ ન્યૂસપેપર વાળા છાપવા માંગતા હશે તો વક્તાની લેખિત પરવાનગી અને માગેલી  કિંમત આપીને છાપી શકશે.  
મેં અહી ઉપર જે મુદ્દાઓ બતાવ્યા છે તે દરેક વક્તાઓ પાળશે તો જ એમની હાલની પરિસ્થિતિ સુધારવાના ચાન્સ છે. બાકી તો - મફતમાં બોલતા વક્તાને તો માઈક પણ નથી સાંભળતું. 
આજની જોક:
રમેશ: રવિવારે મારી બુકનું ઉદઘાટન છે, લે આ બે પાસ, તું ભાભીજીને લઈને આવજે.
મહેશ અમદાવાદી: રીક્ષા ભાડાના પૈસા કોણ આપશે?

     


Tuesday 17 January 2017

હવે ચંદ્રની ખેર નથી.

હવે ચંદ્રની ખેર નથી.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

મગન: યાર, જોને પેલી બ્લ્યૂ સાડીવાળી બ્યુટીફુલ લેડી અત્યાર સુધી મારી સામે જોઇને મીઠું મીઠું મુશ્કુરાતી હતી, અને હવે મારી સામે જોઇને ઘૂરકવા માંડી છે. ખરેખર સ્ત્રીઓને સમજવી અત્યંત અઘરી છે.
છગન: તારી વાત એકદમ સાચી છે, દોસ્ત. એ બ્લ્યૂ સાડીવાળી મારી પત્ની છે.  લગ્ન પછી દસ વર્ષ એની સાથે રહેવા છતાં હજી પણ હું એને ઓળખી શક્યો નથી.
‘એવું નથી કે વર્ષોથી પાસે રહેતી સ્ત્રીઓ જ આપણા માટે અકળ છે,  દૂર રહેતો ચંદ્ર પણ આપણા માટે એટલો જ, બલકે એનાથી વધુ અકળ છે.’ એવું વૈજ્ઞાનિકો ચંદ્ર સાથેના અનેક પ્રયોગો બાદ માને છે. ‘સ્ત્રીઓને સમજો નહિ, માત્ર એમને ચાહો.’ એવી સુફિયાણી સલાહ તત્વજ્ઞાની પુરુષો આપે છે. પણ સામાન્ય પુરુષો આ વાત સહજતાથી સ્વીકારતા નથી. તેઓ સ્ત્રીઓને ચાહવાને બદલે તેમને વધુ ને વધુ સમજવાનો પ્રયત્ન કરે છે અને અંતે અસફળતા અને નિરાશા પામે છે. એવું જ વલણ આપણા ખગોળશાસ્ત્રીઓ નું છે. તેઓ સદીઓથી ચંદ્રને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેમને સંપૂર્ણ સફળતા મળી નથી.
ઘણા વર્ષો અગાઉ અમેરિકાએ ‘કેલેમેન્ટઈન’ નામના સેટેલાઈટને ચંદ્ર પર મોકલ્યો હતો.  જંગલમાં રહેતા પ્રાણીઓને દુશ્મન એટલે કે શિકારી પ્રાણીના હુમલાની જાણ અગાઉથી થઇ જાય છે, માણસ પણ આવી વિશેષતા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. એટલે દુશ્મનના હુમલાની જાણ થઇ જાય એવા સેન્સર્સ (ગંધપારખુ) યંત્રોની ચકાસણી કરવા એમને આ સેટેલાઈટને ચંદ્ર પર મોકલ્યો હતો. પણ એણે એ કામ કરવાને બદલે ‘ચંદ્ર પર પાણી છે’  એ શોધી કાઢવાનું કામ કર્યું.
જેમ મા-બાપ પોતાના છોકરાને ડોકટર કે એન્જીનીયર બનાવવા માંગતા હોય અને એ બની જાય ચિત્રકાર કે સંગીતકાર, યાનની બાબતમાં પણ આવું જ બન્યું. પોતાનું કામ ભૂલીને એણે શોધી કાઢ્યું કે ‘ચંદ્ર પર પુષ્કળ પાણી છે.’  એની આ વાત વૈજ્ઞાનિકોને ગળે ઉતરી નહિ. એમને લાગ્યું કે ક્યાં તો ચંદ્ર કેલેમેન્ટઇન ને ઉલ્લુ બનાવે છે અથવા તો કેલેમેન્ટઇન આપણને ઉલ્લુ બનાવે છે. એટલે આ ઉલ્લુપણા ની ચકાસણી કરવા એમણે ‘લ્યુનાર’ નામનું બીજું યાન ચંદ્ર પર મોકલ્યું. તો માલુમ પડ્યું કે ચંદ્ર પર ખરેખર પુષ્કળ પાણી છે.
