Thursday 2 February 2023

 

એક હળવું પ્રવાસ વર્ણન.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

હું પાંચમાં ધોરણમાં હતી  ત્યારે અમારાં  ટીચરે ‘મારો પગપાળા પ્રવાસ’ એ વિષય પર નિબંધ લખવા જણાવ્યુ. મેં લખ્યું :  

‘મારા પપ્પાજી  સરકારી ઓફિસર છે,  એટલે સરકારે એમને  જીપકાર વાપરવા માટે આપી છે. જેના કારણે  ‘પગપાળા પ્રવાસ’ કરવા  જેવો  દુખદ પ્રસંગ મારે હજી સુધી આવ્યો નથી, અને નજીકના ભવિષ્યમાં આવે એવું હું ધારતી પણ નથી. તેમ છતાં પણ  આવો કોઈ પ્રસંગ આવશે તો, તે વખતે હું આ વિષય ‘મારો પગપાળા પ્રવાસ’ પર નિબંધ જરૂરથી લખીશ.’ 

મારાં ટીચર મારી ‘સેન્સ ઓફ હ્યુમર’ સમજી શક્યાં નહીં. અને મને શિક્ષા કરી. જો એ વખતે એમણે મને આ બાબતમાં પ્રોત્સાહન આપ્યું હોત, તો હાસ્યસાહિત્યમાં મારું સ્થાન ખુબ જ આગળનું – કદાચ પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી જ્યોતીન્દ્ર દવે પછી તરતનું હોત. ખેર, જો બિત ગઈ સો બાત ગઈ.

આપણે પાછા મૂળ વિષય પર આવીએ. પ્રવાસ માટેનાં ઝડપી સાધનો જેવાં કે કાર, બસ, ટ્રેન, એરોપ્લેન વગેરે શોધાયાં પછી, ‘પગપાળા પ્રવાસ’ કરવાનું ચલણ ઓછું ઇ ગયું છે, જો કે સદંતર બંધ  નથી થયું.  કવિ શ્રી ઉમાશંકર જોશીનું  કાવ્ય  ‘ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા...’ એમના સમયમાં કદાચ એક્સાઇટિંગ લાગતું હશે. પણ  આજકાલ તો પ્રવાસની સંપૂર્ણ માહિતી લઈને - રિઝર્વેશન કરાવીને નીકળવું હિતાવહ છે. અને  જ્યાં જરૂર હોય ત્યાં ભોમિયો એટલે કે ગાઈડની મદદ લેવી પણ જરૂરી  છે.  

પ્રવાસની યાદગીરી સચવાઈ રહે તે માટે ફોટા- વિડીયો જરૂરી છે. પણ ડીજીટલ કેમેરા અને સ્માર્ટ ફોનના આવી ગયા પછી ફોટાની હસ્તી ભારત દેશની વસ્તીની જેમ અનલિમિટેડ થઈ ગઈ છે.

‘એન્જોઇન્ગ એટ કુલુમનાલી વિથ ધ હોલ ફેમીલી.’ એવી પોસ્ટ ફેસબુક પર મુકનાર અમારાં એક મિત્ર ઘરે આવ્યાં ત્યારે જોયું તો ઘરમાંથી રૂપિયા – પૈસા –ઘરેણા બધું ચોરાઇ ગયેલું. પોલીસસ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગયાં તો પોલીસે ઊલટાના એમને જ ધમકાવ્યાં, ‘બહારગામ જાવ તેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરીને મઝા તમે લોકો લુંટો છો, અને પછી સામાન ચોરાઇ જાય ત્યારે ફરિયાદ અમને કરવા આવો છો.’

સમ્રાટ અશોકે તો ધર્મનો સંદેશ ફેલાવવા ‘શિલાલેખો’ કોતરાવ્યાં હતા. પણ ગુજરાતી પ્રવાસીઓ કયા હેતુથી  ‘પહાડોના પથ્થરો’ પર પોતાના નામો લખી આવે  છે, તે રહસ્ય આજ સુધી અકબંધ જ રહ્યું છે. ‘પીન્કી અને પ્રકાશ’, જીનીતા અને જીગ્નેશ’, ‘રમીલા અને રોશેશ’,  વગેરે નામો પહાડો પર એટલી ઊંચાઈએ લખાયેલા હોય છે, કે એ જોઇને આપણને એમ થાય  કે આટલી મહેનત જો ભણવામાં કરી હોત તો આ પ્રકાશ, જીગ્નેશ કે રોશેશ એટલિસ્ટ ગ્રેજ્યુએટ તો થઇ શક્યા હોત.

એવું કહેવાય છે કે પ્રવાસમાં ઓછામાં ઓછો, બને તો એક બેગપેક જેટલો જ સામાન  રાખવો જોઈએ. પણ ગુજરાતી પ્રવાસીઓના સામાનમાં એક બેગ તો  થેપલાં, ખાખરા, જેવી ખાધસામગ્રીથી જ ભરેલી હોય છે.

અમારા પાડોશી શેફાલીબેન અને સમીરભાઈ કાશ્મીરના પ્રવાસે જઈ આવ્યા. અમે પુછ્યું,  તમારો કાશ્મીરનો પ્રવાસ કેવો રહ્યો? અરે,ખ્ખત મઝા આવી. સમીરભાઈ બોલ્યા. અમદાવાદીઓને તો મઝા પણ ‘સખ્ખત’ આવે’   સૌથી સારું શું હતું?’ એવા સવાલના જવાબમાં શેફાલીબેને કહ્યું, સૌથી સારું તો એ હતું કે અમારો ટુરવાળો ગુજરાતી રસોઈયાને સાથે લઈને આવ્યો હતો.  સવારમાં ચા કોફીની સાથે બટાકાપૌવા – ઉપમા – ઇડલીસંભાર જેવો ગરમાગરમ નાસ્તો હાજર! લંચમાં સૂપથી માંડીને ડેઝર્ટ સુધી બધું જ. સ્વાદ તો એવો કે આંગળા ચાટી જઈએ. તમે નહીં માનો પણ  અગિયાર દિવસમાં એણે એક પણ ઈટમ કે શાક રીપીટ નથી કર્યા. હું તો કહું છુ કે પ્રવાસની ખરી મજા લેવી હોય તો આવા  ટુરવાળા સાથે જ જવું જોઈએ.

 

Tuesday 12 April 2022

 

લગ્ન અને વફાદારી.(હાસ્યલેખ)(મોરપીંછ-હોળી-૨૦૨૨-હાસ્ય વિશેષાંક)(Shopizen)પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું ‘સિલસિલા’ ફિલ્મનું ગીત, ‘સોયે ગોરીકા યાર બલમ તરસે રંગ બરસે...’ સાંભળીને કેટલાક ચંચળ પુરુષોમાં પ્રબળ પ્રેમીનો આત્મા પ્રવેશી જાય છે. એમાં પણ ‘બુરા ન માનો હોલી હૈ’ એ સૂત્રનો અનુચિત ફાયદો ઉઠાવનારા ઘણા અસામાજિક તત્વો હોળીધૂળેટી ના પર્વ પર પોતાની જાતને રોમિયો- ફરહાદનો અવતાર સમજી બેસીને રૂપાળી યુવતિઓની શાબ્દિક કે શારીરિક છેડછાડ કરી લેતા હોય છે. એક તો હોળીનું પર્વ છે અને એમાં પણ આ ‘હાસ્ય વિશેષાંક’ છે એટલે આજે આ વિષય ‘લગ્ન અને વફાદારી’ પર લખવાનું મન થયું છે.

મિલન: પપ્પા, મોટાભાઈએ તમારી મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા છે, તમે હવે એમને શું સજા કરશો?

પપ્પા: દંડિત માણસને વળી શું સજા કરવાની ?

મિલન: એટલે ? હું સમજ્યો નહિ પપ્પા.

પપ્પા: કંઈ વાંધો નહીં બેટા. તું લગ્ન કરશે ત્યારે તને આપોઆપ સમજાઈ જશે.

આ જોકની  અત્યારે એટલા માટે યાદ આવી કે –  થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો  હતો કે – ‘એડલ્ટરી એટલે કે લગ્નેતર સંબંધ હવે ગુનો નથી’  અને આવો ચુકાદો આપવાનું કારણ કોર્ટે એ આપ્યું છે, કે – ‘લગ્નેતર સંબંધોને લીધે લગ્ન ખરાબ થતાં નથી, પણ ખરાબ લગ્નને લીધે એડલ્ટરી  એટલે કે લગ્નેતર સંબંધો  થાય છે, એટલે તેને ગુનો માનીને સજા આપવાનો અર્થ એ થાય કે - દુઃખી લોકો (ખરાબ લગ્નથી દુઃખી થયેલા) ને વધારે કરવા.’ જે લોકોના સુખી લગ્ન છે, એમને આ વાત લાગુ પડતી નથી. જો કે કહેવાયું છે કે  ‘સુખી લગ્નજીવન એક મીથ એટલે કે ભ્રમણા છે.’ સાચું ખોટું રામ જાણે પણ  આ ભ્રમણામાં ઘણા લોકોના  જીવન  સુખેથી પસાર જતાં મેં જોયા છે.

ફોર્ડ મોટર કંપનીના માલિક હેન્રી ફોર્ડની પચાસમી લગ્નગાંઠે કોઈએ પૂછ્યું, તમારા સુખી લગ્ન જીવન અને સફળ બીઝનેસમેનશીપનું રહસ્ય શું ?’ એમણે હસીને જવાબ આપ્યો, ‘જીવનભર એક જ મોડેલ.’ આ સાંભળીને ત્યાં હાજર રહેલા સૌએ તાળી પાડીને એમની વાતને વધાવી લીધી. હેન્રી ફોર્ડના જમાનામાં ભલે આ વાત ગૌરવરૂપ ગણાતી હશે, પણ હવે આ વાત આજના જમાનાને અનુરૂપ ગણાતી નથી, કેમ કે આજકાલ તો મોડેલ બહુ ફાસ્ટ બદલાય છે, પછી તે કોઈ વસ્તુના હોય કે સંસ્થાના.  હમેશા મોબાઈલ લીધા પછી અને લગ્ન કર્યા પછી કેટલાકને એવું થાય છે, ‘હજી થોડી  રાહ જોઈ હોત તો આનાથી વધારે સારું મોડલ મળ્યું હોત!’ અહી મને એક અજ્ઞાત કવિની મજાની પંક્તિ યાદ આવે છે, ‘પરણ્યા પછી માંગુ આવ્યું, દિલ તો હરખભેર ઉછળવા લાગ્યું, માંડમાંડ એને સમજાવ્યું’

એક વખત અમારા ડ્રોઈંગરૂમની ટ્યુબલાઈટ બગડી ગઈ. મેં ઈલેક્ટ્રીશિયનને બોલાવ્યો, અને લાઈટ રીપેર કરી આપવા કહ્યું. તો એણે કહ્યું, ‘આ ટાઈપની લાઈટ હવે આઉટ ઓફ ઓર્ડર થઇ ગઈ છે, એના પાર્ટ્સ મળતા નથી, એટલે એ રીપેર કરી શકાશે નહિ.’ ‘તો હવે આનું શું કરવું?’ એવા મારા સવાલના જવાબમાં એણે મને કહ્યું, ‘ફેંકી દો, હવે તો એલ.ઈ.ડી. આવી ગઈ છે, એ નખાવી દો.’ હવે જમાનો ‘યુઝ એન્ડ થ્રો’  – ‘વાપરો અને ફેંકી દો’ નો આવ્યો છે. મનુષ્યના સ્વભાવની ઓળખ આપતું બીજું એક વાક્ય મને યાદ આવી રહ્યું છે, ‘વરાયટી ઈઝ અ સ્પાઈસ ઓફ લાઈફ’ મતલબ કે ‘વિવિધતા એ જીવનના મરીમસાલારૂપ છે.’ માંદો માણસ જ મસાલા વગરનું સાદું અને બાફેલું ભોજન ખાય, બાકી તંદુરસ્ત માણસને તો મસાલાવાળું, ચટપટુ અને વિવિધતાથી ભરેલું ભોજન જ જોઈએ.

