Monday 4 February 2019

આપણે ‘તે’ નથી શું ?


આપણે ‘તે’ નથી શું ?                      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

છેલ્લા છએક વર્ષથી ખૂબ પ્રસિદ્ધ નહીં એવા એક છાપામાં નિયમિતપણે, અને મેગેઝીનોમાં અનિયમિતપણે જેમની વાર્તાઓ છપાતી હતી, એવા એક કટાર લેખકમિત્ર એક સાંજે અમારા ઘરે મળવા આવ્યા. સમયવર્તીને સાવધાન થઇ ગયેલા મારા પતિ ‘કમ્પ્યુટરનું  થોડું કામ છે તે પતાવીને આવું છું’ કહીને ડ્રોઈંગરૂમમાંથી અદ્રશ્ય થઇ ગયા.
-તમે જ કહો ભાભી, આ તે ક્યાંનો ન્યાય છે ? એમણે પ્રશ્નાર્થથી વાતની શરૂઆત કરી.
-એમાં એવું છે ને પ્રકાશભાઈ, કે આપણને હમણાં આ અન્યાય લાગે, પણ પછી વિચારીએ તો લાગે કે એની પાછળ ભગવાનનો નવસર્જનનો હેતુ હોય,  એવું પણ બને. 
-ભગવાન ? નવસર્જન ? હેતુ ? તમે આ બધી શેની વાત કરી રહ્યા છો , ભાભી ?
-ભૂકંપની જ સ્તો વળી.
-ભૂકંપની ? આપણી વાતમાં વચ્ચે ભૂકંપ ક્યાંથી આવી ગયો ?
-આજકાલ તો જે કોઈ મળે છે તે ભૂકંપની જ વાતો કરે છે. વચ્ચે શું, વાતોની  શરૂઆત પણ ભૂકંપથી થાય છે, અને અંત પણ ભૂકંપથી જ આવે છે. ભૂકંપ આવ્યો ત્યારથી બધાં જ ભગવાનના અન્યાય વિશે બળાપા કાઢે છે.
-પણ, હું ભૂકંપ કે ભગવાનના અન્યાય વિશે નહીં, છાપા અને મેગેઝીનોના તંત્રીઓના અન્યાય વિશે વાત કરી રહ્યો છું. બધા જ તંત્રીઓ પોતાના લેખકો સાથે ઓરમાયું વર્તન કેમ કરતા હશે ?
-જુઓ પ્રકાશભાઈ, પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટ આ બાબતમાં કહી ગયા છે કે – છાપામાં કટારલેખક તરીકે ચાલુ રહેવું હોય, અને આદરથી જીવવું હોય તો તંત્રીઓ સાથે ‘દૂરના સંબંધો’ રાખવા જ સારા. લેખકે તંત્રીને જરૂર પડે તો જ મળવું, અને શક્ય હોય એટલું સલામત અંતર જાળવી રાખવું. તંત્રીઓને લેખકોની નિકટતા પોસાય જ નહીં – ઘોડા અગર ઘાસસે યારી કરેગા તો ખાયેગા ક્યા ?
-અરે ! પણ કામ અંગે આપણે ક્યારેક તો  તંત્રીઓને મળવું પડે કે નહિ ? પણ એ લોકોના તેવર તો જુઓ, આપણી સાથે એવી રીતે વર્તે જાણે આપણે એમના ‘ખરીદેલા ગુલામ.’
-પ્રકાશભાઈ, આમ જુઓ તો તંત્રીઓની એ વાત ખોટી નથી, આપણે ‘તે’ નથી શું ? પણ એ વાત જવા દો.  ચિત્રલેખાની કોલમ  ‘તારક મહેતા ના ઉલટા ચશ્મા’ ના સર્જક હાસ્યલેખક  શ્રી તારક મહેતા શું કહી ગયા છે તે સાંભળો, ‘નવો હાસ્યલેખક ગમે તેટલું સારું લખી લાવ્યો હોય, તોપણ તંત્રીઓને એ બધું વાંચવાની ફૂરસદ નથી હોતી. તંત્રીઓને પોતાના વર્તમાન પત્રોની જાહેરખબરમાં અને એને  લગતી સામગ્રીમાં જ રસ હોય છે. મફતિયા કટાર લેખકો તો એક માંગો હજારો મિલતેં હૈ. હૈયાફૂટયા વાચકો તો જે કચરો પીરસો, તે ચાટી જાય છે, તગડી જાહેરખબરો પર જ છાપાં ચાલે છે.’  આવું હું નથી કહેતી, હોં. તારકભાઈ કહી ગયા છે.