મને તો આ વાત જાણીને ખુબ ખુશી વ્યાપી ગઈ કે ‘ચાલો, અછતના આ જમાનામાં ક્યાંક અને કંઈક તો પુષ્કળ છે.’  આજે એકવીસમી સદીમાં પાણીની શોર્ટેજ છે. વધતી જતી વસ્તી અને પાણીના બેફામ વપરાશને ને લીધે  થોડા વર્ષોમાં આ સમસ્યા વિકટ બનવાની છે. ત્યારે આ પાણીની રેલમછેલ વાળા સમાચારથી મારા જેવા ઘણા ઘેલા લોકો ગેલમાં આવી ગયા છે.
ધનવાન લોકો ચંદ્ર પર જમીન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. ભવિષ્યમાં ચંદ્ર પર ચંદ્રનિવાસ, ચંદ્રસદન, ચંદ્રવિલા, ચંદ્રભુવન જેવા હાઈરાઈઝ બિલ્ડિંગ બનશે તો નવાઈ નહિ લાગે. ચન્દ્રની જમીનના ભાવ ઉંચકાવાની પૂરી શક્યતા લાગે છે. જેમની પાસે વધારાની આવક હોય તેમણે અહીં ઇન્વેસ્ટ કરવા જેવું ખરું. અમે તો ભાડે મળતું થશે પછી રહેવા જઈશું.
ચાલો એ રીતે તો ઓછો થશે આ ભાર પૃથ્વીનો,
સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે.
આ પંક્તિ લખનારની કલ્પના સારી છે. ધનપતિઓ ચંદ્ર પર રહેવા કદાચ નહિ જાય, તો પણ તેઓ લગ્ન બાદ ચંદ્ર પર હનીમુન (હની ની સાથે મુન પર) કરવા તો જઈ શકશે. પરંતુ આ બધાની સાથે સાથે મારા મનમાં કેટલાક પ્રશ્નો જાગે છે:
૧-સાંભળ્યું છે કે ચંદ્રની કલાને લીધે પૃથ્વી પર રહેતા કેટલાક લોકોને પૂનમની રાતે ‘મુન મેડનેસ’ આવે છે. ચંદ્ર પર રહેનારને અમાસની રાત્રે ‘અર્થ મેડનેસ’ આવશે ખરી?
૨-જેમ પૃથ્વીવાસીઓને  ‘સૂર્યગ્રહણ’ અને ‘ચંદ્રગ્રહણ’ નડે છે, એમ ચંદ્રવાસીઓને ‘પૃથ્વીગ્રહણ’ નડશે ખરું?
૩-આપણે અહી નાના બાળકોને ચંદ્ર દેખાડીને ‘ચાંદામામા’ કહીને પટાવીએ છીએ, તેમ ત્યાંના બાળકોની મા તેમને ‘પૃથ્વીમાસી’ કહીને પટાવશે ખરી?
૪-જેમ ચંદ્ર પૃથ્વીવાસીઓને ‘હેન્ડસમ’ લાગે છે, તેમ પૃથ્વી  ચંદ્રવાસીઓને ‘બ્યુટીફૂલ’ લાગશે ખરી?
૫-ચન્દ્રમાં કલંક છે, તેમ પૃથ્વીમાં પણ કલંક હશે ખરું?
ચાલો, આ બધી તો હજી દૂરની વાત છે, પણ મુખ્ય અને મજાની વાત તો એ છે કે ‘ચંદ્ર પર પુષ્કળ પાણી છે.’ એટલે ત્યાં ‘પાણી બચાઓ’ એવું સૂત્ર તો નહિ જ વહેતું થાય. વૈજ્ઞાનિકો કહે છે કે, ચંદ્ર પર હજારો વર્ષ સુધી કેટલીય માનવ વસાહતોને પૂરું પાડી શકાય એટલું (૨ કરોડ ૩૦ લાખ ટન)  પાણી છે.’
જો અમારી વસાહત એટલે કે સોસાયટીનો પાણીનો વપરાશ આ વૈજ્ઞાનિકોએ જોયો હોત તો તેઓ આવું (ઉપર મુજબનું) વિધાન કરવાની હિંમત જ ન કરી શક્યા હોત. ‘હજારો વર્ષ’ ના બદલે એમણે ‘થોડા દિવસો સુધી ચાલે એટલું પાણી છે.’ એમ કહ્યું હોત ‘
આજની જોક:
ચંપા: લીલી, તેં કંઈ  હામ્ભર્યું, લોકો તો કંઈ ના કંઈ ઠેઠ ચાંદ લગણ પુગી જ્યાં.

