Tuesday 27 December 2016

અમલદાર.

અમલદાર.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

ટેબલ પર ચશ્માં પડ્યાં ને ખુરશી ઉપર તું, ટગર ટગર જોયા કરે ભાઈ ઉતાવળ શું?
કાગળ તું કરમાં ગ્રહી એકાદો તો વાંચ, શું દેખે ઘડિયાળમાં હમણાં થાશે પાંચ.
હળવી શૈલીમાં લખાયેલી આ પંક્તિ મને ખૂબ જ પ્રિય છે. આ પંક્તિ લખનારને જરૂર કોઈ આરામપ્રિય એવા સરકારી કર્મચારી કે અમલદારનો જીવનમાં ભેટો થયો જ હશે, જેવો કે પ્રસિદ્ધ ચિન્મય મિશનના સ્વામી શ્રી અનુભવાનંદને કલકત્તામાં થયો હતો. એમનો અનુભવ જાણવા જેવો છે એટલે તમને જણાવું છું.
એમને એકવાર કોઈ કામ અંગે કલકત્તાની સરકારી કચેરીમાં જવાનું થયું. ત્યાં જઈને એમણે જે કર્મચારી કે અમલદારનું કામ હશે તેમને સંબોધ્યા, ‘બાબુમોશાય!’ પણ અધિકારી પોતાની બેઠકમાં જરાય સળવળ્યા નહીં. સ્વામીજીએ એમને ફરી બોલાવ્યા, ‘સરજી!’ તો પણ અમલદારની સ્થિતપ્રજ્ઞતામાં ભંગ થયો નહીં. અધિકારીને એમ જ ખુરશીમાં આંખો મીંચીને ધ્યાન ધરતા જોઇને સ્વામીજીએ પૂચ્છ્યું, ‘મહાશય, આજ આપકા મૌનવ્રત હૈ ક્યા?’
અમલદારે હળવેથી આંખો ખોલી સ્વામીજી સામે જોયું, પછી સ્લો મોશનમાં બંધ પડેલા સીલિંગફેન તરફ અંગુલી નિદર્શન કર્યું અને પાછા આંખો મીંચીને સમાધિસ્થ થઈ ગયા.  સ્વામીજી મૂંઝાયા, આમતેમ જોયું, ત્યાં પટાવાળો નજરે ચઢ્યો એટલે આખી ઘટના વર્ણવી એનું અર્થઘટન પૂચ્છ્યું, ત્યારે પટાવાળાએ ઘટસ્ફોટ કર્યો, ‘સ્વામીજી, અભી ઇલેક્ટ્રીસિટી ચાલી ગઈ હૈ, જબ તક બીજલી નહીં આયેગી ઔર ફેન ચાલુ નહીં હોગા તબ તક હમારે સર કોઈ કામ નહીં કરેંગે.’
સ્વામીજીને ભારે આશ્ચર્ય થયું, એમણે કહ્યું, ‘In Kolkatta, there is Chetarjee, there is Benarjee,  there is Mukharjee,   but…No Energy.’
પર્સનલ આસીસ્ટન્ટ : સર, આપ ઓફીસ આતે વક્ત દેરસે આતે હૈ, પર જાતે વક્ત જલ્દી ઘર ચાલે જાતે હૈ, ઐસા કયું?
અમલદાર: વો ઈસલીયે કિ દોનો વક્ત લેટ હોના મુજે અચ્છા નહિ લગતા.
અમલદાર લોકોની આ ટાઈપની ‘Punctuality’  મને ગમી. અમલદાર પણ આખરે તો એક માણસ જ છે, જેને ઘર-બાર છે, બૈરી-છોકરાં છે, એને  વટ-વ્યવહાર સાચવવાના છે અને સમાજમાં રહેવાનું છે. લોકોએ એમની સામે ફરિયાદ શા માટે કરવી જોઈએ  કે, ‘એ લોકો પૈસા લઈને (કે નહીં લઈને) સમયસર (કે સમયસર નહીં) કામ કરતાં નથી?  
અમલદારોની આ વિશિષ્ઠ (નિષ્ક્રિય) કાર્યપદ્ધતિ અંગે કેટલાક સક્રિય કાર્યકરોએ રસમય સર્વેક્ષણો  પણ કર્યા છે. પી.ઈ.આર.સી. (પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક રિસ્ક કન્સલ્ટન્સી) દ્વારા એશિયાના મુખ્ય ૧૨ (એક ડઝન પૂરા) દેશોમાં ‘અમલદારોની કાર્યક્ષમતા’ અંગે સર્વેક્ષણ થયું, ગર્વ લેવા જેવી બાબત એ છે કે, આ તારણમાં ભારતદેશના અમલદારો બિનકાર્યક્ષમતામાં અવ્વલ નંબરે છે.
બિનકાર્યક્ષમતા એ આળસનું જ બીજું રૂપ છે,  અને આ આળસ એટલે કે Laziness શું છે?
‘Laziness  is  nothing  more  than  the  habit  of  resting  before  you  get  tired.’
કહેવાય છે કે તદ્દન નકામી ચીજ પણ ક્યારેક તો કામ લાગે. એ જ રીતે બિનકાર્યક્ષમ અમલદાર પણ જ્યારે એની ‘સત્તામાં કે પગારમાં કાપ’ મૂકવાનો પ્રસ્તાવ આવે ત્યારે એનો વિરોધ કરવાના કાર્યમાં એકદમ કાર્યક્ષમ પુરવાર થાય છે.