-જાહેરખબરોનું મહત્વ તો હું પણ સમજુ છું, ભાભી. એની સામે મારે કંઈ કહેવાનું નથી. મારો વિરોધ તો આપણા લેખો મંગાવ્યા બાદ એની અવગણના  કરે તેની સામે છે. સમયસર વાર્તા લખાય અને તંત્રીને પહોંચાડાય તે ખાતર હું રાતભર જાગી-જાગીને, વિચારી-વિચારીને, નવા પ્લોટો શોધી-શોધીને મરી જાઉં છું. લેખ આપવાનો હોય તે આગળના બે દિવસો  મિત્રો સાથે મૂવી જોવા નથી જતો, પત્ની સાથે ફરવા નથી જતો, બાળકો વાત કરવા આવે તો એમને ધમકાવીને રૂમની બહાર કાઢી મૂકું છું, પાર્ટીઓમાં પણ ખાસ નથી જતો, કેમ તે જાણો છો તમે ?    
-ના.
-કેમ કે સાહિત્યક્ષેત્રે હું નામ કમાવા માગું છું, પ્રગતિના સોપાનો સર કરવા માગું છું, સર્જનશીલ કહેવડાવવાનો આનંદ ઊઠાવવા માગું છું. પણ અહીં કયા ‘ભગલાભાઈ’ ને એની કદર છે ? આપણે લેખકો એટલે સાવ મફતિયા ?
-સાવ એવું નથી, પ્રકાશભાઈ. હવેના તંત્રીઓ ‘ફૂલ નહીં ને ફૂલની પાંખડી’ તો લેખકોને આપે જ છે. હા, એ આપતા મોડું જરૂર થાય છે, પણ... ‘ભગવાનકે ઘર દેર હૈ અંધેર નહીં હૈ.’
-એ લોકો લેખકોને ‘ફૂલ’ (મુર્ખ) બનાવે છે, ભાભી. લેખ તો ન  છાપે અને ઉપરથી એવા બહાના બતાવે કે ‘તમારો લેખ ક્યાંક મૂકાઈ ગયો હતો એટલે ન છાપી શકાયો, પછીના વીકમાં ચોક્કસ છાપીશું’ અથવા ‘મુખ્યમંત્રીની નાદુરસ્ત તબિયતના સમાચાર છાપવા પડ્યા એટલે તમારો લેખ ન સમાવી શકાયો.’ સા... જુઠ્ઠાડાઓ..
-તમારા ગુસ્સાને શાંત કરો અને સાહિત્યક્ષેત્રે હાસ્યના ઇન્દ્રસમા જ્યોતીન્દ્રભાઈ દવે શું કહી ગયા છે તે સાંભળો,  ‘સાહિત્યધામની તીર્થયાત્રાના ત્રીજા વર્ગના ઉતારુસમા એક પરિચિત ગૃહસ્થ દિવાળીના દિવસોમાં મને રસ્તામાં મળી ગયા. એટલે મેં સ્વાભાવિકતાથી એમને પૂછ્યું, ‘કેમ, લેખો લખી નાખ્યા ?’ તેમણે કહ્યું, ‘લખ્યા તો ઘણા પણ જ્યાં મોકલું છું, ત્યાંથી પાછા આવે છે.’ ‘લેખ સાથે ટિકિટ બીડતાં હશો ?’  એવા મારા સવાલના જવાબમાં પેલાભાઈએ કહ્યું, ‘જો હું લેખોની સાથે ટિકિટ ન બીડું તો લેખો પાછા ન આવે ?  એ લોકો મારા લેખો છાપે ?’ મેં હસીને કહ્યું, ‘છાપવાની કોઈ ગેરંટી નહીં, પણ લેખો પાછા ન આવે એની ગેરંટી, કેમ કે એવા લેખો તંત્રીઓ કચરાપેટીમાં જ પધરાવે.’