સમયની સાથે સાથે બધું બદલાય છે’ એ કહેવત મુજબ સમયની સાથે સાથે ‘પરિણીત મહિલા સાથે પરપુરુષના સંબંધને ગુનાહિત ગણાતી કાયદાની કલમ આઈ.પી.સી.= ઇન્ડિયન પીનલ કોડ  નંબર ૪૯૭ ને હવે ગેરબંધારણીય ગણવામાં આવી છે. આ ૧૫૮ વર્ષ જૂની કલમને રદ કરતા દીપક મિશ્રાએ કહ્યું કે  “બંધારણની સુંદરતા જ એ છે કે તેમાં ‘હું, મારું અને તમે‘ બધું જ સામેલ છે.” 

આ વાક્ય સાંભળીને મારા દિમાગની બત્તી થઇ નહિ, એટલે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે મેં મારા પતિદેવને પૂછ્યું, ‘આ દીપક મિશ્રા કોણ છે ?’  ‘મને ખબર નથી, કદાચ સુપ્રીમ કોર્ટના ચીફ જજીસમાથી એકાદ  હશે’ પતિદેવે જવાબ આપ્યો.’  એમણે કહ્યું કે – “બંધારણની સુંદરતા જ એ છે કે તેમાં  હું, મારું અને તમે – બધું જ સામેલ છે,”  એનો અર્થ શું થાય ?’  મેં બીજો પતિદેવને બીજો સવાલ કર્યો. ‘મને નથી ખબર‘  એમણે ટૂંકો જવાબ આપતા કહ્યું. આમ પણ સામાન્યજન માટે વકીલની, જજની, કે કોર્ટની ભાષા સમજવી ઘણી અઘરી હોય છે. દાખલા તરીકે ‘હું તમને સંતરું આપું છું’ એવા આપણા સામાન્ય જનના વાક્યને વકીલ આ રીતે કહેશે,  ‘આ ગોળ આકારનું, નારંગી રંગનું  ફળ કે જેનું નામ સંતરું છે, એ હું તમને એની છાલ, એની પેશીઓ, એના રસ  અને એમાં રહેલા બીજ સહીત સંપૂર્ણપણે  તમને સોંપું છું. આજથી મારો એના પર કોઈપણ પ્રકારનો હક્કદાવો  રહેશે નહીં, હવે એનો સંપૂર્ણ કબજો આપનો છે, આપ ચાહો એ મુજબ એને કાપીને, એનો જ્યુસ કરીને કે અન્ય કોઈપણ પ્રકારે એનો ઉપયોગ કરવા સ્વતંત્ર છો, એમાં મારી કોઈપણ જાતની  દખલગીરી રહેશે નહીં.’

‘તમારું આ બાબતે શું માનવું છે ?’ મેં પતિદેવ સાથેની વાતચીતનો દોર ચાલુ રાખવાના ઈરાદે કહ્યું.  ‘કઈ બાબતે?’ એમનું ધ્યાન ટી.વી. પર ચાલી રહેલી ક્રિકેટ મેચમાં હતું, મારી વાતોમાં નહોતું. સ્વાભાવિક છે, લગ્નના ૪૩ વર્ષ પછી કયા પતિને પોતાની પત્નીની વાતમાં રસ હોય ? અને તે પણ ટી.વી. પર લાઈવ ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે ? ‘કઈ તે અત્યારે આપણે જેની વાત કરી રહ્યા છે તે, એડલ્ટરીના સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની બાબતે.’ મેં અકળાઈને જરા ભારપૂર્વક કહ્યું. ‘એમાં આપણા માનવા ન માનવાથી શું ફેર પડે છે ?’ એમણે ખુબ સંયત સ્વરે જવાબ આપતા કહ્યું.

શાંતિથી વિચાર કરતા મને પણ એમની વાત સાચી લાગી, આમ જુઓ તો ‘કાયદો હતો તો પણ આપણને (વફાદાર જીવનસાથીને) એનાથી શું ફેર પડતો હતો ?’ પણ  કાયદો અમલમાં હતો ત્યારે પરિણીત મહિલા સાથે પરપુરુષનો સંબંધ ગુનો ગણાતો, અને દોષિત પુરુષને પાંચ વર્ષ સુધીની જેલ થઇ શકતી હતી, જ્યારે મહિલા ઉપર આ બાબતે કોઈ કાર્યવાહી થતી નહોતી. એનાથી ઘણા પુરુષોને એવું લાગતું કે ‘આ તો અમને ઘોર અન્યાય જ કહેવાય.’ હવે તમે જ કહો વાચકમિત્રો, કે લગ્ન જીવનને જ જીવનભરની જેલ ગણનાર બિચારા પુરુષને પાંચ વર્ષ જેલ ની સજાની શું વિસાત ?   બીજી રીતે વિચારીએ તો પરિણીત મહિલા સાથે સંબંધ રાખવાનું કામ કોઈ કાચાપોચા પુરુષ તો કરી જ ન શકે, એ તો કોઈ વીરપુરુષ જ કરી શકે. કેમ કે એમ કરતા પકડાઈ જવાય બે રીતનું જોખમ, એક તો કાયદાકીય કાર્યવાહી થાય તો પાંચ વર્ષની  જેલ થાય, અને બીજું એ કે - ક્યારેક એ મહિલાના પતિના હાથનો મરણતોલ માર ખાવો પડે, આ ઉપરાંત પોતે પરણેલો હોય તો પત્ની ખોવાનો વારો પણ આવી શકે. હવે કાયદો બદલાવાથી એટલીસ્ટ જેલની સજાની બીક તો ઓછી થઇ.

એક દિવસ એક છાપામાં જાહેરાત આવી, ‘જોઈએ છે પત્ની...’  બીજે દિવસે એને એકસોવીસ (૧૨૦) સંદેશા મળ્યા, ‘મારી લઇ જાવ.’ આવા ઉદારદિલ પુરુષો માટેની આ વાત જોક તરીકે સારી લાગે પણ હકીકતમાં હવે એવું નહિ થઇ શકે, કેમ કે પાંચ જજની બંધારણીય બેન્ચે એવું પણ કહ્યું કે ‘પતિ તેની પત્નીનો માલિક નથી.’ એટલે જે ચીજના તમે માલિક ન હો એ ચીજ તમે બીજાને કઈ રીતે આપી શકો ? હા, ઘણા વર્ષો પહેલાના જમાનાની વાત અલગ છે, ત્યારે પુરુષો શતરંજમાં બધું જ હારી જાય તો પછી પોતાની પત્નીને પણ દાવ પર મૂકી શકતા હતા.  

ન્યુઝપેપરમાં ‘વૈચારિક પ્રયોગ’ ના મથાળા હેઠળ ઉજ્જૈનના રાજા ભર્ત્રુંહરિની વાર્તા ટાંકીને ચેતવણી પણ આપવામાં આવી છે કે – ‘આ ચુકાદો લગ્નસંસ્થા માટે અત્યંત ખતરનાક સાબિત થઇ શકે છે.’ વ્યભિચાર એટલે કે એડલ્ટરીએ  ભર્ત્રુંહરિને રાજામાંથી  સન્યાસી બનાવી દીધા હતા, શૃંગારશતક લખનાર રાજાને વૈરાગ્યશતક લખવું પડ્યું હતું. આ બધી વાત બરાબર છે, છતાં પણ લગ્નસંસ્થા આજે પણ  અસ્તિત્વમાં છે, અને આવતી કાલે, પરમ દિવસે અને એ પછીના દિવસે....વર્ષોવર્ષ સુધી અસ્તિત્વમાં રહેશે એવું મારું આશાવાદી મન કહી રહ્યું છે, અને એનું કારણ એ છે કે એમાં એક જાતની સ્થિરતાની, રાહતની અને હુંફની લાગણી જોડાયેલી છે. કોરોના ને કારણે માર્ચ, ૨૦૨૦ પછી  લાગુ પડેલા લોકડાઉન ભોગવ્યા પછી મારી વાતના સમર્થક ઘણા મળી આવશે એની મને ખાતરી છે.  

‘લગ્ન તો લાકડાના લાડુ છે, ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય ‘ એવું ભલે કહેવાયું હોય, પણ કુંવારા લોકો એ ખાવાની એટલે કે લગ્ન કરવાની લાલચ રોકી શકતા નથી. અને હું નથી ધારતી કે આ લાલચ (લગ્ન કરવાની) એમ સહેલાઈથી મનુષ્યના સ્વભાવમાંથી નષ્ટ થશે. એટલે જેમણે આ કાયદાથી  લગ્નસંસ્થા નાબુદ થવાનો ડર હોય એમણે આ ડર મનમાંથી કાઢી નાખવો. એ જ રીતે એકવાર આ લગ્નસંસ્થામાં જોડાયા પછી પચાસ ટકાથી વધુ લોકો એમાં થોડું ઘણું કમ્ફર્ટેબલ પણ ફિલ કરે છે (આવું સામાજિક ક્ષેત્રના સંશોધનકર્તાઓ કહે છે.)  એ કંઈ ઓછા આનંદની વાત છે ? કેટલાક લોકોને ભય છે કે આ કાયદો (વ્યભિચાર માટેની સજા) ખતમ કરવાથી ભારતીય સંસ્કૃતિ પર એની ખરાબ અસર પડશે. પણ મારું માનવું છે કે સાચી સંસ્કૃતિ ખરાબ અસરોથી ક્યારેય નષ્ટ થતી નથી. છતાં જેમણે ભારતીય સંસ્કૃતિને બચાવવી છે, એમણે પોતાનો મત યોગ્ય વ્યક્તિને આપવો એવી મારી ભલામણ છે.

