Wednesday 23 September 2015

શ્રોતા બનવાની શરતો.

શ્રોતા બનવાની શરતો.   પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-સાંભળ.... આજનું છાપું કહે છે  કે...
-છાપાં વળી કે દાડા ના બોલતાં થઈ ગયાં?
-વાયડી થા મા, સાંભળ. આજે એલિસબ્રીજ જીમખાનામાં કોક સંત વક્તાનું ભાષણ છે.
-તો? તમને તો સંત વાણી પસંદ નથી.
-હા, નથી જ. તો પણ આપણે એ ભાષણ સાંભળવા જઈશું.
-તમારા હ્રદય પરિવર્તનનું કારણ જાણી શકું?
-હ્રદય પરિવર્તનની કોઈ વાત નથી. આ તો  મને લાગ્યું કે અહીં ઘરમાં તાપમાં બફાવા કરતાં ત્યાં એ.સી.ની ઠંડકમાં ત્રણ કલાક બેસવુ શું ખોટું? ઉપરથી ચા-નાસ્તો મળે એ નફામાં.

આવી  નગરનોંધ વાંચી વાંચીને,  છાશવારે  જ્યાં-ત્યાં દોડી જતા શ્રોતાઓએ મારો આ લેખ ખાસ ધ્યાનથી વાંચવો. કેમ કે તેઓ જાણતાં નથી કે તેમની આવી હરકત દ્વારા તેઓ  શ્રોતા-યુનિયન ની પ્રતિષ્ઠાને કેવો ધક્કો પહોંચાડી રહ્યા છે.

જેમ સુગંધ વિના ફૂલ નકામું, જ્યોતિ વિના દીપક નકામો, ફળ વિના વૃક્ષ નકામું, લજ્જા વિના સ્ત્રી નકામી, વીરતા વિના પુરુષ નકામો, વાચક વિના લેખક નકામો, હાસ્ય વિના માણસ નકામો, વગેરે વગેરે...એમ જ શ્રોતા વિના વક્તા નકામો છે.  અને આ જ કારણસર દરેક શ્રોતાએ પોતાનું મહત્વ પૂરેપૂરું સમજી લેવું જરૂરી છે. જો કોઈ શ્રોતાને આ બાબતમાં,  બિન ગુરુ જ્ઞાન કહાંસે પાઉં?’  એવો જો કોઈ પ્રોબ્લેમ નડતો હોય તો આજે એ જ્ઞાન હું એમને બિલકુલ ફ્રી માં આપવા તૈયાર છું.

મારા પ્રથમ પુસ્તક હાસ્યપલ્લવ કે જેને ૧૯૯૭ ની સાલમાં, હાસ્ય વિભાગનું,  સાહિત્ય અકાદમી, ગાંધીનગર  તરફથી બીજું ઇનામ પ્રાપ્ત થયું છે. આમ તો આ વાત માહિતી માટે લખી છે, પણ જો કોઈ આને જાહેર ખબર સમજે તો પણ મને વાંધો નથી. કેમ કે જમાનો જ જાહેર ખબરનો ચાલે છે.
   
એ પુસ્તકમાં મેં સફળ વક્તા બનવાના સાત સોનેરી સૂત્રો બતાવ્યાં હતાં. ત્યાર પછી શ્રોતાઓની મદદ માટેની માંગણી ધ્યાનમાં લઈને આજે હું  તમને સફળ શ્રોતા બનવાના સાત સોનેરી સૂત્રો આપુ છું.

સૂત્ર ૧: મફતમાં ક્યારેય કોઈ પણ ભાષણ સાંભળવા જવું નહીં. કલાક, મિનિટ, સેકંડના હિસાબે શ્રોતા બનવાનો ચાર્જ નક્કી કરવો. ભાષણ દરમ્યાન હસવાનો, તાળીઓ પાડવાનો, સૂત્રોચ્ચાર કરવાનો કે ઈંડા-ટામેટાં ફેંકવાનો ચાર્જ અલગથી નક્કી કરવો. ચાર્જ નક્કી કર્યા પછી, ૨૦% જેટલી સાઈનીંગ એમાઉન્ટ પ્રવચન રદ થઈ જાય તો પણ, પાછી ન આપવાની શરતે એડવાન્સમાં લેવી.