-હવે તો ભાભી, ટપાલમાં કોઈ ભાગ્યે જ લેખો મોકલતું હશે, ઈન્ટરનેટ આવી ગયા પછી હવે તો  ઈમેલથી જ લેખો મોકલાય છે, પણ એનોય જવાબ લખવાની તંત્રીઓને ફુરસદ નથી. તંત્રીઓ આવું કેમ કરતા હશે ?
-આવું એટલે કેવું પ્રકાશભાઈ ?
-જુઓ, મારા તંત્રીની જ વાત કરું તો એ પોતે પોતાના ભવ્ય મહાલય સમા બંગલાના પોર્ચમાં આવેલા વૈભવી હિંચકા પર પહોળો થઈને પથરાય છે, વિશાળ કમ્પાઉંડમા બે લક્ઝુરિયસ કાર એની સમૃધ્ધિની ચાડી ખાતી ઉભેલી હોય છે, અડધો ડઝન નોકરો એના ઘરે કામ કરે છે, એને એક  હાર્ટએટેક આવી ચૂક્યો છે,  ડાયાબિટીશ પણ છે, ડોકટરે ખાવાની લિમિટ આપી છે, છતાં એના ડાઈનિંગ ટેબલ પર દેશી- વિદેશી વાનગીઓનો ઢગલો પથરાવે છે.
-પણ એ તો એમની પર્સનલ બાબત થઈ, ખરું કે નહીં, પ્રકાશભાઈ ? ‘ભેંસના શીંગડા ભેંસને ભારી’ આપણે શું ?
-તમારી વાત સાચી છે, પણ મારો કહેવાનો મતલબ એ છે કે આટઆટલા પૈસા હોવા છતાં અમારા જેવા લેખકોને મામૂલી પુરસ્કાર આપતી વખતે એનો જીવ તાળવે ચોંટે છે. એક નાનકડી રકમના ચેક માટે કેટલાય ધક્કા ખવડાવે છે, ત્યારે એમ થાય છે કે આ નાણા મારી બુદ્ધિ કે મારી મહેનતના નથી, પણ ભીખના છે.
-તમારી વાત સાંભળીને મને એક જોક યાદ આવે છે, એક રસ્તા પર એક માણસ ભીખ માંગતા કહે છે, ‘આ લેખકને કોઈ રૂપિયો બે રૂપિયા આપતા જાવ, માઈબાપ’ એ સાંભળીને એક સજ્જને કહ્યું, ‘તમે લેખક છો ? તમે કયું પુસ્તક લખ્યું છે ?’ ‘પૈસા કમાવાની સો તરકીબ’ ‘અચ્છા, તો પછી ભીખ શા માટે માંગો છો ?’ ‘આ એમાંની જ એક તરકીબ છે.’
-અરે ભાભી, તમને શું કહું ? તંત્રીઓ છ છ મહિના સુધી લેખકને પેમેન્ટ કરતા નથી. અને કરે છે ત્યારે ઉપરથી કહે છે, ‘તમે તો લકી છો કે પેમેન્ટ છ મહિનામાં મળી ગયું, ઘણાને તો બે બે વરસથી પેમેન્ટ બાકી છે.’ મામૂલી પુરસ્કાર માટે આવા ભવાડા ?
-પ્રકાશભાઈ, જાણીતા હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગર પુરસ્કાર વિષે શું કહે છે, તે સાંભળો. ’લેખકોને પુરસ્કાર આપવાની મુખ્ય જવાબદારી પ્રકાશકો અને છાપાના માલિકોએ અદા કરવાની હોય છે.આ લોકોમાંથી કેટલાંક - લેખકોને કંઇક આપવું  જોઈએ એમ માનતા હોય છે. પરંતુ આ ‘કંઈક’ એમની દ્રષ્ટિએ ‘પૂરતું’ હોય છે, કેટલીકવાર તો ‘વધારે’ પણ હોય છે. પરંતુ લેખકોને તે ‘ઓછું’ લાગે છે. વળી પ્રકાશકો પોતાનો ભાગ ભલે રૂપિયામાં રાખતા હોય, લેખકો માટે પૈસામાં પણ ભાગ રાખે  છે, એ ઉદારતાની નોંધ ન લેવા જેવા લેખકોથી નગુણા ન થવાય.’   