દુનિયાના ૬૦ થી વધુ દેશો લગ્નેતર સંબંધની સજા અંગેનો કાયદો નાબૂદ કરી ચુક્યા છે, ભારતે એમાં પોતાનો સમાવેશ કર્યો છે. ‘તુંડે તુંડે મતિર્ભીન્ના’ ની જેમ દરેક દેશમાં ‘એડલ્ટરી’ અંગેના  જુદા જુદા કાયદા અને જુદી જુદી સજા છે. કેટલાક ઇસ્લામિક દેશોમાં તે હજુ પણ એ ભયંકર ગુનો ગણાય છે, અને એની સજા આજીવન કેદ કે મૃત્યુદંડ પણ થઇ શકે છે. જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, એમ જ દરેક કાયદાની પણ બે બાજુ હોય છે. હોળી ધૂળેટીના આ પર્વ  પર હળવાશ જાળવી રાખવી અત્યંત આવશ્યક છે, એટલે આ લેખનું સમાપન હળવાશથી કરીએ –

મહેશને જ્યારે ખબર પડી કે એનો મિત્ર રમેશ પોતાની પત્ની મીનાને ચાહે છે અને મીના પણ રમેશને ચાહે છે, ત્યારે મહેશે ઉદારતાપૂર્વક મીનાને છૂટાછેડા આપીને રમેશ સાથે પરણાવી આપી. કમનસીબે રમેશ સાથેના લગ્નના એક જ વર્ષમાં મીના મૃત્યુ પામી. પત્નીના અવસાન પર ચોધાર આંસુથી  રડતા રમેશને આશ્વાસન આપતા મિત્ર મહેશ બોલ્યો, ‘રડવાનું બંધ કરીને હવે તું શાંત થા, કેમ કે  હું થોડા જ સમયમાં ફરી વાર પરણવાનો છું.’          

Friday 19 November 2021

હું પણ આવું જ કહેત

 

હું પણ આવું જ કહેત.(હાસ્યલેખ)      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી

‘આ વળી નવી નવાઈની વાત’ છાપું વાંચતી વખતે મારાથી મોટેથી બોલાઈ ગયું. ‘એમાં નવી નવાઈની વાત શું છે, શું હું મારી ફાઈલો કોઈવાર નથી ગોઠવતો ? કે મારું ટેબલ અને લેપટોપ કોઈવાર સાફ નથી કરતો કે ? તું તો જાણે એ રીતે વાત કરે છે, કે આ બધું મેં આજે પહેલીવાર જ કર્યું હોય.’ પોતાના ટેબલ અને લેપટોપની સફાઈ કરી રહેલા મારા પતિદેવે જરા ફરિયાદી સુરે મને કહ્યું. દિવાળી નજીક આવી રહી હતી, એટલે  હું ઘરના ફર્નીચરની ઝાપટઝૂપટ જેવી રોજબરોજની સફાઈ સિવાયની વધારાની સફાઈ – ઘરની દીવાલો લુછીને થાક ઉતારવા સોફામાં આરામથી બેઠી હતી, ત્યારે છાપું વાંચીને મારાથી ઉપર મુજબનું વાક્ય બોલાઈ ગયું, પતિદેવને  એવું લાગ્યું કે હું એમને કહી રહી છું.

‘એમ તમે બંધ બેસતી પાઘડી તમારે માથે ના પહેરી લો, મેં તમારા સફાઈ કામ માટે કંઈ  નથી કહ્યું’ મેં એમને શાંત પાડતા કહ્યું. ‘તો ઠીક, આ તો તું મારી સામે જોઇને બોલી એટલે મને એમ લાગ્યું કે....’ એમણે પોતાનો બચાવ કરતાં કહ્યું.  ‘મને એમ લાગ્યું કે.... આ ચાર શબ્દ જ પતિ પત્નીના જીવનમાં ઝઘડો કરાવે એવા છે’ મેં ફરિયાદી સૂરમાં કહ્યું. ‘તારી વાત તો સાચી છે, સોરી.’ એમ કહીને એમણે શરણાગતિ સ્વીકારી લીધી એટલે વાત અહીં પતી જવી જોઈતી હતી. પણ હું જે કહેવા માંગતી હતી તે મારી વાત અધુરી હતી, એટલે અધુરી રહેલી વાતનો તંતુ પકડીને મેં નવેસરથી વાતની શરૂઆત કરી.

‘હું તો આ છાપામાં આવેલા એક સમાચાર વિશે તમને કહી રહી હતી. સમાચાર એવા છે કે -ચાઇનીઝ કપલ્સ પાર્ટનરની વફાદારી જાણવા લવ ટેસ્ટરની મદદ લઇ રહ્યા છે’ ‘આ સમાચાર મને સંભળાવવા પાછળ તારો કોઈ ખાસ હેતુ છે,  કે પછી એમ જ...’ ‘ખાસ હેતુ તો વળી શું હોવાનો ?’ ‘ના ના, આ તો તને મારી વફાદારી પર શક આવ્યો હોય, અને તું મને આ સમાચાર દ્વારા કોઈ ચીમકી આપવા માંગતી હોય.’ ‘લગ્નના આટલા વર્ષો પછી હવે હું તમારી વફાદારી પર શું કામ શક કરું?’ ‘હાસ્તો, આટલા વર્ષોમાં તો તું જાણી જ ગઈ હશે ને કે – આ ખોટો રૂપિયો મારા સિવાય ક્યાંય ચાલવાનો નથી, બરાબરને ?’ ‘બરાબર, લગ્નજીવનના આટલા વર્ષોના સાથ પછી હું તમને સારી રીતે ઓળખી ગઈ છું, હોટલમાં જઈએ તો પણ તમે મેનુમાં નવી નવી આઈટમના નામ વાંચો એટલું જ, બાકી મંગાવો તો એ જ કાયમનું, ઈડલીસંભાર  અથવા મિક્સ (ઓનિયન – કોકોનટ) ઉત્તપમ વિધાઉટ ચીલી....’ ‘ચાલ, આપણી વાત જવાદે, ચાઇનીઝ કપલ્સની શું વાત છે એ કહે.’

‘પોતાનો પાર્ટનર પોતાને કેટલો વફાદાર છે (કે પછી કેટલો બેવફા છે) એ જાણવા માટે આજકાલ ચીનમાં કપલ્સ એક નવી ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. આ સર્વિસ ઘણી કંપનીઓ ગ્રાહકને પૂરી પાડી રહી છે. આ સર્વિસ જેમને જોઈતી હોય, એ કસ્ટમરે  લવ ટેસ્ટરને પોતાના લાઈફ પાર્ટનરનું  નામ, જોબ, હોબીઝ, મોબાઈલ નંબર અને સોશિયલ મીડિયા પર એના એકાઉન્ટ્સની વિગતો આપવાની હોય છે. એ પછી લવ ટેસ્ટર કસ્ટમરને જુદી જુદી ટ્રીક્સના થોડાક ઓપ્શન મોકલે છે. કસ્ટમર એમાંથી  ઓપ્શન/વિકલ્પ પસંદ કરી લે, પછી કંપનીના લવ ટેસ્ટરની અસલી સર્વિસ શરુ થાય છે.’  ‘વેરી ઈન્ટરેસ્ટીંગ. આવી સર્વિસ આપવા બદલ કંપની કસ્ટમર પાસે શું ચાર્જ લે છે ?’ ‘ચાર્જ તો ૨૦ થી માંડીને ૧૩૦૦ યુઆન લે છે.’ ‘ઓહો, એટલે લગભગ ૨૨૦ થી માંડીને ૧૪૩૦૦ રૂપિયા ? આ બીઝનેસ તો સારો કહેવાય’

‘પારકે ભાણે મોટો લાડુ, એ કહેવત મુજબ બીજાના બીઝનેસ આપણને કાયમ સારા અને ફાયદાકારક જ  લાગે, પણ એ ધંધો કંઈ સહેલો નથી. લવ ટેસ્ટર તરીકે કામ કરતી ૨૩ વર્ષની ચાઇનીઝ યુવતી ચેન મેન્ગયુઆન કહે છે કે ઘણા લોકોને પાર્ટનરની બેવફાઈ આમ સરેઆમ ખુલ્લી પાડવાની વાત ગમતી નથી, પણ એમાં કંઈ ખોટું પણ નથી એમ એ કહે છે’ ‘હાસ્તો, વરને કોણ વખાણે ? તો કહે વરની મા. એમ કોઈ પણ બીઝનેસ કરનાર પોતાનો  બિઝનેસને તો યોગ્ય જ ગણાવે, ખરું કે નહીં ?’  ‘ખરું જ સ્તો વળી. એ લોકો નકલી સેલ્ફીઝ અને લલચાવનારી – લોભાવનારી વાતો દ્વારા પોતાના શિકારને સોશિયલ મીડિયાની મદદથી ફસાવે’ ‘કોઈ મીઠી મીઠી વાતો કરે, સારા સારા ફોટા બતાવે અને પેલો ફસાઈ પણ જાય એમ તું માને છે? ‘બેવફા હોય તે ફસાઈ જાય, અને વફાદાર હોય તે ન ફસાય, વેરી સિમ્પલ’ ‘તું ધારે એટલું એ સિમ્પલ નથી, ખરેખર તો બેવકૂફ હોય તે ફસાઈ જાય, અને ચાલાક હોય તે ન ફસાય.’ સી.એ. થયેલા પતિદેવ પોતાના લોજીકલ જ્ઞાનનો ઉપયોગ કરીને બોલ્યા.

‘પણ છાપામાં તો લખ્યું છે કે જે પાર્ટનર સારા હોય તે સોશિયલ સાઈટ્સ પર લવ ટેસ્ટરની રિક્વેસ્ટ સ્વીકારતા જ નથી. જ્યારે બેવફા પાર્ટનર તરત જ રિક્વેસ્ટ સ્વીકારી લે છે, અને લવ ટેસ્ટર ને  મળવા તૈયાર થઇ જાય છે, એટલું જ નહિ, એ લોકો કમિટેડ હોવા છતાં ખોટું બોલે છે કે પોતાને કોઈ પાર્ટનર જ નથી, અને પોતે ઘણા સમયથી સિંગલ જ છે’ મેં દુઃખી સ્વરે કહ્યું. ‘એ લોકોને પાર્ટનર સાથે અણબનાવ રહેતો હશે, એટલે સાથે રહેવા છતાં સાથે નથી રહેતા એવું ફિલ કરતાં હશે.’ પતિદેવ હળવાશના મૂડમાં હતા. ‘અરે, આવું તે કંઈ જસ્ટિફિકેશન હોય ? અણબનાવ રહેતો હોય તો મનમેળ કરવાની ટ્રાય કરવી જોઈએ, પોતાનાથી ના થઇ શકે તો કાઉન્સેલરની મદદ લેવી જોઈએ, એ પછી પણ કોઈ પોઝીટીવ રીઝલ્ટ  ન મળે તો કાયદેસર રીતે છુટા થઇ જવું જોઈએ, પણ આવી બેવફાઈ તો ન જ કરવી જોઈએ.’ મેં જોશમાં આવીને દલીલ કરી. ‘તારી વાત સાચી છે, પણ મને લાગે છે કે કોઈ પણ બેવફા પુરુષ સહેલાઈથી પોતાની બેવફાઈ સ્વીકારતો નહી હોય, કેમ કે એમ કરતાં એનો ઈગો અને ડર બંને એને નડે.’ પતિદેવે વ્યવહારુ વાત કરી.