સૂત્ર ૨: પ્રવચન ધાર્યા સમય કરતાં લાંબુ થઈ જાય તો વધારાનો સમયનો ચાર્જ (ઓવર ટાઈમ) મૂળ ચાર્જના દોઢાના હિસાબે લેવો. તમે સમયસર પહોંચી ગયા હોવ અને વક્તા સમયસર ન આવે, એટલે કે ભાષણ સમયસર નચાલુ થાય તો ટાઈમપાસ કરવા તમારે આયોજકો પાસે શીંગ-ચણા-મમરા-વેફર્સ-પોપકોર્ન જેવી ખાવાની ચીજો માંગવી. લંચ કે ડીનરનો સમય થઈ ગયો હોય તો તેની માંગણી કરવામાં પણ કંઈ અજુગતું ન લગાડશો. કેમ કે એક પ્રચલિત કહેવત છે- માંગ્યા વિના  તો મા પણ પીરસતી નથી

સૂત્ર ૩: સુજ્ઞ શ્રોતાજનો, તમારે પોતાના ઘરથી ભાષણના સ્થળ સુધી જવા-આવવાનું ભાડું ( સ્કૂટર- રિક્ષા- ટેક્ષી-કાર), અને બહારગામના કેસમાં( ટ્રેન- પ્લેન –બસ) આયોજકો પાસે લેવાનો આગ્રહ રાખવો.

સૂત્ર ૪:શ્રોતાજનો,  શક્ય હોય ત્યાં સુધી તમારે એ.સી. હોલમાં જ ભાષણ સાભળવા જવું. નોન એ.સી. હોલમાં મજબૂરીથી જવું પડે તો હોલમાંપૂરતા પંખા હોવા જોઈએ, અને પોતાની સીટ પંખાની પાસે અથવા પંખાની નીચે જ આવે  એવો આગ્રહ રાખવો. ગઝલનો કે ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ હોય તો બેસવા માટે ગાદી-તકિયા (ધોયેલી ચાદર-કવર) ની સગવડ હોય એવો આગ્રહ રાખવો.

સૂત્ર ૫: સાંભળવાની ક્ષતિ ધરાવતી વ્યક્તિએ ઈયર ફોન,  અને જોવાની ક્ષતિ ધરાવતી વ્યક્તિએ આયોજકો પાસે ચશ્માની માંગણી કરી જોવી. આપે તો ઠીક નહિતર આગ્રહ ન રાખવો. પણ ભાષણ સાંભળતા તમારું માથું દુ:ખે તો સેરિડોન-એસ્પ્રો કે બામ જેવી વસ્તુઓ બેશક માંગી શકાય.

સૂત્ર ૬: ભાષણ સાંભળતાં ઊંઘ આવે તો શ્રોતા આરામથી સૂઈ શકે એવી સગવડ પણ આયોજકો કરે તો વેલ એન્ડ ગુડ’,   માંગણી કરવામાં શું જાય?


સૂત્ર ૭: જો આખા કાર્યક્રમનું વીડીયો રેકોર્ડિંગ થવાનું હોય તો વક્તાની સાથે સાથે શ્રોતા પણ સારો દેખાય એ ઈચ્છનિય છે. ઇન ધેટ કેસ- શ્રોતાને સારા પોશાકો આયોજકે પૂરા પાડવા. ઉપરાંત શ્રોતાઓનો મેકપ- બ્યૂટિફિકેશન નો ખર્ચ પણ આયોજકો જ ઉપાડે એવો આગ્રહ શ્રોતા રાખે તો એમાં કંઈ અનુચિત નહીં ગણાય. 

અંતે પ્રસિધ્ધ હાસ્યલેખક શ્રી જ્યોતીંદ્ર દવેનો શ્રોતા તરીકેનો શેર રજુ કરું છું:                            ‘’ભલે બોલ્યા કરો ભાઈ,  કેમ કે કંઠ તમારા છે, કિન્તુ દયા જરાક રાખો, આખર કાન અમારા છે. ‘’

3 comments:

  1. હદ કર દી આપને !

    ReplyDelete
  2. કંઠ તમારા છે, કિન્તુ દયા જરાક રાખો, આખર કાન અમારા છે. Wah!
    Kamaal kari!!!
    Khoob Saras.
    -Ramesh Savani

    ReplyDelete
  3. very fine Pallaviben. juda juda darek samaye paristhiti to aaj rahevani.tethi aa vishay chiranjiv chhe. Aa lekh ne thodo lambavo to ??

    ReplyDelete