લીલી: બુન, મી હો હામ્ભર્યું તો ખરું. પણ આપણા ને ઘરના કામકાજ માંથી ફુરસત મલે તો આપણે કયોંક જઈએ ને?   

Tuesday 10 January 2017

અતિથિ દેવો ભવ.

અતિથિ દેવો ભવ.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

ગુન્દરીયા મહેમાનને ભગાડવાના આશયથી માંદા હોવાનો ઢોંગ કરીને માથે મોઢે ઓઢીને સૂતેલા પતિએ પગ દબાવતી પત્નીને દસ મિનીટ પછી ધીરેથી પૂછ્યું:
-બલા ગઈ કે?
-ના, એ તો તમારા પગે વળગી છે.(પગ  દબાવી રહી છે.) ભાભીને તો મેં ચા બનાવવા મોકલ્યા છે.  મહેમાને હસતા હસતા કહ્યું.

ભારત દેશમાં ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે, અતિથિને દેવ સમાન ગણવામાં આવે છે. સ્વર્ગમાં રહેતા દેવોએ કેવા નિયમો પાળવાના હશે તે તો તેઓ જ જાણે, પણ આ પૃથ્વી પર રહેતા અને અતિથિ  બનવા માગતા મનુષ્યોએ પાળવા  જેવા નિયમો વિશે સાહિત્યકારોએ એટલું બધું લખ્યું છે કે એ બધું જો અતિથિ બનનાર વ્યક્તિ વાંચે, વિચારે અને અનુસરે તો ભવિષ્યમાં એ અતિથિ બનવાનું જ માંડી વાળે.

પણ મેં અતિથિ બનવાની ઈચ્છા ધરાવનાર સર્વ વ્યક્તિ પ્રત્યે દયાભાવથી પ્રેરાઈને આ લેખ લખ્યો છે, જે વાંચીને, વિચારીને અને અનુસરીને અતિથિ નામના દેવો જરૂર પ્રસન્ન થશે એવી મને આશા છે.