‘દરેક લવ ટેસ્ટર પોતાના ક્લાયન્ટને તેના બેવફા પાર્ટનર સાથે થયેલી રોમેન્ટિક વાતચીતની ચેટ હિસ્ટ્રી મોકલી આપે છે, પછી તો પેલાને સ્વીકાર્યે જ છૂટકો.’ ‘પછી, તો પેલો પત્નીને ઘૂંટણીયે પડતો હશે, નાકલીટી તાણતો હશે, હાથ જોડીને માફી માંગતો હશે, ખરું ને ?’ ‘અહીં ભારતમાં  જો કદાચ આવું થાય તો પત્ની પોતાનો સંસાર બચાવવા, કે સમાજમાં આબરૂ બચાવવા બેવફા પતિને મન મારીને માફ પણ કરી દેતી હશે. પણ ચાઈનામાં તો મોટેભાગે એનો અંજામ બ્રેકઅપ મા જ આવે છે. લવ ટેસ્ટર  ચેન મેંગયુઆને પોતે જાતે એક વેબસાઇટ પર ‘બોયફ્રેન્ડ લોયલ્ટી ટેસ્ટ’ નામની  આ સર્વિસની મદદ લીધી હતી.’ ‘અચ્છા ? પછી એનો બોયફ્રેન્ડ એમાં પાસ થયો કે નહીં?’ ‘એ તો એણે નથી જણાવ્યું, પણ એ પછી જ એણે લવ ટેસ્ટરની જોબ માટે એપ્લાય કર્યું હતું’

‘એમાં જણાવ્યું છે ખરું કે - આ લવ ટેસ્ટીંગ ની વાત ફક્ત પુરુષોને જ લાગુ પડે છે, કે પછી સ્ત્રીઓને પણ લાગુ પડે છે?’  ‘આ છાપામાં તો જણાવ્યું છે ને કે – યુવકો પણ ગર્લફ્રેન્ડની વફાદારીની તપાસ કરાવે છે. જો કે યુવતીઓનો ટેસ્ટ મુશ્કેલ હોય છે, કેમ કે તેમને ફસાવવાનું સહેલું નથી.’ મેં જરા ગર્વથી કહ્યું. ‘આવું છાપામાં લખ્યું છે કે પછી તું પોતે તારા ખીસામાંથી ઉમેરીને કહે છે?’ પતિદેવ આંખો ઝીણી કરીને બોલ્યા. મેં એમની સામે છાપું ધરતા કહ્યું, ‘છાપામાં જ લખ્યું છે, પણ ધારો કે છાપામાં એવું ના લખ્યું હોત તો પણ,  હું પણ આવું જ કહેત.’

(મિત્રો, આપ સૌને ખુશહાલ દિવાળી અને સમૃધ્ધિમય નવા વર્ષની મારી શુભકામના)

ફૂડી કોલ્સ.

 

ફૂડી કોલ્સ. (હાસ્યલેખ)       પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

“તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસના તારણમાં જણાવવામાં આવ્યું છે કે ડેટ પર જતી પાંચમાંથી  ત્રણ મહિલા તો માત્ર વિનામૂલ્યે ભોજન મળતું હોવાથી જ ડેટ પર જતી હોય છે.”  દિવાળી નજીક આવી રહી હતી એટલે મેં મારા ઘરની સાફસફાઈ  કરવાનું કામ હાથ ધર્યું, ત્યારે તારીખ ૨૫-૦૬-૨૦૧૯ નું એક જુનું ન્યુઝ પેપર- સંદેશ  મારા હાથમાં આવ્યું. એમાં મને ઉપર મુજબના સમાચાર વાંચવા મળ્યા.  

આ સમાચાર વાંચીને એક મહિલા તરીકે મને આઘાત લાગ્યો . ‘આજની મહિલાઓ  ભોજન માટે આવી લાલચુ ?’  ‘રસોઈ બનાવવાની આવી આળસુ ?’ મને તો ‘ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું’ મન થયું. પણ.. એક તો  ઢાંકણીભર પાણીમાં ડૂબી મરવાનું તો છોડો, કોઈ માત્ર ડૂબી પણ ના શકે, અને બીજું સ્વિમિંગ પુલના પાણીમાં ડૂબી  મરવું હોય તો એ શક્ય છે, પણ મને તો સ્વિમિંગ આવડતું હોવાથી મારે માટે તો એ પણ શક્ય નથી. એટલે પછી એ વિચાર પડતો મુકીને મેં સમાચાર આગળ વાંચવાનું મુનાસીબ માન્યું.

સંશોધકોએ આવી ‘પેટુ’ મહિલાઓને ‘ફૂડી કોલ્સ’ જેવું નામ આપ્યું છે. અને એમના માટે તેઓ લખે છે, ‘આવી મહિલાઓ શરાબની સંગાથે સાથી સાથે રોમાન્સ કરવામાં રુચિ નથી ધરાવતી, પણ માત્ર વિનામૂલ્યે ભોજન મળે છે એમાં જ રુચિ ધરાવે છે  આ સંશોધન માત્ર તર્ક એટલે કે અટકળના આધારે નથી થયું, પણ ઓનલાઈન સર્વેક્ષણ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ૩૩ ટકા મહિલાઓએ પોતે જ જણાવ્યું હતું કે, પોતે ‘ફૂડી કોલ્સ’ નો સ્વીકાર કરીને જ ડેટ પર જાય છે. 

આ જાણીને મને એક આશ્વાસન મળ્યું કે - ‘હાશ, બાકીની ૬૭ ટકા મહિલાઓ તો આવી પેટુ એટલે કે ‘ખાઉધરી’  નથી.’ પણ મારો આ હાશકારો ઝાઝો ટક્યો નહિ. મારો આ ભ્રમ માત્ર એક જ દિવસમાં ભાંગી ગયો. બન્યું એવું કે  અમારી સોસાયટીમાં બે  જણને ત્યાં એક જ દિવસે એક જ સમયે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી. જેમના ઘરે કથા પત્યા પછી ફક્ત પ્રસાદ જ મળવાનો હતો, ત્યાં માત્ર ત્રણ મહિલાઓ ગઈ, અને જેમના ઘરે કથા પછી ડીનર રાખવામાં આવેલું હતું, ત્યાં ત્રેવીસ મહિલાઓ ગઈ. ‘શીરાને માટે શ્રાવક થયા’ એ વાત અત્યાર સુધી માત્ર વાંચવામાં જ આવી હતી, આજે જોવા-જાણવામાં  પણ આવી ગઈ.’

‘ફૂડી કોલ્સ’ ની બાબતમાં સંશોધકો કહે છે કે –– ‘પુરુષ કમાણી કરવા બહાર જાય અને સ્ત્રી ઘરનું ધ્યાન રાખે’  એવા  પરંપરાગત વિચારો ધરાવતી સ્ત્રીઓ એટલે કે ગૃહિણી હોય એવી મહિલાઓ ‘ફૂડી કોલ્સ’ નો સ્વીકાર કરવામાં અગ્રેસર હોય છે.  હું પોતે માનું છું કે ગૃહિણી તરીકેની જોબ સૌથી અઘરી - ‘પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ’ એવી થેન્કલેસ જોબ હોય છે. પણ સાથે સાથે એક  સારી ગૃહિણી હોવાને નાતે હું એ વાત પણ એટલી જ સાચી માનું છું કે – ‘કાર્ય કઠીન હૈ ઈસલીયે કરને યોગ્ય હૈ’ અને શાંતિથી વિચારી જુઓ તો તમને સમજાશે કે કોઈ પણ જોબ ક્યાં સહેલી હોય છે ?

‘આદર્શ ગૃહિણી’ નું સર્વોત્તમ ઉદાહરણ જોઈએ તો ઈન્ફોસીસ કંપનીના ઓનર શ્રી નારાયણ મૂર્તિના પત્ની શ્રીમતી સુધામૂર્તિ છે. તેમણે કંપનીમાં પોતાનું  મહત્વનું પદ છોડીને પોતાની મરજીથી ગૃહિણીધર્મ સ્વીકાર્યો છે. ગૃહિણી હોવાની સાથે સાથે સુધાજી સખાવતના અને પરોપકારના અન્ય કેટલાય સામાજિક કાર્યો કરી રહ્યા  છે. આ ઉપરાંત તેઓ એક પ્રખ્યાત લેખિકા પણ છે. એટલે ગૃહિણી માટે કોઈ આવી હીણી વાત (ફૂડી કોલ્સ) કહે તે મને તો યોગ્ય નથી લાગતું.

પત્ની : સાંજે ભોજનમાં શું રાંધુ ?

પતિ : કંઈ પણ રાંધ, તારા તો હાથનું ઝેર પણ હું હસતાં હસતાં ખાઈ લઈશ.

પત્ની : પણ મને ઝેર રાંધતા આવડતું નથી.

પતિ : તું જે રાંધે છે, તે ઝેરથી કંઈ કમ હોય છે ?

ઉપરનો સંવાદ (ખરેખર તો વિસંવાદ) વાંચીને તમને નથી લાગતું કે આવા  પુરુષો (એટલે કે પતિઓ)  સાવ કૃતઘ્ની હોય છે ? એક તો ‘સાંજે હું શું રાંધુ ?’ એ સવાલ દરેક પત્ની માટે અઘરામાં અઘરો, વિકટ અને સનાતન પ્રશ્ન  હોય છે. પતિને પૂછવાથી  એનો કોઈ સમાધાનકારી જવાબ  મળવાને બદલે જો આવી અવળચંડી પ્રતિક્રિયા મળતી હોય તો, કોઈ પણ ગૃહિણી  ‘ફૂડી કોલ્સ’ બનવાનું પસંદ કરે કે નહિ, તમે જ કહો.

નવાઈની વાત તો એ છે કે  અમેરિકી સંશોધકો કહે છે,  ‘માત્ર મહિલાઓ જ નહિ, પણ કેટલાક પુરુષો પણ આ પ્રકારના  એટલે કે ‘ફૂડી કોલ્સ’ ટાઈપના માનસિક વલણો ધરાવી શકે છે’  આ વાત જાણીને મને એક જોક યાદ આવ્યો.

પત્ની : આજે સાંજે પુલાવ બનાવું કે બિરીયાની ?

પતિ : તું પહેલા જે કંઈ બનાવવા માંગતી હોય તે બનાવી દે, આપણે પછી ડીસાઈડ કરીએ કે એ શું છે.

જેમની પત્ની આ ઉપરના  જોકમાં આવે છે, એવી રીતની રસોઈ બનાવવામાં પારંગત હોય અથવા તો જે સ્ત્રીઓ બે કલાક  સુધી ‘રસોઈ શો’ પર અવનવી વાનગીઓ બનાવવાની રીતો જોઇને  અંતે તો ડીનરમાં રોજ  ખીચડી-કઢી  કે ભાખરી – શાક જ બનાવતી હોય, એવી સ્ત્રીઓના પતિઓ  ‘ફૂડી કોલ્સ’ હોય તો એમાં આપણને નવાઈ શા માટે લાગવી જોઈએ ?