પી.ઈ.આર.સી. ના સર્વેક્ષણ મુજબ સિંગાપોરના અમલદારોએ હેટ્રિક કરી છે, સતત ત્રીજીવાર તેઓ વધુ કાર્યક્ષમ પુરવાર થયા છે. એમની પત્નીઓ ગાતી હશે, ‘સુબહ ઔર શામ કામ હી કામ, કયું નહીં લેતે પિયા પ્યારકા નામ?’ જોકે આ અમલદારો પણ ક્રાઈસીસ વખતે ઓછા કાર્યક્ષમ પુરવાર થયા છે. જ્યારે  થાઈલેન્ડના અમલદારો આ બાબતે ‘બેલેન્સ્ડ’ પુરવાર થયા છે. તેઓ હર પરિસ્થિતિ(ચઢાવ-ઉતાર)માં પોતાની કામગીરી સફળતાથી નિભાવે છે.
ભારતમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સરકારી અધિકારીઓ ‘સત્તાના કેન્દ્ર’ સમાન છે. આ વાત સારી રીતે જાણતા હોવાથી તેઓ સત્તાનો પૂરેપૂરો (દૂર)ઉપયોગ કરે છે. તેઓ પ્રજા (સગા-વહાલાઓ)નું થઇ શકે એટલું કલ્યાણ કરે છે. કદાચ ભારતના નેતાઓ અને રાજકારણીઓ પાસેથી તેઓ પ્રેરણા મેળવે છે. એમની પ્રાર્થના આ મુજબ હોય છે, ‘હે ભગવાન ! સૌનું કલ્યાણ કરજે, શરૂઆત મારાથી કરજે.’
સર્વેક્ષણ કરનારા કહે છે, ‘ભારતના અમલદારો સાથે કામ કરવાની પ્રક્રિયા અત્યંત ધીમી અને પીડાદાયક હોય છે.’ ઈતિહાસ કહે છે કે – ‘આજ સુધીમાં જેટલા પણ પરિવર્તનો કે નવસર્જનો થયાં છે, તે અત્યંત ધીમી અને પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થઈને જ તો થયા છે.’ દાખલા તરીકે- ‘વાનરમાંથી માનવનું સર્જન.’ જોકે કેટલાક લોકોને જોઇને માનવું પડે છે કે –‘આ નર  હજી સુધી વાનર જ છે.’
ચિંતકો અને ફિલસૂફો કહે છે કે – ‘સરળતાથી મળેલી સિદ્ધિ કે પ્રસિદ્ધિ નું એટલું મહત્વ નથી હોતું જેટલું કે વિકટ સ્થિતિમાંથી પસાર થઈને મેળવેલી સિદ્ધિ  કે પ્રસિદ્ધિ.’
ભગવાન રામને એટલા માટે લોકો આજે પણ પૂજે છે, કેમ કે તેઓ જંગલમાં રહ્યા, મુશ્કેલીઓ વેઠી, રાવણ નો સામનો કર્યો અને સીતાને પાછી લાવ્યા, એટલા માટે નહીં કે તેઓ રાજા દશરથના પુત્ર હતા. આમ ભગવાનનું જીવન પણ યાતનાઓથી ભરેલું હોય તો ઈન્સાનની તે શી વિસાત?
તારીખ ૯ મી જૂન, ૨૦૦૯, ના ન્યૂઝપેપરમાં ન્યૂઝ વાંચ્યા હતા કે - ‘ઉચ્ચ અધિકારીઓ (આઈ એ એસ  અને આઈ પી એસ) ને રાજકીય દબાણથી મુક્ત કરવા અને રાજકીય હસ્તક્ષેપથી દૂર રાખવા’ નું નવું બિલ રજૂ કરવાની તૈયારી કેન્દ્ર સરકારે કરી છે. આ બિલ જો પાસ થાય અને કાયદો બને તો અમલદારોને વધારાની સત્તા મળે અને ત્રણ વર્ષ સુધી એમની બદલી નહીં થઇ શકે.
‘એક તો કડવી કારેલી અને પાછી લીમડે ચઢી?’ જો કે આ બિલમાં ઉચ્ચ અધિકારીઓ ના ‘દેખાવ’ પર નજર રાખવા માટે પબ્લિક સર્વિસ કોડ તથા કડક નિયમોની જોગવાઈ રાખી હતી. એટલે અધિકારીઓએ પોતાના દેખાવ વિશે ગાફેલ રહેવું પોસાય એમ નહોતું. તે છતાં ‘કાયદા એટલા છીડાં’ એવી કહેવત પણ હતી જ. જે આજ સુધી સાચી પુરવાર થઇ રહી છે.  છેલ્લે એક હળવા જોકથી લેખનું સમાપન કરું: 
સરકારી અમલદાર પતિ: મારી આટલી ઊંચી પોસ્ટ છે અને આપણે આટલા મોટા ફંકશનમાં જવાનું છે, ત્યારે મારો આ ચોળાયેલો સૂટ જોઇને લોકો મારા વિશે શું ધારશે?
પત્ની: તમે નાહકનું ટેન્શન ન લો, હું તમારી સાથે જ છું, પછી તમારા ‘દેખાવ’ પ્રત્યે કોની નજર જવાની છે?


    

No comments:

Post a Comment