સાહિત્યકારો લખે છે કે  અતિથિ એ યજમાનના ઘરે અચાનક ન જતાં અગાઉથી જાણ કરીને જ જવું. હું આ વિધાન સાથે એટલા માટે  સહમત નથી, કેમ કે ‘અતિથિ’ નો તો અર્થ જ એ થાય છે કે ‘જેના આવવાની તિથિ નક્કી નથી એ’ એટલે  જતા પહેલા યજમાનને જાણ કરવાનો તો સવાલ જ ઉભો નથી થતો. એમ કરવાથી તો ‘અતિથિ’ શબ્દનો આખેઆખો ‘ચાર્મ’ મતલબ જ ખલાસ થઇ જાય છે.

અચાનક તમારા મિલનથી યજમાનના મુખ પર છવાયેલા મૂંઝવણના ભાવો જોવાનો લહાવો અનેરો હોય છે. તમે અગાઉથી કાગળ લખીને જણાવીને યજમાનના ઘરે જશો તો ક્યારેક એના બારણે ‘ખંભાતી’ તાળું લટકતું જોવા મળશે. ઉપરથી પડોશીઓ કહેશે, ‘એ લોકો તો આજે સવારે જ બે દિવસ માટે બહારગામ ગયા છે.’ આમ તમે લખેલ પોસ્ટના પૈસા અને ટીકીટ ભાડાના પૈસા નકામા જશે.

 પછી ક્યારેક  ન્યાતના મેળાવડામાં યજમાન તમને કહેશે, ‘તમારો કાગળ બહારગામથી આવ્યા પછી મળેલો, સોરી હોં, તમને ધક્કો થયો’ ત્યારે  તમારે એને ધક્કો મારવાની ઈચ્છાને દબાવીને  ‘Benefit  of Doubt’ (શકનો લાભ) આપીને છોડી મૂકવો જ પડે. અને અત્યારના જમાના પ્રમાણે ફોન કરીને યજમાનના ઘરે જવાની વાત મૂકો તો એ નિખાલસપણે અને સવિનય પોતાની પ્રતિકૂળતા વિશે જણાવી દે છે, એટલે તમારા પ્રોગ્રામની તો વાટ જ લાગી જાય ને? સાહિત્યકારો કહે છે કે  તમે  કેટલા દિવસ રોકાવાના છો તેની જાણ તમારા યજમાનને અગાઉથી કરી દો. ભલા માણસ, આવું કરવાથી યજમાનની ક્ષણેક્ષણ ની  જીજ્ઞાસા, ‘આ ક્યારે જશે? ક્યારે જશે?’ જ ખતમ થઇ જાય કે નહીં?  સાહિત્યકારો કહે છે કે તમે યજમાનના ઘરે જાઓ ત્યારે યજમાનના બાળકો માટે બિસ્કીટ, ચોકલેટ,મીઠાઈ કે એવી કોઈ ખાવાની ચીજ ભેટ તરીકે લેતાં જાઓ. પણ આ વાત યોગ્ય નથી, કેમ કે આવું ખાવાથી બાળકોના દાંત, પેટ અને આદત ખરાબ થાય છે. પછી મહેમાનો ન હોય ત્યારે બાળકો આવી ચીજો મા-બાપ પાસે માગે છે, એટલે સરવાળે નુકસાન યજમાનને જ થાય છે.

અતિથિએ યજમાનની પત્નીની રસોઈના વખાણ કદી કરવા નહિ, પછી ભલેને સાહિત્યકારો એ વિશે સલાહ આપી ગયા હોય. જો તમે એવું કરશો તો યજમાન અને એની પત્ની વચ્ચે ઝઘડાનું નિમિત્ત બનશો.  યજમાનપત્ની કહેશે, ‘જોયું, ફલાણાભાઈ મારી રસોઈના કેવા વખાણ કરતા હતા, અને એક તમે છો જેને મારી રસોઈમાં કાયમ વાંધા પડે છે.’
યજમાન એની પત્નીને કહેશે, ‘મહેમાનને તો ઠીક છે, બે દિવસ તારા હાથનું ખાવાનું આવે એટલે એ વખાણે, કાયમ તારા હાથની રસોઈ જમે તો બેટમજીને એની પાચનશક્તિ વિશે ખબર પડે.’ અહી મને એક મસ્ત જોક યાદ આવે છે:
પત્ની: જલ્દી જાઓ, રસોડામાં ચોર ઘુસ્યો લાગે  છે, અને ફ્રીઝમાંથી મારી રસોઈ ઝાપટી રહ્યો લાગે છે.
પતિ: ખાવા દે એને, એ એ જ લાગનો છે.