આ સંશોધકોએ મહિલાઓને એક એવો સવાલ પણ કર્યો હતો કે ‘’ફૂડી કોલ્સ સામાજિક રીતે સ્વીકાર્ય છે ?’ જે મહિલાઓ ‘ફૂડી કોલ્સ’ નો સ્વીકાર કરતી હતી, તેમણે કહ્યું, ‘ફૂડી કોલ્સ સામાજિક રીતે સ્વીકાર્ય છે’ પણ બાકીની મહિલાઓએ કહ્યું, ‘ફૂડી કોલ્સ સામાજિક રીતે સ્વીકાર્ય નથી’ આ જાણીને મને ગુજરાતીમાં એક કહેવત છે ‘વરને કોણ વખાણે ? તો કહે ‘વરની મા’  યાદ આવી ગઈ. 

જ્યારે કોઈ પણ રીતરિવાજ માટે સામાજિક સ્વીકાર કે અસ્વીકારનો સવાલ આવે ત્યારે જવાબ મેળવવા માટે આપણે આપણા સાધુ સંતો શું કહે છે એ જાણવું પડે. તેઓ કહે છે, ‘મનુષ્યે  જીવવા માટે ખાવાનું છે,  ખાવા માટે જીવવાનું  નથી.’  આપણે એમની આ વાત માની  લઈએ તો પણ આ  હકીકતને નજરઅંદાજ કરી શકીએ નહિ, કે  આખરે તો આપણી બધી મહેનત પેટ ભરવા માટેની જ તો છે.  જો ભગવાને પેટ જ ના બનાવ્યું હોત તો આપણે એ ભરવાની ચિંતા ના હોત, એટલે હું ધારું છું ત્યાં સુધી  ‘ફૂડી કોલ્સ’ ને કુદરતી વૃત્તિ ગણીને એનો સ્વીકાર કરવો જોઈએ.

સહાયક અને અઝુસા પેસિફિક યુનીવર્સીટીના પ્રાધ્યાપક ડૉ. બ્રાયન કોલિસને જણાવ્યું કે  - ‘રોમેન્ટિક ડેટિંગ’ અને ‘ફૂડી કોલ્સ’ એ બંને અલગ ઘટના છે રોમેન્ટિક ડેટિંગમાં વિજાતીય આકર્ષણ, રાત્રિ રોકાણ, એકબીજાને ઈમ્પ્રેસ કરવા, એકબીજાનો સ્પર્શ પામવો, વગેરે હોય છે, જ્યારે ફૂડી કોલ્સ અનેક પ્રકારના સંબંધોનું માધ્યમ હોઈ શકે.’ ઘણીવાર સંશોધકો શું કહેવા માંગે છે, તે આપણી – સામાન્ય મનુષ્યની સમજની  બહારની વાત  હોય છે, એટલે આપણે એના પર ઝાઝો વિચાર નહીં કરીએ.

પ્રેમી : હું તને ખુબ જ ચાહું છું. પ્રેમિકા : તું મારી સાથે લગ્ન ક્યારે કરીશ ? પ્રેમી : તેં ફરી પાછું વિષયાંતર કર્યું ?  ભારતની સ્ત્રીઓ માટે  ડેટિંગનો અર્થ એકબીજાને સમજવું અને અનુકૂળતા લાગે તો પરણી જવું ‘ એવો પણ થાય છે. પણ ભારતના પુરુષોને લાગે છે કે સ્ત્રીઓને સમજવી એટલી અઘરી છે કે એક આખી જીંદગી પણ ઓછી પડે. એટલે તેઓ ડેટિંગ માટે જેટલાં ઉત્સુક હોય છે, લગ્ન માટે એના દસમા ભાગની ઉત્સુકતા પણ નથી હોતી.

થોડા સમય પહેલાં જ અમે થોડા મિત્રોએ મળીને એક સાંજે  કલ્ચરલ ક્લબમાં મળવાનું નક્કી કર્યું. ત્યાં ગેરહાજર એવી મારી એક ફ્રેન્ડ ઉષાને મેં ફોન કરીને કહ્યું, ‘આવતી કાલે સાંજે  ૫ વાગ્યે આપણે કેટલાક ફ્રેન્ડસ,  કલબના કાફેટેરિયામાં ચા-પાણી પર મળી રહ્યા છીએ. ત્યારે એણે મને ઉત્સુકતાથી પૂછ્યું, ‘ફક્ત ચા-પાણી જ કરવાના છે કે સાથે  કંઈ નાસ્તો-બાસ્તો પણ કરવાનો છે ?’ ‘યાર, મળવાનું મહત્વ છે કે ખાવાનું ?’ મેં જરા ચીઢાઈને કહ્યું. તો એણે બિન્દાસ કહ્યું, ‘તારી વાત તું જાણે, પણ મારા માટે તો ખાવાનું પણ એટલું જ મહત્વનું છે, જેટલું મળવાનું.’  આમ ‘ખાવું’ એ ‘મળવું’ કરતાં વધુ પ્રભાવશાળી છે.

પત્ની : આપણા એકના એક છોકરાના લગ્ન છે, એટલે કંકોત્રી તો હાઈક્લાસ જ છપાવીશું.

પતિ : કંકોત્રીમાં વધારે પૈસા ખર્ચવાનો કંઈ અર્થ નથી, કેમ કે કંકોત્રી ગમે તેટલી હાઈક્લાસ છપાવીએ, લોકોનું ધ્યાન તો લંચ કે ડીનર ક્યાં રાખ્યું છે અને કેટલા વાગ્યે છે, એના પર જ જવાનું છે, અને આમંત્રિતોને પણ ‘મેનુ શું છે’ એમાં જ વધારે રસ હોવાનો. 

પશુ – પક્ષીઓ કે અન્ય જીવોની તો મને ખબર નથી, પણ મનુષ્ય જાત તો હંમેશા ખાવાના વિચારમાત્રથી  ખુશ થઇ જાય છે, એ હકીકત નિર્વિવાદપણે  પુરવાર થયેલું સત્ય છે. તો પછી એ પુરવાર કરવા ‘ફૂડી કોલ્સ’ જેવા સંશોધનની પાછળ સમય, શક્તિ અને ધન બરબાદ કરીને એમને બદનામ કરવા કરતાં, એનો ઉપયોગ ઘણા બધા લોકોને રસ પડે એવુ, કંઇક નવું,  - દાખલા તરીકે - નવી નવી વાનગીઓ બનાવીને, એને નવીનતમ ધોરણે સજાવીને,  એની ઓછામાં ઓછી કીમત રાખીને, એને વધુમાં વધુ લોકો સુધી  કઈ રીતે પહોંચાડી શકાય એવું સંશોધન કરવું જોઈએ, તમે જ કહો કરવું જોઈએ કે નહીં ? 

મિત્રો, આપણે વાતોના વડા ઘણા કર્યા, પણ આજે મારે ઘઉં-જુવારના ખાટા વડા કરવાના છે. એટલે આ ચર્ચા હું અહી જ સમાપ્ત કરું છું. આપ સૌને દિવાળીની અનેક શુભકામના અને નવા વર્ષના ખુબ ખુબ અભિનંદન!      

    

 

Thursday 30 April 2020

પૂરી એક અંધેરી ને ગંડુરાજા.


 પૂરી એક અંધેરી ને ગંડુરાજા.

રશિયામાં સામ્યવાદીઓ રાજ કરતા હતા ત્યારે એમનું એક પ્રતિનિધિમંડળ ભારતના પ્રવાસે આવ્યું. સામ્યવાદીઓ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી. પરંતુ આ પ્રતિનિધિમંડળના કટ્ટર નાસ્તિક સભ્યો રશિયા પાછા ફર્યા ત્યારે ચુસ્ત આસ્તિકો થઈ ગયા હતા. ભગવાન પર પૂરો ભરોસો  રાખતા થઈ ગયા હતા. આ જોઈને રશિયામાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું. લોકો આ પ્રતિનિધિમંડળના સભ્યોને પૂછવા લાગ્યા, “ આટલા દિવસોમાં  ભારતમાં તમે એવા કયા ચમત્કારો જોયા કે કટ્ટર નાસ્તિકમાંથી પૂરેપૂરા આસ્તિક બની ગયા ? પ્રતિનિધિમંડળે જવાબ આપ્યો, “ભારતનું રાજ્યતંત્ર કે અર્થતંત્ર જે રીતે ચાલી રહ્યું છે તે જોતાં અમને ખાતરી થઈ ગઈ છે કે ચોક્કસ ઈશ્વર નામના તત્વનું અસ્તિત્વ છે, છે અને છે જ, એ વગર આટલો મોટો દેશ ભારત ટકી કઈ રીતે શકે ? 
     
આ લખનારને પણ ભારતદેશ, દેશના નેતાઓ અને એની રાજનીતિ વિશે ભારોભાર આશ્ચર્ય છે. એક તરફ ‘ઝેડ’ કક્ષાની સુરક્ષા મેળવતા નેતાઓ અને એક તરફ આતંકવાદી હુમલાઓમાં કીડી-મકોડાની જેમ મરતાં માણસો. આતકવાદી કસાબને સાચવવા કરોડો રૂપિયાનું આંધણ અને ગરીબી રેખાની નીચે જીવતા આજની મંદીમાં ટપોટપ આપઘાત કરતા માણસો. ભારત સરકાર વિશે વિચારું છું ત્યારે મને આ વાત યાદ આવે છે.

રશિયાના પ્રમુખ જ્યારે ગોર્બોચોવ હતા ત્યારે એક જગ્યાએ એમનું જોરદાર ભાષણ ચાલી રહ્યું હતું. પ્રમુખે ત્યાં હાજર રહેલ જંગી જનમેદનીને સંબોધીને બુલંદ અવાજે કહ્યું, “આવતા વર્ષના અંત સુધીમાં પ્રત્યેક સોવિયેત નાગરિક પાસે પોતાની માલિકીની કાર હશે.” શ્રોતાઓએ એમના આ વિધાનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. પ્રમુખશ્રીએ આગળ બોલતાં કહ્યું, “આવતાં બે વર્ષમાં પ્રત્યેક રશિયન નાગરિક પાસે પોતાની માલિકીનો ફ્લેટ હશે.” ફરીવાર આખો હોલ તાળીઓનાં ગડગડાટથી ગુંજી ઊઠ્યો. પ્રમુખે પોરસાઈને આગળ બોલતાં કહ્યું, “આવતા પાંચ વર્ષમાં દરેક નાગરિક પાસે પોતાની માલિકીનું હેલીકોપ્ટર હશે.” આ સાંભળતા જ સભામાં સન્નાટો છવાઈ ગયો. એક પણ તાળી ન પડી. પ્રમુખસાહેબે આશ્ચર્યથી પૂછ્યું, “કેમ તમને તમારું પોતાનું  હેલીકોપ્ટર હોય તે ન ગમે ?” એક શ્રોતાએ હિંમત ભેગી કરીને ઊભા થઈને પૂછ્યું, “પ્રમુખહેબ, અમે એ હેલીકોપ્ટરનું કરીશું શું ?” એટલે પ્રમુખસાહેબે જવાબ વાળતાં કહ્યું, “કેમ, તમે તમારું હેલીકોપ્ટર લઈને આજુબાજુના દેશોમાં જઈને ત્યાં લાઇનમાં ઊભા રહીને તમારા માટે બ્રેડ ખરીદીને લાવી શકશો.”