-તમે મને નગુણા ન થવાની સલાહ આપો છો પણ આજ સલાહ તમારે તંત્રીઓને, સંપાદકોને, પ્રકાશકોને આપવાની જરૂર છે, એમ તમને નથી લાગતું, ભાભી ?
-ના, નથી લાગતું. સલાહ ભલે મફતમાં અપાતી હોય, પણ એ કોને અપાય અને કોને નહિ એટલી સમજદારી લેખનજગતમાં ઘણા વર્ષોના અનુભવ પછી મારામાં આવી ગઈ છે. માલિકોને માન અપાય, વોટ અપાય, સેવા અપાય, સલાહ કદાપિ નહીં. શું કામ જાણી જોઇને આપણે  સોનાની જાળને પાણીમાં ફેંકવી ?
-આમ કહીને તમે લેખકોને તુચ્છ બનાવી રહ્યા છો.  
-મારા બનાવવા, ન બનાવવાથી શું ફર્ક પડે છે ? રતિલાલભાઈ પોતે જ કહે છે, ‘હાસ્યકારો સાહિત્યના  શૂદ્રો ગણાય છે, શૂદ્રોની માંગ બહુ હોય છે, પણ મહેનતાણું ઓછું હોય છે. હાસ્યકારોને મળતું મહેનતાણું  એમને કરુણરસનો અનુભવ કરાવે એવું હોય છે.’
-ઠીક છે, આ તો તમારા હાસ્યલેખકોની વાત થઇ. પણ અમારા જેવા નવલકથાકારોને તો યોગ્ય મહેનતાણું એટલે કે યોગ્ય પુરસ્કાર મળવો જોઈએ કે નહીં ? કે પછી સરસ્વતીપુત્રોએ હંમેશા એ લક્ષ્મીનંદનો પાસે હાથ લંબાવ્યા જ કરવો પડશે ?
-પ્રકાશભાઈ, ‘પુરસ્કારનો ખ્યાલ પશ્ચિમમાંથી આવ્યો છે, એટલે સ્વદેશીના હિમાયતી એવા આપણને તે બરાબર નથી લાગુ પડતો. વળી સાહિત્યસર્જન એ સરસ્વતી સેવા છે. તમે સેવા સરસ્વતીની કરો અને કૃપા લક્ષ્મીની માંગો એ કોઈ રીતે યોગ્ય નથી. લક્ષ્મીજી તો આ સારસ્વતોની  ફક્ત માસી થાય. અને માસી પાસે ભાણેજ રાખી રાખીને કેટલી અપેક્ષાઓ રાખી શકે ?’ આ બધું હું નથી કહેતી હોં, રતિલાલભાઈ જ કહે છે.
-આ રતિલાલભાઈ બહુ પૈસાદાર માણસ છે ?
-હું એવું ધારતી નથી. એકવાર એમને મળેલ પુસ્તકનો પુરસ્કાર ઓછો લાગતાં એમના એક લેખકમિત્ર પાસે તેમણે આ લાગણી વ્યક્ત કરી ત્યારે એમને જાણવા મળ્યું કે તે મિત્રને તો તેમનું પુસ્તક છપાવવા પ્રકાશકને સામેથી પૈસા આપવા પડ્યા હતા.
-હું પુસ્તકોની વાત નથી કરતો, લેખોની વાત કરું છું. જૂના પણ ફેમસ લેખકોના જૂના અને છપાઈ ગયેલા  લેખો છાપવા માટે થઈને આપણા જેવા લેખકો (નવોદિતો) ના નવા અને તાજા લેખોને બાજુ પર મૂકી દે તે વલણ કેટલી હદ સુધી યોગ્ય છે ?
-સુપરફાસ્ટ ટ્રેનને આગળ જવા દેવા માટે લોકલ ટ્રેનોને થંભાવી દેવામાં આવે છે, એ તો સર્વસ્વિકૃત નિયમ છે. એ સ્વિકારશો તો જ સર્જનશીલતાનો આનંદ માણી શકશો.
સાંભળ્યું છે કે પ્રકાશભાઈ હજી પણ કોઈ એવા પ્રકાશકની શોધમાં છે, કે જે એમના લેખો પર પ્રકાશ પાડી શકે (યોગ્ય રીતે પુરસ્કૃત કરી શકે)


No comments:

Post a Comment