અતિથિ થવાના નિયમોમા એક નિયમ યજમાનની સગવડ સાચવવાનો પણ સાહિત્યકારો બતાવી ગયા છે. હવે તમે જ કહો મિત્રો, સગવડ તો યજમાને મહેમાનની સાચવવાની હોય કે નહીં? ‘મહેમાનોએ પોતાના ટુથબ્રશ, કાંસકો, ટુવાલ, દાઢીનો સામાન, વગેરે પોતાના ઘરેથી લઇ જવું,’ એવું નાદાન સાહિત્યકારો લખી ગયા છે. પણ એમ કરવું એ  શું યજમાનનું અપમાન નથી?  એને એવું નહીં લાગે કે, ‘શું આવી ક્ષુલ્લક ચીજો હું પૂરી પાડવા સક્ષમ નથી?’

યજમાનના ઘરે ટી.વી., વિડીયો,, ટેપરેકોર્ડર, રેડિયો વગેરે વાપરવા માટે યજમાનની રજા લેવી જોઈએ.(સાહિત્યકારો એવું કહે છે.) એ નિયમ થોડો હાસ્યાસ્પદ નથી લાગતો? અતિથિ જેમ યજમાનના ઘરને પોતાનું સમજે તેમ ઘરની ચીજોને પણ પોતાની જ સમજવી જોઈએ ને? પોતાની ચીજો વાપરવા વળી પરમીશન કોની લેવાની?

અતિથિ યજમાનના શહેરથી અજાણ હોઈ યજમાનની ફરજ બની રહે છે, કે એ મહેમાનાનને શહેરમાં બધે ફેરવીને જોવાલાયક સ્થળો બતાવે. બનવાજોગ છે કે એને આ માટે કપાતે પગારે રજા લેવી પડે, પણ એમ કરતા એને રૂટીન  લાઈફમાં ચેન્જ મળે તે જેવોતેવો ફાયદો થોડો છે?

અતિથિ યજમાનના ઘરેથી વિદાય લે ત્યારે અતિથિએ યજમાનનો નહીં પણ યજમાને અતિથિનો આભાર માનવો જોઈએ, કારણ કે એ યજમાનને જવાબદારીમાંથી મુક્ત કરીને જઈ રહ્યો છે. વિદાય લેતી વખતે અતિથિએ યજમાનને પોતાના ઘરે આમંત્રણ આપવાની જરાપણ જરૂર નથી. કારણ કે મહેમાનનો આવવાનો, રહેવાનો કે જવાનો આધાર યજમાનની ઈચ્છા પર આધારિત નથી. તેથી ‘હું આમંત્રણ આપીશ તો જ આ મારા ઘરે આવશે’ એવો મિથ્યા ગર્વ અતિથિએ યજમાનના ઘરેથી વિદાય લેતી વખતે ધરવાની જરૂર નથી. વિદાય લેતી વખતે અતિથિએ યજમાનના બાળકોના હાથમાં પૈસા મૂકવાની જરાપણ જરૂર નથી, કેમ કે પૈસો તો હાથનો મેલ છે.