ભારત પણ આ બાબતે હવે રશિયાની બરોબરી કરવાના પંથે જઈ રહ્યું છે. મોંઘવારી દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. મુંબઈ તો સૌથી મોંઘુ શહેર સાબિત થયું છે. જીવનજરૂરિયાતની અને રોજબરોજની વપરાશની ચીજોના ભાવ આસમાને પહોચ્યા છે. પરંતુ અવનવી કારોના ભાવ ઘટ્યા છે. ભારત સરકાર પણ પોતાની પ્રજાને ગર્વથી કહી શકાશે, “તમારી પોતાની કાર લઈને આજુબાજુની કન્ટ્રીમાં જાવ ને લોટ ને શાકભાજી લઈ આવો.” પોતાની ગાડી લઈને ભીખ માગવા જવાના કિસ્સા તો હજી જોયા નથી પણ  -
ભિખારી : શેઠાણીબા, સાંજનું વાળુ (ખાવાનું) વધ્યું હોય તો આપો.
શેઠાણી : ભઈલા, હજી શેઠ ઘરે આવ્યા નથી તેથી અમે જમ્યાં નથી.
ભિખારી : ઠીક છે, જમી લ્યો પછી ખાવાનું વધ્યું હોય તો મને મોબાઈલ પર ફોન કરજો. આવીને લઈ જઈશ.

ભારત સરકારે માત્ર પેકિંગમાં વેચતા રિફાઇન્ડ તેલો ઉપર જ એક્સાઈઝવેરો લગાવ્યો છે. એટલે હાથલારી ખેંચતા, પાન-બીડી વેચતા, સરકારી કાર્યાલયોમાં કામ કરતા મજુરો કે મિડલક્લાસ લોકોએ હવે મિલમાલિકો કે ધનપતિઓના વાદ કર્યા વિના હવેથી રીફાઇન્ડ તેલ ખાવાનો મોહ છોડી દેવો જોઈએ. “ગુજરાત સરકારના કાયદાને લીધે રાજ્યમાં લુઝ તેલ ન મળે તો પ્રજાએ તેલ ખાવાનો આગ્રહ જ છોડી દેવો જોઈએ. રાજાને ખાતર પ્રજા આટલું ન કરી શકે ?

હજી થોડા વર્ષ પહેલાં પામોલીન તેલ ગરીબોને પોસાય તેવું હતું. પરંતુ આ કારણે પ્રજા વધુ પડતું તેલ ખાઈને પોતાનું સ્વાસ્થ્ય બગાડે નહિ, એટલા ખાતર ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પામોલીન સહિત તમામ આયાતી ખાદ્યતેલો પર સોમાંથી આઠ બાદ કરતાં જે રહે તે એટલે કે ૯૨% આયાત જકાત લગાવી દીધી.

અમે નાના હતા ત્યારે એક મજાની વાર્તા વાંચેલી. “પુરી એક અંધેરી ને ગંડુરાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં.” અંધેરી નગરીના ગંડુરાજાના રાજ્યમાં જે ભાવે ભાજી મળે એ જ ભાવે ખાજાં પણ મળે. એક ગુરુ-શિષ્ય આ નગરીમાં જઈ ચઢ્યા. શિષ્યે જાણ્યું કે લોટના ભાવે જ સુખડી મળે છે, એટલે Exchange offer સ્વીકારીને સુખડી લઈ ખુશખુશાલ ગુરુ પાસે આવ્યો. આજના મોડર્ન યુગમાં પણ કેટલાક ‘મોલ’વાળા ૨૫ રૂપિયે કિલો પસ્તી અને ૫૦ રૂપિયે કિલો જૂનાં કપડાં લઈ લે છે. ને ઘરાકને કૂપન આપે છે. જેનાથી ચારઘણું એણે ખરીદવું પડે છે અને તે પણ મોલવાળાએ નક્કી કરેલી , Selected items જ.  હા, તો  શિષ્ય લોટના બદલામાં સુખડી લઈ આવ્યો પણ ગુરુજી સમજદાર હતા. દૂરનું જોઈ-વિચારી શકતા હતા. એમણે તરત જ શિષ્યને કહ્યું, “આપણે અબઘડી આ નગરી છોડી ચાલ્યા જવું જોઈએ.” ઘણા સમજદાર લોકો ભારતનગરી છોડીને ચાલ્યા પણ ગયા છે. પણ “આટા” ના બદલામાં સુખડીના મોહમાં ફસાયેલા શિષ્યે નગરી છોડવાની નામરજી બતાવી એટલે ગુરુજી એકલા જ નગરી છોડી અન્યત્ર ચાલી ગયા.

થોડા સમય બાદ અંધેરી નગરીમાં એક ડોશીમાને ઘરે એક ચોર ચોરી કરવાના ઈરાદે ભીંતમાં બાકોરું પાડવા ગયો. પણ ભીંત તૂટી પડતાં ચોર દબાઈને મરી ગયો. ચોરની માએ રાજાને ફરિયાદ કરી એટલે ગંડુરાજાએ ડોશીના દીકરાને નબળી ભીંત ચણાવવા બદલ શૂળીએ ચઢાવવાનો હુકમ કર્યો. ડોશીના દીકરાએ ભીંત ચણનાર મજૂરનો વાંક કાઢ્યો એટલે રાજાએ મજૂરને મૃત્યુદંડ કર્યો. પણ મજૂર પાતળો હતો અને શૂળીને લાયક નહોતો તેથી રાજાએ કોઈ તગડા માણસને શોધી લાવીને શૂળીએ ચઢાવવા હુકમ કર્યો. સુખડી ખાઈ ખાઈને તગડા બનેલા શિષ્યને રાજાના માણસો શૂળીએ ચઢાવવા પકડી લાવ્યા.
શિષ્યને  ‘સંકટ સમયની સાંકળ’ એવા ગુરુજી યાદ આવ્યા, એણે રાજાને પોતાની અંતિમ ઈચ્છા જણાવી એટલે  રાજાએ ગુરુજીને બોલાવી મંગાવ્યા. ગુરુજીએ પરિસ્થિતિ પામી જઈને રાજાને કહ્યું, “આ સમયે જે વ્યક્તિ શૂળીએ ચઢશે એને લેવા સ્વર્ગમાંથી વિમાન આવશે.” અને ગંડુરાજા પોતે શૂળીએ ચઢી ગયો. ભારતના કેટલાય નેતાઓ એવા છે જેમને  શૂળીએ ચઢાવવા પ્રજા તત્પર છે. પરંતુ તેઓ તો સદેહે જ વિમાનમાં વિહરે છે અને ધરતી પર જ સ્વર્ગની તમામ મજાઓ માણે છે. નેતાઓને ક્યારેય મોંઘવારી નડતી નથી. સરકારે કાર, સી.ડી.,એસી, મોબાઈલ સસ્તા કર્યા છે. અને રાંધણગેસ અને કેરોસીનના ભાવોમાં જે રીતે ઉત્તરોઉત્તર વધારો કર્યો છે તે  જોતા લાગે છે કે ભવિષ્યમાં ભારતની પ્રજાને રાંધવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

પ્રેમિકા : પ્રિયે, મારે એક વાતની સ્પષ્ટતા કરવાની છે કે મને ખાસ રાંધતા આવડતું નથી.
પ્રેમી : વહાલી, તુંય મારી એક સ્પસ્ટતા સાંભળી લ્યે. હું પોતે કવિ છું. એટલે તારે ભાગે ઝાઝું રાંધવાનું આવશે પણ નહિ.                                          

Wednesday 29 April 2020

તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા.


તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા.    પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.


ઘણી વાર એવું બનતું હોય છે, કે પત્નીના મૃત્યુ પછી, એના પ્રત્યેના અગાઢ પ્રેમના કારણે ઘણા યુવાન પતિઓ ફરીવાર લગ્ન નથી કરતાં. કોઈવાર પુત્ર કે પુત્રી પ્રત્યેના અપાર પ્રેમને કારણે  ઘણા વિધુર  પિતાઓ ફરી લગ્ન નથી કરતાં. કુંદનલાલ પણ આવા જ પિતાઓમાંના એક હતાં. પત્નીના મૃત્યુ બાદ એકના એક પુત્ર અનિલને એ સાવકી માના હાથમાં ઉછેરવા નહોતા માગતાં. એટલે યુવાન વયે વિધુર થયા હોવા છતાં, અને વિધુર થયા બાદ પણ ત્રણેક ઘરેથી માંગા આવવા છતાં, એમણે ફરી વાર પરણવાનો ઈન્કાર કર્યો.

એમણે પોતાની તમામ લાગણીઓ અને શક્તિ મા- વિહોણા બાળક અનિલને મોટો કરવામાં લગાડી દીધી. જીવન ધીરે ધીરે રાબેતા મુજબ થાળે પડતું ગયું. પિતા – પુત્રની એક મજાની દુનિયા વસી રહી. અનિલ મોટો થયો, યુવાન થયો, એનું પોતાનું એક લાગણી જગત રચાયું. એમાં એક દિવસ દીપા નામની યુવતિએ પ્રવેશ કર્યો. પિતાને પોતાના મનની તમામ વાતો જણાવતા અનિલે આ વાત પણ એમને  જણાવી. આધુનિક વિચાર ધરાવતા કુંદનલાલે અનિલની પસંદગી સહર્ષ મંજુર રાખી, અને દીપા પુત્રવધૂ બનીને એમના ઘરમાં આવી.
વર્ષોથી સ્ત્રી વિહોણા ઘરમાં એક સ્ત્રીના પ્રવેશથી ઘણું બધું બદલાયું. કુંદનલાલ આ બદલાવ માટે બધી રીતે તૈયાર જ હતાં. આમ પણ અનિલની ખુશીથી વધારે મોટી ખુશી એમને મન બીજી કોઈ નહોતી. એટલે એમણે બધું સાહજિકતાથી સ્વીકાર્યું. અનિલની જોબમાં પ્રમોશન થયું, અનિલે સરસ મજાની કાર લીધી, અનીલે સુખ સગવડના બધા લેટેસ્ટ સાધનો ઘરમાં વસાવ્યા. આવા નાના નાના ખુશીના સમાચારો મળતા રહ્યા અને સમય સારી રીતે પસાર થતો રહ્યો. કુંદનલાલે પણ પુત્ર – પુત્રવધૂને સ્વતંત્રપણે સમય માણવા મળી રહે એ રીતે પોતાનું એક અલિપ્ત જીવન ગોઠવી લીધું.

સવારે ઊઠીને પોતાની ચા જાતે બનાવી લેવી, પોતાની રૂમમાં શાંતિપૂર્વક ધ્યાન કરવું. નાહીને મંદિર સુધી આંટો મારી આવવો, વળતાં ઘરે આવતાં દીપાને પૂછીને જોઈતાં શાક ભાજી અને  ફળો લેતા આવવું. આવીને દીપા જમવા બોલાવે ત્યાં સુધી સદવાચન કરવું. જમીને થોડીવાર રૂમમાં ટહેલવું. સાંજે બગીચામાં આંટો મારવો અને પોતાની ઉમરના દોસ્તો સાથે ગપસપ કરવી. આવીને અનિલ સાથે  થોડી ઘણી વાતોની આપ લે કરવી,  સાંજનું હળવું ભોજન લેવું. રૂમમાં આવીને માળા કરવી અને વહેલા સૂઈ જવું. લગભગ આ જ એમનો હંમેશનો જીવન ક્રમ.

વિધુર થયા બાદ આટલા વર્ષોમાં કુંદનલાલને ખુશીના સમાચાર તો ઘણા મળ્યા, પરંતુ અંતરમાં સાચો ઊમળકો જગાવે એવા સમાચાર  તો આજે જ મળ્યા, અને તે  પૌત્ર જન્મની વધાઈના સમાચાર. મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું લાગે  એ વાત આજ સુધી એમણે માત્ર સાંભળી જ હતી. પણ એ વાત એમણે ત્યારે અનુભવી, જ્યારે પુત્રવધૂ દીપા નાનકડા નિહાલને લઈને હૉસ્પિટલમાંથી ઘરે આવી.
નાનકડા બાળકને રમાડવા આવનાર સૌનો એક સવાલ તો લગભગ કોમન જ હોય છે, બાબો કોના જેવો દેખાય છે?’ ખરી વાત તો એ છે કે તાજું જન્મેલું બાળક ઘણી વાર દર્શનપ્રિય નથી હોતું. પણ વાંદરા જેવો દેખાય છે એમ તો કહેવાય નહીં, એટલે મમ્મીના તરફના સગા મમ્મી જેવો’,  અને પપ્પાના સગા પપ્પા જેવો એવું ગપ્પું મારી મૂકે. અહીં મને એક જોક યાદ આવે છે:

રમેશ: તને જોઈને કોઈ પણ કહી શકે કે આપણા પૂર્વજો વાંદરા હતા.
મહેશ: અને તને જોઈને કોઈ પણ કહી શકે કે માણસ આજે પણ વાંદરો જ છે.

જે હોય તે પણ હવે દાદા બનેલા કુંદનલાલના જીવનક્રમમાં ફેરફાર થયો હતો. રગશિયા ગાડાની જેમ ચાલતા જીવનમાં હવે નિહાલ રૂપી આનંદનો ઉમેરો થયો હતો. નિહાલને નિહાળવામાં એમનો દિવસ ક્યાં પસાર થઈ જતો તે ખબર  પણ પડતી નહીં. પણ કહેવત છે ને કે દિવસ પછી રાત આવે છે અને  સુખ પછી દુ:ખ આવે છે   કુંદનલાલના જીવનમાં પણ કંઈ આવું જ બનવા માંડ્યું. એમનો આ આનંદ ઝાઝો ટક્યો નહીં. એમાં વિષાદનો ઉમેરો થયો અને વિષાદનું કારણ હતું દીપાઅને અનિલનું વર્તન, કુંદનલાલ સાથેનું નહીં પણ નાનકડા નિહાલ સાથેનું વર્તન.  

દીપા અને અનિલનુ નિહાલ સાથેનું એમેચ્યોર વર્તન જોતાં કુંદનલાલને મનોમન થતું, મા-બાપ બનવાના પણ ક્લાસીસ હોવા જોઈએ અને એક્ઝામ પણ હોવી જોઈએ.જે પતિ–પત્ની આ પેરેન્ટ્સહૂડ્ની પરીક્ષામાં પાસ થાય એમને જ મા-બાપ બનવાની પરમિશન આપવી જોઈએ. અને જે લોકો પરમિશન વગર પેરેન્ટ્સ બને એમને ભારે માં ભારે સજાની જોગવાઈ હોવી જોઈએ. પણ આ તો થયાં કુંદનલાલનાં વિચારો. દીપા – અનિલને જ્યારે જ્યારે એમણે આ સમજાવવાની કોશિશ કરી ત્યારે ત્યારે અનિલે  સંભળાવ્યું, પપ્પા, તમે મને ઉછેર્યો એ વાત બરાબર. પણ ત્યારે જમાનો જુદો હતો અને હવે જમાનો જુદો છે. તમને આજના જમાનાની શું ખબર?’ કુંદનલાલ કંઈ વધુ કહેવા ગયા તો અનિલે કહી દીધું, પપ્પા, તમે તો કશું બોલતાં જ નહીં અને કુંદનલાલ ચુપ થઈ ગયાં.

નિહાલની પ્રથમ વર્ષગાંઠ ખુબ ધામધુમથી ઊજવી. મોંઘામાંનો બેંક્વેટ હોલ ભાડે રાખ્યો. મોડર્ન ટાઈપનું ડેકોરેશન,  જાતજાતની વાનગીઓ વાળી મોંઘી ડીશનું આયોજન,  ડી. જે. નું લાઉડ સંગીત.  બધાં આમંત્રિત મહેમાનોએ દીપા અનિલની વાહ વાહ બોલાવી.  અને જેનું ફંક્શન હતું એ નિહાલ? આ ભીડ અને ઘોંઘાટ્થી ડરીને, ગભરાઈને ખુબ રડ્યો. કુંદનલાલની કેટલી કાકલૂદી પછી દીપા અનિલે નિહાલને ઘરે લઈ જવાની રજા આપી.  કુંદનલાલ એને ઘરે લઈ આવ્યા. મહેમાનોને વળાવીને દીપા અનિલ મોડેથી ઘરે આવ્યા ત્યારે નિહાલ દાદાની નિશ્રામાં શાંતિથી સૂઈ ગયો હતો.

બીજા દિવસે અનિલને જુદી જુદી સ્કુલોના ફોર્મ ભરતો જોઈને કુંદનલાલે એને પૂછ્યું, શેના ફોર્મ્સ ભરી રહ્યો છે, બેટા?’ ત્યારે અનિલે એમને કહ્યું, નિહાલને માટે સ્કુલ એડમિશનના ફોર્સ ભરી રહ્યો છું, પપ્પા 
અત્યારથી?’  કુંદનલાલે આશ્ચર્યથી પૂછ્યું.
પપ્પા, આપણે તો ઘણા મોડાં છીએ. મારા ફ્રેન્ડ દીપેને તો જે દિવસે એને ત્યાં બેબી આવી એ જ દિવસે જુદી જુદી ચાર સ્કુલોમાં ફોર્મ્સ ભરી દીધા હતાં
ઓહ!  મને લાગે છે કે એક જમાનો એવો પણ આવશે જ્યારે બાળકનો જન્મ થવાનો હશે એ પહેલાં જ સ્કુલોમાં ફોર્મ્સ ભરવાં પડશે. કુંદનલાલે નિસાસો નાખતાં કહ્યું અને પછી ઉમેર્યું, અમારા જમાનામાં તો ૬ થી ૭ વર્ષે બાળકને સ્કુલમાં દાખલ કરતાં
એ જમાનો ગયો, પપ્પા. હવે જો એવું કરવા જઈએ તો આપણું બાળક પછાત જ રહી જાય. અનિલ બોલ્યો.
દીપા અને અનિલે ફોન પર વાતો કરી કરી ને અને જાતે પણ દોડાદોડી કરીને, ભારે ડોનેશન આપીને,  નિહાલને ઘરથી આઠ કીલોમીટર દૂર  આવેલા કોઈ પ્લે ગૃપમાં દાખલ કર્યો. કુંદનલાલે દીપા અનિલને ઘણું વાર્યા, આટલા નાના બાળકને બોલવા ચાલવા અને કુદરતી હાજતનું ભાન ન હોય એને શા માટે સ્કુલમાં દાખલ કરો છો? એને બેઝિક જ્ઞાન આપણે જાતે જ ઘરે ન આપી શકીએ? પણ નિહાલને શહેરની નંબર વન ફેમસ સ્કુલમાં એડમિશન મળવાથી હરખ પદૂડાં થયેલાં દીપા અનિલ બોલ્યા, તમને આમાં કંઈ ખબર ન પડે, તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા. અને કુંદનલાલ ચુપચાપ જુની આંખે નવો તમાશો જોઈ રહ્યા. સવાર સવારમાં અર્ધી ઊંઘેથી ઊઠીને આંખો ચોળતો કે ક્યારેક રડતો રડતો નિહાલ સ્કુલમાં જતો અને કુંદનલાલ આંખો બંધ કરી નિસાસો નાંખતા, તો દીપા બોલતી, હાશ ! હવે બે કલાક હું છુટ્ટી ! 

પછી તો નિહાલ નર્સરીમાં આવ્યો, જુનિયર કે.જી. અને પછી સિનિયર કે.જી. દીપા અને અનિલ તો એમની આ નિહાલ નામની પ્રોપર્ટીના સમગ્ર વ્યક્તિ વિકાસના પ્રોજેક્ટમાં આદુ ખાઈને, ના ના આદુ નહીં – પીઝા ખાઈને મંડી પડ્યા હતાં. કોઈ પણ મહેમાન ઘરમાં આવે એટલે, નિહાલ બેટા, અંકલને બા બા બ્લેકશીપ સંભળાવો,   A B C D , 1 2 3 4 , બોલી બતાવો, ડાન્સ કરી બતાવો, આંટીને તારા ડ્રોઈંગ્સ દેખાડો. શરૂઆતમાં તો નિહાલ આનાકાની પણ કરતો. પણ પછી મમ્મીની ધાક ધમકીથી ચાવી દીધેલાં રમકડાંની જેમ શરૂ થઈ જતો. કુંદનલાલ વ્યથિત હૃદયે આ તમાશો જોતાં અને ન સહેવાય ત્યારે રૂમમાં જઈ પોતાની જાતને બંધ કરી લેતાં.