ઘરે પહોંચ્યા પછી અતિથિએ પત્ર (હવે તો મેસેજ કે ફોન) દ્વારા પોતાની ખાતરદારી  માટે યજમાનનો આભાર માની, આપણે એની સાથે વિતાવેલા સમયની યાદ દેવડાવી એના ઘા પર નમક  ભભરાવવાની જરા પણ જરૂર નથી.
ઉપર જણાવેલી મારી આટલી ટીપ્સ અતિથિ યાદ રાખશે તો એને અતિથિ બનવાની ખરેખર મજા આવશે. આ લેખ વાંચીને કોઈના મનમાં જો અતિથિ બનવાની અદમ્ય ઈચ્છા જાગે તો કોઈને પણ (અમારા સિવાય) યજમાન બનાવવાની છૂટ છે. કેમ કે અમે તો ‘યજમાન બનવાની કળા’ ના બધા નિયમો વાંચીને આત્મસાત કરી નાખ્યા છે,(જે અમારા હિત ખાતર અપ્રગટ રાખ્યા છે.)

 

    

Tuesday 3 January 2017

એક ને એક બે.

એક ને એક બે.         પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

જમવાની થાળીમાં પાણીપૂરી જેવડી બે નાની પૂરી મુકાયેલી જોઇને મૂંઝાયેલા કાઠીયાવાડી મહેમાને સુરતી ગૃહિણીને ચતુરાઈ પૂર્વક કહ્યું,
-બહેન, આમાથી એક પૂરી કાઢી લ્યો.
-ભાઈ, ‘એક’ મા શું ખાશો? ગૃહિણીએ સમભાવ પૂર્વક કહ્યું.
-ત્યારે ‘બે’ મા ય શું ખાઈશ? છેવટે મહેમાને મનની વાત કહી જ દીધી.
આ ‘બે’ ગણિતની એક સંખ્યા છે, એક અને એક બરાબર બે થાય છે. પણ આ ‘બે’ અક્ષર બીજા અક્ષરો સાથે જોડાય ત્યારે એના વિવિધ અર્થ થાય છે. કવિઓ અને શાયરો આવા ‘બે’ થી જોડાયેલા અક્ષરોના સમૂહ એટલે કે શબ્દોનો પ્રયોગ એમની કવિતાઓ અને શાયરીઓમાં વિવિધ રીતે કરે છે. દાખલા તરીકે-
*-‘બેદર્દી’ બાલમા તુજકો મેરા મન યાદ કરતા હૈ.
*-એ પ્યારમે ‘બદનામ’  દૂર દૂર હો ગયે, તેરે સાથ હમ ભી સનમ મશહુર હો ગયે. 
‘બેરોજગાર’ એટલે કે રોજગાર (નોકરી) વગરનો. પરંતુ ‘બેકાર’ એટલે કાર વગરનો નહિ, પણ કામકાજ વગરનો અથવા ખરાબ એવો થાય છે. આવા બેકાર માણસની પાસે એના બાપ દાદાની બે સરસ મજાની કાર હોઈ શકે છે.
‘શરમ’ કોઈ વાર ગુણવાચક (નવી દુલ્હન બહુ શરમાળ છે.) તો ક્યારેક અવગુણવાચક (આવું ખરાબ કામ કરતા તને શરમ ન આવી?)  હોઈ શકે છે. શરમને કેવા સંજોગોમાં, કેટલી માત્રામાં, અને કયા સ્વરૂપે વાપરવી એ ન આવડતું હોય તેને ‘બેશરમ’ નો બટ્ટો લાગી જાય છે. ‘બેતમા’ નો અર્થ તમા એટલે કે કાળજી વગરનો એવો થાય અને ‘બેપરવા’ નો અર્થ પણ પરવાહ વગરનો એટલે કે બિન્દાસ એવો થાય છે.