નિહાલ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ દીપા અનિલની  એની પાસેથી ભણતરમાં   Grade ની અપેક્ષા વધતી જ ગઈ. નિહાલ પણ એમને ખુશ રાખવા પોતાની મરજી વિરુધ્ધ જઈને પણ ખુબ મહેનત કરતો. દીપા અનિલ કહેતાં, અમારો નિહાલ બહુ જ બ્રિલિયન્ટ અને ઈંટેલીજન્ટ છે. અમારે એને ડૉક્ટર જ બનાવવો છે. કુંદનલાલ આ સાંભળતાં ત્યારે મનોમન કહેતાં, હા, તમારે મન તો નિહાલ તમારી માલિકીની એક ચીજ જ છે ને. જેમ બીજા  લોકો નક્કી કરે કે અમારે ફર્નિચર તો સાગના લાકડાનું જ બનાવવું છે, એમ તમે લોકે નક્કી કર્યું કે અમારે નિહાલને તો ડૉક્ટર જ બનાવવો છે, કદી એની મરજી પૂછી છે?’ પણ તેઓ ચુપ જ રહેતાં, કારણકે એમને ખબર હતી કે પોતે કશું પણ કહેવા જશે તો દીપા અનિલ એમને આ જ કહેવાના, પપ્પા, તમે તો કશું બોલતાં જ નહીં

નિહાલનું બાળપણ ભણતરના બોજ સાથે પત્યું. એની ઉંમરના અન્ય બાળકો રમતાં હોય, ફરતાં હોય, મોજ મસ્તી કરતાં હોય, ત્યારે આપણો ભાવિ ડૉક્ટર નિહાલ સાયન્સ અને મેથ્સ ના સર સાથે માથાં ખપાવતો હોય. અનિલને એના બીઝનેસ અને દીપાને એની ક્લબ – કીટી પાર્ટીઓ, સોશીયલ એક્ટીવીટીમાંથી નિહાલ માટે સમય ન બચતો. પણ નિહાલ માટે એમણે જડબે સલાક ટ્યુશનો ગોઠવી દીધા હતાં.કુંદનલાલે એક બે વાર બન્નેને કહ્યું પણ ખરું, ભગવાને આવો સારો દીકરો આપ્યો છે, તો થોડો સમય એની સાથે પણ વીતાવો  પણ દીપા અનિલનું તો એક જ બ્રહ્મવાક્ય, તમે તો કશું બોલશો જ નહી,  પપ્પા. 
કુંદનલાલને એક વ્યાખ્યાનમાં સાંભળેલી વાત યાદ આવતી, :
અત્યંત ધનવાન રોશનશેઠ માંદા પડ્યા,  અને એમને હોસ્પિટલમાં દાખલ કર્યા. સરસ મજાની ફાઈવસ્ટર હોસ્પિટલ હતી. નીટ એન્ડ ક્લીન રુમ,  અને ફ્લાવર વોઝમાં સજાવેલાં ફુલોથી  સુગંધીદાર રૂમ. એકદમ ડીસન્ટ ડૉક્ટર્સ અને સુંદર યુવાન નર્સો. જે કોઈ ખબર કાઢવા આવતું તે આ બધું જોઈને દંગ રહી જતું. ત્યાં એક દિવસ રોશનશેઠના બાળપણના દોસ્ત રસિકભાઈ મળવા આવ્યા, બોલ્યા, વાહ રે ભેરુ, શું ઠાઠ છે તારો?   કહેવું પડે ભાઈ.  અને આંખમાં પાણી સાથે રોશનશેઠે રસિકભાઈ ને મનની વાત કહી જ દીધી, રસિક, આ હોસ્પિટલ સરસ છે, સ્ટાફ પણ ખુબ વિવેકી છે, બધું જ સરસ છે, પણ મને અહીં એકલતા લાગે છે.  તું મારા પુત્ર સાહિલને કહે ને કે એ દર રોજ થોડો સમય કાઢીને મારી પાસે અર્ધો કલાક બેસે.
જરૂર કહીશ,’ રસિકભાઈએ પોતાના દોસ્ત રોશનશેઠને સાંત્વન આપ્યું. જ્યારે રસિકભાઈએ સાહિલને આ વાત કહી ત્યારે સાહિલે માત્ર એમને આટલું જ કહ્યું, રસિક અંકલ, હું જ્યારે નાનો હતો, ત્યારે મને પપ્પાના સાથની ખુબ જરૂરત હતી. ત્યારે પપ્પાને મારા માટે સમય નહોતો, હવે મારી પાસે પપ્પા માટે સમય નથી, . હિસાબ એકદમ ચોખ્ખો છે.  એમણે નાનપણમાં મને આયા વડે ઊછેર્યો, હવે હું એમને ઘડપણમાં નર્સ વડે સાચવું. માટે તમે પાસે બેસવાની વાત ન કરશો, એ સિવાય કહો તે કરવા તૈયાર છું
નિહાલને લઈને કુંદનલાલના મગજમાં સેંકડો વિચારો આવતાં અને શમી જતાં હતાં. કેમ કે એમને ઘરમાં બોલવાની સ્વતંત્રતા નહોતી. નિહાલ બારમામાં આવ્યો અને ઘરમાં જાણે બોર્ડની એક્ઝામ નામનું સુનામી વાવાઝોડું આવ્યું. સુનામી તો થોડા સમયમાં શમી ગયું હતું, પણ આ વાવાઝોડું તો આખું વર્ષ ચાલ્યું. દીપા અનિલ તરફથી ઘરમાં ટી.વી., રેડિયો,વીડીયો અરે મોટેથી બોલવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી.  નિહાલને વાંચવામાં ડીસ્ટર્બ ન થવું જોઈએ. નિહાલને ખાવામાં પણ રીસ્ટ્રીક્શન લાદવામાં આવ્યું. બહારનું નહીં ખાવાનું – તબિયત બગડે, ભાત નહીં ખાવાના – ઊંઘ આવે, કોઈના ઘરે કે પાર્ટીમાં નહીં જવાનું – ટાઈમ બગડે. બસ – વાંચો વાંચો અને વાંચો જ. આ બધી પાબંદીઓથી નિહાલ અંદરથી સખત રીતે ત્રાસી ગયો હતો, પણ મમ્મી – પપ્પા આગળ.. No Arguments. કુંદનલાલ તો બિચારા બને ત્યાં સુધી પોતાની રૂમમાં જ પૂરાઈ રહેતાં. સાંજે ગાર્ડનમાં જતાં તે રાત્રે જ ઘરે આવતાં.
એમ ને એમ  પરીક્ષાઓ આવી અને પતી પણ ગઈ. નિહાલની સાથે સાથે કુંદનલલને પણ હાશ થઈ. પણ દીપા અનિલ?  જોઈએ રીઝલ્ટ કેવું આવે છે  કહીને નિરાંતની અને આનંદની પળોને પણ ચૂંથી કાઢતાં. એક દિવસ આવ્યો જ્યારે રીઝલ્ટ હતું. દીપા અનિલ ખુબ જ ટેંશનમાં હતાં. બન્નેના હાર્ટબીટ્સ માપો તો એબનોર્મલ આવે અને બ્લડપ્રેશર માપો તો હાઈ આવે. સમય થયો એટલે નિહાલ સ્કુલમાં રીઝલ્ટ લેવા ગયો. કુંદનલાલ નિહાલને ગીફ્ટ આપવા એનો ફેવરીટ પિયાનો લેવા ગયાં. આવીને એમને પિયાનો પલંગ નીચે છુપાવી દીધો કે જેથી નિહાલને સરપ્રાઈઝ આપી શકે. પિયાનો જોઈને નિહાલ કેવો ખુશ થશે એ વિચારે કુંદનલાલના હોઠ પર સ્મિત આવી ગયું.

નિહાલ રીઝલ્ટ લઈને ઘરે આવ્યો ત્યારે એનો ચહેરો સાવ ઊતરી ગયો હતો.ધાર્યા હતા ૯૦% અને આવ્યા ૬૫%. દીપા અનિલના તો જાણે બારે વહાણ ડૂબી ગયાં.ઘરમાં કોઈ સ્વજનનાં મૃત્યુ જેવું વાતાવરણ છવાઈ ગયું. નિહાલ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. કુંદનલાલે એને બાથમાં લઈને સાંત્વન આપ્યું. નિહાલ બોલ્યો, દાદાજી, હવે મને મેડિકલમાં એડમિશન નહીં મળે. કુંદનલાલે એના માથે હાથ ફેરવતાંકહ્યું, કંઈ નહીં બેટા, એ સિવાય પણ કેરિયર બનાવવા માટે ઘણી લાઈનો છે.
આ સાંભળીને દીપા અનિલ બન્ને ઊકળી ઊઠ્યા, તમારા લાડ પ્યારે જ એને બગાડ્યો છે. પપ્પા, આટલા ટકાએ તો એને આર્ટ્સમાંય એડમિશન નહીં મળે. પણ અત્યારે તમે લોકો... કુંદનલાલ દીપા અનિલને  કંઈ સમજાવવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ બન્ને બોલી ઊઠ્યા, તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા. આ સાંભળીને નિહાલ આંસુ લૂછતો પોતાની રૂમમાં જતો રહ્યો અને કુંદનલાલ ભગ્ન હ્રદયે પોતાની રૂમમાં જતાં રહ્યાં. અનિલ ઓફિસ ચાલ્યો ગયો અને  ખાવાનું પણ રઝળી પડ્યું.

સાંજે દીપાએ કુંદનલાલને સાદ પાડીને બોલાવ્યા ત્યારે જ એ રૂમની બહાર આવ્યા. દીપાએ કહ્યું, જુઓને પપ્પા, ક્યારની બોલાવું છું પણ નિહાલ જવાબ જ નથી આપતો. કેટલા બારણા ખખડાવ્યાં પણ દરવાજો જ નથી ખોલતો. આ સાંભળતાં જ કુંદનલાલને ધ્રાસ્કો પડ્યો. એમણે પણ નિહાલને જોર જોરથી બૂમો પાડી,  બારણાં ખખડાવ્યાં પણ કોઈ રિસ્પોન્સ ન મળ્યો. છેવટે અનિલને ઓફિસેથી બોલાવ્યો. એણે બારણાને ખુબ જોરથી ધક્કો માર્યો, આગળો તૂટી ગયો અને બારણા ખુલી ગયાં.
નિહાલની લાશ રૂમના પંખા પર લટકતી હતી. નિહાલને ભલે મેડિકલમાં એડમિશન ન મળ્યું પણ એણે તો સ્વર્ગની લાઈન પકડી લીધી હતી, હવે એના મમ્મી પપ્પાને એના એડમીશનનું કોઈ ટેન્શન નહોતું. દીપા અનિલ તો  નિહાલની લાશ જોઈ ફસડાઈ પડ્યા અને આક્રંદ કરવા લાગ્યા.કુંદનલાલ એમની રૂમમાં જઈને પિયાનો લઈ આવ્યા, એમની આંખોમાંથી ટપકેલાં આંસુથી ગીફ્ટ પેપરનો લાલ રંગ રેલાઈ રહ્યો જે એમની આંખોમાં ફેલાઈ રહ્યો. એ ચિત્તભ્રમની દશામાં બબડ્યાં,’ જુઓ દીપા – અનિલ, તમારો ભાવિ ડૉક્ટર દીકરો કેવો શાંતિથી સૂતો છે. હવે તમને એનું કોઈ ટેંશન નથી. આ વખતે બે માંથી કોઈ બોલ્યું નહીં, પપ્પા,તમે તો કશું બોલશો જ નહીં.

(સંતાનોની કેરિયર માટે એમની પાછળ આદુ ખાઈને મચી પડતાં મા–બાપો ને આ લેખ એક ખાસ ભેટરૂપે)