પરતું જેને ત્યાં દર્દીઓ આવતા નથી એવા ડોક્ટરને ‘બેદર્દી’ ન કહી શકાય. સાચો શબ્દ ‘બેદર્દ’ છે, જે કોઈ દર્દ વગરના એટલે કે તંદુરસ્ત માણસ માટે ન વપરાતા નિષ્ઠુર એટલે કે દયા વગરના વ્યક્તિ માટે વપરાય છે. ‘બેતાબ’ નો અર્થ તાબ એટલે કે ધીરજ વગરનો, અધીરીઓ એવો થાય છે.
પ્રેમી: પ્રિયે હું તને ‘બેહદ’ ચાહું છું. તારા માટે તો હું આકાશની ઊંચાઈએથી કૂદુ, અગાધ સાગરમાં ડૂબકી લગાઉ, ભડભડતી આગમાં ઝંપલાઉ.
પ્રેમિકા: પણ તું કાલે મને મળવા કેમ નહીં આવ્યો?
પ્રેમી: કેટલો ભયંકર અને ‘બેસુમાર’ વરસાદ હતો, એટલે ન આવી શક્યો.
ઉપરના જોકમાં વપરાયેલો શબ્દ ‘બેહદ’ નો અર્થ  હદ વગરનો, પુષ્કળ એવો થાય છે, અને પ્રેમીનો બેહદ  પ્રેમ પ્રતીત પણ થાય છે ને? કેટલાક ઇન્સાન સંપત્તિ કે સત્તાના મદમાં ‘બેકાબુ’ બની જાય છે, તો કેટલાક પુરુષો સુરાના મદમાં ‘બેકાબુ’ બનીને સ્ટીયરીંગ વ્હીલ પરનો પોતાનો કાબુ ગુમાવી બેસે છે, અને એક્સીડન્ટ કરી બેસે છે. લયલાના પ્રેમમાં બેહદ બેકાબુ  બનેલા મજનુઓને  જેલમાં અથવા પાગલખાનામાં પ્રમોટ કરવા પડે છે.
‘બેકરાર કરકે હમે યું ન જઈએ, આપકો હમારી કસમ લૌટ આઈએ.’ જો કોઈ મજબુર પતિ, સાડીઓના સેલમાં જતી પોતાની પત્નીને ઉદ્દેશીને આ ગીત ગાતો હોય તો અહીં ‘બેકરાર’ નો અર્થ કરાર કે ચૈન વગરનો એવો કરવો. ‘બેતાજ બાદશાહ’ નો અર્થ ‘તાજ વગરનો’ એવો ન કરવો. (બાદશાહ તો તાજ એટલે કે મુગટ વાળો જ સારો લાગે.)
‘લતા જબાન કો લગામ દો’ એવો ફિલ્મી ડાયલોગ તમે સાંભળ્યો હશે. જનરલી ઘોડાને લગામ લગાવવામાં આવે છે, પણ કોઈની જીભ પોતાનું અસલ કામ, બોલવાનુ છોડીને કાતર જેવું કાપવાનું કામ કરે તો એને ઉપર મુજબનો ડાયલોગ સંભળાવવામાં આવે છે.
ભગવાને અન્યાય કર્યા વિના દરેક મનુષ્યને એક મહત્વનું અંગ દિલ આપ્યું છે. પણ દાનવીર કર્ણ બનવાની તમન્ના લઈને જન્મેલા કેટલાક મનુષ્યો દાનમાં દિલ આપી દઈને ‘બેદિલ’ બનીને રડે છે, કરુણ કવિતાઓ અને શાયરીઓ રચીને બીજાને પણ રડાવે છે.
દેનેકે કો આયે થે સનમ દિલ અપના મગર,
બડે ‘બેઆબરૂ’ હોકર તેરે કૂચેસે હમ નીકલે.
અહીં ઊલટી ગંગા છે, લેનારને બદલે દેનાર ‘બદનામ’ થાય છે.
અને છેલ્લે :
પ્રશ્ન: ‘બેદાગ’ દામન હૈ ફિર કયું ‘બેનૂર’ ચહેરા હૈ?
જવાબ: ‘બેચેન’ હૈ ઈશ્ક, ‘બેદર્દ’ જમાનેકા પહેરા હૈ.